લોકસભા ચૂંટણી 2019 રાહુલ ગાંધીએ ગુજરાતમાં આપેલો મિનિમમ ઇન્કમ ગૅરન્ટીનો વાયદો શક્ય છે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે ગુજરાતના અડાલજ ખાતે આયોજિત જનસંકલ્પ રેલી દરમિયાન કેન્દ્રમાં આગામી સરકાર બને એટલે મિનિમમ ઇન્કમ ગૅરન્ટી યોજના, ન્યાયને લાગુ કરવાની વાત કરી હતી.

મહાસચિવ બન્યા બાદ પ્રથમ વખત જાહેરસભા સંબોધિત કરતા પ્રિયંકાએ કહ્યું કે તે 'ન્યાય' (ન્યૂનતમ આય યોજનાનું ટૂંકાક્ષર) તરીકે ઓળખાશે.

વચગાળાના બજેટ દરમિયાન કેન્દ્રની એનડીએ (નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ) સરકારે કિસાન સન્માન નિધિના નામે નાના ખેડૂતોના ખાતામાં સીધા જ રૂ. છ હજાર ટ્રાન્સફર કરવાની જાહેરાત કરી હતી.

રાહુલ ગાંધીએ ગરીબોને લઘુતમ આવકની ગૅરન્ટીની વાત કરી છે, પરંતુ તેનો અર્થ ખરેખર શું થાય છે?

અગાઉ છત્તીસગઢ અને રાજસ્થાનમાં રાહુલ ગાંધીએ સમાન પ્રકારની વાત કરી, ત્યારે બીબીસી સાથે એ મુદ્દે નિષ્ણાતો સાથે વાત કરી હતી.

આપને આ પણ વાચવું ગમશે

લઘુતમ આવકની ગૅરન્ટી એટલે શું?

આઈડીએફસીના વિઝિટિંગ ફેલો અને લેખક શંકર ઐય્યરના કહેવા પ્રમાણે, એવું માની લઈએ કે ફૂડ સિક્યૉરિટી ઍક્ટ હેઠળ તમામ લોકોને લઘુતમ આવકની યોજનાનું વચન આપવામાં આવ્યું હશે.

ઐય્યરે કહ્યું, "આ યોજના હેઠળ કુલ 97 કરોડ લોકોને આવરી લેવાં પડશે."

"એવું માની લઈએ કે એક પરિવારમાં સામાન્ય રીતે સરેરાશ પાંચ સભ્યો છે. તો દેશમાં કુલ 20 કરોડ પરિવાર થયા."

"એક પરિવારને મહિને 1,000 રૂપિયા આપવામાં આવે તો તે સરકારને આશરે 2,40,000 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થશે."

"જે લગભગ ભારત સરકારના આ વર્ષના ખર્ચના 10 ટકા જેટલો થાય છે."

રાહુલની વાતનો સામાન્ય રીતે એવો અર્થ કાઢી શકાય કે આ એક પ્રકારની મૂળભૂત આવક છે અથવા ગરીબના ખાતામાં સીધા જ પૈસા ટ્રાન્સફર કરી શકાય.

એવું પણ હોઈ શકે કે તમામ પ્રકારની સબસિડી બંધ કરી દેવામાં આવે અને જેથી જે રૂપિયાની બચત થાય તે જરૂરિયાતવાળા લોકોને આપી શકાય.

હિંદુ બિઝનેસ લાઇનના ડેપ્યુટી ઍડિટર શિશિર સિંહાએ કહ્યું, "યુનિવર્સલ બેઝિક ઇન્કમ સ્કીમનું એક સ્વરૂપ શરૂ કરવા માટે સરકારની અંદર પણ ચર્ચા ચાલી રહી છે."

"જોકે, એક ચિંતા એ છે કે તમામ સબસિડી સાથે આવી કોઈ યોજના પર અમલ કરવો સરકારી ખજાના પર બોજ વધારશે."

"આ વખતે સબસિડી સાથે છેડછાડ કરવી રાજકીય રીતે ઘણું નુકસાન પહોંચાડી શકે છે."

"જોકે, તો પણ એ આશા રાખવી જોઈએ કે સરકાર વચ્ચેનો કોઈ રસ્તો કાઢશે."

"એક વિકલ્પ એ પણ છે કે વચ્ચગાળાના બજેટમાં વિઝનની રીતે યુનિવર્સલ બેઝિક ઇન્કમને લાગુ કરવાની ઇચ્છા જાહેર કરી સમયબદ્ધ કાર્યક્રમનો ઉલ્લેખ કરવામાં આવી શકે."

રાહુલનો આઇડિયા નવો નથી

ગરીબો માટેની લઘુતમ આવકનો વિચાર એ સાર્વત્રિક મૂળભૂત આવક પરથી ઊતરી આવેલો છે.

જેમાં દેશના દરેક નાગરિકને એક ચોક્કસ ભથ્થું આપવામાં આવે છે.

2016-17ના ઇકૉનૉમિક સર્વે ઑફ ઇન્ડિયામાં સાર્વત્રિક મૂળભૂત આવકનું એક મૉડલ રજૂ કરવામાં આવ્યું હતું.

જેમાં દર વર્ષે દરેક વ્યક્તિ માટે 7,620 રૂપિયાની ફિક્સ આવક નક્કી કરવામાં આવી હતી.

સર્વેમાં એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે આ પ્રકારના મૉડલ પાછળ ભારતના જીડીપીના (કુલ ઘરેલું ઉત્પાદન) 4.9 ટકા જેટલો ખર્ચ થશે.

રાહુલ ગાંધીએ જે વિચાર 2019ની લોકસભા ચૂંટણી પહેલાં રજૂ કર્યો છે તે નવો નથી.

આ પહેલાં 2014ની લોકસભાની ચૂંટણી પહેલાં યૂપીએ (યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ) સરકારે આ પ્રકારની જ એક સ્કીમની વાત કરી હતી.

કાયદાકીય પડકાર કેવા હશે?

આર્થિક અને બંધારણીય મામલાના જાણકાર ઍડ્વોકેટ વિરાગ ગુપ્તા તેને લાગુ કરવાના પડકાર તરફ ઇશારો કરે છે.

વિરાગ ગુપ્તા કહે છે, "તેમાં ત્રણ પડકાર છે. જ્યારે તમે બેઝિક ઇન્કમની વાત કરો છો, તો શું તમે લોકોને કાયદાકીય અધિકાર આપો છો."

"શું તેના માટે કાયદામાં કોઈ જોગવાઈ લાવવામાં આવી રહી છે? આ ઇન્કમને આપવા માટે કાયદાકીય અડચણો શું રહેશે?"

તેમનું કહેવું છે, "પહેલો મહત્ત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે આ રાજકારણ છે કે કાયદો છે. જો રાજકારણ છે તો એ નિર્ભર કરશે કે મળશે કે નહીં. પરંતુ જો આ કાયદો છે તો એ સામાજિક સુરક્ષા બની જશે."

વિરાગ જણાવે છે, "બીજો સવાલ આંકડાઓ સાથે જોડાયેલો છે. ગરીબી રેખાની પરિભાષા નક્કી નથી."

"આધાર કાર્ડ આખા દેશના નાગરિકોને આપી દેવામાં આવ્યું છે. ભારતમાં રહેતાં વિદેશી લોકોને પણ આધાર કાર્ડ આપવામાં આવ્યું છે."

"તેમાં બાંગ્લાદેશના લોકો પણ છે. તો શું જેમની પાસે આધારકાર્ડ છે, એ દરેક માટે બેઝિક ઇન્કમ સુનિશ્ચિત કરવામાં આવશે?"

ગૅરન્ટીનું પાસું

રાહુલ ગાંધીએ આ યોજનાની ઘોષણા કરતા 'ગૅરન્ટી' શબ્દનો ઉપયોગ કર્યો છે.

તેમણે કહ્યું, "2019ની ચૂંટણી જીત્યાના તુરંત બાદ, કૉંગ્રેસ પાર્ટીની સરકાર ગૅરન્ટીથી લઘુતમ આવક આપવા જઈ રહી છે."

"જો યુપીએ 1 અને 2ના કાર્યકાળ પર નજર કરવામાં આવે તો કૉંગ્રેસ સરકાર એટલે કે મહાત્મા ગાંધી નેશનલ રોજગાર ગૅરન્ટી યોજના લઈને આવ્યા હતા."

રાજકારણ પર નજર રાખતા લોકો 2009ની સામાન્ય ચૂંટણીમાં કૉંગ્રેસની જીતનો શ્રેય મનરેગાને જ આપે છે.

તેવામાં સવાલ ઊઠે છે કે શું આ એક મનરેગા જેવી સ્કીમ છે કે કંઈક અલગ છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર મનોજ પંત તેને મનરેગા જેવી સ્કીમના રુપમાં જ જુએ છે.

મનોજ પંતનું કહેવું છે, "એક રીતે આ મનરેગા જેવી સ્કીમ છે. પરંતુ મનરેગા (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર સુરક્ષા કાયદો) કેટલાક દિવસોની મજૂરીની ગૅરન્ટી છે, જ્યારે યુનિવર્સલ બેઝિક ઇન્કમ વર્ષો સુધી અપાતી વસ્તુ છે."

આ તરફ વિરાગ ગુપ્તા તેના બીજા પાસા તરફ ઇશારો કરે છે.

તેઓ કહે છે, "મનરેગાનું ઉદાહરણ લઈ શકાય છે, પરંતુ તે ગૅરન્ટી તો આપે છે, અધિકાર નહીં."

"વિદેશોમાં બેઝિક ઇન્કમ અંતર્ગત લોકોનો અધિકાર હોય છે. સૌથી પહેલો સવાલ એ છે કે તમે તેને રાજકારણ માનો છો કે યોજના માનો છો કે કાયદો."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો