લોકસભા ચૂંટણી 2019: મોદી સરકારનો દરેક ગામડાંમાં ઝડપી ઇન્ટરનેટનો વાયદો પૂરો થશે?- રિયાલિટી ચેક

    • લેેખક, સમીહા નેટ્ટીક્કર
    • પદ, બીબીસી રિયાલિટી ચેક

દાવો : ભારત સરકારે દેશનાં દરેક ગામડાં સુધી હાઈ-સ્પીડ બ્રૉડબેન્ડ કનેક્ટિવિટી પહોંચાડવાનો વાયદો કર્યો છે.કૉમ્યુનિકેશન મિનિસ્ટર મનોજ સિંહાનું કહેવું છે કે આ લક્ષ્ય માર્ચ 2019 સુધી સાધી શકાશે.

નિષ્કર્ષ : ગ્રામીણ ભારતમાં ભાજપ સરકારના નેતૃત્વ હેઠળ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનું સેટઅપ તૈયાર થઈ ગયું છે, પરંતુ લક્ષ્ય હજુ સુધી મેળવી શકાયું નથી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરોડો ભારતીયોને ઇન્ટરનેટની મદદથી જોડવા માગે છે. તેમની ભાજપ સરકાર આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ગ્રામીણ ક્ષેત્રોમાં સસ્તું હાઈ-સ્પીડ બ્રૉડબેન્ડ લાવવાની પરિયોજના પર કામ કરી રહી છે.

ભારતની 6 લાખ કરતાં વધારે ગ્રામીણ વસતીને ઓછામાં ઓછી 100 Mbps બ્રૉડબેન્ડની સ્પીડથી જોડવાનું 'ધ ભારતનેટ' યોજનાનું લક્ષ્ય છે.

આ યોજના સર્વિસ પ્રોવાઇડર કંપનીઓને વાઇ-ફાઇ તેમજ અન્ય માધ્યમોની મદદથી ઇન્ટરનેટ પ્રદાન કરવામાં સક્ષમ કરશે.

આ પ્રોજેક્ટ વર્ષ 2014માં લૉન્ચ થયો હતો અને તેનું લક્ષ્ય સમગ્ર દેશમાં ઑપ્ટિકલ ફાઇબર નેટવર્ક ઊભું કરવાનું હતું. આ સ્કીમ વડા પ્રધાન મોદીના 'ડિજિટલ ઇન્ડિયા' પ્રોગ્રામ અંતર્ગત લૉન્ચ કરવામાં આવી હતી.

આ યોજના શરૂ થઈ તેને ચાર વર્ષ થઈ ચૂક્યાં છે, પરંતુ તેના લક્ષ્ય સામે તેને 50% કરતાં પણ ઓછી સફળતા મળી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ

સમગ્ર વિશ્વમાં મોબાઇલ ઇન્ટરનેટ વાપરતા લોકોની સંખ્યામાં ભારત બીજા ક્રમે છે. પરંતુ દેશની ભૌગોલિક સ્થિતિ અને તેની જનસંખ્યાની સામે આ વ્યાપ ખૂબ ઓછો છે.

ટૅલિકોમ રેગ્યુલેટરની માહિતી મુજબ ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ભારતમાં 56 કરોડ ઇન્ટરનેટ કનેક્શન હતાં.

તેમાંથી મોટાં ભાગનાં કનેક્શન બ્રૉડબેન્ડ પર હતાં. જેમાં ઉપયોગકર્તા મુખ્યરૂપે મોબાઇલ ફોન અને અન્ય પૉર્ટેબલ ઉપકરણોના માધ્યમથી ઇન્ટરનેટ વાપરતા હતા.

ભારતમાં જે ઇન્ટરનેટ કનેક્શનની ડાઉનલોડ સ્પીડ 512 kbps હોય છે તેને બ્રૉડબેન્ડ માનવામાં આવે છે.

પણ ગ્રામીણ ભારત, જ્યાં મોટા ભાગના ભારતીયો વસે છે, ત્યાં ઇન્ટરનેટના વિકાસની ઝડપ ખૂબ ઓછી છે.

અત્યાર સુધી કેટલું કામ થયું?

સરકારનું લક્ષ્ય છે આશરે 2,50,000 ગામડાંઓમાં વસતાં 6 લાખ ગ્રામજનોને ઇન્ટરનેટની મદદથી જોડવા.

ઘણા અવરોધો બાદ ડિસેમ્બર 2017 સુધી 1 લાખ ગ્રામજનોને ઇન્ટરનેટથી જોડવા કેબલ ગોઠવવાનું તેમજ ઉપકરણો સ્થાપિત કરવાનું કામ પૂર્ણ થયું હતું.

આ સિદ્ધિને મોટી સફળતા માનવામાં આવી. પણ વિરોધીઓ દ્વારા એ વાતની ટીકા પણ થઈ કે કેબલ ખરેખર કામ કરે છે કે નહીં.

છેલ્લા એક વર્ષથી બીજા તબક્કાનું કામ ચાલી રહ્યું છે અને તે માર્ચ 2019 સુધી પૂર્ણ થાય તેવી આશા છે.

ઔપચારિક આંકડા અનુસાર આ વર્ષે જાન્યુઆરીના અંત સુધીમાં 1,23,489 ગામડાંમાં ઑપ્ટિકલ ફાઇબર કેબલ પાથરવામાં આવ્યા છે. તેમાંથી 1,16,876 કેબલમાં ઉપકરણો સ્થાપિત કરવામાં આવ્યાં છે.

1 લાખ કરતાં વધારે પરિષદ ક્ષેત્રોમાં વાઇ-ફાઇ હૉટસ્પૉટ સ્થાપિત કરવાની યોજના પણ છે. પરંતુ જાન્યુઆરી સુધી તેમાંથી માત્ર 12,500 જ કાર્યરત થી શક્યાં છે.

જૂની યોજના, નવું નામ

દરેક સરકારની યોજના રહી છે કે ઇન્ટરનેટથી સમગ્ર ભારતને જોડવાનું કામ કરે. પણ આ યોજનાની પ્રક્રિયામાં ઘણા અવરોધો આવતા રહે છે.

BharatNet યોજના સર્વપ્રથમ વર્ષ 2011માં કૉંગ્રેસની સરકાર દ્વારા નેશનલ ઑપ્ટિકલ ફાઇબર નેટવર્ક તરીકે ચાલુ કરવામાં આવી હતી. પરંતુ પ્રાથમિક તબક્કામાં તેને કઈ ખાસ સફળતા મળી ન હતી.

એક સંસદીય સમિતિએ કહ્યું હતું કે આ યોજના વર્ષ 2011થી 2014 વચ્ચે અપર્યાપ્ત યોજના અને ડિઝાઇનથી પ્રભાવિત થઈ હતી.

જ્યારે ભાજપની સરકાર વર્ષ 2014માં સત્તામાં આવી, ત્યારે તેણે આ યોજનાને સંભાળી અને નેશનલ બ્રૉડબેન્ડ કવરેજને આગળ વઘારી.

ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં સરકારે કહ્યું હતું કે માર્ચ 2019 સુધી યોજનાનું કામ પૂર્ણ થઈ જશે.

સમયસીમામાં કામ પૂર્ણ થયું?

વર્ષ 2016-17 દરમિયાન આ પ્રોજેક્ટ અંતર્ગત સારી એવી પ્રગતિ જોવા મળી, પણ પછી મંદ પડી ગઈ હતી.

ગત વર્ષે જાન્યુઆરીમાં BharatNetનું કામકામજ સંભાળતી કંપનીએ કહ્યું હતું કે 1,16,411 ગામડાં સેવા પ્રાપ્ત કરવા તૈયાર છે.

તેનો મતલબ છે કે વાપરવા માટે તૈયાર કનેક્ટિવિટીની જોગવાઈ છે.

પરંતુ બિન-સરકારી ડિજિટલ ઍમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન (DEF)ના ઓસામા મંઝરના જણાવ્યા અનુસાર જે ગામડાં ઇન્ટરનેટની સેવા પ્રાપ્ત કરવા તૈયાર હતાં, ત્યાં યોગ્ય રીતે કનેક્શન બેસાડવામાં ન આવ્યાં.

DEFની માહિતી અનુસાર 269માંથી માત્ર 50 ગામડાં જ એવાં હતાં કે જ્યાં આવશ્યક ઉપકરણો અને ઇન્ટરનેટ કનેક્શન સેટ અપ હતું. તેમણે આ મામલે વર્ષ 2018માં 13 રાજ્યોમાં ચકાસણી કરી હતી.

તેમાંથી પણ 31 જ ચાલુ અવસ્થામાં હતાં, પરંતુ તે ધીમી ગતિના ઇન્ટરનેટ કનેક્શન હતાં.

ઓસામા મંઝર કહે છે કે સમસ્યા એ છે કે આજે એવું માની લેવામાં આવે છે કે સાર્વજનિક કલ્યાણ અને નાણાંકીય ક્ષેત્ર આજે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર નિર્ભર છે.

વધુ એક રિપોર્ટમાં આંતરિક ઔપચારિક અહેવાલનો હવાલો આપતા જણાવવામાં આવ્યું છે કે અડધીથી વધારે પરિષદોમાં એવાં નેટવર્ક છે કે જે કામ કરતાં નથી અથવા તો તેમાં કંઈક ખામી છે.

આગામી પગલું

BharatNetને અપૂરતી વીજળી અને વીજચોરી, ઓછી ગુણવત્તા ધરાવતાં કેબલ અને ખરાબ રખરખાવ ધરાવતાં ઉપકરણો જેવી સમસ્યાનો સામનો કરવો પડ્યો છે.

આ અવરોધો ત્યારે પણ ઊભા થઈ રહ્યા છે, જ્યારે ભારત વર્ષ 2022 સુધી દરેક ઘરમાં બ્રૉડબેન્ડ અને 5G નેટવર્ક પહોંચાડવાનું લક્ષ્ય રાખીને આગળ વધી રહ્યું છે.

એક ઔપચારિક સૂત્રએ આ યોજનાનો બચાવ કરતાં કહ્યું છે કે BharatNet એક ખૂબ મોટો પ્રોજેક્ટ છે અને તે કોઈ સ્કીમ નથી. તેમણે કહ્યું છે કે આટલા મોટા પ્રોજેક્ટનું સેટઅપ તૈયાર કરવામાં અને તેને વાપરવામાં અવરોધો ઊભા થાય તે તો સ્વાભાવિક જ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો