લોકસભા ચૂંટણી 2019 : મોદી સરકારની ઉજ્જ્વલા યોજનાનો લાભ કેટલા લોકોને મળ્યો? - રિયાલિટી ચેક

    • લેેખક, સરોજ સિંહ
    • પદ, બીબીસી રિયાલિટી ચેક

દાવોઃ ભારત સરકાર કહે છે કે દેશના કરોડો ગ્રામીણ ઘરોમાં રાંધણ ગૅસ પૂરો પાડવાની યોજના ખૂબ સફળ થઈ રહી છે અને તેના કારણે ધુમાડો કરતાં બળતણનો વપરાશ ઘટી રહ્યો છે. વિપક્ષ કોંગ્રેસનું કહેવું છે કે યોજના "અણઘડ છે અને માળખાકીય ખામી ધરાવે છે."

નિષ્કર્ષ: યોજનાને કારણે રાંધણ ગૅસ (એલપીજી) ધરાવતા ઘરોની સંખ્યામાં છાળો નોંધાયો છે.

જોકે, એવા પુરાવા મળી રહ્યા છે કે ગૅસના સિલિન્ડરની કિંમત વધુ હોવાથી તેનો ઉપયોગ કરવાને બદલે મફતમાં મળતાં દેશી બળતણનો વપરાશ કરાય છે.

સરકારે 2016માં વધુ સ્વચ્છ એવા રાંધણ ગૅસના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે યોજના આરંભી હતી.

ચૂલાના ધુમાડાનાં કારણે ઘરમાં થતાં પ્રદૂષણને નાબૂદ કરીને ગરીબ નારીના જીવનને સુધારવાનો આ યોજનાનો હેતુ હતો.

ચૂલામાં લાકડાં કે છાણાંના ઉપયોગથી અને કેરોસીનના સ્ટવથી પણ ધૂમાડો થતો હોય છે તે દૂર કરવાનો ઇરાદો હતો.

પ્રારંભમાં ગ્રામીણ વિસ્તારમાં ગરીબી રેખાથી નીચે જીવતાં કુટુંબોને આ યોજનાનો લાભ આપવાનો હતો.

બાદમાં ડિસેમ્બર 2018માં સરકારે જાહેરાત કરી કે દેશના બધા જ ગરીબ કુટુંબોને તેનો લાભ આપવામાં આવશે.

ભાજપની સરકાર આ યોજનાને 'નોંધપાત્ર સફળતાની ગાથા' ગણાવે છે અને જણાવે છે કે તેનો સૌથી વધુ ફાયદો મહિલાઓને થયો છે.

જોકે, વિરોધ પક્ષ કૉંગ્રેસ કહે છે કે સરકારની આ યોજના 'અણઘડ યોજના છે, જેમાં માળખાકીય ખામીઓ રહેલી છે'.

વિપક્ષનો દાવો છે કે હજી પણ 10 કરોડ જેટલા ભારતીયો સ્વચ્છ એલપીજીનો ઉપયોગ કરવાના બદલે પ્રદૂષિત એવા કેરોસીનનો જ ઉપયોગ કરે છે.

યોજના કેવી રીતે ચાલે છે?

ગૅસ એજન્સી જેટલાં કુટુંબોને મફતમાં કનેક્શન આપે તેની સામે સરકાર તેમને ચૂકવણી કરી આપે છે.

ગૅસ કનેક્શન મળી ગયા પછી પ્રથમ ગૅસ સિલિન્ડર ખરીદવા માટે લાભાન્વિત કુટુંબને વ્યાજમુક્ત લૉન પણ મળે છે.

જોકે, ગૅસની પહેલી બૉટલ લૉનના પૈસાથી મળી જાય તે પછી બીજી બૉટલ, સબસિડી સાથેની કિંમત ચૂકવીને જાતે ખરીદવાનો રહે છે.

મે 2014માં ભાજપની સરકાર કેન્દ્રમાં આવી તે વખતે દેશમાં અગાઉની સરકારોની યોજના મુજબ અપાયેલાં એલપીજી કનેક્શનની સંખ્યા 13 કરોડ હતી.

સત્તાવાર આંકડા પ્રમાણે ગરીબ પરિવારોને 8 કરોડ એલપીજી કનેક્શન આપવાનો લક્ષ્યાંક હતો, તેમાંથી 6.4 કરોડ કનેક્શન (ઉપલબ્ધ માહિતીની છેલ્લી તારીખ) 9 જાન્યુઆરી 2019 સુધીમાં આપી દેવામાં આવ્યા છે.

તેથી એવી શક્યતા છે કે સરકાર મે 2019 સુધીમાં નિર્ધારિત લક્ષ્યાંક પૂરો કરી શકશે.

પણ વાત માત્ર આટલી જ નથી.

તમે આ વાંચ્યું કે નહીં?

બીજી બૉટલ કેટલાં કુટુંબોએ નોંધાવી?

2016માં આ યોજના લાગુ કરાઈ ત્યારે દિલ્હીમાં ગૅસનાં બૉટલની કિંમત 466 રૂપિયા હતી.

પરંતુ આજે ગૅસનાં બૉટલની કિંમત વધીને 820 રૂપિયા જેટલી થઈ ગઈ છે.

ગૅસનાં બૉટલાના વધતા ભાવનો મામલો લોકસભામાં પણ ઉઠાવાયો હતો.

પત્રકાર નીતિન સેઠીએ માહિતી માટેની અરજી કરીને એલપીજીના કનેક્શન અપાયા પછી કેટલા લોકો બૉટલ નોંધાવી રહ્યા છે તેના આંકડા માગ્યા હતા.

સેઠી કહે છે, "એલપીજી કનેક્શન મફતમાં મળી ગયું તે પછી મોટાભાગનાં કુટુંબોએ, કિંમત પરવડતી ન હોવાથી બીજી વખત સિલિન્ડર નોંધાવ્યો નથી."

મોટાભાગનાં કુટુંબો ફરી લાકડાં કે છાણાંથી ચૂલો પેટાવવાની જૂની પદ્ધતિ તરફ પાછા વળી જાય છે એમ તેમનું કહેવું છે.

ગૅસના સિલિન્ડરનો ઘટતો ઉપાડ?

જોકે, સરકાર આવું માનતી નથી.

પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રસાદે નવેમ્બર 2018માં જણાવ્યું હતું કે એલપીજી કનેક્શન લેનારામાંથી 80 ટકાએ ચોથો બાટલો મેળવી લીધો છે.

"20 ટકા લોકો રિફિલ સિલિન્ડર નથી મેળવી રહ્યા, કેમ કે તેઓ વન વિસ્તારની નજીક રહે છે, જ્યાંથી તેમને સહેલાઈથી બળતણ મળી રહે છે."

એલપીજી સિલિન્ડરની સૌથી મોટી વિતરક કંપની ઇન્ડિયન ઑઈલ કૉર્પોરેશને ડિસેમ્બર 2018માં જણાવ્યું હતું કે નવું કનેક્શન મેળવનારા વર્ષે સરેરાશ ત્રણ બૉટલ નોંધાવે છે.

ભારતમાં ગૅસનો ઉપયોગ કરતાં કુટુંબોમાં સરેરાશ ગૅસનાં સાત સિલિન્ડર વપરાય છે.

કેટલાક એવા પણ પુરાવા મળે છે કે લાકડાં અને છાણાં સહેલાઈથી મળી જતાં હોવાથી લોકો એલપીજી વાપરતાં નથી.

2016માં યોજના શરૂ કરાઈ તેના થોડા મહિના પછી નાણાકીય વિશ્લેષક કંપની ક્રિસિલે એક અહેવાલ તૈયાર કર્યો હતો કે શા માટે એલપીજીને વ્યાપક આવકાર મળી રહ્યો નથી.

ક્રિસિલના આંકડા અનુસાર ગૅસનું કનેક્શન ન ધરાવતાં કુટુંબોમાંથી 35 ટકા એવાં હતાં જેમને વૈકલ્પિક બળતણ મફતમાં મળી જાય છે.

તેમાંથી ત્રીજા ભાગના લોકોને લાકડું મફતમાં મળી જાય છે, જ્યારે બે તૃતિયાંશ લોકોને છાણાં મફતમાં મળી જાય છે.

આ જ અહેવાલમાં જણાવાયું હતું કે સિલિન્ડર મેળવવા માટે જોવી પડતી લાંબી રાહ અને તેની ઊંચી કિંમત એવાં બીજાં પણ ઘણાં પરિબળો હતાં, જેનાથી લોકો તેનો ઉપયોગ ટાળી રહ્યા છે.

તેથી એવી શક્યતા છે કે લોકો એલપીજીનું કનેક્શન લઈ લે ખરા, પણ રાંધવા માટે સસ્તાં અથવા મફતમાં મળતાં બળતણ પર આધાર રાખે અને બંનેનો ઉપયોગ સાથેસાથે કરતા રહે.

કેરોસીનનો ઘટતો વપરાશ

છેલ્લાં પાંચ વર્ષમાં કેરોસીનના વપરાશમાં વાર્ષિક ધોરણે ઘટાડો થતો રહ્યો છે.

સરકારી આંકડા અનુસાર દર વર્ષે સરેરાશ 8.1% વપરાશ ઘટતો રહ્યો છે.

તેની પાછળનું એક કારણ એ પણ છે કે સરકારે તબક્કાવાર કેરોસીન પર અપાતી સબસિડી બંધ કરવાનું શરૂ કર્યું છે.

ગ્રામીણ વિસ્તારમાં કેરોસીનનો ઉપયોગ રાંધવા માટે તથા ફાનસ માટે પણ થાય છે. આ ઉપરાંત વીજળીના જનરેટર ચલાવવાં માટે પણ તેનો ઉપયોગ થાય છે.

ક્રિસિલના વિશ્લેષણ અનુસાર 2016માં સેમ્પલ સર્વે કરાયો તેમાંનાં 70 ટકા ઘરોમાં હજી પણ રસોઈ માટે કેરોસીનનો ઉપયોગ થતો હતો.

કૉંગ્રેસનો દાવો છે કે હજી પણ 10 કરોડ ઘરોમાં રસોઈ બનાવવાં કેરોસીનનો ઉપયોગ થાય છે, તેની ખરાઈ કરવાં માટે તમામ આંકડા ઉપલબ્ધ નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો