કોંગ્રેસએ હિન્દુ મંદિરો તોડ્યાની ફેક તસવીર નરેન્દ્ર મોદી જેને ફોલો કરે છે એના ટ્વિટર હૅન્ડલ પરથી વાઇરલ થઈ

ફેસબુક પર કેટલાક દક્ષિણપંથી ગ્રૂપ્સમાં એક મૅસેજ શેર થઈ રહ્યો છે. આ મૅસેજમાં ધ્વસ્ત કરેલા એક મંદિરની બ્લૅક ઍન્ડ વ્હાઇટ તસવીર હતી.

તસવીર નીચે લખ્યું હતું કે કોંગ્રેસે કાશ્મીર, કેરળ અને બંગાળમાં લાખો મંદિરો તોડી પાડ્યા છે.

હિંદુઓ ભૂલી ગયા છે અને આજે પણ કોંગ્રેસને મત આપે છે. આ હિંદુઓની કમજોરી છે.

રાજસ્થાનની રાજધાની જયપુરની દક્ષિણે આવેલા ટોંકથી મંગળવારે એકતા ન્યૂઝ રૂમને એક ફોટોગ્રાફ શેર કર્યો હતો.

આ મૅસેજમાં એવું પણ લખ્યું છે કે ભારતીય મુસ્લિમ બાબરી મસ્જિદ ધ્વંસને કારણે ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે અને એટલે તેઓ ક્યારેય ભાજપને મત નથી આપતા.

આ મૅસેજ મોકલનાર વ્યક્તિ નો પ્રશ્ન હતો કે આ તસવીરમાં કેટલી સચ્ચાઈ છે? અમે તેની સત્યતા ચકાસવાનો પ્રયાસ કર્યો.

તમે આ વાંચ્યું કે નહીં?

બંગાળમાં મંદિર તોડવાની તસવીર- ફેક

અમે આ અંગે તપાસ કરી તો ખ્યાલ આવ્યો, તસવીર અને આ મૅસેજ કેટલાક ફેસબુક ગ્રૂપમાં પણ શેર થઈ રહી હતી.

રાજસ્થાનમાં સાતમી ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થશે.

આ રાજ્યમાં કિશનપોલ, આદર્શ નગર અને ટોંક સહિત કેટલાક વિધાનસભા મતવિસ્તાર એવા છે, જ્યાં મુસ્લિમ મતદારોની સંખ્યા ઘણી વધારે છે અને તેઓ ચૂંટણીના પરિણામ પર સીધી અસર કરી શકે છે.

સાથે સાથે એવું પણ મનાઈ રહ્યું છે કે મકરાણા, ફતેપુર, ચૂરું અને બાડમેરમાં ધાર્મિક સમીકરણો મતદાન પર અસર કરી શકે છે.

જ્યારે ટોંક વિધાનસભાની સીટથી ભાજપના એકમાત્ર મુસ્લિમ ઉમેદવાર ચૂંટણીજંગમાં છે.

બાબરી મસ્જિદના પોસ્ટર સાથે ટ્વીટરના સીઈઓ ની તસ્વીરની હકીકત

@indiantweeter નામના હૅન્ડલથી તાજેતરમાં એક તસવીર ટ્વિટ કરી હતી, જે હવે વૉટ્સઍપ પર પણ શેર થઈ રહી છે.

આ તસવીરમાં ટ્વીટરના સીઈઓ (ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર) જેક ડોર્સે બાબરી મસ્જિદનું એક પોસ્ટર લઈને ઊભા છે. આ તસવીરમાં તેમની સાથે કેટલાક મહિલા પત્રકાર અને માનવ અધિકાર કાર્યકર્તા પણ દેખાઈ રહ્યા છે.

આ તસવીરને @indiantweeter હૅન્ડલ ચલાવતા અંકિત જૈને શેર કરી અને લખ્યું કે 'આભાર જેક, #mandirWahinBanayenge'

અયોધ્યામાં ૨૫ નવેમ્બરે યોજાયેલી ધર્મ દરમિયાન આ તસવીર ઘણી વખત રિટ્વીટ કરી હતી.

જોકે અયોધ્યા સાથે જોડીને શેર કરાયેલી આ તસવીર નકલી છે.

ટ્વીટરના સીઈઓ જેક ડોર્સે તાજેતરમાં જ ભારતની મુલાકાતે આવ્યા હતા આ તસવીર એ વખતે લીધી હતી.

ભારત મુલાકાત વખતે કેટલીક મહિલાઓ સાથે જેકે મુલાકાત કરી હતી અને તેમના પ્રશ્નો સાંભળ્યા હતા.

અસલી તસવીરમાં જેકના હાથમાં #brahminicalPatriarchy આંદોલન સાથે જોડાયેલું પોસ્ટર હતું, જે બેઠકમાં સામેલ થયેલા એક દલિત ઍક્ટિવિસ્ટે તેમને આપ્યું હતું, પણ અંકિત જૈને આ ફેક તસવીર પોસ્ટ કરી જેમાં સમગ્ર સંદર્ભ બદલાયેલો છે.

પ્રશ્ન એ સર્જાય છે કે અંકિત જૈનનું ટ્વીટ આટલું વારલ કેવી રીતે થઈ ગયું?

આ અંગે પણ અમે તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના આઇટી સેલના અમિત માલવીય કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને ભાજપના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ કુલ અજીતસિંહ ચહલ પણ અંકિત જૈનને ટ્વિટર પર ફોલો કરે છે.

The quint ના એક રિપોર્ટ પ્રમાણે વર્ષ 2014માં ભાજપની સરકાર બની એના એક વર્ષ બાદ જુલાઈ 2015માં નરેન્દ્ર મોદીએ ભાજપના આઈટી સેલ તરફથી આમંત્રણ આપી 150 પ્રભાવશાળી લોકોને મળવા બોલાવ્યા હતા.

આ મુલાકાત દિલ્હીના તત્કાલીન 7 આરસીઆર (તત્કાલીન રેસકોર્સ રોડ અને વર્તમાન જનકલ્યાણ માર્ગ) સ્થિત વડા પ્રધાન આવાસ માં યોજાઈ હતી અને અંકિત જૈનને પણ આ બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.

આ મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદી સાથે લીધેલી તસવીર અંકિત જૈને તેમના ટ્વિટર એકાઉન્ટ પર લગાવી રાખી છે.

(આ અહેવાલ ફેક ન્યૂઝ સામે હાથ ધરવામાં આવેલા પ્રોજેક્ટ 'એકતા ન્યૂઝરૂમ'ના ભાગરૂપ છે.)

જો તમને કોઈ શંકાસ્પદ અહેવાલ, વીડિયો, તસવીર કે દાવા મળ્યા હોય અને તમે એની સત્યતા ચકાસવા ઇચ્છતા હો તો તેને 'એકતા ન્યૂઝરૂમ'ના નંબર +91 89290 23625 પર વૉટ્સઍપ કરો અથવા અહીં ક્લિક કરો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો