હિંમતનગર દુષ્કર્મકાંડ : સરકાર-કોંગ્રેસના રાજકારણ વચ્ચે પરપ્રાંતીયોનું પલાયન યથાવત્

ઇમેજ સ્રોત, Kalpit Bhacheh
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી, અમદાવાદ તથા સાબરકાંઠાથી
ગુજરાતમાંથી પરપ્રાંતીયોની હિજરત તથા હિંમનગરમાં 14 માસની બાળકી સાથે દુષ્કર્મની ઘટનાએ રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું છે. આ અંગે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરોપ-પ્રતિઆરોપ થઈ રહ્યા છે.
નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલના કહેવા પ્રમાણે, ગુજરાતની શાંતિ ડહોળવા પાછળ 'એક ધારાસભ્ય'નો હાથ છે.
બીજી બાજુ, કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના કહેવા પ્રમાણે, મોંઘવારી પરથી લોકોનું ધ્યાન ખસેડવા માટે સરકાર પ્રયાસ કરી રહી છે. તેમણે એક દિવસીય ઉપવાસ કરવાની પણ જાહેરાત કરી છે.
સાબરકાંઠા બાર ઍસોસિયેશને ઠરાવ કરીને બિહારી મૂળના આરોપીનો કેસ નહીં લડવાની જાહેરાત કરી છે.
ગુજરાત પોલીસ દ્વારા 361 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. બીજી બાજુ, રેલવે તથા બસના માધ્યમથી ગુજરાતભરમાંથી પરપ્રાંતીયોનું પલાયન યથાવત્ છે.
રવિવારે વડોદરાના વાઘોડીયા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ જરોદમાં પરપ્રાંતિયો પર હુમલો કરવામાં આવ્યો હતો. વાઘોડીયા પોલીસના જણાવ્યા મુજબ આ ઘટનામાં ગુનો નોંધીને 19 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

આરોપ અને પ્રતિઆરોપ

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરતા રાધનપુરથી કોંગ્રેસના ધારાસભ્ય તથા ઠાકોર આગેવાન અલ્પેશ ઠાકોરે જણાવ્યું:
"બાળકી સાથે દુષ્કર્મની વાત હોય કે પરપ્રાંતીયોની સુરક્ષા કરવાની વાત હોય, સરકાર બંને મુદ્દે નિષ્ફળ રહી છે. મોંઘવારી જેવા મુદ્દા પરથી લોકોનું ધ્યાન ખસેડવા માટે તેમના પર આરોપ મૂકવામાં આવી રહ્યા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આપને આ પણ વાંચવું ગમશે
આ પહેલાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું :
"પાંચ છ દિવસથી જે કંઈ બની રહ્યું છે તે પ્રસાર માધ્યમોમાં ફોટા સાથે આવે છે. કોણ કરે છે, કેવી રીતે કરાવે છે, શા માટે કરાવે છે, કયા પક્ષ સાથે સંકળાયેલા છે, કયા હોદા પર છે તે આખી ગુજરાતની જનતા જાણે છે. ગઈકાલે (શનિવારે) મેં તો કોઈનું નામ પણ લીધું ન હતું. "

ઇમેજ સ્રોત, Shailesh Chauhan
આ પહેલાં પત્રકાર પરિષદ સંબોધતા ઠાકોરે જાહેરાત કરી હતી કે આગામી દસ દિવસ સુધી ઠાકોર સેના કોઈ કાર્યક્રમ નહીં આપે અને સદ્ભાવના માટે તેઓ ગુરૂવારે ઉપવાસ કરશે.
રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને હિંમતનગરની બાળકી સાથે દુષ્કર્મ તથા સુરતના બે રેપકેસને ફાસ્ટટ્રેક કરવા માટે પત્ર લખવામાં આવ્યો છે.
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ બીબીસી સાથે વાત કરતા કહ્યું, 'કોઈપણ નાગરિકને ક્યાંય પણ જઈને રોજગાર મેળવવાનો અધિકાર છે.' નીતિન પટેલે પલાયનને 'રાષ્ટ્રીય એકતા'નો પ્રશ્ન ગણાવ્યો હતો.
બીજી બાજુ, ઉત્તર ગુજરાત તથા અમદાવાદમાંથી પરપ્રાંતીયોનું પલાયન ચાલુ જ છે.
પોલીસ સક્રિય બની
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાતના ડીજીપી શિવાનંદ જ્હાએ રવિવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે એસઆરપીની 17 કંપની તથા એક પ્લાટૂન તહેનાત કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર અફવા ફેલાવવાના બે સહિત કુલ 42 કેસ દાખલ કરીને 342 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ઇન્ટલિજન્સ બ્યૂરો દ્વારા હિંસા પાછળ જવાબદાર પરિબળોને શોધી કાઢવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
સાબરકાંઠાથી સ્થાનિક પત્રકાર શૈલેષ ચૌહાણ જણાવે છે કે પરપ્રાંતીયોમાં 'વિશ્વાસ ઊભો કરવા' પોલીસ દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી.

ઇમેજ સ્રોત, Shailesh Chauhan
બેઠકની અધ્યક્ષતા જિલ્લા પોલીસ વડા ચૈતન્ય માંડલિકે કરી હતી, તેમાં સિરામિક ફેકટરીના માલિકો તથા સ્થાનિકો સામેલ થયા હતા.
ચૌહાણ જણાવે છે કે, પોલીસ ફેક ન્યૂઝ સામે પણ ઝઝૂમી રહી છે. આઠમી તારીખે બંધના અહેવાલ વહેતા થયા છે, પરંતુ આ પ્રકારનું આહ્વાન કોઈપણ પક્ષ કે સંસ્થા દ્વારા કરવામાં નથી આવ્યું.
જિલ્લા પોલીસ દ્વારા હેલ્પલાઇન નંબર્સ પણ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા પરપ્રાંતીયોની બહુમતીવાળા વિસ્તાર તથા ફેકટરીઓની બહાર બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
પોલીસ ઉપરાંત સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ, ગ્રામ રક્ષક દળ તથા હોમગાર્ડ્સના જવાનોને પણ તહેનાત કરવામાં આવ્યા છે.
ચૌહાણ ઉમેરે છે કે સાબરકાંઠા બાર ઍસોસિયેશને ઠરાવ કર્યો છે કે કોઈ વકીલ બિહારી મૂળના આરોપી રવિન્દ્ર ગોંડેનો કેસ નહીં લડે.

પલાયન યથાવત્

ઇમેજ સ્રોત, Shailesh Chauhan
અમદાવાદથી સ્થાનિક પત્રકાર કલ્પિત ભચેચ જણાવે છે, "વસ્ત્રાલ, અમરાઈવાડી, હાટકેશ્વર અને વટવા જેવા પરપ્રાંતીયની બહુમતીવાળા વિસ્તારોમાં ભયનો માહોલ પ્રવર્તમાન છે.
"અમદાવાદથી ઉત્તર ભારત તરફ જતી ટ્રાવેલ્સની બસો 'ઓવર ક્રાઉડેડ' તથા 'ઓવર લોડેડ' છે. 40 થી 50 મુસાફરોની ક્ષમતાવાળી બસોમાં 70થી 80 લોકો મુસાફરી કરવા મજબૂર છે.
"આવો જ માહોલ અમદાવાદ રેલવે સ્ટેશન પર જોવા મળી રહ્યો છે. જેમાં ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં ટિકિટ મેળવવા માટે ધસારો જોવા મળી રહ્યો છે."
બીજી બાજુ, મેઘાણીનગર વિસ્તારમાં પરપ્રાંતીયો દ્વારા કૅન્ડલ-માર્ચ કાઢવામાં આવી હતી અને હિંમતનગરની પીડિતાને ન્યાય આપવાની માગ કરવામાં આવી હતી.
દુષ્કર્મની એ ઘટના

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
સાબરકાંઠાના હિંમતનગરના ગાંભોઈના ઢુંઢર ગામમાં ફેક્ટરીમાં કામ કરતા 19 વર્ષીય છોકરા રવીન્દ્ર ગોંડેએ 28મી સપ્ટેમ્બરના દિવસે 14 મહિનાની બાળકીને ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.
રવિન્દ્ર ત્યાં ફેકટરીમાં કામ કરતો હતો અને રોજ ચા-નાસ્તો કરવા માટે પીડિત પરિવારના ગલ્લે આવતો હતો. બાળકી ઊંઘતી હતી એ વખતે તેને લઈ ગયો હતો અને ત્યાંથી 200 મીટર દૂર બળાત્કાર કર્યો હતો. ત્યારબાદ તે ત્યાંથી નાસી છૂટ્યો હતો.
બાળકીને અમદાવાદની સિવિલ હૉસ્પિટલ ખાતે સારવાર અપાઈ રહી છે. જ્યાં તેની સ્થિતિ ગંભીર ન હોવાનું તબીબો જણાવે છે.
ઘટનાના દિવસે જ પોલીસે દુષ્કર્મ કરનાર પરપ્રાંતીય યુવક રવીન્દ્ર ગોંડેની ધરપકડ કરી હતી. જેના પગલે આ મુદ્દો 'ગુજરાતીઓ વિરુદ્ધ પરપ્રાંતીયો'નો બની ગયો હતો.
પરપ્રાંતીયોને હાંકી કાઢવા તથા તેમને શહેર છોડી દેવા ધમકીઓ આપવામાં આવી રહી છે. આ અંગેના મૅસેજ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા હતા.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














