You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હાર્દિક પટેલે પાટીદાર આંદોલનમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી
પાટીદારોને અનામત અને ખેડૂતોનાં દેવા માફીની માગણી સાથે આંદોલન કરી રહેલા યુવા નેતા હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે બીજો દિવસ છે.
હાર્દિક પટેલનું સાંજે અને સવારે મેડિકલ ચેક અપ કરવામાં આવ્યું હતું. તેમના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા હતા.
હાર્દિક પટેલ અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલા ગ્રીનવૂડ રિસોર્ટમાં પોતાના નિવાસ સ્થાને ઉપવાસ પર બેઠા છે.
તેમની સાથે કેટલાક સમર્થકો અને પાટીદાર અનામત આંદોલન સમિતિની (પાસ) કેટલાક સભ્યો પણ પ્રતીક ઉપવાસમાં બેઠા છે.
બીજી તરફ હાર્દિક પટેલના નિવાસસ્થાન બહાર ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
પાટીદાર આંદોલનમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ
હાર્દિક પટેલ જ્યાં ઉપવાસ કરી રહ્યા છે ત્યાં જ તેમના સહયોગી સાથે સાંજે પાટીદાર આંદોલનમાં માર્યા ગયેલા યુવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ પહેલાં પાસની ટીમે જાહેરાત કરી હતી કે સાંજે 7:30ની આસપાસ પાટીદાર આંદોલનમાં માર્યા ગયેલા યુવાનોને શ્રદ્ધાંજલિ અપાશે.
પાસની ટીમે ગુજરાતના અન્ય જિલ્લા અને તાલુકાના પાટીદારોને પણ આહ્વાન કર્યું હતું કે તેઓ જે તે સ્થળે જ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
26 ઑગસ્ટના રોજ પાટીદાર શહીદ દિવસ નિમિત્તે આ કાર્યક્રમ યોજવાનું આહ્વાન કર્યું હતું.
આપને આ પણ વાંચવું ગમશે
મમતા બેનરજીના પક્ષના નેતા મળવા આવ્યા
વળી હાર્દિક પટેલને પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસનું પણ સમર્થન મળ્યું હોય તેમ લાગે છે.
આજે સાંજે મમતા બેનરજીના પક્ષના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ રેલવે મંત્રી દિનેશ ત્રિવેદી હાર્દિકને મળવા પહોંચ્યા હતા.
દિનેશ ત્રિવેદી મમતા બેનરજી વતી હાર્દિક પટેલને મળવા આવ્યા હતા.
તેમણે હાર્દિક પટેલને મમતા બેનરજી વતી રાખડી પણ બાંધી હતી.
તેમણે કહ્યું કે તેમને પણ પોલીસે આવતો રોક્યો હતો. 15 ઑગ્સ્ટ ગઈ પરંતુ અહીં સ્વતંત્રતા આવી નથી.
તેમણે કહ્યું, "મમતા બેનરજીએ હાર્દિક માટે રાખડી મોકલી છે. હું તેમના વતી રાખડી લઈને આવ્યો છું. હાર્દિકથી સરકાર ડરી ગઈ છે."
બહેને બાંધી રાખડી
આજે રક્ષાબંધનનો તહેવાર હોવાથી હાર્દિક પટેલને રાખડી બાંધવા માટે તેમના બહેન મોનિકા પટેલ રાખડી બાંધવા માટે આવ્યાં હતાં.
તેમના બહેને રાખડી બાંધી તે બાદ હાર્દિક પટેલે ટ્વીટ કર્યું કે મારી નાની બહેને રાખડી બાંધીને મને લડાઈમાં વિજયી થવાનો વિશ્વાસ જતાવ્યો હતો.
પાસના પ્રવક્તા બ્રિજેશ પટેલે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "હાર્દિક પટેલના બહેન તેમને રાખડી બાંધવા આવ્યાં હતાં. અમે 100થી વધુ લોકો અહીં ઉપવાસ આંદોલનમાં હાજર છીએ."
"ગઈકાલથી જ પોલીસ કોઈને પણ અંદર પ્રવેશવા નથી દેતી. દરમિયાન અન્ય કેટલાંક પાટીદાર બહેનો પણ હાર્દિકને રાખડી બાંધવા આવ્યાં હતાં પરંતુ તેમને પણ પ્રવેશ આપવામાં આવ્યો ન હતો."
હાર્દિકના આમરણાંત ઉપવાસની જાહેરાતને પગલે ગઈકાલે પોલીસ દ્વારા પાસના કાર્યકર્તાઓની અટકાયતનો દોર શરૂ થયો હતો તેમાં દિલીપ સાબવાની પણ અટકાયત કરવામાં આવતી હતી. જોકે, બાદમાં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.
ઉપવાસ આંદોલનમાં સમર્થકોની હાજરી મામલે સર્જાઈ રહેલા સવાલ વિશે તેમણે કહ્યું કે,"તહેવારનો દિવસ હોવાથી સંખ્યા વધુ ન હોય એવું બની શકે છે."
"ઉપરાંત અનામતની માગણી મામલે પાટીદાર સમાજનું આ મુદ્દાને સમર્થન છે."
અત્રે નોંધવું કે, હાર્દિક પટેલે શનિવારે બપોરે ત્રણ વાગ્યાથી આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.
સમગ્ર સ્થિતિને પગલે રાજ્યભરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત પહેલાંથી જ ગોઠવી દેવાયો હતો.
હાર્દિકના દાવા મુજબ રાજ્યમાંથી હજારો સમર્થકોની અટકાયત કરવામાં આવી છે.
હાર્દિક પટેલની આ કારણસર 19મી ઑગસ્ટે અટકાયત પણ કરવામાં આવી હતી. તેમની સાથે પાસના અન્ય ત્રણ કન્વીનરોની પણ અટકાયત થઈ હતી.
આ બનાવને પગલે સુરતમાં હિંસક દેખાવો પણ થયા હતા. જોકે, હાર્દિક પટેલને બાદમાં જામીન મળી ગયા હતા.
જ્યારે ઉપવાસની મંજૂરી માટે કર્યાં ધરણાં
પોલીસ તંત્રએ કાયદો અને વ્યવસ્થાની બાબતને કારણ જણાવી ઉપવાસ આંદોલનની મંજૂરી નથી આપી.
આથી હાર્દિક પટેલે પોતાના નિવાસસ્થાને જ આમરણાંત ઉપવાસ કરવાની જાહેરાત કરી હતી.
હાર્દિક પટેલે ગત મહિને અનામતની માંગણી સાથે આમરણાંત ઉપવાસ સાથે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
આ માટે હાર્દિક પટેલે 25 ઑગસ્ટની તારીખ નક્કી કરી હતી, પરંતુ તેમને પોલીસ તરફથી મંજૂરી નહોતી મળી.
આથી ગત 19મી ઑગસ્ટે ઉપવાસની મંજૂરીને મામલે હાર્દિકે ધરણા કર્યા હતા. ત્યાર બાદ તેમની અટકાયત કરાઈ હતી. જોકે પછી તેમને મુક્ત કરી દેવાયા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો