You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કેરળમાં પૂરની વચ્ચે અફવાઓનું ઘોડાપૂર
- લેેખક, દિપક ચુડાસમા
- પદ, બીબીસી સંવાદદાતા
કેરળમાં સદીના સૌથી ભયાનક પૂરમાં લગભગ 350થી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે અને 3.5 લાખથી વધારે લોકો બેઘર બન્યાં છે.
દક્ષિણ ભારતનાં પર્યટન અને સૌથી ઊંચો શિક્ષણ દર ધરાવતા આ રાજ્યને પૂરમાં પ્રાથમિક સરકારી આંકડા મુજબ, રૂ. 19,000 કરોડથી વધારેનું નુકસાન થયું છે.
છેલ્લા એક સપ્તાહથી વધારે સમયથી એનડીઆરએફ (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) , આર્મી, નેવી સાથે દેશના હજારો નાગરિકો કેરળના પૂરગ્રસ્તો માટે સહાય કરી રહ્યાં છે.
વિવિધ રાજ્યનાં લોકો પોતાની યથાશક્તિ પ્રમાણે, મુખ્ય મંત્રી રાહત ફંડમાં નાણાં પણ જમા કરાવી રહ્યા છે.
જોકે, કેરળ પૂરની આપદાની સાથે સાથે ફેક ન્યૂઝ સામે પણ લડી રહ્યું છે.
જુદી જુદી રીતે કેરળમાં ફેક ન્યૂઝ ફેલાવવાની શરૂઆત થઈ ચૂકી છે અને ઘણા લોકો તેને સાચા માની રહ્યા છે.
આર્મીના નામે ફરતો થયો વીડિયો
કેરળનાં પૂરમાં બચાવકાર્ય કરી રહેલી આર્મીના નામે જ એક ફેક વીડિયો વાઇરલ થયો છે, 2.30 સેકંડના આ વીડિયોમાં એક વ્યક્તિ આર્મીના ડ્રેસ છે.
ન્યૂઝ 18ના અહેવાલ મુજબ આ વીડિયો મલયાલમ ભાષામાં છે અને તે કેરળના મુખ્ય મંત્રીને પી. વિજયનને સંબોધીને પોસ્ટ કરાયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વીડિયોમાં તે શખ્સ કહે છે, "તમને આર્મી સાથે શું દુશ્મનાવટ છે? તમારા મંત્રી આર્મીને કેરળમાં આવવા દેવા માગતા નથી એટલે?"
"હજારો લોકો ચેન્નગન્નુરમાં ફસાયા છે અને સરકાર આર્મીને તેનું કામ કરવા દેતી નથી. અમે તમારા રાજ્ય પર કબ્જો નહીં કરી લઈએ."
ન્યૂઝ 18ના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વીડિયો સૌ પ્રથમ ભારતીય મહિલા મોર્ચા થાલાસ્સેરી કૉન્સ્ટિટ્યુન્સી નામના ફેસબુક પેજ પર શેર કરાયો હતો. જોત જોતામાં તે વાઇરલ થઈ ગયો.
જે બાદ આર્મીએ તેની સામે ટ્વીટ કરીને આ વીડિયોને ફેક હોવાનું જણાવાયું.
આર્મીએ તેનાં ટ્વીટમાં લખ્યું છે કે આર્મીના કપડાં પહેરીને બેઠેલો આ શખ્સ રાહત અને બચાવ કામગીરી અંગે ખોટી માહિતી ફેલાવી રહ્યો છે.
ઉપરાંત આર્મીએ આ ખોટા સમાચાર રિપોર્ટ કરવા માટે એક વૉટ્સ ઍપ નંબર પણ આપ્યો છે.
તમે આ વાંચ્યું કે નહીં?
'આ પૈસાદાર લોકો છે, દાન ના કરો'
આ દરમિયાન એક ઓડિયો પણ વાઇરલ થયો છે. ઓડિયોમાં બોલનાર શખ્સ પોતે સુરેશ કોચાટ્ટિલ હોવાનો દાવો કરે છે.
તેમની ફેસબુક પ્રોફાઇલ પરથી તેઓ ભારતીય જનતા પક્ષ સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળે છે.
આ ઓડિયો ક્લિપ વૉટ્સ ઍપ પર ફરી રહી છે, કેરળ સહિત અન્ય રાજ્યોમાં પણ આ ક્લિપ ફરી રહી છે.
તેમાં એક શખ્સ એવું કહી રહ્યો છે કે પૂરમાં જે લોકો ભોગ બન્યા છે તે તમામ પૈસાદાર છે. તેમને મદદ માટે કોઈ ચીજવસ્તુઓની જરૂર નથી.
ઉપરાંત આ ઓડિયોમાં મુખ્ય મંત્રી આપદા રાહત ફંડ પર પણ શંકા કરવામાં આવી છે.
રાહત ફંડમાં નાણા આપવાને બદલે 'સેવા ભારતી' જેવી સંસ્થામાં દાન કરવાનું કહેવાયું છે.
તેમને આ ઓડિયો વિશે સ્પષ્ટતા આપતી પોસ્ટ પણ ફેસબુક પર પોસ્ટ કરી હતી. જોકે, તેમના ઓડિયોમાં આપવામાં આવેલી માહિતી સંપૂર્ણ સાચી ન હતી.
ડેમ તૂટવાની અફવા
કેરળમાં પડી રહેલા ભારે વરસાદને કારણે 80 જેટલા ડેમના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા.
જે બાદ સોશિયલ મીડિયા પર અફવા શરૂ થઈ હતી કે 'મુલ્લાપેરિયાર ડેમ તૂટવાનો છે, જેથી નીચાણના વિસ્તારમાં રહેતા લોકો ઊંચાણવાળા વિસ્તાર તરફ જતા રહે.'
તે ઉપરાંત 'ડેમ તૂટવાથી પાવરપ્લાન્ટ બંધ થઈ જશે, જેથી કેરળમાં વીજળી, ઇન્ટરનેટ, ટીવી, મોબાઇલ ટાવર કંઈ નહીં ચાલે અને કેરળ સંપૂર્ણ રીતે અંધકારમાં ફેરવાઈ જશે' જેવી અફવાઓ શરૂ થઈ હતી.
'ડેમ તૂટવાથી એટલું પાણી આવશે કે કોચીન દેશના નક્શામાં જોવા નહીં મળે,' એ પ્રકારની અફવાઓ ફેલાવા લાગી હતી.
આ બધી જ અફવા કેરળની સરકાર દ્વારા કરવામાં આવેલા એક ટ્વીટ બાદથી શરૂ થઈ હતી.
16 ઑગસ્ટના રોજ સીએમઓ કેરાલા દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું હતું, જેમાં ચલકુડી નદીના હેઠવાસમાં રહેતા લોકોને ઊંચાણવાળા વિસ્તારમાં જવાની સૂચના આપવામાં આવી હતી.
આ સૂચના ખરેખર નદીમાં વધતા જળ સ્તરને કારણે આપવામાં આવી હતી.
ચલકુડી નદી એ પેરિયાર નદીની ઉપનદી છે અને મુલ્લાપેરિયાર ડેમ પેરિયાર નદી પર બાંધવામાં આવ્યો છે.
કેરળના પૂરમાં ગુજરાતની તસવીર વાઇરલ
અલ્ટ ન્યૂઝના અહેવાલ મુજબ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઓફિશિયલ પેજ પર દાનની અપીલ સાથે એક તસવીર પોસ્ટ કરવામાં આવી હતી.
તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સેવાભારતી સંસ્થાના કાર્યકર્તાઓ કેરળના પૂરમાં કામ કરી રહ્યા છે.
જોકે, આરએસએસ (રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ) દ્વારા શેર કરવામાં આવેલી તસવીર આ પૂરની નથી. તે 2012માં આવેલા પૂરની તસવીર હતી.
કેરળના પૂરમાં હાલ કેટલીક તસવીરો વાઇરલ થઈ રહી છે,જેમાં લટકતા રેલવેના પાટા અને કેટલાક આરએસએસના કાર્યકર્તાઓ દેખાય છે.
આરએસસના વખાણ કરતી અને સીપીઆઈએમ, મુસ્લિમો તથા ખ્રિસ્તીઓને નિશાન બનાવીને જુદા જુદા હૅન્ડલોથી તસવીરો શેર થઈ રહી છે.
ભાજપના ધારાસભ્ય સી. ટી. રવિએ પણ આ તસવીરો શેર કરીને આરએસએસની માનવતાને બિરદાવી હતી.
જોકે, અલ્ટ ન્યૂઝના અહેવાલ મુજબ આ તસવીરો કેરળના પૂરની નહીં, પરંતુ ગુજરાતમાં આવેલા પૂરની છે.
બંગાળના પૂરનો વીડિયો કેરળના નામે વાઇરલ
હાલ સોશિયલ મીડિયામાંએક નદીમાં પડતા ઘરનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે.
જેને કેરળમાં આવેલા વિનાશક પૂરમાં થયેલા નુકસાન સાથે સરખાવવામાં આવે છે.
યૂટ્યૂબ, ટ્વિટર અને ફેસબુક પર આ વીડિયો હાલ શેર થઈ રહ્યો છે.
જોકે, આ વીડિયો બંગાળના બાનકુરા જિલ્લામાં આ વર્ષે આવેલા પૂરનો વીડિયો છે.
એ સમયે આ વીડિયોને અનેક મીડિયા ચેનલોએ પણ ચલાવ્યો હતો.
આવી સ્થિતિમાં ફેક ન્યૂઝથી શું અસર થાય?
કેરળમાં ભારે પૂર બાદ અનેક લોકો સેવા અને મદદ માટે આગળ આવ્યા છે.
ત્યારે કેરળમાં પૂરની સાથે સાથે ફેલાતા આવા ફેક ન્યૂઝની ખરેખર અસર શું થાય છે?
અલ્ટ ન્યૂઝના સંપાદકપ્રતીક સિંહાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે ખાસ કરીને મદદ ના કરવાના અને ભય ફેલાવતા ફેક ન્યૂઝની વિપરીત અસર થાય છે.
તેમણે કહ્યું, "ખોટી તસવીર કે અન્ય પૂરની તસવીર, તથા અન્ય રાજ્યના પૂરના વીડિયો કેરળના નામે ચડાવવાથી ખાસ કોઈ આ સ્થિતિમાં ફરક પડતો નથી."
આવી ભયાનક સ્થિતિમાં ફેક ન્યૂઝ ફેલાવવાનો ઉદ્દેશ શું હોઈ શકે એવા પ્રશ્નનો જવાબ આપતા પ્રતીક કહે છે કે ઘણીવાર આ રાજકીય ઉદ્દેશથી આવા ન્યૂઝ ફેલાવાતા હોય છે.
સિંહા કહે છે, "ફેક ન્યૂઝમાં બાળકોની ચોરી જેવી અફવાઓ પાછળ શું ઉદ્દેશ છે? તે નક્કી કરી ના શકાય."
"જોકે, કેરળ જેવા પૂરમાં ખાસ કરીને ડાબેરીઓને બદનામ કરવાની અને આરએસએસ જેવાં સંગઠનોના વખાણ કરવાની એક પેટર્ન જોઈ શકાય છે."
"ઉપરાંત અહીં મુસ્લિમ અને ખ્રિસ્તીની વસતિ વધારે છે એટલે તેમના વિરુદ્ધ પણ અનેક પ્રકારની અફવાઓ ફેલાવાય છે, જેને એક પ્રકારનો રાજકીય ઉદ્દેશ ગણી શકાય."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો