કેરળમાં સદીનું આટલું મોટું ભયાનક પૂર કઈ રીતે આવ્યું?

કેરળ પૂરની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, નવીન સિંહ ખડકા
    • પદ, પર્યાવરણ સંવાદદાતા, બીબીસી વર્લ્ડ સર્વિસ

કેરળમાં સદીના સૌથી ભયાનક પૂરની પરિસ્થિતિ સર્જાઈ તેના એક મહિના પહેલાં એક સરકારી રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી હતી કે, સમગ્ર દક્ષિણ ભારતમાં કેરળ રાજ્ય જળ સંસાધનના પ્રબંધનમાં ખૂબ જ ખરાબ છે.

આ અભ્યાસમાં નોન-હિમાલયન સ્ટેટ્સને આવરી લેવામાં આવ્યા હતા. અભ્યાસ અંતર્ગત કેરળ 42 અંક સાથે 12મા ક્રમે હતું.

પ્રથમ નંબર પર ગુજરાત, મધ્ય પ્રદેશ અને આંધ્ર પ્રદેશ હતા.

અધિકારીઓ અને નિષ્ણાતોનું માનવું છે કે, જો તંત્રએ સમયસર અને પૂરતી માત્રામાં ડેમોમાંથી પાણી છોડ્યું હોત, તો આવી ભયાનક પૂરની સ્થિતિનું નિર્માણ થયું જ ન હોત.

પરંતુ ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ અને દરેક ડેમમાં પાણીની આવક વધવા લાગી. ત્યારબાદ 80 ડેમોમાંથી પાણી છોડાતા આવી ભયાનક સ્થિતિનું નિર્માણ થયું.

line

શા માટે સ્થિતિ બગડી?

ઇડામાલ્યાર ડેમ

ઇમેજ સ્રોત, Getty Images

ઉલ્લેખનીય છે કે કેરળમાંથી 41 નદીઓ પસાર થાય છે. દક્ષિણ ભારતની નદીઓ પર ડેમ નેટવર્કના નિષ્ણાત હિમાંશુ ઠક્કરે આ અંગે આ પરિસ્થિતિ સમજાવવાનો પ્રયાસ કર્યો.

ઠક્કરે જણાવ્યું, "કરેળમાં ઇડુક્કી અને ઇદામાલ્યાર પ્રાંતમાં વિશાળ ડેમો આવેલા છે, જ્યારે સમગ્ર કેરળમાં વરસાદ વરસી રહ્યો હતો આ ડેમો સહિત અન્ય જગ્યાએ પાણીની આવક વધવા લાગી.

"ત્યારબાદ આ બન્ને ડેમોમાંથી પાણી છોડવામાં આવ્યું, જેનાં કારણે કેરળમાં પૂરની સ્થિતિ વધુ ગંભીર બની."

ઠક્કર ઉમેરે છે, "ડેમ સંચાલકો આ પરિસ્થિને પહોંચી વળ્યા હોત, જો પહેલેથી જ આ ડેમોમાંથી પાણી છોડી દેવામાં આવ્યું હોત."

"એટલું જ નહીં પાણી છોડવા માટે તેમની પાસે પૂરતો સમય હતો, જ્યારે કેરળમાં પૂરની સ્થિતિ ઊભી નહોતી થઈ."

તમે આ વાંચ્યું કે નહીં?

આ વર્ષે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં બહાર આવ્યું હતું.

કેરળનો દેશના 10 એવાં રાજ્યોમાં સમાવેશ થાય છે, જે પૂરની દૃષ્ટિએ જોખમી હોય.

કેરળનું કહેવું છે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે નેશનલ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ પોલિસી પ્રમાણે, પૂરતા પગલા લેવામાં આવ્યા નહોતા.

બીજી તરફ, ડેમ મૅનેજમૅન્ટ અને કુદરતી આફતને પહોંચી વળવા રાજ્ય સરકારના જવાબદાર વિભાગની ટીકા થઈ રહી છે.

line

કેન્દ્રીય જળ આયોગ

કેરળ પૂરની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

નિષ્ણાતોનું કહેવું છે કે કેરળનું કેન્દ્રીય જળ આયોગ (સીડબ્લ્યુસી) દ્વારા કેરળને કોઈ પણ જાતની પૂરની ચેતવણી પણ આપવામાં આવી નહોતી.

ઠક્કર કહે છે, "અમને આશ્ચર્ય છે કે સીડબ્લ્યુસી પાસે પૂરની આગાહી કરી શકે એવી કોઈ સાઇટ નથી. એટલું જ નહીં પાણીની આવક વધવા અંગે ચેતવણી આપતી સાઇટ પણ નથી.

"કેરળમાં માત્ર પૂરનું મૉનિટર કરતી સાઇટ ઉપલબ્ધ છે."

કેરળમાં ગત વર્ષોની સરખામણીએ ચોમાસાની ઋતુ દરમિયાન જેટલો વરસાદ પડે છે તેનાથી 37 ટકા વધુ વરસાદ માત્ર અઢી મહિનામાં નોંધાયો.

line

ભૂસ્ખલનથી ઘણું નુકસાન

પૂરને કારણે ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ

ઇમેજ સ્રોત, Getty Images

કેરળમાં પૂરની સાથે ભૂસ્ખલનની પણ ઘણી ઘટનાઓ નોંધાઈ હતી, જેમાં ઘણાં લોકોના જીવ ગયા છે.

પર્યાવરણવિદ્દો ભૂસ્ખલન પાછળનું કારણ જંગલો કાપવામાં આવી રહ્યાં છે તેને જવાબદાર ગણે છે.

જ્યારે પણ આવા વિસ્તારોમાં ભારે માત્રામાં વરસાદ પડે, ત્યારે ભૂસ્ખલન થાય છે. આવી ઘટનાઓ ભારતના અન્ય ભાગોમાં પણ નોંધાઈ છે.

આ જગ્યાઓએ ભૂસ્ખલન થવાની ઘટનાનું કારણ કુદરતી રીતે ધોવાણને અટકાવતાં જંગલોનો નાશ જવાબદાર છે.

જેવી રીતે જંગલોને કાપી ત્યાં શહેરોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, તેને કારણે તળાવો અને પૂરને રોકી શકે તેવી જમીન ઘટી રહી છે. વર્ષ 2015માં ચેન્નાઈમાં પણ આવું જ થયું હતું.

જો આ બાબતને ગંભીરતાથી લેવામાં નહીં આવે તો જળવાયુ પરિવર્તન વિજ્ઞાનિકોની ભવિષ્યવાણી મુજબ, સો વર્ષ બાદ સર્જાયેલી આ પરિસ્થિતિનું નિર્માણ ભવિષ્યમાં ફરી પણ બની શકે છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો