You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કેરળ પૂર : 324 લોકોનાં મોત, 2.25 લાખ લોકોનું સ્થળાંતર
કેરળમાં ભારે વરસાદને કારણે આવેલા ભયાનક પૂરમાં લગભગ 324 લોકોનાં મોત થયાં છે. કેરળના મુખ્ય પ્રધાનના કાર્યાલયના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આ અંગે માહિતી આપવામાં આવી હતી.
દક્ષિણ ભારતનું આ રાજ્ય છેલ્લી એક સદીના સૌથી ભયાનક પૂરનો સામનો કરી રહ્યું છે.
શુક્રવારે પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના અંતિમ સંસ્કાર બાદ મોદી કેરળ જવા રવાના થયા હતા, તેઓ શનિવારે સવારે ત્યાંના મુખ્ય પ્રધાન તથા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે.
પૂરની પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે લગભગ 2,23,139 લોકો ઘરવિહોણાં બની ગયાં છે.
સરકારનું કહેવું છે કે મોટાભાગના લોકોનાં મોત ભારે વરસાદના કારણે થયેલાં ભૂસ્ખલનથી થયાં છે.
હવામાન વિભાગે હજી પણ વરસાદ પડવાની આગાહી કરી છે અને કોચ્ચીનું મુખ્ય ઍરપૉર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. જે લગભગ 26 ઑગસ્ટ સુધી બંધ રહેશે.
રાજ્ય સરકાર દ્વારા 1500થી વધુ રાહત છાવણીઓ ઊભી કરવામાં આવી છે.
એનડીઆરએફ સક્રિય
શુક્રવારે સતત નવમા દિવસે એનડીઆરએફે રાહત અને બચાવકાર્ય ચાલુ રાખ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સતત વરસાદ, ભૂસ્ખલન તથા વધુ વરસાદની આગાહીને પગલે ગુજરાતના વડોદરા, ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ, પંજાબના ભટિંડા, બિહારના પટણા, પશ્ચિમ બંગાળના નાદિયા અને ઓડિશાના મુંદાલીથી એનડીઆરએફની વધુ 33 ટીમ હવાઈ માર્ગે કેરળ ઉતારવામાં આવી છે.
એનડીઆરએફના ડાયરેક્ટર જનરલ કેરળના રાહત અને બચાવકાર્ય પર નજર રાખી રહ્યાં છે, સંગઠન દ્વારા સ્થિતિની સમીક્ષા કરવા માટે કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે. જે અન્ય સંસ્થાઓની સાથે સંકલનનું કામ પણ કરે છે.
તમે આ વાંચ્યું કે નહીં?
બચાવદળના સેંકડો કાર્યકર્તાઓ પૂરમાં ફસાયેલા લોકોને બચાવી રહ્યા છે. ઉપરાંત અનેક જગ્યાએ મદદ પહોંચાડી રહ્યા છે.
સરકારે લોકોને વિનંતી કરી છે કે સ્થળાંતર કરવાના કૉલની અવગણના કરવામાં ના આવે. સ્થળાંતર કરાયેલાં હજારો લોકો સુધી ભોજનસામગ્રી પહોંચાડવામાં આવી રહી છે.
કેરળના મુખ્ય મંત્રી પિનારાઈ વિજયને પત્રકારોને કહ્યું, "અમે એવી સ્થિતિનો સામનો કરી રહ્યા છીએ જે કેરળના ઇતિહાસમાં ક્યારેય જોવા મળી નથી."
"લગભગ રાજ્યના તમામ ડૅમના દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. મોટાભાગના અમાર વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ પર પાણી ફરી વળ્યું છે. તેમની મોટરો ડૅમેજ થઈ ગઈ છે."
તેમણે કહ્યું કે તામિલનાડુ દ્વારા છોડવામાં આવેલા પાણીના કારણે રાજ્યની સ્થિતિ વધારે ગંભીર બની છે.
કેરળમાં લગભગ 41 મોટી નદીઓ છે જે અરબી સમુદ્રમાં ભળે છે.
કેરળની આર્થિક રાજધાની ગણાતું કોચી શહેર પણ પાણીમાં ગરકાવ છે. રાજ્યમાં અનેક જગ્યાએ ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો છે તો વાહનવ્યવહારને પણ માઠી અસર પહોંચી છે.
કેરળના 14 જિલ્લાઓ કે જ્યાં પૂરની માઠી અસર પહોંચી છે ત્યાં શૈક્ષણિક કાર્ય બંધ કરી દેવામાં આવ્યું છે.
ઉપરાંત કેટલાક જિલ્લાઓમાં સુરક્ષાના પ્રશ્નને જોતાં પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
બીબીસી સાથે વાત કરતાં મિની એલ્ધો નામના એક અધિકારીએ કહ્યું કે દર વર્ષે અહીં ભારે વરસાદ પડે છે પરંતુ આવી સ્થિતિ ક્યારેય સર્જાઈ નથી.
તેમણે કહ્યું, "તેમને ચિંતા છે કે હજી પણ કેટલા લોકો પૂરમાં ફસાયેલા હશે અને મદદની રાહ જોઈ રહ્યા હશે. અનેક પરિવારોએ પોતાનું ઘર છોડવાનો ઇનકાર કરી દીધો છે."
બીબીસી સાથે વાત કરતાં 58 વર્ષના ક્રિષ્ના જયને કહ્યું કે તેઓ જ્યારે ઘરમાં સુતા હતા ત્યારે તેમના મિત્રએ આવીને જગાડ્યા. તેમણે ઘરનો દરવાજો ખોલ્યો અને પાણી ઘરમાં ઘૂસવા લાગ્યું.
તેઓ કહે છે કે અમે બહાર નીકળ્યા તો કેટલીક જગ્યાએ તો ગળા સુધી પાણી ભરેલું હતું.
તેમના કહેવા પ્રમાણે, "સ્થાનિકોએ પાણીમાંથી બહાર નીકળવા માટે શેરીમાં દોરડાં બાંધીને તેનો સહારો લીધો. આ રીતે તેઓ બહાર નીકળ્યા અને બસ દ્વારા તેઓ રાહત કૅમ્પમાં પહોંચ્યા."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો