દલિતો માટે ભાડે મકાન લેવું કેટલું મુશ્કેલ

બીબીસી ગુજરાતીની #BeingMuslimAndDalit સિરીઝની આ કડીમાં વાંચો એક દલિત યુવકની કહાણી. આ દલિત યુવક હૈદરાબાદની એક મીડિયા કંપનીમાં કામ કરે છે.
ભારતમાં દલિતો અને મુસલમાનોને મકાન ભાડે લેવા માટે કેવા પ્રકારના અનુભવોમાંથી પસાર થવું પડે છે, આ કહાણી આવા કડવા અનુભવોને દર્શાવે છે. વાંચો, આ યુવકની કહાણી, તેના જ મુખે.

હું લગભગ દસ વર્ષ પહેલાં દક્ષિણ ભારતના એક મહાનગરને છોડીને હૈદરાબાદમાં શિફ્ટ થયો. આજ હું હૈદરાબાદના પૂર્વના વિસ્તારમાં રહું છું.
પરંતુ આ પહેલાં હું હૈદરાબાદની મધ્યમાં રહેતો હતો. મારા મકાન માલિક મુસલમાન હતા. મારી આસપાસ રહેતા લોકો પણ મારી જેમ મીડિયાકર્મીઓ જ હતા.
એ લોકો સાથે મારે સારી મિત્રતા હતી. પરંતુ ત્રણ વર્ષ પહેલાં મારે આ ઘરને છોડીને પૂર્વ હૈદરાબાદમાં શિફ્ટ થવું પડ્યું.
એવામાં મેં હૈદરાબાદ-વિજયવાડા હાઇવે નજીક એલબીનગર વિસ્તારમાં મારા માટે એક નવું ઘર શોધવાનું શરૂ કર્યું.

શાકાહારીઓ માટે મકાન ખાલી છે.

ઇમેજ સ્રોત, Getty Images
મેં મકાન ખાલી હોવાનાં ઘણાં બોર્ડ જોયાં, પરંતુ બોર્ડ્સમાં એક નોટ પણ લાગેલી રહેતી. જેમાં 'માત્ર શાકાહારીઓ માટે' એવું લખેલું રહેતું હતું.
આ ઘરોના દરવાજા ખટખટાવવાની પણ મારી હિંમત ચાલી ન હતી. પરંતુ ખૂબ જ તપાસ કર્યા બાદ મને મારી પસંદગીનું ઘર મળ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે મેં મકાન ભાડે લેવાની મારી ઇચ્છા વ્યક્ત કરી તો મને પૂછવામાં આવ્યું કે તમે કઈ જ્ઞાતિના છો?
મને આ સાંભળીને ગુસ્સો આવ્યો પરંતુ મકાન લેવાની મજબૂરી અને અસહાય હોવાને કારણે મેં મારો ગુસ્સો મારી અંદર જ સમાવી દીધો.
મારા એક મિત્રએ કહ્યું, "શહેરના કેટલાક વિસ્તારોમાં મકાન માલિક દલિતો અને મુસ્લિમોને ઘર આપતા નથી અને જ્ઞાતિ આધારિત ગેટેડ કૉલોનીઓ પણ છે."

પરંતુ જ્ઞાતિ પૂછવી જરૂરી કેમ?

આ સાંભળીને મારી અંદર એક પ્રકારનો ભય પેદા થઈ ગયો.
પરંતુ જરૂરી સુવિધાઓની ઉપલબ્ધતા, પાર્કની હાજરી, મારી ઑફિસ આ વિસ્તારની નજીક અને પરિવારની જરૂરિયાતોના કારણે મેં આ વિસ્તારમાં જ ઘર શોધવાનું ચાલુ રાખ્યું.
એવામાં જ્યારે હું એક મકાનમાં ગયો તો મકાન માલકણે મને તમામ સવાલો પૂછ્યા.
તેમાંના ઘણા સવાલો મારી નોકરી, પગાર, હું શાકાહારી-માંસાહારી છું કે નહીં, પરિવારના સભ્યોની સંખ્યા, માતાપિતા અને મારા વતનને લગતા હતા.
અંતે તેમણે પોતાની જ્ઞાતિ કહીને મારી જ્ઞાતિ વિશે મને સવાલ કર્યો.

જ્ઞાતિની જાણ થતા જ પ્રેમ ખતમ

હું આ સવાલનો જવાબ આપવા માટે તૈયાર ન હતો અને મેં કહ્યું કે હું તમારું ઘર ભાડે લેવા માગતો નથી.
ત્યાં સુધી ઠીક છે કે જો કોઈ ભાડાની રકમ, ભાડું આપવાનો સમય, ભાડું આપવાની રીત, ભાડુઆતનો ગુનાઇત ઇતિહાસ, ઘરમાં રહેવાની રીત, પાણીનો ઉપયોગ, આધાર કે પેનકાર્ડ અંગેની શરતો મૂકે.
પરંતુ એ ક્યાં સુધી ઠીક છે કે કોઈ મકાનમાલિક પોતાનું ઘર ભાડે આપવાનો નિર્ણય ભાડુઆતની જ્ઞાતિના આધાર પર કરે.
આ બધા બાદ મને એક એવા મકાનમાલિક મળ્યા, જેમને મારું વતન ખૂબ પસંદ હતું.
તેમણે જેવું જ મારા વતન વિશે સાંભળ્યું તો તેમણે મારા પ્રત્યે ખૂબ પ્રેમ દર્શાવ્યો.
તેમણે મને કહ્યું કે તેમનો પરિવાર મારા વતનમાં દસ વર્ષ સુધી રહ્યો હતો. તેમણે મને પોતાને ત્યાંથી ભોજન લીધા વિના મને ન જવા દીધો.

...અને બધું બદલાઈ ગયું

ઇમેજ સ્રોત, Getty Images
તેના થોડા સમય બાદ હું તેમના ઘરમાં રહેવા લાગ્યો. અમારા અને મકાનમાલિક વચ્ચે થોડા દિવસો ખૂબ સારા સંબંધો રહ્યા.
પરંતુ જ્યારે મારી પત્નીએ મકાનમાલિકને અમારી જ્ઞાતિ અંગે જણાવી દીધું તો તેમણે તેમનાં બાળકોને અમારા બાળકો સાથે રમવા દેવાનું બંધ કરાવી દીધું.
જોકે, મારી દીકરી તેમનાં બાળકો સાથે રમવા જવા માટે જીદ કરતી રહી.
પરંતુ તેમણે ક્યારેય પણ મારી દીકરીને તેમના ઘરમાં આવવા દેવા માટે દરવાજા ના ખોલ્યા.
ધીરે ધીરે બધા પાડોશીઓને જાણ થઈ ગઈ કે અમે અનુસૂચિત જાતિનાં છીએ.
અમારા મકાનમાલિકની વહુએ પાડોશીઓને જણાવ્યું કે મકાન ભાડે લેતી વખતે મેં મારી જાતિ છુપાવીને રાખી હતી.
મને આ બધી વાતોથી હું બેઆબરૂ થતો હોઉં તેવું લાગ્યું.

ભેદભાવ વિનાના પાડોશી

ઇમેજ સ્રોત, Getty Images
આ વર્તનથી સ્થિતિ એવી આવી કે ઇમરજન્સીના સમયમાં પણ અમે કોઈની મદદ ના લઈ શકીએ.
આ કારણે અમારે મજબૂરીમાં જ થોડાક જ સપ્તાહોમાં ઘર ખાલી કરી દેવું પડ્યું.
આ પ્રકારની પીડાદાયક સ્થિતિમાંથી પસાર થનારા જ સમજી શકે કે આવો વ્યવહાર કેટલો પીડાદાયક હોય છે.
બધા લોકો એ નહીં જાણતા હોય કે ભેદભાવ ગેરકાનૂની છે.
પરંતુ કેટલાક લોકો જાણી જોઈને આ પ્રકારનું વલણ અપનાવે છે. તેમને લાગે છે આવી હરકતો કાયદાની નજરમાં નહીં આવે.
મેં મારી ખુદની મજબૂરીઓને કારણે કાયદાની રાહ પકડી નહીં.
આ અનુભવોમાંથી પસાર થયા બાદ અમે નક્કી કર્યું કે અમે એવા જ ઘરમાં ભાડે રહીશું જ્યાં મકાનમાલિક મુસલમાન હોય અને અમારી જ્ઞાતિથી તેમને કોઈ સમસ્યા ના હોય.

જ્યારે મકાન માટે જ્ઞાતિ છુપાવી

ઇમેજ સ્રોત, Getty Images
આ ઘટના બાદ અમને એક ઘર મળ્યું. જોકે, આ ઘર અમને બહુ પસંદ ન હતું.
અમે એક એવું ઘર ઇચ્છતા હતા જ્યાં મકાનમાલિકને અમારી જ્ઞાતિથી કોઈ સમસ્યા ના હોય.
એવા પાડોશીઓ ઇચ્છતા હતા જ્યાં કોઈ ભેદભાવનો સામનો ના કરવો પડે.
જોકે, અમને એ વાતનો અહેસાસ થયો કે આ બધી શરતો સાથે ઘર ભાડે લેવા માટે વાત કરવી પણ મુશ્કેલ હતી.
એવામાં અમે અમારી જ્ઞાતિ અંગે જુઠ્ઠું બોલવાનું નક્કી કર્યું. જોકે, ખરેખર અમે અમારી ઓળખાણ છુપાવવા નહોતા માગતા.
અમને એક મકાન પસંદ પડ્યું, જેના મકાનમાલિક એક સરકારી અધિકારી હતા.
જેમણે અમને અમારી જાતિને લઈને એકપણ સવાલ કર્યો ન હતો.
જે બાદ અમે આ ઘરમાં રહેવા માટે પહોંચી ગયા. પરંતુ તેનાથી પણ અમારી સમસ્યાનું સમાધાન થયું નહીં.

ઉદ્દેશ પરીક્ષા લેવાનો હતો...

ઇમેજ સ્રોત, Getty Images
અમારા મકાનમાલિકના એક સંબંધી અમાર ઘરનાં ઊમરા પાસે અટકી ગયાં અને અંદર આવતાં પહેલાં અમારી જ્ઞાતિ પૂછી.
એવામાં અમે સાચું ના બોલીને અમે તેમને જે જ્ઞાતિ કહી તે અમારી ન હતી. અમારા જવાબથી સંતુષ્ટ થઈને તેઓ અમાર ઘરમાં આવ્યાં.
જે બાદ જ્ઞાતિથી જોડાયેલા અનેક સવાલો પૂછવામાં આવ્યા પરંતુ તેમનો ઉદ્દેશ અમારી પરીક્ષા લેવાનો હતો.
જ્યારે મારા માતાપિતા મારે ઘરે આવ્યા તો મકાનમાલિક અને પાડોશીઓ અમને શકની નજરથી જોવા લાગ્યા.
કદાચ તેમની બોલવા અને રીતભાતને કારણે તેમને શક ગયો.
હાલમાં જ અમારા મકાનમાલિક બદલી ગયા છે અને અમે આજે પણ આ જ જુઠ અસત્ય સાથે જીવી રહ્યાં છીએ.
અમે અમારી ભાષા ખાસ કરીને બોલીને છૂપાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ.
અમને એ ખબર નથી કે ક્યાં સુધી અમે આ સહન કરી શકીશું અને અમારા બાળકો પર તેની કેવી અસર પડશે.

આખરે મકાન ખરીદવું પડ્યું...

ઇમેજ સ્રોત, Getty Images
એક લોકપ્રિય તેલુગુ લેખક અર્દુરા કહેતા હતા, "મકાન ખરીદવું બેવકૂફી છે, એથી વધારે સારું છે કે એક ભાડાના મકાનમાં રહેતા હોઈએ."
"હાં, એ એના પર નિર્ભર કરે છે કે કોઈને એક સારું ઘર અને મકાનમાલિક મળે."
તેઓ ચેન્નઈમાં પાનાગલ પાર્કમાં 25 વર્ષ સુધી ભાડાના ઘરમાં રહે છે. પરંતુ આખરે કેટલા લોકો આટલા ભાગ્યશાળી હોય છે?
ઘર ખરીદવા માટે મારા વિચારો પાક્કા હતા પરંતુ હવે હું આખી જિંદગી હપ્તા ભરતો રહ્યો અને મારા પગારનો અડધો હિસ્સો હોમ લોન ચૂકવવામાં ગયો.
મને ક્યારેય પણ લોન લઈને ઘર ખરીદવાનો વિચાર સમજપૂર્વકનો લાગ્યો ન હતો.
પરંતુ મને આખરે એ લાગ્યું કે મારી જ્ઞાતિના કારણે સવાલોના ઘેરામાં આવવું અને બેઆબરૂ થવા કરતાં ઘર ખરીદવાનો એક વિકલ્પ સારો છે.

પાડોશીઓની પસંદગી થઈ શકતી નથી...
જે બાદ એક વર્ષ સુધી હોમ લોન લેવા, પૈસાની વ્યવસ્થા કરવી અને મિત્રો પાસેથી ઉછીના રૂપિયા લીધા બાદ હું ઘર લેવા માટે સક્ષમ બન્યો.
અમારા ઘરનું બાંધકામ હજી ચાલી રહ્યું છે અને તેમાં શિફ્ટ થવામાં હજી સમય લાગશે. ત્યાં સુધી મારે ભેદભાવ સહન કરવો પડશે.
ભેદભાવના મામલે પાડોશીઓ પણ મકાનમાલિકોથી ઊતરતા નથી હોતા. એવું પણ કહેવાયું છે કે તમે તમારા પાડોશીઓ પસંદ કરી શકતા નથી.
પરંતુ મારો અનુભવ કહે છે કે કેટલાક લોકો પોતાની જ્ઞાતિના આધારે પોતાના પાડોશીઓ પસંદ કરી શકે છે.
અમને મકાન આપવાની મનાઈ કરવામાં આવી હતી અને હજી લોકો મનાઈ કરી રહ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

















