આપ: મોદીના ઉપકારનો બદલો વાળવા માગે છે મુખ્ય ચૂંટણી અધિકારી જોતિ

કેજરીવાલની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ચૂંટણી પંચે આમ આદમી પાર્ટી (આપ)ના 20 ધારાસભ્યોને 'ઓફિસ ઑફ પ્રોફિટ' મામલે ગેરલાયક ઠેરવવાની ભલામણ કરી છે.

સમાચાર સંસ્થા પીટીઆઈના અહેવાલ પ્રમાણે, આ સંબંધી પ્રસ્તાવ રામનાથ કોવિંદને મોકલી દેવામાં આવ્યો છે.

પીટીઆઈના અહેવાલ મુજબ, ચૂંટણી પંચે તેની ભલામણમાં જણાવ્યું છે કે આ ધારાસભ્યોએ લાભનું પદ મેળવ્યું હતું. એટલે તેઓ ગેરલાયક ઠરે છે.

રાષ્ટ્રપતિ માટે પંચની ભલામણ માનવી બાધ્ય રહેશે, કારણ કે જ્યારે કોઈ ધારાસભ્ય કે સાંસદને ગેરલાયક ઠેરવવાની અરજી રાષ્ટ્રપતિ પાસે આવે છે, ત્યારે તેઓ અભિપ્રાય અર્થે આ અરજી ચૂંટણી પંચને મોકલતા હોય છે.

બીબીસીએ સંપર્ક સાધતા ચૂંટણી અધિકારીઓએ આ મામલે ઔપચારિક પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કર્યો હતો.

તમને આ પણ વાંચવું ગમશે

આ ભલામણને કારણે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી આપ સરકાર પર કોઈ સંકટ ઊભું નહીં થાય.

આપે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવાની વાત કરી છે.

જોકે, ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાંથી જન્મેલી પાર્ટીની ઇમેજ માટે આ બાબત આંચકાજનક માનવામાં આવે છે.

line

'મોદીનો ઉપકાર વાળવો છે'

આપના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજની તસવીર

ઇમેજ સ્રોત, AAP

- આપના પ્રવક્તા નગેન્દર શર્માએ ટ્વિટર પર જણાવ્યું, "ચૂંટણી પંચના ઇતિહાસમાં એવું પ્રથમ વખત બન્યું છે કે કેસમાં ઊંડાણમાં જવા સિવાય જ ચુકાદો આપી દેવામાં આવ્યો છે.

"ચૂંટણી પંચમાં કોઈ સુનાવણી થઈ જ નથી."

- આપના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજના કહેવા પ્રમાણે, "એ. કે. જોતિ 23મી જાન્યુઆરીના નિવૃત્ત થશે, તે પહેલા મોદીના ઉપકારનો બદલો વાળવા માગે છે.

"શું ધારાસભ્યના મતવિસ્તારના લોકોએ ક્યારેય તેમને સરકાર ગાડી, સરકારી બંગલા કે કોઈનું બેન્ક સ્ટેટમેન્ટ જોયું છે.

હજુ સુધી આ મુદ્દે ધારાસભ્યોને તેમનો પક્ષ રજૂ કરવાની તક મળી નથી. અમે હાઈકોર્ટમાં અપીલ કરીશું. "

- દિલ્હી પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અજય માકણે ટ્વીટ કર્યું, "કેજરીવાલને પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી.

"તેમની કેબિનેટના અડધા પ્રધાનોને ભ્રષ્ટાચારના આરોપ સબબ હટાવવા પડ્યા છે. પ્રધાન જેવી સવલતો મેળવવા બદલ 20 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.

"લોકપાલ ક્યાં? ધારાસભ્યો અને પ્રધાનો સત્તાસુખ ભોગવી રહ્યાં છે અને વિદેશી પ્રવાસો માણે છે. રાજકીય પ્રમાણિક્તા ક્યાં છે?"

line

શા માટે ગેરલાયક ઠર્યા?

આપના ધારાસભ્ય જરનૈલસિંહ સાથે કેજરીવાલની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આપના ધારાસભ્ય જરનૈલ સિંઘે રાજીનામું આપી દેતા તેમની સામેની કાર્યવાહી પડતી મૂકવામાં આવેલી

બંધારણમાં 'ઓફિસ ઑફ પ્રોફિટ'ની વ્યાખ્યા કરવામાં આવી છે. જે મુજબ કોઈ ધારાસભ્ય કે સાંસદ એવું સરકારી પદ ધારણ ન કરી શકે જેમાં તેને ઓફિસ મળે કે અન્ય કોઈ સવલત મળે.

જો કોઈ ધારાસભ્ય કે સાંસદ તેનો ભંગ કરે તો તે ગેરલાયક ઠરી શકે છે.

આ પ્રકારની જોગવાઈ કરવા પાછળ બંધારણના ઘડવૈયાઓનો ઉદ્દેશ્ય એવો હતો કે ધારાસભ્યો કે સાંસદો કોઈ પદ કે સુવિધાની લાલચથી અલગ રહે.

line

હવે શું થઈ શકે?

કેજરીવાલની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આપનો ઉદય ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાંથી થયો હોવાથી પાર્ટી માટે આ બાબત આંચકાજનક બની રહેશે

- આપ પાસે વિકલ્પ રહેશે કે દિલ્હી હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવે અને ગેરલાયક ઠેરવવાની કાર્યવાહીને પડકારે.

પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે અણસાર આપ્યા છે કે તેઓ હાઈકોર્ટમાં અપીલ કરશે.

- દિલ્હીની કેજરીવાલ સરકાર પર કોઈ સંકટ ઊભું નહીં થાય, કારણ કે 70 બેઠકોવાળી વિધાનસભામાં પાર્ટીના 66 ધારાસભ્યો હતા.

line

શું છે ઘટનાક્રમ?

કેજરીવાલની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

જૂન 2016માં કોંગ્રેસે ચૂંટણી પંચના દરવાજા ખખડાવ્યા હતા. જેમાં 'ઓફિસ ઑફ પ્રોફિટ'ની જોગવાઈઓનો ભંગ કરવા બદલ 'આપ' ના 21 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માગ કરવામાં આવી હતી.

ત્યારબાદ રાજૌરી ગાર્ડન બેઠક પરથી આપના ધારાસભ્ય જરનૈલસિંહે ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. એટલે તેમની સામેની કાર્યવાહી પડતી મૂકવામાં આવી છે.

ગત વર્ષે ઓકટોબર મહિનાથી આપના ધારાસભ્યોની સામે કાર્યવાહી ચાલી રહી છે.

હાલ 20 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા મુદ્દે કાર્યવાહી ચાલી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો