ઈરાનના પ્રથમ સુપ્રીમ લીડર આયતુલ્લાહ રુહોલ્લાહ ખુમૈની કેમ 'ભારતના એજન્ટ' કહેવાતા, શું હતો ભારત સાથે સંબંધ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રાકેશ ભટ્ટ
- પદ, બીબીસી મૉનિટરિંગ
ઇસ્લામિક રિપબ્લિક ઑફ ઈરાનના સ્થાપક અને તેના પ્રથમ સુપ્રીમ લીડર આયતુલ્લાહ રુહોલ્લાહ ખુમૈનીના પૂર્વજો ભારતીય હતા.
આયતુલ્લાહ રુહોલ્લાહ ખુમૈનીના દાદા સૈયદ અહમદ મૌસાવી ભારતના એક નાનકડા ગામડામાં ઈ.સ. 1790માં જન્મ્યા હતા.
તેમના દાદા 40 વર્ષની ઉંમરે અવધના નવાબ સાથે એક આધ્યાત્મિક તીર્થ યાત્રા પર ઇરાક ગયા હતા.
ત્યાંથી તેઓ ઈરાનમાં ઘણાં આધ્યાત્મિક સ્થળોએ ગયા અને ઈરાનમાં ખુમૈન નામના ગામડામાં વસી ગયા.
ઈરાનમાં વસી ગયા હોવા છતાં તેઓ પોતાનાં ભારતીય મૂળો યાદ રાખવા માગતા હતા અને તેનું સન્માન કરવા માગતા હતા. તેથી તેમણે પોતાના પારિવારિક નામમાં 'હિંદી' શબ્દ જોડવાનું ચાલુ રાખ્યું.
બાદમાં તેમના પુત્ર આયતુલ્લાહ મુસ્તફા હિંદી ઇસ્લામના મહાન વિદ્વાન બન્યા.
આ 'મુસ્તફા હિંદી'ના સૌથી નાના પુત્ર એટલે રુહોલ્લાહ ખુમૈની. તેમનો જન્મ વર્ષ 1902માં થયો હતો. જે આગળ ચાલીને આયતુલ્લાહ ખુમૈની અને ઇમામ ખુમૈની તરીકે ઓળખાયા.
ઈરાનમાં બળવો અને ઇસ્લામિક ગણતંત્રની સ્થાપના

રુહોલ્લાહના જન્મના પાંચ માસ બાદ જ સૈયદ મુસ્તફા હિંદીની હત્યા થઈ ગઈ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના પિતાના મૃત્યુ બાદ રુહોલ્લાહનો ઉછેર તેમનાં માતા અને માસીએ કર્યો. પોતાના મોટા ભાઈ મુર્તઝાની દેખરેખ હેઠળ તેમણે ઇસ્લામિક શિક્ષણ મેળવ્યું.
રુહોલ્લાહ ખુમૈની એ ઇસ્લામિક ન્યાયશાસ્ત્ર અને શરિયત કાયદામાં ઘણો રસ ધરાવતા હતા. જોકે, તેમણે માત્ર ઇસ્લામિક શિક્ષણ મેળવવાની સાથોસાથ પશ્ચિમી ફિલસૂફીનો પણ અભ્યાસ કર્યો.
તેમણે ઈરાનનાં અરાક અને કોમ શહેરોમાં આવેલી ઇસ્લામિક શિક્ષણ સંસ્થાઓમાંથી અભ્યાસ કર્યો.
ભણતર પૂરું કર્યા બાદ તેમણે એક શિક્ષક તરીકે પણ કામ કર્યું. એ સમય દરમિયાન તેમણે ઈરાનમાં રાજાશાહીનો વિરોધ કરવાનું શરૂ કર્યું.
રાજાશાહીને સ્થાને તેઓ વિલાયત-એ-ફાકિહ નામક સિસ્ટમને ટેકો આપતા, જેનો અર્થ થાય છે કાયદાવિદોનું સાર્વભૌમત્વ.
પહલવી સુલતાન સામે બળવા બાદ રુહોલ્લાહ ખુમૈનીને ઈરાનમાંથી દેશવટો અપાયો. બીજી તરફ, ઈરાનના લોકોએ ખામેનેઈને તેમના નેતા તરીકે સ્વીકારી લીધા.

ઇમેજ સ્રોત, Getty Images
પહલવી શાસનને ખબર પડી ગઈ કે જનતા અને અન્ય વિરોધી રાજકીય જૂથો ખુમૈનીની નેતાગીરી હેઠળ એક થઈ ગયા છે.
બાદમાં 7 જાન્યુઆરી, 1978ના રોજ ઈરાની ન્યૂઝપેપર ઇત્તેહાદે ખુમૈનીને ભારતીય મૂળના 'મુલ્લા' ગણાવ્યા. આ ખુમૈનીને 'ભારત અને બ્રિટનના એજન્ટ' તરીકે ચીતરવાનો પ્રયાસ હતો.
આ અહેવાલમાં ખુમૈનીને બ્રિટિશ ભારત કૉલોનીના એક સૈનિક ગણાવાયા. આ અહેવાલ પ્રસિદ્ધ થતાં ઈરાનમાં ક્રાંતિ વધુ જલદ બની. સરકારે ક્રાંતિને ડામવાના ઘણા પ્રયાસ કર્યા. છતાં લોકો રસ્તા પર જ બેઠા રહ્યા.
જ્યારે પહલવી રાજવંશના બીજા રાજા આર્ય મેહર મોહમ્મદ રઝા પહલવીને જ્યારે સમજાયું કે આ ક્રાંતિને દબાવી નહીં શકાય તો તેઓ 16 જાન્યુઆરી, 1979ના રોજ ઈરાન છોડી વિદેશ જતા રહ્યા.
તેના 15 દિવસ બાદ 1 ફેબ્રુઆરી, 1979ના રોજ ખુમૈની ઈરાન પરત ફર્યા.
14 વર્ષ સુધી દેશનિકાલ ભોગવ્યા બાદ તેઓ પરત ફર્યા હતા. ઈરાન પરત ફરીને તેમણે ઈરાનમાં રાજાશાહીને સ્થાને ઇસ્લામિક રિપબ્લિકની સ્થાપના કરી.
ઈરાનમાં ખુમૈનીનું પદ

ઇમેજ સ્રોત, Getty Images
તેમની રાજકીય કારકિર્દી દરમિયાન ખુમૈનીની ખાસ ઓળખ મળી. તેમણે કેટલાંક મહત્ત્વપૂર્ણ નિવેદનો પણ કર્યાં.
જેમાં "આપણે પશ્ચિમ અને પૂર્વ સાથે કોઈ સંબંધ નથી. અમારે માત્ર ઇસ્લામિક રિપબ્લિક સાથે સંબંધ છે." અને "અમેરિકા પાસે કોઈ શક્તિ નથી" વગેરે સામેલ છે.
રુહોલ્લાહ હિંદી ઇરફાના ગઝલો લખતા.
27 જુલાઈ 1980ના રોજ દેશવટો પામેલા ઈરાનના શાહ આર્ય મેહર મોહમ્મદ પહલવીનું મૃત્યુ થયું. તેના નવ વર્ષ બાદ એટલે કે 4 જૂન 1989ના રોજ આયતુલ્લાહ રુહોલ્લાહ ખુમૈનીનું પણ મૃત્યુ થયું.
આયતુલ્લાહ અલી ખામેનેઈની સફર

ઇમેજ સ્રોત, EPA/Shutterstock
ઈરાનના સુપ્રીમ લીડર રુહોલ્લાહ ખુમૈનીના મૃત્યુ બાદ 1989માં મૌલાનાઓએ આયતુલ્લાહ અલી ખામેનેઈને રુહોલ્લાહના ઉત્તરાધિકારી ચૂંટી કાઢ્યા.
તેમનો જન્મ 1939માં ઈરાનના બીજા સૌથી મોટા શહેર મશદમાં થયો હતો.
1962માં અયાતુલ્લાહ અલી ખામેનેઈએ રુહોલ્લાહ ખુમૈની દ્વારા શાહ મોહમ્મદ રેઝા પહલવી સામે કરેલા ધાર્મિક સંઘર્ષમાં ભાગ લીધો હતો.
અયાતુલ્લાહ અલી ખામેનેઈએ કહ્યું, "અયાતોલ્લાહ અલી ખામેનેઈ ત્યારે રુહોલ્લાહનો અનુયાયી બની ગયો. હું આજે જે વાતમાં વિશ્વાસ કરું છું અને જે કંઈ પણ કરું છું, એ બધું રુહોલ્લાહ ખુમૈનીના ઇસ્લામનું સંસ્કરણ છે."

તેમણે શાહ સામે મહાન સંઘર્ષ કર્યો અને તેમણે ઘણી વખત જેલ પણ જવું પડ્યું.
1979માં ઇસ્લામિક ક્રાંતિના એક વર્ષ બાદ ખામેનેઈ તહેરાનમાં શુક્રવારની નમાજના નેતા નીમાયા.
તેમણે કામચલાઉ સરકાર અને ઈરાનની સરકારને ચલાવતી રેવોલ્યૂશનરી કાઉન્સિલમાં પણ કામ કર્યું.
બાદમાં તેઓ નાયબ સંરક્ષણમંત્રી બન્યા. આ પદ તેમને ઇસ્લામિક રેવોલ્યૂશનરી ગાર્ડ કૉર્પ્સ (આઇઆરજીસી)ના નિર્માણમાં મદદરૂપ સાબિત થયું. નોંધનીય છે કે આ સંસ્થા બાદમાં ઈરાનમાં સૌથી શક્તિશાળી સંસ્થા બની ગઈ.
1981માં અયાતુલ્લાહ અલી ખામેનેઈ ઈરાનના રાષ્ટ્રાધ્યક્ષ બની ગયા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












