મહિલાઓ શા માટે જાતીય સતામણી વિશે સોશિઅલ મીડિયામાં લખી રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, દિવ્યા આર્ય
- પદ, બીબીસી સંવાવદાતા
કામની જગ્યાએ એક મહિલાની પરવાનગી વગર કોઈ પુરુષ તેને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે, શારીરિક સંબંધ બાંધવાની માગ કરે અથવા અભદ્ર ભાષાનો ઉપયોગ કરે તો મહિલાએ શું કરવું જોઈએ?
સોશિઅલ મીડિયામાં તેનું નામ જાહેર કરવું જોઈએ કે કાયદા પ્રમાણે જાતીય સતામણીના કેસ માટે નક્કી 'આંતરિક ફરિયાદ કમિટી'માં તેની ફરિયાદ કરવી જોઈએ?
આ સવાલ એટલા માટે ઉઠ્યો છે કેમ કે રાયા સરકાર નામનાં એક વકીલે યુનિવર્સિટીઓમાં ભણી રહેલી વિદ્યાર્થિનીઓને અપીલ કરી જણાવ્યું કે જો તેઓ ક્યારેય પણ જાતીય સતામણીનો ભોગ બની હોય તો તેમને જણાવે.
તમને આ પણ વાંચવું ગમશે:
મહિલાઓ દ્વારા મોકલવામાં આવેલી માહિતીની આધારે રાયા સરકારે મહિલાઓની ઓળખ આપ્યા વગર ફેસબુક પર 68 પ્રોફેસરના નામ રજૂ કર્યાં હતાં.
તેમાંથી વધારે પડતા ભારતીય હતા અને પ્રખ્યાત યુનિવર્સિટીઓમાં ભણાવે છે.
નામ જાહેર કરતાં પહેલાં તેઓની પરવાનગી લેવામાં આવી નથી.
તેઓ સામે લગાવવામાં આવેલા આરોપોની કોઈ જાણકારી આપવામાં આવી નથી અને તે આરોપોની કોઈ સંસ્થાગત કે કાયદા પ્રમાણે તપાસ પણ કરવામાં આવી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વકીલે પોતાના ફેસબુક પેજ પર લખ્યું છે કે તેમનો ઉદ્દેશ આ પ્રોફેસરોને બદનામ કરવા સિવાય અન્ય વિદ્યાર્થિનીઓને ખતરાની માહિતી આપવાનો છે.
એક પોસ્ટમાં એમ પણ લખ્યું છે કે તેમને અપેક્ષાથી વધુ સંદેશાઓ આવી રહ્યા છે.
તેમનો પ્રયત્ન છે કે તેઓ નામ જાહેર કરવા સિવાય મહિલાઓને સલાહ આપે કે તેઓ કાયદાની પણ મદદ લઈ શકે છે કે નહીં?

અલગ અલગ મત

ઇમેજ સ્રોત, Getty Images
આ રીત યોગ્ય છે કે અયોગ્ય, તેના પર મત અલગ અલગ છે.
પ્રશ્ન એ થાય છે કે આટલી બધી મહિલાઓને જાતીય સતામણીના કેસમાં કાયદાનો ઉપયોગ કેમ નથી કરતી?
તપાસ કમિટી પાસે જવામાં શું મુશ્કેલી નડે છે? તે પ્રક્રિયામાં શું ઊણપ છે?
વકીલને ફરિયાદ મોકલનારી એક મહિલા સોનલ કેલોગે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે તેમણે આવું એટલા માટે કર્યું કેમ કે તેઓને કાયદા અને પ્રક્રિયા પર ભરોસો નથી.
તેના કહેવા મુજબ એક વિદ્યાર્થિનીને પોતાના વરિષ્ઠ પ્રોફેસર સામે ફરિયાદ કરવા માટે ખૂબ જ હિમ્મતની જરૂર હોય છે.

ઇમેજ સ્રોત, PA
ત્યારબાદ પણ તપાસ સમિતિમાં તેને જ મહત્વ આપવામાં આવે છે અને સંસ્થાનો વ્યવહાર પણ મદદના પક્ષમાં હોતો નથી.
તેમની અને તેમના મિત્રની જાતીય સતામણીની ફરિયાદ એક જ વ્યક્તિ સામે હતી.
જેમની તેમણે ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરને ફરિયાદ કરી હતી પરંતુ તેના પર કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા.
તે માને છે કે સોશિઅલ મીડિયા પર આ રીતે નામ જાહેર કરવાનો દુરુપયોગ થઈ શકે છે.
પરંતુ તેઓ કહે છે, ''સાર્વજનિક રીતે બદનામ કરવાથી અન્ય મહિલાઓને તાકાત મળે છે."

"જે કોઈને પણ તે માણસથી મુશ્કેલી હોય કે કોઈ અન્ય માણસથી, અને સાથે જ આ મુદ્દા પર વાતચીત શરૂ થાય છે.''
પરંતુ હાલના કાયદામાં શું ઊણપ છે? અથવા તેને લાગુ પાડતા શું મુશ્કેલીઓ આવે છે?
કામની જગ્યા પર જાતીય સતામણીને રોકવા માટે કાયદો મહિલા આંદોલનની ઘણા દશકોની મહેનતનું પરિણામ છે.
1997 પહેલાં કામની જગ્યાએ જાતીય સતામણી માટે કોઈ વિશેષ કાયદો નહોતો.
એક કેસમાં નિર્ણય આપતા સમયે સુપ્રીમ કોર્ટે 1997માં તેના માટે પહેલી વખત નિર્દેશ જાહેર કર્યો હતો. જે 2013માં કાયદો બન્યો હતો.
કાયદા પ્રમાણે જાતીય સતામણીની ફરિયાદ કરતી વખતે સંસ્થાની જવાબદારી છે કે તે એક ફરિયાદ કમિટીની રચના કરે. જેની અધ્યક્ષતા એક મહિલા કરે.

ઇમેજ સ્રોત, Thinkstock
તેમાં અડધાથી વધારે સભ્યો મહિલાઓ હોય અને તેમાં જાતીય શોષણના મુદ્દા પર કામ કરી રહેલી ગેર-સરકારી સંસ્થાની એક પ્રતિનિધિ પણ સામેલ હોય.
આવી ઘણી કમિટી પર જાતીય શોષણના મુદ્દા પર કામ કરી રહેલી કોઈ બહારની પ્રતિનિધિ તરીકે કામ કરી રહેલી ફેમિનિસ્ટ લક્ષ્મી મૂર્તિ પ્રમાણે કાયદો ખૂબ જ મહત્વ ધરાવે છે.
આ કાયદો મહિલાઓને પોતાના કામની જગ્યા પર રહેતા સજા અપાવવાનો ઉપાય આપે છે.
એટલે કે આ જેલ અને પોલિસના આકરા રસ્તાથી અલગ ન્યાય માટે વચ્ચેનો રસ્તો પૂરો પાડે છે.
તેણી જણાવે છે. ''આવા કેસમાં સામાન્ય રીતે મહિલા પોલિસ કે જેલનો રસ્તો શોધતી નથી, પરંતુ ઈચ્છે છે કે સંસ્થાના સ્તર પર આરોપી સામે પગલાં લેવામાં આવે, કોઈ દંડ ફટકારવામાં આવે કે ચેતવણી આપવામાં આવે.''
પરંતુ આ પ્રક્રિયામાં સંસ્થાનું આ જ પ્રભુત્વ મુશ્કેલી પેદા કરી સકે છે. તપાસ સમિતિની રચના સંસ્થાની જવાબદારી છે અને તેના સભ્યો પણ તે જ પસંદ કરે છે.

સમિતિઓમાં માત્ર છેતરપિંડી

આવી જ એક સમિતિમાં પોતાની ફરિયાદ લઈ જનારી પત્રકાર એસ. અકિલા આરોપ લગાવે છે કે આવી સમિતિઓ માત્ર છેતરપિંડી માટે હોય છે અને સતામણી કરનારાને બચાવવા માટે રચવામાં આવી હોય છે.
એસ. અકિલાના કેસમાં સમિતિનો નિર્ણય તેના હકમાં ના આવ્યો અને તેના વરિષ્ઠ સહકર્મી નિર્દોષ જાહેર થયા હતા.
બીબીસી સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું, ''તે એટલા તાકતવર હતા કે મારી સાથે કામ કરનારી મહિલાઓએ જ તેમનો સાથ આપ્યો."
"આવી સ્થિતીમાં જો સોશિઅલ મીડિયાના ઉપયોગથી નામ બહાર આવે તો આ બીજા લોકો માટે ચેતવણીરૂપ કાર્ય હશે.''
દરેક સમિતિ પક્ષપાત કરે તે ક્યારેય જરૂરી નથી
પરંતુ લક્ષ્મી માને છે કે તેના અનુભવ પ્રમાણે સમિતિ વધારે કારગર રહી છે જ્યારે ફરિયાદ સરખા જ હોદ્દા ધરાવનારા વ્યક્તિ સામે કરવામાં આવી હોય ના કે ઉચ્ચ હોદ્દાવાળા વ્યકિતની.
આ બધી વાત વચ્ચે તેઓ એવું માને છે કે સોશિઅલ મીડિયા પર નામ જાહેર કરવું તે પણ ઉપાય નથી.

ઇમેજ સ્રોત, THINKSTOCK
આ પહેલી વખત નથી કે કોઈએ ઇન્ટનેટ પર પોતાની આપવીતી જાહેર કરી હોય.
વર્ષ 2013માં એક મહિલાએ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ સામે(તેનું નામ લીધા વગર) જાતીય સતામણીનો આરોપ લગાડતો એક બ્લોગ લખ્યો હતો.
તેણે પણ તપાસ સમિતિનો ઉપયોગ કર્યો નહોતો. જો કે તે મુદ્દો ફરી મીડિયાની નજરમાં આવ્યો અને વરિષ્ઠ વકીલ ઇંદિરા જયસિંગે તેના વિશે લખ્યું હતું.
એક તપાસ સમિતિની પણ રચના થઈ અને તેમાં જસ્ટિસ એકે ગાંગુલીને સતામણીના દોષી પણ માનવામાં આવ્યા.
સામે આવવું અને ફરિયાદ કરવી એક મહત્વની શરૂઆત છે.
સોનલ કેલોગ બાળ જાતીય શોષણથી બચનાર વ્યક્તિ છે અને પોતાના જેવી અન્ય મહિલાને સાથ આપવા અને શોષણ વિરુદ્ધ બોલવા માટે એક વેબસાઇટ ચલાવે છે.
તો શું ઈન્ટરનેટ દ્વારા કોઈ પ્રકારે ન્યાયની શરૂઆત થઈ શકે છે અથવા તેની સાથે કોઈ ખતરો જોડાયેલો છે? ન્યાય માટેનો રસ્તો કાયદાની પ્રક્રિયાથી જ નીકળે છે?
વાતો ચાલુ છે પર એટલું તો નક્કી છે કે જે મહિલાઓએ(પોતાની ઓળખ છુપાવીને) સોશિઅલ મીડિયા પર લોકોનાં નામ આપ્યાં છે હવે તેઓએ જવાબી કાયદા પ્રક્રિયાનો સામનો પણ કરવો પડે એવી શક્યતા નકારી શકાય નહીં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












