જીએસટીમાં ઘટાડો સમજો આ પાંચ મુદ્દામાં

ગુડ્ઝ એન્ડ સર્વિસિઝ ટેક્સ (જીએસટી)ને બાબતે ઉઠી રહેલા સવાલો અને ટીકાઓ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમાં સમીક્ષા અને પરિવર્તનની વાત કરી હતી.

6 ઑક્ટોબરે દિલ્હીમાં યોજાયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં કેટલાંક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.

તમને આ વાંચવું પણ ગમશે

નાણાંમંત્રી અરૂણ જેટલીએ જીએસટીની જોગવાઈઓમાં નાના વેપારીઓ માટે છૂટની જાહેરાત કરી છે.

નાના વેપારીઓને મળી થોડી છૂટ

દોઢ કરોડ રૂપિયા સુધીનું ટર્નઑવર ધરાવતા વેપારીઓને દર મહિને જીએસટી ચૂકવવામાંથી છૂટ મળશે, તેઓ ત્રણ મહિનાના અંતરાલમાં જીએસટી ચૂકવી શકશે.

એક કરોડ રૂપિયા સુધીની આવક ધરાવતા રેસ્ટોરાં માલિકોને હવે 5 ટકા ટેક્સ આપવો પડશે.

રિવર્સ ચાર્જના કારણે વેપારીઓમાં ભ્રમણાઓ ફેલાઈ છે. રિવર્સ ચાર્જની વ્યવસ્થા 31 માર્ચ, 2018 સુધી સ્થગિત રાખવામાં આવી છે.

નિકાસકારો માટે ઈ-વૉલેટ બનાવાશે

નિકાસકારોને વૈશ્વિક બજારમાં હરિફાઈ કરવાની હોય છે. આ મુદ્દે બનેલી એક સમિતિની ભલામણમાં કહેવાયું છે કે નિકાસકારોનું ક્રેડિટ મોટાં પ્રમાણમાં બ્લૉક થયેલું છે.

10 ઑક્ટોબરથી નિકાસકારોને જુલાઈ અને ઑગસ્ટનું રિફંડ આપવાનો નિર્ણય કરાયો છે. સમિતિએ એક સમાધાન પણ સૂચવ્યું છે, દરેક નિકાસકાર માટે ઈ-વૉલેટ બનાવવામાં આવશે.

એપ્રિલ, 2018થી ઈ-વૉલેટ વ્યવસ્થા પર કામ શરૂ કરવાની કોશિશ કરાશે

ખાખરા અને અનબ્રાન્ડેડ નમકીન પરનો જીએસટી ઘટ્યો

ખાખરા પર ટેક્સનો દર 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે, બ્રાન્ડ વગરના નમકીન પરનો ટેક્સ 12 ટકાથી 5 ટકા, બ્રાન્ડ વગરની આયુર્વેદિક દવાઓ પર પણ કર 12 ટકાથી ઘટાડીને 5 ટકા, બાળકોના ફૂડ પૅકેટ પર 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે.

કેટલાંક સ્ટેશનરી ઉત્પાદનોમાં પણ રાહત મળી

માર્બલ અને ગ્રેનાઈટ સિવાયના જમીન પર ઉપયોગ થનારા પથ્થરો પર લાગનારો કર 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે.

કેટલાંક સ્ટેશનરી ઉત્પાદનો પરનો ટેક્સ 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે.

ડીઝલ એન્જિનના પાર્ટ્સ પર ટેક્સનો દર 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે, ઉપરાંત જરીવાળી કામગીરી પર ટેક્સ ઓછો કરવામાં આવ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો