જે પાકિસ્તાન પાસેથી ક્રિકેટ શીખ્યા પછી અફઘાન ક્રિકેટરોએ એને છોડી, ભારત કેમ પસંદ કર્યું?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતમાં ચાલી રહેલી વર્લ્ડ કપ શ્રેણીમાં ઘણી દિગ્ગજ ટીમોને હરાવીને આશ્ચર્યજનક જીતનો આનંદ માણી રહી છે. આ મામલામાં ભારતીય ટીમ પછી અફઘાનિસ્તાન એવી ટીમ છે જેને ભારતીય ક્રિકેટ ચાહકોનો પ્રેમ મળ્યો છે.

પહેલા અફઘાનિસ્તાનની ટીમે વર્તમાન ચૅમ્પિયન ઇંગ્લૅન્ડને હરાવીને અપ-સેટ સર્જ્યો અને પછી પાકિસ્તાનને હરાવીને ઇતિહાસ રચ્યો.

પરંતુ સોમવારે જ્યારે અફઘાનિસ્તાને શ્રીલંકાને સાત વિકેટે સરળતાથી હરાવી દીધું ત્યારે ક્રિકેટ નિષ્ણાતોના મતે અફઘાનિસ્તાન માટે આ જીત હતી. હવે આને વિપરીત ઘટના ન કહી શકાય. તેના બદલે એમ કહી શકાય કે આ ટીમ ક્રિકેટની ક્ષિતિજ પર કાયમી શક્તિ બનીને ઊભરી છે.

ભારતના ક્રિકેટ ચાહકો પોતાની ટીમ પછી જો કોઈ ટીમને સપોર્ટ કરે છે તો તે અફઘાનિસ્તાનની ટીમ છે. અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ માટેનો આ પ્રેમ માત્ર ચાહકો સુધી સીમિત નથી. પ્રખ્યાત ભૂતપૂર્વ ભારતીય ખેલાડીઓ ઇરફાન પઠાણ અને હરભજન સિંહ જેવા કોમેન્ટેટર પણ અફઘાનિસ્તાનની ટીમની જીતની ખુશીમાં નાચતા અને અફઘાનિસ્તાનની ટીમની જીતના આનંદને શૅર કરતા જોવા મળ્યા હતા.

તો અફઘાનિસ્તાન ટીમના ખેલાડીઓ અને અફઘાનિસ્તાનના નાગરિકો સોશિયલ મીડિયા પર પ્રશંસા કરવા બદલ ભારતીયોનો આભાર માની રહ્યા છે.

ભારત અફઘાનિસ્તાન માટે બીજા ઘર તરીકે ઓળખાય છે. આવી સ્થિતિમાં એ પ્રશ્ન ચોક્કસ થાય કે ભારતમાં અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ કેમ આટલી લોકચાહના ધરાવે છે?

“અફઘાનિસ્તાનને ક્રિકેટ પાકિસ્તાને શીખવ્યું”

અમે આ સવાલ કૅનેડાના પત્રકાર મોઇનુદ્દીન હમિદને પૂછ્યો. હમિદે પાકિસ્તાનના ક્રિકેટ ખેલાડી અને પૂર્વ કપ્તાન સલિમ મલિક વિશે એક પુસ્તક લખ્યું છે.

બીબીસી સાથે વાત કરતા હમિદે જણાવ્યું કે આની પાછળ ઐતિહાસિક અને રાજકીય કારણો છે.

તેઓ જણાવે છે, “અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે ઐતિહાસિક કરાર છે. અફઘાનિસ્તાન, પાકિસ્તાન કરતા ભારતને વધારે પસંદ કરે છે. હવે આવી જ સ્થિતિ ભારતમાં પણ છે”

તેઓ કહે છે ભારતે અફઘાનિસ્તાનને દરેક તબક્કે મદદ કરી છે અને લાખો શરણાર્થીઓને પણ શરણું આપ્યું છે. પાકિસ્તાને પણ અફઘાનિસ્તાનના ક્રિકેટમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નીભાવી છે પણ પાકિસ્તાનના લોકો એ જાણતા નથી. જ્યારે વાત ભારત-પાકિસ્તાનની આવે છે તો એવું જોવા મળ્યું છે કે અફઘાનિસ્તાન પરંપરાગત રીતે ભારતને સપોર્ટ કરનારું રહ્યું છે.

તેઓ કહે છે, “ક્રિકેટની વાત કરીએ તો પાકિસ્તાની ખેલાડીઓ હતા જેમણે અફઘાન ખેલાડીઓને ક્રિકેટ રમતા શીખવ્યું અને બેટિંગ કેવી રીતે કરવી તે શીખવ્યું, કબિર ખાન, રાશિદ લતિફ, ઇન્ઝામ ઉલ-હક, ઉમર ગુલ અફઘાનિસ્તાન ગયા અને ત્યાંના ખેલાડીઓને તાલીમ આપી.”

કેટલાક અફઘાનિસ્તાની ક્રિકેટર્સ જેવા કે રાશિદ ખાન જ્યારે પાકિસ્તાનમાં શરણાર્થી હતા ત્યારે ક્રિકેટ શીખ્યા અને અભ્યાસ પણ ત્યાં જ કર્યો.

મોઇનુદ્દીન કહે છે રાશિદ ખાનનો પાકિસ્તાનને બદલે ભારત તરફનો ઝુકાવ અગમ્ય છે.

ભારત બીજું ઘર છે

અફઘાનિસ્તાનમાં અમેરિકાના સૈનિકો તહેનાત થયા બાદ ભારતે ત્યાંના વિકાસ કાર્યોમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું. 2021માં, તાલિબાન અફઘાનિસ્તાનમાં સત્તામાં ફરી આવ્યું ત્યારથી ભારતે અફઘાન ક્રિકેટ ટીમને આશ્રય આપ્યો છે. ઘણા નિષ્ણાતો ભારતને અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના 'સેકન્ડ હોમ' તરીકે જુએ છે.

ફોન પર બીબીસી સાથે વાત કરતા સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ આદેશકુમારે કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે પાકિસ્તાનના ખેલાડીઓએ અફઘાનિસ્તાનની ટીમ બનાવી છે. પરંતુ તેમનું સમર્થન સમાપ્ત થયા બાદ ભારતે અફઘાન ખેલાડીઓને તાલીમ આપી. તેમને ભારતીય ક્રિકેટ બોર્ડે દિલ્હી નજીક નોઇડા અને દહેરાદૂનમાં તાલીમ આપી હતી.

તેમણે કહ્યું કે આ મામલે બંને દેશોના જૂના સંબંધો પણ મહત્ત્વપૂર્ણ છે. હવે અફઘાનિસ્તાનની ટીમ ભારતમાં મહત્ત્વની બની ગઈ છે કારણ કે ભારત અને પાકિસ્તાન માત્ર આઈસીસી સિરીઝમાં જ ટકરાશે.

આદેશ કુમાર કહે છે, “અફઘાન ખેલાડીઓ આઈપીએલમાં રમી રહ્યા છે, જ્યારે રાજકીય કારણોસર કોઈ પાકિસ્તાની ખેલાડી આઈપીએલમાં નથી રમી રહ્યા. અફઘાન ખેલાડીઓ યુવા ક્રિકેટ ચાહકોમાં લોકપ્રિય છે.”

જોકે વર્તમાન વર્લ્ડકપમાં અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમનું પ્રદર્શન જોતા લાગે છે કે વધુ અફઘાનિસ્તાન ખેલાડીઓ આઈપીએલમાં રમશે.

ભારતીય કંપની 'અમૂલ' બીસીસીઆઈની મદદથી અફઘાનિસ્તાન ટીમને સ્પોન્સર કરે છે. હાલમાં, તેમની ટીમને ભારતીય ક્રિકેટર અજય જાડેજા માર્ગદર્શન આપે છે.

સોશિયલ મીડિયા પર પણ ચર્ચા

અફઘાનિસ્તાન ટીમનો ભારત પ્રત્યેનો લગાવ અને ભારતમાં તેને મળેલા પ્રેમની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થાય છે.

એક સોશિયલ મીડિયા યુઝર અરફા ફિરોઝ ઝકે ઍક્સ પર લખે છે, "અફઘાન ખેલાડીઓ પાકિસ્તાનમાં ક્રિકેટ શીખ્યા. પરંતુ આશ્ચર્યજનક વાત છે કે તેઓ હંમેશાં ભારતને પોતાનું બીજું ઘર કહે છે. અફઘાનિસ્તાને હંમેશાં પાકિસ્તાન સામે ભારતને સમર્થન આપ્યું છે.”

અન્ય એક યુઝરે થેકાઈ પુલ્લાઈએ લખ્યું, “હું જાણું છું કે બીસીસીઆઈએ ઘણી બાબતો ખોટી કરી છે. પરંતુ તેમણે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમને આંતરરાષ્ટ્રીય મૅચ રમવા માટે સ્ટેડિયમ આપ્યું. ભારતે ક્રિકેટની તાલીમ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીને અફઘાનિસ્તાન ક્રિકેટમાં મોટી ભૂમિકા ભજવી છે.”

અને જો બીસીસીઆઈ ના હોત તો ક્રિકેટમાં અફઘાનિસ્તાનની સફર વધુ મુશ્કેલ બની હોત.

ઘણા સોશિયલ મીડિયા ઉપયોગકર્તા આની સાથે સહમત છે.

અનુપમા સિંહ નામના એક યુઝરે કહ્યું કે, "આ બિલકુલ સાચું છે અને અફઘાનિસ્તાન ટીમને ભારતમાં ભારે સમર્થન છે અને ખેલાડીઓ તેના માટે આભારી છે."

પત્રકાર નસરાના યુસુફઝાઈએ લખ્યું કે "અફઘાનિસ્તાનની ટીમે તાલિબાન સરકારના કોઈપણ સમર્થન વિના રમીને ઘણું હાંસલ કર્યું છે. તેઓ વિશ્વસ્તરે રમી રહ્યા છે. અફઘાનિસ્તાનની ટીમને જોવાની મજા આવે છે.”

અફઘાનિસ્તાનના ખેલાડીઓ અને ચાહકોએ ઇરફાન પઠાણના સેલિબ્રેશન અને ડાન્સની પ્રશંસા કરી તો પાકિસ્તાની ચાહકોએ તેની ટીકા કરી.

ફઝલ અફઘાન નામના સોશિયલ મીડિયો યુઝરે લખ્યું, "પડોશીઓ અમારી નિષ્ફળતા પર નાચવા માગે છે. પરંતુ અમારા ભાઈઓ અમારી જીત પર નાચે છે."

અફઘાનિસ્તાનના સોશિયલ મીડિયા યુઝર્સના ટ્વીટને જોઈને સ્પષ્ટ થાય છે કે તેઓ પાકિસ્તાનને પોતાની હરીફાઈ માને છે અને તેમની તમામ સ્પર્ધા પડોશી દેશ પાકિસ્તાન સાથે છે.

પત્રકાર મોઇનુદ્દીન હમીદે કહ્યું, "તે મારી સમજની બહાર છે કે અફઘાનિસ્તાનના ચાહકો ભારતને પ્રેમ કરે છે."

તેઓ કહે છે, “અફઘાનિસ્તાનની સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી છે. પાકિસ્તાન અફઘાનિસ્તાન માટે માર્ગ પણ પૂરો પાડે છે કારણ કે તેની પાસે બંદર નથી. ”

જેએનયુમાં પર્શિયનના પ્રોફેસર અને અફઘાનિસ્તાન બાબતોના નિષ્ણાત મુહમ્મદ મઝહરુલ હકે થોડા સમય પહેલા બીબીસીને કહ્યું હતું કે "અફઘાનિસ્તાન સાથે ભારતનો વેપાર પહેલાં કરતાં વધારે છે."

તાલિબાન સત્તામાં આવ્યા પછી હવે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રાજદ્વારી સંબંધો નથી. પરંતુ અફઘાનિસ્તાનમાં ભારતની હાજરી ટેકનિકલ સહયોગના સંદર્ભમાં ખૂબ જ મજબૂત છે એમ તેમણે જણાવ્યું હતું.

ભારતે અફઘાનિસ્તાનમાં ઘણા પ્રોજેક્ટ લોન્ચ કર્યા છે અને 24,000 કરોડથી વધુનું રોકાણ કર્યું છે.