મકરસંક્રાતિ દર વર્ષે 14 જાન્યુઆરીના રોજ જ કેમ ઉજવાય છે, એની તારીખ બદલાતી કેમ નથી?

મકરસંક્રાંતિ એક એવો તહેવાર છે જે આખા ભારતનાં અલગઅલગ રાજ્યોમાં જુદાજુદા નામથી અને અનેક રીતે ઊજવવામાં આવે છે.

ઉત્તર ભારતમાં તેને મકરસંક્રાંતિ કહે છે, તામિલનાડુમાં પોંગલ અને ગુજરાતમાં તે ઉત્તરાયણના નામે ઓળખાય છે.

જ્યારે આસામને તેને માઘી બિહુ કહે છે, કર્ણાટકમાં સુગ્ગી હબ્બા, કેરળમાં મકરવિક્લુ અને જમ્મુ-કાશ્મીરમાં મકરસંક્રાંતિને શિશુર સેંક્રાંતના નામે જાણીતો છે.

આ તહેવાર માત્ર ભારતમાં જ નહીં, નેપાળ અને બાંગ્લાદેશ જેવા પડોશી દેશોમાં પણ ઉજવાય છે. અલગઅલગ ધાર્મિક માન્યતાને આધારે લોકો તેને ઊજવે છે, પરંતુ આ તહેવાર પાછળ એક ખગોળીય ઘટના છે.

મકરનો મતલબ છે કૉન્સ્ટોલેશન ઑફ કૅપ્રિકૉન જેને મકર રાશિ કહે છે.

ખગોળવિજ્ઞાનના કૅપ્રિકૉન અને ભારતીય જ્યોતિષની મકરરાશિમાં થોડું અંતર છે.

ખગોળીય ગણિત

તારાઓથી બનનાર એક ખાસ પૅટર્નને કૉન્સ્ટોલેશન કહેવાય છે.

પ્રાચીનકાળથી દુનિયાની લગભગ દરેક સભ્યતામાં લોકોએ તેના આકારને આધારે તેનાં નામ આપ્યાં છે.

ખગોળીય કૉન્સ્ટોલેશન અને જ્યોતિષની રાશિઓ સામાન્ય રીતે મળતી આવે છે, પરંતુ તે એક નથી.

સંક્રાંતિનો અર્થ સંક્રમણ એટલે કે ટ્રાન્ઝિશન. આજના દિવસે સૂર્ય સામાન્ય રીતે મકર રાશિમાં પ્રવેશ કરે છે.

આ વિન્ટર સોલિસ્ટિસ બાદ આવે છે. એટલે શિયાળાની સૌથી લાંબી રાત 22 ડિસેમ્બર પછી.

બદલાવનો સમય

કહેવાય છે કે મકરસંક્રાંતિ બાદ દિવસો લાંબા થતા જાય છે અને રાતો ટૂંકી.

આ વાત ટૅકનિકલી સાચી છે, કેમ કે નૉર્ધર્ન હૈમિસ્ફિયર (ઉત્તરી ગોળાર્ધ)માં 14-15 જાન્યુઆરી બાદ સૂર્યાસ્તનો સમય ધીમેધીમે આગળ વધતો જાય છે.

પછી આવે છે 20 માર્ચની તારીખ. તેને ઇક્વિનૉક્સ કહેવાય છે, ત્યારે દિવસ અને રાત બંને સરખા હોય છે. એનો મતલબ કે સૂર્ય ઉત્તરી ગોળાર્ધમાં લગભગ વચોવચ છે.

સૂર્યાસ્તનો સમય ધીમેધીમે આગળ વધવાનો મતલબ છે કે ઠંડી ઓછી થશે અને ગરમી વધશે, કેમ કે સૂર્ય ઉત્તરી ગોળાર્ધની સીધમાં વધુ સમય સુધી રહેશે.

મકરસંક્રાંતિને ઉત્તરાયણ એટલા માટે કહેવાય છે કે સૂરજ દક્ષિણી ગોળાર્ધથી ઉત્તર ગોળાર્ધ તરફ આવવા લાગે છે.

આ પ્રક્રિયા સમર સોલિસ્ટિસના દિવસે પૂરી થાય છે, જે દિવસે સૌથી લાંબો દિવસ હોય છે, તારીખ હોય છે 21 જૂન.

14-15 જાન્યુઆરી જ શા માટે?

મકરસંક્રાંતિ એટલે કે સૂર્યનો ધન રાશિથી મકર રાશિમાં પ્રવેશનો સંક્રમણકાળ.

આમ તો ભારતમાં પ્રચલિત બધા હિંદુ કેલેન્ડર ચંદ્રમા પર આધારિત છે, એટલા માટે હિંદુ તહેવારોની અંગ્રેજી તારીખ બદલાતી રહે છે.

હાલના સમયમાં જે કૅલેન્ડરનો ઉપયોગ થાય છે તેને ગ્રેગોરિયન કેલેન્ડર કહેવાય છે, જે સોલર કૅલેન્ડર છે, એટલે કે સૂર્ય પર આધારિત કૅલેન્ડર છે.

મકરસંક્રાંતિ એક એવો તહેવાર છે જે ધરતીના તુલનામાં સૂર્યની સ્થિતિને આધારે ઊજવવામાં આવે છે.

એટલા માટે ચંદ્રમાની સ્થિતિમાં થોડા ફેરફારને કારણે તે ક્યારેક 14 જાન્યુઆરી હોય છે, તો ક્યારેક 15 જાન્યુઆરી.

પણ સૂર્યની મુખ્ય ભૂમિકા હોવાને લીધે અંગ્રેજી તારીખ નથી બદલાતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.