You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સ્વીડનમાં કુરાન સળગાવવાની ઘટના વારંવાર કેમ થઈ રહી છે?
- લેેખક, ઇલગિન કાર્લીડૅંગ
- પદ, સ્વીડન
સ્વીડનમાં કુરાન સળગાવવાના વિવાદે વિદેશમાં તેની છબી પર ગંભીર અસર છોડી છે. સિક્યૉરિટી સર્વિસ સૅપોએ ચેતવણી આપી છે કે આના કારણે દેશમાં સુરક્ષાની સ્થિતિ ઘણી ખરાબ છે.
મોટા ભાગે મુસ્લિમ બહુમતીવાળા દેશોએ આના પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ગત સપ્તાહમાં ઇરાકમાં પ્રદર્શનકારીઓએ જ્યારે સાંભળ્યું કે સ્ટૉકહૉમમાં પોલીસે કુરાનની વધુ પ્રતોને સળગાવવાની મંજૂરી આપી છે, તો તેમણે સ્વીડનના દૂતાવાસમાં આગ ચાંપી દીધી.
આ મુદ્દે સ્વીડિશ લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે, કેમ કે અહીં બોલવાની આઝાદીનો ઐતિહાસિક અને મૂળભૂત અધિકાર 1766થી જ છે.
સ્ટૉકહૉમ યુનિવર્સિટીના ફૅકલ્ટી ઑફ લૉના પ્રોફેસર માર્ટેન શુલ્ટ્ઝે કહ્યું, “બોલવાની સ્વતંત્રતાની રક્ષા કરવા માટે સ્વીડન પાસે દુનિયાનો સૌથી મજબૂત કાયદો છે.”
આ દેશે પોતાનો ઇશનિંદા કાયદો પણ 1970ના દાયકામાં જ રદ કરી દીધો હતો.
એનું બંધારણ દરેક મામલે બોલવાની આઝાદીનો અધિકાર આપે છે જેમાં ધાર્મિક સંદેશા પર સવાલ ઉઠાવવાથી લઈને આવા સવાલ કરવાનું પણ સામેલ છે જેને આસ્થાવાળા લોકોને ઠેસ પહોંચાડનાર બાબત માનવામાં આવે છે.
પરંતુ સ્વીડનના દક્ષિણપંથી વલણવાળી સરકાર હવે એ કાયદામાં બદલાવ પર વિચાર કરી છે જેનાથી સ્ટૉકહૉમમાં કુરાન સળગાવવાને મંજૂરી મળેલી છે.
એ કાનૂન જે વાણી સ્વાતંત્ર્ય આપે છે
આ વર્ષની શરૂઆતમાં પુસ્તક સળગાવવાના બે કાર્યક્રમની મંજૂરી આપવાને પોલીસે ઇનકાર કરી દીધો હતો, કેમ કે તેનાથી સ્વીડન પર હુમલાનું જોખમ વધી શકતું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પુસ્તક સળગાવવા પર પ્રતિબંધ લગાવવા માટે તેમણે સાર્વજનિક કાયદા વ્યવસ્થાનો આધાર આપ્યો હતો.
પરંતુ અદાલતે પોલીસના નિર્ણયને પલટાવી દીધો અને કહ્યું કે આ સભાઓથી સુરક્ષાના જોખમને કોઈ ખાસ લેવાદેવા જણાતી નથી.
કાયદા અનુસાર લોકોના ભેગા થવા પર ત્યારે પ્રતિબંધ લગાવી શકાય છે જ્યારે સાર્વજનિક સુરક્ષા જોખમમાં હોય.
ગત સપ્તાહમાં એક ઇરાકી ઈસાઈ શરણાર્થીને મંજૂરી આપવામાં આવી હતી. એક મહિનામાં આ બીજો સ્ટંટ હતો.
ટીકાકારોનું કહેવું છે કે યહૂદીઓના નરસંહાર બાદ 1949થી જ સ્વીડનમાં જાતીય સમૂહો વિરુદ્ધ ભડકાઉ કાર્યવાહી પર પ્રતિબંધ લાદનારો કાયદો લાગુ છે.
પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે કુરાન સળગાવવાની કાર્યવાહી લોકો કરતા એક પુસ્તકની વિરુદ્ધ છે, આથી લોકોના ભેગા થવા પર પ્રતિબંધ લગાવવાના સંદર્ભમાં કાયદાની આ વ્યાખ્યા યોગ્ય નથી.
પ્રોફેસર સુલ્ટ્ઝે બીબીસીને કહ્યું, “વાણી સ્વાતંત્ર્ય અમારી બંધારણીય સંસ્કૃતિનો હિસ્સો છે. આ માત્ર કાયદો નથી પણ મૂળભૂત સિદ્ધાંત પણ છે.”
પણ એનું એક મહત્ત્વ છે.
આ પ્રકારના પ્રદર્શનને કોર્ટની મંજૂરીએ તુર્કીના રાષ્ટ્રપતિ રૈચપ તૈયપ આર્દોઆનને નારાજ કરી દીધા. વળી નૅટો સૈન્ય સંગઠનમાં સ્વીડનના સામેલ થવાનો મામલો પણ કાચો પડતો દેખાઈ રહ્યો હતો.
સ્વીડનની સિક્યૉરિટી સર્વિસ અનુસાર, “પુસ્તક સળગાવવું અને ખોટી માહિતીઓ ફેલાવવા માટેના અભિયાને સ્વીડનની છબીને એક સમજદાર દેશની જગ્યાએ ઇસ્લામ અને મુસ્લિમ વિરોધી દેશમાં બદલી નાખી છે.”
રશિયા પર ખોટી માહિતીઓ ફેલાવવાનો આરોપ
સૅપોએ સ્વીડનના પાંચ તબક્કાવાળા ચરમપંથી જોખમને લેવલ-3 પર લાવી દીધું છે. સૅપોનું કહેવું છે કે ‘સુરક્ષા પોલીસ આ સમયે સ્વીડન અને સ્વીડિશ હિતો પર સીધા હુમલાના જોખમનો સામનો કરી રહી છે.’
સરકારે મૉસ્કો પર ખોટી માહિતી પ્રસારિત કરવાનું અભિયાન ચલાવવાનો આરોપ લગાવ્યો છે.
વડા પ્રધાન ઉલ્ફ ક્રિટરસને કહ્યું, “રશિયા એવી ખોટી માહિતીઓ ફેલાવી રહ્યું છે કે ધાર્મિક ગ્રંથોના અપમાનના મામલામાં સ્વીડન સરકારનો હાથ છે. આ એકદમ ખોટું છે.”
સૅપોએ કહ્યું કે ફેક ન્યૂઝ અભિયાનમાં એ પણ દાવો કરાઈ રહ્યો છે કે મુસલમાનો પર હુમલા થઈ રહ્યા છે અને સોશિયલ સર્વિસ મુસ્લિમ બાળકોનું અપહરણ કરી રહી છે.
સ્વીડનના કલાકાર લાર્સ વિલ્ક્સે 2007માં એક મરેલા કૂતરા સાથે મહમદ પયગંબરની તસવીર બનાવી હતી.
ત્યાર બાદ વાણી સ્વાતંત્ર્યવાળા સ્વીડનમાં ઉદારવાદી કાયદાને લઈને ક્યારેય આટલી ટીકા થઈ નથી.
વિલ્ક્સની તસવીર બાદ હિંસક હુમલા થયા. સ્વીડનમાં તેમના ઘરે પણ હુમલો થયો અને 2014માં પાડોશી દેશ ડેનમાર્કમાં પણ તેમનાં ઠેકાણાંને નિશાન બનાવાયાં.
જે કટ્ટર દક્ષિણપંથી ઍક્ટિવિસ્ટ રાસમુસ પૅઢલૂને નવો વિવાદ પેદા કર્યો છે, અસલીમાં તેમને આ પહેલાં પણ જાન્યુઆરીમાં તુર્કી દૂતાવાસ બહાર કુરાન સળગાવવાની મંજૂરી આપવામાં આવી હતી.
સ્વીડનની વિપરીત ડેનમાર્કમાં લોકોને કોઈ જગ્યાએ ભેગા થવા માટે મંજૂરીની જરૂર નથી હોતી.
માત્ર આ જ સપ્તાહે એક કટ્ટર દક્ષિણપંથી ગ્રૂપ ડેનીશ પેટ્રિયોટ્રસે કૉપેનહેગનમાં ઇરાકી દૂતાવાસ બહાર કુરાનની પ્રતો સળગાવી હતી.
આને લઈને સંયુક્ત રાષ્ટ્રમાં પણ હંગામો મચી ગયો, જ્યાં કેટલાય યુરોપીય દેશોએ કહ્યું કે પવિત્ર પુસ્તક સળગાવવું આક્રમકતા અને અપમાન છે, પરંતુ એ કોઈ આંતરરાષ્ટ્રીય કાયદા અંતર્ગત નથી આવતું.
તુર્કીએ આંતરરાષ્ટ્રીય જગતને આવી નફરત ફેલાવનારા અપરાધ પર સંયુક્ત કાર્યવાહી કરવાની અપીલ કરી જે કરોડો મુસ્લિમોને ઠેસ પહોંચાડે છે.
53 ટકા સ્વીડિશ લોકો પવિત્ર ગ્રંથો સળગાવવાની વિરોધમાં
સ્વીડનના વામપંથી વલણ ધરાવતા મધ્યમાર્ગી વિપક્ષે સરકારને કહ્યું કે તે આ મામલે પોતાની મંશા સ્પષ્ટ કરે.
સ્વીડનના નાગરિકોને પારંપરિકરૂપે લઘુમતીઓ પ્રત્યે સન્માનનો ભાવ રાખનારના રૂપમાં જોવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદને લીધે દેશમાં જનમાનસ પર પ્રભાવ પડવો નક્કી છે.
સરકારી એસટીવીના એક સર્વે અનુસાર 53 ટકા સ્વીડિશ લોકો પવિત્ર ગ્રંથો સળગાવવાના વિરોધમાં છે, જેમ કે કુરાન અથવા બાઇબલ. જ્યારે 34 ટકાનું માનવું છે કે આની મંજૂરી હોવી જોઈએ.
પરંતુ કુરાન સળગાવવાની બાબતને ઇસ્લામોફોબિક ગણાવતા વિદેશ મંત્રાલય તરફથી થયેલી ટીકાએ વાણી સ્વાતંત્ર્યના અધિકારને લઈને ચર્ચા છેડી દીધી છે.
કેટલાક લોકોને લાગે છે કે પ્રતિક્રિયા ઘણી જ અયોગ્ય છે.
સ્વીડિશ લેખકોના એક સમૂહે દેશમાં ફરી ઇશનિંદાનો કાયદો ન લાવવા જનતાને અપીલ કરી છે.
ધર્મ કોઈ વ્યક્તિ નથી અને જે તર્ક આપવામાં આવે છે તેની ટીકા પણ તેમણે સાંભળવી જોઈએ, જોકે આ ઠેસ પહોંચાડવી અથવા મજાક ઉડાવવાથી અલગ છે.
સ્વીડનમાં ઇસ્લામિક ફેડરેશનના વડાએ ફરિયાદ કરી છે કે મુસ્લિમ સંગઠનોએ જ્યારે સરકાર સાથે વાતચીત કરવાની કોશિશ કરી તો તેમણે કોઈ જવાબ ન આપ્યો.
મહમૂદ ખલ્ફીએ કહ્યું, “તમારે કડક રીતે આ વિશે વાત કરવી પડશે. વિશ્વને સંકેત આપો કે અમે આને ગંભીરતાથી લઈએ છીએ અને તેનો ઉકેલ લાવીશું.”
હાલ સ્વીડન એ સમજવાની પૂરી કોશિશ કરી રહ્યું છે કે વર્તમાન સંકટ પાછળ કેટલાક ગણતરીના લોકો છે, ન કે સરકાર.
સ્વીડન સરકાર વાણી સ્વાતંત્ર્ય સાથે સંબંધિત પોતાને ત્યાંના કાયદાની જટિલતાને લઈને ઈરાન, ઇરાક, અલ્જિરિયા અને લેબનનને સમજાવવાની સતત કોશિશ કરી રહી છે.