હાર્દિક પંડ્યા પર ટી20 વર્લ્ડકપમાં 'ભારતીય ટીમની કપ્તાની' મામલે રોહિત શર્મા કેમ ભારે પડ્યા?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, વિમલ કુમાર
- પદ, બીબીસી માટે
25 ડિસેમ્બર 2023ની વાત છે, દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ટેસ્ટ સિરીઝ શરૂ થતા પહેલાં સેન્ચુરિયનમાં રોહિત શર્મા પત્રકાર પરિષદમાં હાજર હતા.
સવાલ ટેસ્ટ સિરીઝને લઈને થઈ રહ્યા હતા તો મેં એક-બે સવાલ આમ તેમ ફેરવીને જૂનમાં યોજાનારા વર્લ્ડકપની કૅપ્ટનશિપને લઈને પૂછવાનો પ્રયત્ન કર્યો. કારણ કે તે સમયે બધે જ અંદરખાને એ જ ચર્ચા હતી કે હાર્દિક પંડ્યા ટી-20 ફૉર્મેટમાં નવા કૅપ્ટન હશે અને રોહિત શર્માની સાથે-સાથે વિરાટ કોહલીને વધુ એક વર્લ્ડકપમાં રમવાની તક નહીં મળે.
રોહિતે આ સવાલોને એ જ રીતે ટાળવાનો પ્રયત્ન કર્યો જેમ કે બેટિંગ કરતી વખતે તેઓ સિંગલ રન લઈને પીચની સામેની બાજુ જતા રહે છે.
પણ વારંવાર આગ્રહ કરાતા રોહિત શર્માએ ચિડાવાની જગ્યાએ પોતાના પરિચિત મજાકિયા અંદાજનો ઉપયોગ કરીને આ લેખકને કહ્યું કે "હું સમજી રહ્યો છું કે તમે શું બોલવાનો પ્રયત્ન કરી રહ્યા છો. તમને જવાબ મળશે અને જલદી જ મળશે."
આમ કહીને તેઓ હસવા લાગ્યા અને તેમની સાથે ત્યા હાજર મીડિયાકર્મીઓ પણ હસવા લાગ્યા. કારણ કે વગર કંઈ કહે કદાચ રોહિત શર્માએ એ બધું જ કહી દીધું હતું જે મીડિયા સમજવા માગતું હતું.
જય શાહનો જવાબ

ઇમેજ સ્રોત, ANI
પણ 50 દિવસ બાદ રોહિત શર્માને પૂછાયેલા આ સવાલનો જવાબ બીસીસીઆઈના સચિવ જય શાહે વગર કોઈના પૂછે જ રાજકોટમાં ઇંગ્લૅન્ડ વિરુદ્ધની ત્રીજી ટેસ્ટ મૅચ પહેલાં આપી દીધો.
જય શાહે વેસ્ટઇન્ડીઝ અને અમેરિકામાં યોજાનારા વર્લ્ડકપ માટે ન માત્ર રોહિત શર્માની કૅપ્ટનશિપ અંગે જાણ કરી અને એ આશા પણ દર્શાવી કે બારબેડોસમાં યોજાનારી ફાઇનલ મૅચમાં આ વખતે ટ્રૉફી પણ ટીમ ઇન્ડિયા જ જીતશે.
જય શાહ જ્યારે આ વાત કરી રહ્યા હતા તો તેમને સાંભળવા માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ સંઘના તમામ અધિકારીઓ સિવાય ટીમ ઇન્ડિયાના કૉચ રાહુલ ડ્રવિડ અને ખુદ રોહિત શર્મા પણ સામે જ બેઠા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પણ સવાલ એ ઊઠે છે કે આખરે બીસીસીઆઈના સચિવે થોડા મહિના પહેલાં આ વાત કેમ ન કરી જ્યારે તેમને આ જ ટી-20ની કૅપ્ટનશિપ અંગે પુછાઈ રહ્યું હતું. ત્યારે તેમનું કહેવું હતું કે કૅપ્ટનશિપને લઈને નામ સાર્વજનિક કરવાની હજી ઉતાવળ શું છે?
વાસ્તવમાં ભારતીય ક્રિકેટમાં ટી-20 વર્લ્ડ કપના કૅપ્ટનનો અધ્યાય કોઈ રસપ્રદ કહાણીથી કમ નથી.
ટીમ ઇન્ડિયાની હાર બાદ શું શું થયું

ઇમેજ સ્રોત, ANI
વર્ષ 2022માં ઑસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડકપ સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયાની હાર બાદ લગભગ એ નક્કી થઈ ગયું હતું કે હવે કોહલી અને રોહિત શર્મા ફરીથી ટી-20 ક્રિકેટમાં નહીં જોવા મળે.
એવું ના તો સત્તાવાર રીતે ના તો અનઔપચારિક રીતે આ દિગ્ગજોને કહેવામાં આવ્યું હતું.
ભારતીય ક્રિકેટમાં આવા સંવેદનશીલ મુદ્દાઓ પર ના તો બીસીસીઆઈ ક્યારેય સ્પષ્ટ કંઈ કહે છે ના તો ખેલાડીઓ સ્પષ્ટ સવાલ પૂછીને પોતાના ભવિષ્ય અંગે વિચારે છે.
ક્યારેક મીડિયા મારફતે તો ક્યારેય આમ તેમ લીક થયેલી સૂચનાના આધારે અડધી વાતો ખેલાડીઓ સુધી પહોંચે છે.
ખેર, રોહિત શર્માએ એ માની લીધુ હતું કે તેઓ ટી-20માં નહીં રમે.
મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટન

ઇમેજ સ્રોત, ANI
પણ અચાનક આ પટકથામાં પરિવર્તન આવે છે. વન ડે વર્લ્ડકપમાં ભારત સતત દસ મૅચ જીતીને ફાઇનલમાં પહોંચે છે અને રોહિત શર્મા ન માત્ર કૅપ્ટન પરંતુ તાબડતોબ ઓપનર તરીકે અસાધારણ છબી ઊભી કરે છે.
રોહિતના સ્ટ્રાઇક રેટને જોઈને એ ચર્ચા જોર પકડવા લાગે છે કે તેઓ ભલે કૅપ્ટન તરીકે નહીં પણ ઓપનર તરીકે વેસ્ટઇન્ડિઝ જઈ શકે છે.
અહીં સુધી પણ હાર્દિક પંડ્યાની કૅપ્ટનશિપ પિક્ચરમાં છે.
પણ ત્યારે જ દુર્ભાગ્યવશ ટુર્નામેન્ટ વચ્ચે જ હાર્દિક પંડ્યા ઘાયલ થઈને વર્લ્ડકપમાંથી બહાર થઈ જાય છે. અને ત્યાર બાદ તેમણે સક્રિય ક્રિકેટમાં હજી સુધી એક પણ બૉલ નથી નાખ્યો.
આ દરમિયાન આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સની કૅપ્ટનશિપને લઈને અલગઅલગ ડ્રામા ચાલ્યા. જેને લઈને હવે મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટન રોહિત શર્મા નહીં પણ હાર્દિક પંડ્યા છે.
બીસીસીઆઈના મુખ્ય પસંદગીકર્તા સામે મુશ્કેલીઓ છે?

ઇમેજ સ્રોત, ANI
અજીત અગરકર જે બીસીસીઆઈના મુખ્ય પસંદગીકર્તા છે તેઓ આ કૅપ્ટનશિપના આખા મુદ્દા પર દુવિધામાં રહે છે.
આખરે શું નિર્ણય લેવામાં આવે કે જેનાથી કેટલાક મહિના બાદ યોજાનારા વર્લ્ડકપને લઈને રણનીતિ સ્પષ્ટ થઈ શકે.
તે તેઓ કોચ દ્રવિડ સાથે આ વાતને લઈને ઘણીવાર ચર્ચા કરે છે. જેમાં તે ચાહીને પણ રોહિત શર્માને સામેલ ન કરી શકે કારણ કે હાર્દિક પંડ્યાની કૅપ્ટનશિપની દાવેદારી હજી પણ નકારવામાં નથી આવી.
પણ ફેબ્રુઆરી મહિનો અડધો વીતી ચૂક્યો છે હવે મે મહિનાના બીજા અઠવાડિયા સુધીમાં ટીમ ઇન્ડિયાના ખેલાડી ધીરે ધીરે અલગ અલગ જથ્થામાં કેરેબિયાઈની જમીન પર જવા લાગશે.
એવામાં ઇંગ્લૅન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ પૂર્ણ થતા જ બધા જ ખેલાડીઓ આગલા બે મહિના આઈપીએલની ચમકદમકમાં ખોવાઈ જશે.
ડ્રેસિંગ રૂમમાં બૉસ

ઇમેજ સ્રોત, ANI
એવામાં વર્લ્ડકપનું આયોજન અને તેની જવાબદારી કોણ લેશે? આવી નાજુક સ્થિતિમાં કદાચ રોહિત શર્માથી સારું ટીમ ઇન્ડિયામાં અન્ય કોઈ દાવેદાર નથી.
તેમની પાસે આઈપીએલના બે મહિના ના તો મુંબઈ ઇન્ડિયન્સ જેવી હાઇપ્રોફાઇલ ટીમની કૅપ્ટનશિપનું દબાણ હશે ના તો પહેલીવાર કૅપ્ટન તરીકે (હાર્દિકની જેમ) પોતાને વર્લ્ડકપમાં સાબિત કરવાનો પડકાર હશે.
છેલ્લાં બે વર્ષોમાં રોહિત શર્માની અને દ્રવિડ સાથે સારી તાલમેલ રહી છે. અને છેલ્લા એક વર્ષમાં અગરકરની સાથે પણ તેમનું સમીકરણ શાનદાર જ રહ્યું છે.
એવામાં જો બીસીસીઆઈએ રોહિત શર્માને સત્તાવાર રીતે કૅપ્ટન જાહેર કરી જ દીધા છે તો તેનો ફાયદો જ થશે નુકસાન નહીં.
સૌથી પહેલી વાત એ છે કે આઈપીએલ દરમિયાન જ્યારે રોહિત શર્મા કૅપ્ટન હાર્દિક પંડ્યાની અંડરમાં રમશે તો તેમના અહમને કોઈ ઠેસ નહીં પહોંચે કારણ કે ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં તો બૉસ તેઓ જ હશે.
આઈસીસી ટ્રૉફી

ઇમેજ સ્રોત, ANI
રોહિત શર્મા આરામથી આ બે મહિના દરમિયાન કોચ દ્રવિડ અને અગરકરની સાથે આઈપીએલ દરમિયાન પણ ટીમ ઇન્ડિયા અંગે વિચારી શકશે. રણનીતિ બવાની શકશે અને કડક અને ઉકેલ આવે તેના નિર્ણયો લઈ શકે છે. જે એક નિયમિત આઇપીએલના કૅપ્ટન માટે મુશ્કેલ કામ હોય છે.
રોહિત એ વાત પહેલાં પણ કહી ચૂક્યા છે કે આઈસીસી ટ્રૉફી જીતવાથી વધુ સારી વાત કોઈ જ નથી.
જતા જતા રોહિત શર્માની વધુ એક વાત કહેવા માગીશ.
પત્રકાર પરિષદ પૂર્ણ થયા બાદ રોહિત શર્મા લિફ્ટ તરફ જઈ રહ્યા હતા અને હું પણ તેમની સાથે ઊતરી રહ્યો હતો.
તેમણે મને નાટકીય અંદાજમાં જોતા કહ્યું કે મને ખબર છે કે આ તમારું કામ છે. (આડા અવળા સવાલો કરવા) પણ હું પણ ભારત માટે 15 વર્ષથી ક્રિકેટ રમી રહ્યો છું અને કદાચ જાણું છું કે આવા સવાલોના જવાબ કેવી રીતે આપવા.

ઇમેજ સ્રોત, ANI
પણ 25 ડિસેમ્બરની બપોરે સૅન્ચુરિયનમાં રોહિત શર્માની પત્રકાર પરિષદની એ વાત હંમેશા માટે હૃદયમાં કેદ થઈ ગઈ, "આટલી મહેનત કરી છે તો કંઈક મોટું જોઈએ યાર, બધા જ છોકરાઓ આતુર છે. જેમને ટીમ માટે કંઈક કરવું છે, દેશ માટે, ટીમ માટે ગૌરવ લાવવું છે. "
આશા એ જ રાખી શકાય કે રોહિત શર્માના આ શબ્દોને તેમના સાથીઓ ફરીથી સાંભળશે અને પોતાના કૅપ્ટનને તેમની છેલ્લી આઈસીસી ટ્રૉફીમાં એ અદ્ભુત પર્ફોર્મન્સ આપવાની તક આપે જે રોહિતે એક ખેલાડી તરીકે પોતાના પહેલા વર્લ્ડકપ 2007માં મહેન્દ્રસિંહ ધોની માટે કર્યું હતું.












