You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગર્ભાવસ્થા દરમિયાન પેરાસિટામોલ દવા લેવાય કે નહીં, તેનાથી શું નુકસાન થાય?
- લેેખક, આંદ્રે બિઅરબાથ અને સારાહ બેલ
- પદ, બીબીસી બ્રાઝિલ અને વર્લ્ડ સર્વિસ ગ્લોબલ હેલ્થ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકામાં જલદી ડૉક્ટરોને કહેવામાં આવશે કે ગર્ભવતી મહિલાઓને દર્દ નિવારક દવા ટાઇલેનૉલ પ્રિસ્ક્રાઇબ ન કરવામાં આવે.
તેમણે દાવો કર્યો કે આ દવા અને ઑટિઝમ વચ્ચે વિવાદીત સંબંધ છે.
સોમવારે વ્હાઇટ હાઉસના ઓવલ ઑફિસમાં આરોગ્ય મંત્રી રૉબર્ટ એફ કૅનેડી જૂનિયર સાથે ટ્રમ્પે આ ઘોષણા કરી.
ટ્રમ્પે એ પણ દાવો કર્યો કે પેરાસિટામોલ 'ફાયદાકારક નથી'. તેમણે કહ્યું કે ગર્ભવતી મહિલાઓને માત્ર વધારે તાવની ગંભીર સ્થિતિમાં જ લેવી જોઈએ.
પેરાસિટામોલ, ટાઇલેનૉલનો મુખ્ય ઘટક છે અને અમેરિકામાં તેને 'એસિટામિનોફેન' પણ કહેવામાં આવે છે.
કેટલાંક અધ્યયનોથી ગર્ભવતી મહિલાઓના એસિટામિનોફેન (ટાઇલેનૉલમાં મુખ્ય ઘટક) લેવા અને ઑટિઝમ વચ્ચે એક નાનો સંબંધ સામે આવ્યો છે. પરંતુ અત્યારસુધી કોઈ અંતિમ નિષ્કર્ષ સામે નથી આવ્યો. હજુ એ સાબિત નથી થયું કે એસિટામિનોફેનને કારણે જ ઑટિઝમ થાય છે.
ટાયલેનૉલ એક ઓવર-ધ-કાઉન્ટર પીડાશામક દવા છે, જેના સક્રીય ઘટકો અમેરિકામાં એસિટામિનોફેન અને અન્યત્ર પેરાસિટામોલ તરીકે ઓળખાય છે.
વિવિધ બ્રાન્ડ નેમ હેઠળ અને શિશુઓ તથા નાનાં બાળકો માટે બનાવવામાં આવેલી આ દવા પીડા અને તાવની સારવાર માટે વિશ્વભરમાં મુખ્ય ધરગથ્થું ઔષધ બની ગઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિશ્વભરના મુખ્ય તબીબી જૂથો અને સરકારો કહે છે કે આ દવાથી ગર્ભવતી સ્ત્રીઓને કોઈ નુકસાન થતું નથી. એ સલામત છે.
અમેરિકન કૉલેજ ઑફ ઑબ્સ્ટેટ્રિક્સ ઍન્ડ ગાયનેકૉલૉજીએ જણાવ્યું હતું કે પેરાસિટામોલ તરીકે પણ ઓળખાતી ટાયલેનૉલ ગર્ભવતી સ્ત્રીઓ માટે એકમાત્ર સલામત પીડા નિવારક દવા હોવાનું સમગ્ર અમેરિકાના તબીબો સતત જણાવતા રહ્યા છે.
આ સંગઠને જણાવ્યું હતું, "કોઈપણ ત્રિમાસિક સમયગાળા દરમિયાન એસિટામિનોફેનના સમજદારીપૂર્વકના ઉપયોગ અને ગર્ભવિકાસની સમસ્યાઓ વચ્ચે સીધો સંબંધ સ્થાપિત કરતા કોઈ સ્પષ્ટ પુરાવા ભૂતકાળમાં હાથ ધરવામાં આવેલા અભ્યાસોમાં મળ્યા નથી."
યુનાઇટેડ કિંગડમ નૅશનલ હેલ્થ સર્વિસની ગાઇડલાઇન્સ જણાવે છે કે પેરાસિટામોલ ગર્ભવતી સ્ત્રીઓ માટે પીડાશમનની "પહેલી પસંદ" છે.
"તે સામાન્ય રીતે ગર્ભાવસ્થા દરમિયાન લેવામાં આવે છે અને તે તમારા બાળકને નુકસાન કરતી નથી," એવું ગાઇડલાઇન્સ જણાવે છે.
ટાયલેનૉલના ઉત્પાદક કેનવ્યૂએ ગર્ભવતી મહિલાઓ દ્વારા આ દવાના ઉપયોગનો બચાવ કર્યો હતો અને જણાવ્યું હતું કે તે લોકો માટે પીડા નિવારણનો સૌથી વધુ સલામત વિકલ્પ છે.
બીબીસીએ ટિપ્પણી માટે દવા ઉત્પાદકનો સંપર્ક કર્યો હતો.
કોઈપણ ઓવર-ધ-કાઉન્ટર દવા લેતા પહેલાં હેલ્થકેર પ્રૉફેશનલ્શ સાથે વાત કરવાની સલાહ કંપની અને અમેરિકન ડૉક્ટર્સ બંને આપે છે.
અમેરિકન મીડિયાના અહેવાલ મુજબ, બહુ તાવ હોય ત્યારે જ પીડા નિવારક લેવાની સલાહ ટ્રમ્પ વહીવટીતંત્ર સગર્ભા સ્ત્રીઓને આપે છે.
વધારે તાવની સારવાર ન કરવામાં આવે તો તેનાથી માતાઓ અને તેમના ગર્ભમાં વિકસતા સંતાન બંનેને નુકસાન થઈ શકે છે.
અમેરિકાના આરોગ્ય અને માનવ સેવા વિભાગના વડા રૉબર્ટ એફ. કૅનેડી જુનિયરે પાંચ મહિનાં ઓટીઝમનું કારણ નક્કી કરવા માટે "વ્યાપક પરીક્ષણ અને સંશોધન કાર્ય" હાથ ધરવાનું વચન એપ્રિલમાં આપ્યું હતું.
અલબત, નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે ઑટીઝમ એક જટિલ સિન્ડ્રોમ છે. તેના વિશે દાયકાઓથી સંશોધન કરવામાં આવી રહ્યું છે અને તેનાં કારણો શોધવાનું આસાન નહીં હોય.
સંશોધકો વ્યાપકપણે માને છે કે ઑટીઝમનું કોઈ એક કારણ નથી. તેને આનુવંશિક અને પર્યાવરણીય પરિબળોનાં જટિલ મિશ્રણનું પરિણામ માનવામાં આવે છે.
હાર્વર્ડ યુનિવર્સિટીની ચાન સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થના ડીનના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવેલા સંશોધનની સમીક્ષામાં ઑગસ્ટમાં જાણવા મળ્યું હતું કે ગર્ભાવસ્થા દરમિયાન ટાયલેનૉલના સંપર્કમાં આવવાથી બાળકોમાં ઑટીઝમ અને અન્ય ન્યૂરોડેવલપમેન્ટલ ડિસઑર્ડર થવાની શક્યતા વધુ હોય છે.
સંશોધકોએ દલીલ કરી હતી કે દવાના મર્યાદિત ઉપયોગ માટે કેટલાંક પગલાં લેવાં જોઈએ. સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે ગર્ભવતી સ્ત્રીઓમાં તાવ અને દુ:ખાવાની સારવાર માટે આ દવા હજુ પણ મહત્ત્વપૂર્ણ છે.
જોકે, 2024માં પ્રકાશિત એક અન્ય અભ્યાસમાં ટાયલેનૉલ અને ઑટીઝમ વચ્ચે કોઈ સંબંધ જોવા મળ્યો ન હતો.
ડરહામ યુનિવર્સિટીનાં સામાજિક અને વિકાસલક્ષી મનોવિજ્ઞાનનાં પ્રોફેસર મોનિકા બોથાએ કહ્યું હતું, "બંને વચ્ચે કોઈ કારણભૂત સંબંધ હોવાનું સૂચવતા મજબૂત પુરાવા કે ખાતરીપૂર્વકનો અભ્યાસ ઉપલબ્ધ નથી."
દુ:ખાવામાં રાહત આપતી અથવા ઍનાલ્જેસિક તરીકે ઓળખાતી દવાઓ ઑપીઓઇડ અથવા નૉન-ઑપીઓઇડ હોઈ શકે છે.
ઑપીઓઇડ્સ ખસખસના છોડમાંથી મેળવવામાં આવે છે અથવા તો પ્રયોગશાળામાં બનાવવામાં આવે છે. તે મગજમાંનાં ઑપીઓઇડ રીસેપ્ટર્સ સાથે જોડાય છે અને આનંદની લાગણી સાથે સંકળાયેલા ડોપામાઇન નામના હોર્મોનના મુક્ત થવા તરફ દોરી જાય છે.
આ પ્રકારની દવાઓનું બંધાણ થઈ જવાની શક્યતા હોય છે. તેથી જ નિષ્ણાતો કહે છે કે પેરાસિટામોનલ જેવી નૉન-ઑપીઓઇડ દવાઓથી પીડાની સારવાર શરૂ કરવી શ્રેષ્ઠ છે.
રસપ્રદ વાત એ છે કે પેરાસિટામોલ કેવી રીતે કામ કરે છે એ બાબતે હજુ સુધી કોઈ સર્વસંમતિ નથી.
યુનાઇટેડ કિંગ્ડમમાં લીડ્સ યુનિવર્સિટીના મસ્ક્યુલોસ્કેલેટેલ મેડિસનના પ્રોફેસર ફિલિપ કોનાઘને કહ્યું હતું, "પેરાસિટામોલની કાર્યપદ્ધતિ હજુ સુધી સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ નથી."
"તે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને મગજમાં પીડાની ધારણાને અસર કરે છે તથા ઇન્ફ્લેમેશન સાથેના આજુબાજુના વિસ્તારોમાં પણ કાર્ય કરી શકે છે."
યુનાઇટેડ કિંગ્ડમની નૅશનલ હેલ્થ સર્વિસના જણાવ્યા મુજબ, પેરાસિટામોલ મગજમાં પીડાનો સંકેત આપતા અને શરીરના તાપમાનને નિયંત્રિત કરતા કેમિકલ મૅસેન્જર્સને અવરોધીને કામ કરે છે.
લાંબા સમયથી એવું માનવામાં આવે છે કે પેરાસિટામોલ સાયક્લૉઑક્સિજેનેઝ અથવા સીઓઍક્સ તરીકે ઓળખાતા ઍન્ઝાઇમને અવરોધીને કામ કરે છે, જે પ્રોસ્ટાગ્લાન્ડિન-પીડા સાથે સંકળાયેલા હૉર્મોન જેવા પદાર્થોને ઉત્પન્ન કરવામાં મદદ કરે છે.
હવે એવું પણ માનવામાં આવે છે કે પેરાસિટામોલ અન્ય રીતે પણ કાર્ય કરે છે. દાખલા તરીકે, તે અનેક પીડા માર્ગોમાં ભૂમિકા ભજવતા AM404 કમ્પાઉન્ડમાં ભળી જાય છે.
સલામત ઉપયોગ માટે પેરાસિટામોલ ડૉસેજ ગાઇડલાઇન્સનું પાલન કરવાનું આરોગ્યસંભાળ નિષ્ણાતો ભારપૂર્વક જણાવે છે.
તેઓ દલીલ કરે છે કે યોગ્ય માત્રામાં અને ટૂંકા ગાળા માટે લેવામાં આવે તો આ દવાની ભાગ્યે જ આડઅસર થાય છે.
યુનાઇટેડ કિંગ્ડમની નૅશનલ હેલ્થ સર્વિસના જણાવ્યા મુજબ, 500 મિલિગ્રામની એક કે બે ગોળી અથવા 24 કલાકમાં મહત્તમ આઠ ગોળીઓ લેવાની ભલામણ કરવામાં આવે છે.
આ મર્યાદા ઓળંગવાથી લિવરને ગંભીર નુકસાન થઈ શકે છે, તે નકામું થઈ શકે છે, કારણ કે પેરાસિટામોલનો અંદાજે પાંચ ટકા હિસ્સો NAPQI તરીકે ઓળખાતા બૅન્ઝોક્વિનૉન ઇમાઇન નામના એક ઝેરી પદાર્થમાં મૅટાબોલાઇઝ્ડ થાય છે.
અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશનનો ડેટા દર્શાવે છે કે અમેરિકામાં 1998 અને 2003 દરમિયાન ઍક્યૂટ લિવર ફેઇલ્યૉરના કિસ્સાઓમાં મુખ્ય કારણ પેરાસિટામોલનો ઓવરડૉઝ હતું.
એ પૈકીના લગભગ 50 ટકા કિસ્સાઓમાં ઓવરડૉઝ આકસ્મિક હતો, કારણ કે પીડિતો મહત્તમ દૈનિક ડૉઝ મર્યાદાને અજાણતા ઓળંગી ગયા હતા.
અમેરિકાના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશનના જણાવ્યા મુજબ, 600 દવાઓમાં પેરાસિટામોલ હોવાથી આવું ઘણીવાર થાય છે.
તેથી ફ્લૂથી પીડાતી દરેક વ્યક્તિ પેરાસિટામોલ ધરાવતી અનેક સારવાર અજાણતાં જ લેતી હોય છે.
બાળકોને આપવામાં આવતા દવાના ડૉઝ વિશે સતર્ક રહેવાની સલાહ નિષ્ણાતો તેમનાં માતાપિતાને આપે છે. ખાસ કરીને, બાળકો દિવસભર નર્સરી, દાદા-દાદી અને ઘર જેવાં અનેક સ્થળો વચ્ચે ફરતાં રહેતાં હોય ત્યારે આ બહુ જરૂરી છે.
પીડા અને હળવાથી મધ્યમ તાવ માટે ફર્સ્ટ લાઇન ટ્રીટમેન્ટ તરીકે પેરાસિટામોલની ભલામણ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન કરે છે.
જો તે અસરકારક સાબિત ન થાય તો દર્દીને ઓછી તિવ્રતાવાળા ઑપીઓઈડ્સ, પછી સ્ટ્રોંગ ઑપીઓઈડ્સ આપી શકાય અને અંતે જરૂરી હોય તો નિષ્ણાત પાસે મોકલવા જોઈએ.
પેરાસિટામોલની અસરકારકતાનો આધાર પીડાના પ્રકાર પર હોય છે.
પ્રકાશિત અભ્યાસોની સમીક્ષા તથા વિશ્લેષણ કરતી યુનાઇટેડ કિંગ્ડમ સ્થિત કોક્રેન ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યા મુજબ, તીવ્ર માઇગ્રેન હૅડેકના તેમજ જન્મ અને સર્જરી પછીની પીડાના વ્યવસ્થાપનમાં તે અસરકારક છે.
જોકે, ઘૂંટણના સંધિવા જેવી તકલીફમાં તેના ફાયદાને "સાધારણ" ગણવામાં આવે છે.
કમરની નીચેના ભાગમાંના દુ:ખાવા તથા કૅન્સર સંબંધી શારીરિક સમસ્યાઓ સંદર્ભે તે પ્લેસીબો (કોઈ સક્રિય ગુણધર્મો વિનાની સારવાર) કરતાં વધુ અસરકારક નથી, એવું કોક્રેન ઇન્સ્ટિટ્યૂટ જણાવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન