ભારતનું એ અંધારિયું ગામ જ્યાં ક્યારેય લાઇટ ન આવી, હવે બીજા માટે પાણીમાં ડૂબી જશે

ઇમેજ સ્રોત, Rahul Marawi
- લેેખક, વિષ્ણુકાન્ત તિવારી
- પદ, બીબીસી સંવાદદાતા, છતરપુરથી
અમે કેરોસીનના દીવા બાળીને જીવન વિતાવ્યું છે. હવે તો અંધારામાં રહેવાની આદત પડી ગઈ છે.
આ પીડા 20 વર્ષનાં લક્ષ્મીની છે, જેઓ આદિવાસી છે. તેઓ સાંજ થતાં પહેલાં જ ઘર ઉપરની પાળી પર ટિંગાડેલાં કપડાં ઉતારી રહ્યાં છે.
મધ્યપ્રદેશના પાટનગર ભોપાલથી 370 કિલોમીટર દૂર છતરપુર જિલ્લાના ધૌડન ગામનાં રહેવાસી લક્ષ્મીએ પોતાના ગામમાં ક્યારેય વીજળીનો દીવો નથી જોયો.
એને વિડંબના જ કહીશું કે, ક્યારેય વીજળી નહીં જોનારું આ ગામ, હવે દેશના ઘણા જિલ્લાને અજવાળું આપવા ડૂબમાં જશે.
ગીત, સંગીત અને વિરોધ

ઇમેજ સ્રોત, Rahul Marawi
લક્ષ્મીના ઘરથી થોડેક દૂર 46 વર્ષના મહેશ આદિવાસી ગામની વચ્ચોવચ બનેલા ચબૂતરે બેસીને હાર્મોનિયમ પર ગાઈ રહ્યા છે. ગીતના શબ્દો છે :
"કેન-બેતવા કા યે બાંધ સરકાર બનવા રહી, હમ ગ્રામોં કો કુછ નહીં દે રહી, આફત મેં યે ડાલ રહી ઔર ગાંવો કો બિજલી પાની, શાસન દે રહી પાને કો, હમ ગાંવો કો ઇસ પાની મેં શાસન ઝૂટી ડુબોને કો…"
મહેશની સાથે ગામના બીજા થોડા લોકો પણ જોડાય છે. લગભગ એક હજાર મતદાર ધરાવતા આ ગામના લોકો ગીતસંગીતના સહારે વિરોધપ્રદર્શન કરી રહ્યા છે.
આ વિરોધ, થોડા દિવસમાં મૂર્ત રૂપ લેનારી કેન-બેતવા લિંક પરિયોજના સામે થઈ રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

કેન-બેતવા લિંક પ્રોજેક્ટ
કેન અને બેતવા એમ બે નદીઓ છે. ભારત સરકારના 'કેન-બેતવા લિંક પ્રોજેક્ટ'ની ચર્ચા સૌ પહેલાં ઈ.સ. 1995માં શરૂ થઈ હતી અને તેની સાથે જ ધૌડન ગામ ડૂબી જવાની નિયતિ નક્કી થઈ ગઈ હતી.
ઈ.સ. 2005માં મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશની સરકારોએ એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.
ત્યાર પછી ઈ.સ. 2024ની 25 ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પરિયોજનાનો શિલાન્યાસ કર્યો હતો.
એક નદીનું પાણી બીજી નદી સુધી પહોંચાડવું એટલે કે રિવર લિંકિંગની આ પરિયોજનામાં લગભગ 44 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
તેનાથી મધ્યપ્રદેશના છતરપુર અને પન્ના જિલ્લાનાં 21 ગામ ડૂબમાં જશે. લગભગ સાત હજાર પરિવાર વિસ્થાપિત થશે.
કેન-બેતવા લિંક પ્રોજેક્ટ વિશે ભારત સરકારના ઘણા દાવા છે. તે પ્રમાણે, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના લગભગ 13 જિલ્લાને તેનો લાભ મળશે.
અગિયાર લાખ હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા મળશે. 62 લાખ લોકોને પીવાનું પાણી મળશે. એટલું જ નહીં, 100 મેગાવૉટથી વધારે વીજળીનું ઉત્પાદન પણ થશે.
પરિયોજનાનો વિરોધ કેમ થઈ રહ્યો છે?

ઇમેજ સ્રોત, Rahul Marawi
મહેશ આદિવાસી સવાલ કરે છે, "જ્યારથી દેશ આઝાદ થયો, ગામેગામ વીજળી પહોંચી ગઈ. બીજી તરફ, અમારી પેઢીઓ ખતમ થઈ ગઈ, પણ અમને આજ સુધી વીજળી નથી મળી. ગરમીમાં અમે તો પંખાનું સપનું પણ નથી જોઈ શકતા."
ધૌડન ગામનાં 60 વર્ષીય સરસ્વતી કહે છે, અહીં ક્યારેય વીજળી નથી પહોંચી. તેમનું કહેવું છે, "અહીં કોઈ ઘંટી પણ નથી. ઘઉં-ચોખા દળાવવા માટે અમારે 30 કિલોમીટર દૂર બમીઠા જવું પડે છે. ગામમાં કેટલાંક ઘરમાં સોલર લાઇટ છે. તેનાથી ઘંટી ન ચાલી શકે."
મહેશ કહે છે કે, "અમારા ગામમાં આજ સુધી રોશની નથી આવી. હવે જ્યારે અમને વિસ્થાપિત કરવામાં આવી રહ્યા છે, ત્યાર પછી પણ અમને સારા જીવનનો કોઈ ભરોસો નથી."
વિસ્થાપન અને વળતરની ચિંતા

ઇમેજ સ્રોત, Rahul Marawi
ધૌડનની સમસ્યા માત્ર વીજળી ન હોવા સુધી સીમિત નથી; અહીંના રહેવાસી હવે કેન-બેતવા લિંક પરિયોજનાના કારણે વિસ્થાપનના અવેજમાં મળનારી સહાયથી પણ ખુશ નથી.
ગામના 31 વર્ષીય તુલસી કહે છે કે, તેમને સરકાર તરફથી એક નોટિસ મળી છે. તે પ્રમાણે તેમના મકાનની કિંમત 46 હજાર રૂપિયા છે.
તેમણે સવાલ કર્યો, "સર, અમારા ગામના મકાનના બદલામાં સરકાર 46 હજાર રૂપિયા આપી રહી છે. શું અહીંથી બહાર આટલા રૂપિયામાં મકાન બની જશે?"
તુલસીનો આરોપ છે કે, 'સરકાર તેમની સાથે દગો કરી રહી છે' અને કેન-બેતવા પરિયોજનાથી પ્રભાવિત જેટલાં પણ ગામ છે તેમને 'છેતરવા'માં આવી રહ્યાં છે.
જિલ્લા કલેક્ટર શું કહે છે?

ઇમેજ સ્રોત, Rahul Marawi
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગ્રામજનોના આ આરોપો વિશે અમે છતરપુરના જિલ્લા કલેક્ટર પાર્થ જયસ્વાલ સાથે વાત કરી.
કલેક્ટર પાર્થ જયસ્વાલે જણાવ્યું, "રિહેબિલિટેશન પૅકેજ હેઠળ સરકાર દ્વારા બે વિકલ્પ આપવામાં આવ્યા હતા."
"જેનું મકાન જાય છે તે લાભાર્થી જમીનનો એક ટુકડો લઈ લે અને તેની સાથે સાડા સાત લાખ રૂપિયા પણ લે અથવા એકસાથે સાડા બાર લાખ રૂપિયાની રકમ લઈ લે."
જયસ્વાલે ઉમેર્યું, "તેમાં 90 ટકા લોકોએ એકસાથે રકમ લઈ લેવાનો વિકલ્પ પસંદ કર્યો છે."
"બાકી રહેલા 10 ટકા લોકોના વસવાટ માટે અમે કેટલીક સરકારી જમીનો શોધી રહ્યા છીએ. તેમને બધી સુવિધા સાથેની વ્યવસ્થા આપવામાં આવશે."
જોકે, ધૌડન ગામના ગૌરીશંકર યાદવ કંઈક અલગ જ કહે છે. તેમણે જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા આપવામાં આવેલું પુનર્વસન પૅકેજ જીવનગુજારા અને વિસ્થાપનમાંથી ઊભરવા માટે પૂરતું નથી.
ગૌરીશંકર કહે છે, "અમારા મકાનનું વળતર 40-50 હજાર રૂપિયા છે. એટલામાં શું મકાન બનશે?"
"અહીંથી ગયા પછી અમારાં બાળકોનું શું થશે? અમે ગરીબ અને અશિક્ષિત છીએ, તેથી અમારું કોઈ સાંભળતું નથી."
જ્યારે તુલસી આદિવાસી કહે છે, "જો સરકાર 50 હજાર રૂપિયામાં મકાન બનાવીને આપી શકે તો અમે સરકારને 50 હજાર આપી દઈશું. બદલામાં તે અમને મકાન આપી દે."
ધૌડન : શિક્ષણ અને પાયાની સુવિધાઓથી વંચિત

ઇમેજ સ્રોત, Rahul Marawi
ધૌડન ગામનાં બાળકો માટે શિક્ષણ હજુ પણ અંધારામાં છે.
લક્ષ્મી આદિવાસી કહે છે: "અમે ભણવા માગીએ છીએ, પરંતુ, જો વિસ્થાપન પછી પણ આ જ પરિસ્થિતિ રહેશે તો અમે શા માટે જઈએ? અમને ઘર, પાણી, વીજળી અને શિક્ષણની સુવિધાઓ જોઈએ."
આ ગામમાં અત્યાર સુધીમાં એક પણ બાળક દસમા ધોરણ સુધી ભણી નથી શક્યું. ગામની નજીક એક પ્રાથમિક સ્કૂલ છે.
તેના વિશે ગામના લોકો કહે છે, "ઘણી વાર આ સ્કૂલ બંધ જ રહે છે. ઘણી દૂર છે, તેથી શિક્ષકો પણ નથી આવતા. ગામમાં લાઇટ પણ નથી, તે કારણે પણ શિક્ષણમાં કોઈ પ્રગતિ નથી થઈ રહી."
બીબીસીએ જિલ્લા કલેક્ટર પાર્થ જયસ્વાલ પાસેથી એ જાણવાની કોશિશ કરી કે શું વહીવટી તંત્રને જાણ છે કે, ધૌડન ગામમાં વીજળી નથી?
તેમણે જવાબ આપ્યો, "હા, અમે જ્યારે ત્યાં ગયા હતા ત્યારે એ જાણવા મળ્યું હતું."
"ત્યાં ગામમાં ઘણી બધી પાયાની સુવિધાઓ નથી. અમુક લોકોની પેન્શન અને કિસાન ક્રૅડિટ કાર્ડ માટેની પણ માગણી હતી."
"તેમાંથી અમે પેન્શનના કેસ પર તરત કાર્યવાહી કરી. અમે કિસાન ક્રેડિટ કાર્ડ બનાવી આપી શકીએ તેમ નથી. હવે જમીન સરકારી થઈ ગઈ છે. સરકારી જમીન પર આ યોજના શક્ય નથી."
બીજી તરફ, ગામના લોકો ઇચ્છે છે કે સરકાર તેમને એવી જગ્યાએ વસવાટ કરાવે જ્યાં શિક્ષણ, આરોગ્ય અને બીજી મૂળભૂત જરૂરિયાતો સરળતાથી મળી શકે.
જોકે, આ લોકોને કઈ જગ્યાએ વસાવવા તે બાબતે પણ કશું ચિત્ર સ્પષ્ટ નથી. છતરપુરના જિલ્લા કલેક્ટર પાર્થ જયસ્વાલે કહ્યું કે, અત્યારે વૈકલ્પિક જગ્યા શોધવાની પ્રક્રિયા ચાલી રહી છે.
કેન-બેતવા લિંક પરિયોજના અને પર્યાવરણવિદોની ચિંતાઓ

ઇમેજ સ્રોત, Rahul Marawi
આ પરિયોજનાને કારણે પર્યાવરણ સંબંધી ચિંતાઓ પણ વ્યક્ત થઈ રહી છે.
પર્યાવરણવિદ અમિત ભટનગરનું કહેવું છે કે, "આ પરિયોજના પન્ના ટાઇગર રિઝર્વ, ગીધ પુનર્વાસ કેન્દ્ર અને ઘડિયાલ અભયારણ્યને મુશ્કેલીમાં મૂકી દેશે."
"46 લાખ વૃક્ષ કપાશે અથવા તો ડૂબી જશે. તેનાથી પર્યાવરણને મોટું નુકસાન થશે."
અમિત એવો પણ આરોપ કરે છે કે, "સુપ્રીમ કોર્ટે એક સમિતિ દ્વારા આ પરિયોજનાની તપાસ કરાવી હતી."
"તે કમિટીએ પણ આ પરિયોજનાના વિકલ્પ શોધવાની વાત કરી હતી. આ મુદ્દો અત્યારે નૅશનલ ગ્રીન ટ્રિબ્યૂનલમાં પણ પૅન્ડિંગ છે."
આ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ઈ.સ. 2017માં કેન્દ્રીય અધિકાર પ્રાપ્ત સમિતિ (સીઈસી)ની રચના કરવામાં આવી હતી. તેનો રિપોર્ટ 2019માં દાખલ કરવામાં આવ્યો હતો.
આ સમિતિએ સરકાર દ્વારા કેન-બેતવા લિંક પ્રોજેક્ટના વિકલ્પો ન શોધવાની વાત કહી હતી.
આ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, કેન-બેતવા લિંક પ્રોજેક્ટ દ્વારા પન્ના ટાઇગર રિઝર્વ પર અસર પડશે.
દેખીતું છે કે, આ બધી ચિંતાઓને બાજુ પર રાખીને આ પ્રોજેક્ટને આગળ વધારવાનું કામ શરૂ થઈ ચૂક્યું છે.
આવી પરિસ્થિતિમાં ગામના લોકોમાં ચિંતા અને આક્રોશ બંને એકસાથે જોવા મળી રહ્યાં છે.
મહેશ કહે છે, "અમે વિકાસ ઇચ્છીએ છીએ; પરંતુ, વિનાશની કિંમતે નહીં. જો અમારી માગણીઓ માનવામાં નહીં આવે, તો અમે આંદોલન કરીને આ બંધમાં ડૂબી જઈશું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













