લા નીના : શિયાળો આ વર્ષે વહેલો આવી જશે, કેમ વધારે ઠંડી પડશે?

ઇમેજ સ્રોત, Getty Images
કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પ્રવાસે ગયેલા પર્યટકોને તાજેતરમાં 'સરપ્રાઇઝ' મળ્યું. સામાન્ય રીતે જે સમયગાળા દરમિયાન હિમવર્ષાની શરૂઆત થાય, એ પહેલાં બરફ પડ્યો.
ગુજરાતમાં ચોમાસું વિદાય લઈ રહ્યું છે, ત્યારે ઉત્તર ભારતની હિમવર્ષાની અસર આગામી દિવસોમાં રાજ્યનાં હવામાન ઉપર પણ જોવા મળશે.
હિમપ્રાતને કારણે પર્યટકોમાં ખુશીની લાગણી ફરી વળી, જોકે, હવામાનશાસ્ત્રીઓ તેને શિયાળાના વહેલા આગમન અને 'લા નીના'ના લક્ષણ તરીકે પણ જુએ છે, જે આંતરખંડીય હવામાનપરિવર્તનની સિસ્ટમ છે.
લા નીનાની અસર ઉત્તર ભારત સહિત ગુજરાતમાં શિયાળા ઉપર પડવાની શક્યતા છે.
ત્યારે લા નીના શું છે, તે ક્યારથી શરૂ થશે, તેની ઉત્તર ભારત અને ગુજરાતની ઉપર શું અસર થશે?

વિશ્વના સૌથી મોટા દરિયા પ્રશાંત મહાસાગરમાં સર્જાતા 'અલ નીનો' અને 'લા નીના'ના તબક્કા ભારતના હવામાન અને ચોમાસા પર પણ અસર કરે છે.
આ કુદરતી ઘટનામાં એકબીજાથી તદ્દન વિરુદ્ધ બે પ્રકારની સ્થિતિ જોવા મળે છે. એક છે અલ નીનો અને બીજી છે લા નીના.
આ બંને સ્થિતિને કારણે વિશ્વના હવામાનને અસર કરે છે અને હવામાનમાં ફેરફારો થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

અલ નીનો વાતાવરણીય પરિભ્રમણ પૅટર્નને પણ અસર કરે છે. તેનો અર્થ એ છે કે ઉષ્ણકટિબંધીય પ્રશાંત મહાસાગરમાં સામાન્ય કરતાં વધુ વાવાઝોડાં સર્જાય છે, પરંતુ દક્ષિણ અમેરિકા સહિતના ઉષ્ણકટિબંધીય ઍટલાન્ટિક મહાસાગરમાં વાવાઝોડાંની સંખ્યા ઓછી રહી છે.
લા નીના દરમિયાન સામાન્ય રીતે આનાથી વિપરીત સ્થિતિ જોવા મળે છે.
અલ નીનોની સ્થિતિ સર્જાઈ છે કે નહીં તે જાણવા માટે વિવિધ માપદંડોનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે.
- ઉષ્ણકટિબંધીય પૂર્વ પ્રશાંત મહાસાગરમાં સપાટીનું સામાન્ય કરતાં વધુ તાપમાન.
- ડાર્વિન, ઑસ્ટ્રેલિયા (પશ્ચિમ પ્રશાંત મહાસાગર) ખાતે વાતાવરણનું સામાન્ય કરતાં વધારે દબાણ.
- અને તાહિતી, ફ્રેન્ચ પૉલિનેશિયા (મધ્ય પૅસિફિક) ખાતે સામાન્ય કરતાં ઓછું દબાણ.

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ ઘટના સૌપ્રથમ 1600ના દાયકામાં પેરુના એક માછીમારે નોંધી હતી. તેમણે જોયું કે ડિસેમ્બરમાં દક્ષિણ અમેરિકા નજીકનું પાણી અત્યંત ગરમ થઈ જતું હતું.
તેમણે આ ઘટનાને 'અલ નીનો ડી નેવીદાદ' એવું હુલામણું નામ આપ્યું હતું. જેનો મતલબ 'બાળ ઈશુ' એવો થાય છે.
ન્યૂટ્રલ એટલે કે 'તટસ્થ' પરિસ્થિતિમાં પ્રશાંત મહાસાગરમાં સપાટીનું પાણી પૂર્વમાં ઠંડું અને પશ્ચિમમાં ગરમ હોય છે. અલ નીનો ન હોય અને લા નીના પણ ન હોય એવી સ્થિતિને તટસ્થ સ્થિતિ કહેવામાં આવે છે.
"વેપારી પવનો" પૂર્વથી પશ્ચિમ તરફ ફૂંકાય અને સૂર્યની ગરમી પાણીને ધીમે ધીમે ગરમ કરે છે, કારણ કે તે આ દિશામાં આગળ વધે છે.
અલ નીનો દરમિયાન આ પવનો નબળા પડે છે અથવા ઊલટા એટલે કે પશ્ચિમથી પૂર્વ તરફ ફૂંકાવા લાગે છે. જેના કારણે સપાટી પરનું ગરમ પાણી પૂર્વ તરફ જાય છે.
જ્યારે લા નીના સમયગાળામાં પૂર્વથી પશ્ચિમ તરફના પવનો વધુ મજબૂત બને છે, જે ગરમ પાણીને વધારે પશ્ચિમ તરફ ધકેલે છે.
આ કારણે સમુદ્રના ઊંડાણમાંથી ઠંડું પાણી ઉપર આવે છે એટલે કે પૂર્વ પૅસિફિકમાં (પ્રશાંત) મહાસાગરની જળસપાટીનું તાપમાન સામાન્ય કરતાં ઠંડું હોય છે.
સ્પેનિશ ભાષામાં લા નીનાનો મતલબ 'નાનકડી છોકરી' એવો થાય છે.
વર્ષ 2023ના ઉનાળા દરમિયાન અલ નીનોની શરૂઆત થઈ હતી, જે તબક્કો માર્ચ-2025 દરમિયાન પૂરો થયો હતો અને લા નીનો તબક્કો શરૂ થયો છે.

અમદાવાદના હવામાન વિભાગ દ્વારા ઑક્ટોબર મહિનાના પહેલા સપ્તાહમાં આગામી પખવાડિયાની આગાહી આપી હતી, જેમાં પ્રશાંત મહાસાગરમાં અલ-નીનો સર્ધન ઑસ્કિલેશન 'ન્યૂટ્રલ' હોવાનું જણાવ્યું હતું.
ઑક્ટોબર મહિનાના બીજા સપ્તાહ દરમિયાન રાજ્યભરમાં મહત્તમ તાપમાન 32થી 34 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.
ગુજરાત અને સૌરાષ્ટ્રનું તાપમાન સરેરાશ કરતાં ચાર ડિગ્રી જેટલું ઓછું રહેશે, જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છના અમુક વિસ્તારોમાં તાપમાન સરેરાશ કરતાં બે ડિગ્રી ઓછું રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. આ સાથે જ ચોમાસું વિદાય લઈ રહ્યું હોવાની માહિતી પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હતી.
ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રએ તાજેતરમાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું "આગામી મહિનાઓમાં લા નીનાની અસર શરૂ થઈ જશે. ચોમાસા પછીના હવામાન અંગેનો વરતારો ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે."
લા નીનાની અસર આગામી સપ્તાહો દરમિયાન જોવા મળશે અને કેટલાક મહિનાઓ સુધી જોવા મળશે.
મહાપાત્રએ બીબીસી ગુજરાતીની સાથેની વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે વિભાગ દ્વારા નવેમ્બર મહિનાના અંતભાગમાં શિયાળા અંગેની વિસ્તૃત આગાહી બહાર પાડવામાં આવશે.


હવામાનશાસ્ત્રીઓના કહેવા પ્રમાણે, લા નીનાની અસર હેઠળ વૅસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ વધુ તીવ્ર બનશે, જેના કારણે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થશે.
ખાનગી હવામાન સંસ્થા સ્કાયમૅટ વેધરના મહેશ પલાવતે બીબીસી ગુજરાતીના જયદીપ વસંત સાથે વાત કરતા જણાવ્યું હતું, "ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસર રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને દક્ષિણમાં તેલંગાણા સુધી ઠંડી તરીકે જોવા મળે છે. તાજેતરમાં ઉત્તર ભારતમાં જે હિમવર્ષા થઈ, તેના કારણે આગામી દિવસોમાં ગુજરાત, દીવ, દમણ અને દાદરા નગર હવેલી સહિતના આસપાસના વિસ્તારોમાં ઠંડી વધુ જોવા મળી શકે છે."
પલાવતે કહ્યું કે લા નીનાની અસરને કારણે ઠંડી વધુ પડે અને લાંબો સમય સુધી પડતી હોય છે, પરંતુ તે 'ભયાનક ઠંડી' હશે એવું હાલના તબક્કે જણાતું નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












