દુબઈ જવા હવે પહેલાંથી વિઝા લેવાની જરૂર નહીં, ત્યાં પહોંચીને કેવી રીતે ફરી શકાશે?

    • લેેખક, તનીષા ચૌહાણ
    • પદ, બીબીસી પંજાબી સંવાદદાતા

ભારતીય પાસપૉર્ટધારકો માટે હવે દુબઈ સહિત સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)એ 'વિઝા ઑન અરાઇવલ'ની સુવિધા શરૂ કરી છે. તે અનુસાર, ભારતીય નાગરિક યુએઈ હવાઈમથક પર વિઝા મેળવી શકે છે.

અનેક દેશો ભારતીયોને 'વિઝા ઑન અરાઇવલ'ની સુવિધા આપે છે. એટલે કે એ દેશોમાં ગયા બાદ તમને ત્યાંના ઍરપૉર્ટ પરથી જ વિઝા મળી શકે છે.

'વિઝા ઑન અરાઇવલ' શું છે?

આ નિયમિત વિઝા પ્રક્રિયાથી કેવી રીતે અલગ છે?

વિઝા ઑન અરાઇવલ દેશોની મુસાફરી કરતી વખતે આપણે શું ધ્યાન રાખવું જોઈએ?

આ તમામ સવાલના જવાબ આ અહેવાલમાં વિસ્તારથી જાણીએ.

'વિઝા ઑન અરાઇવલ' શું છે?

'વિઝા ઑન અરાઇવલ' સુવિધાવાળા દેશોની મુસાફરી કરતી વખતે તમારે અગાઉથી વિઝા મેળવવાની જરૂર નથી. એ દેશોમાં જઈને ઍરપૉર્ટ કે સી પૉર્ટ (દરિયાઈ બંદર) પરથી તરત તમે વિઝા મેળવી શકો છો.

ઇમર્જન્સીની સ્થિમાં મુસાફરી માટે આ સુવિધા ખાસ ઉપયોગ નીવડી શકે છે.

એ દેશોમાં ઊતર્યા બાદ તમરે ઍરપૉર્ટ પર 'વિઝા ઑન અરાઇવલ' કાઉન્ટર પર જવાનું રહેશે અને વિઝા મેળવવા માટે તમારે તમારા દસ્તાવેજ વગેરે રજૂ કરવાના રહેશે.

પરંતુ જો તમારા દસ્તાવેજોમાં કોઈ ભૂલ કે સમસ્યા હશે તો તમને વિઝા નહીં મળે.

વિઝા આપવાની પ્રક્રિયાને સરળ બનાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

'વિઝા ઑન અરાઇવલ' સુવિધા પ્રમાણે તમે નક્કી કરેલા દિવસો પ્રમાણે જે તે દેશમાં રહેવાની મંજૂરી આપે છે.

વિઝામુક્ત દેશ હોવાનો મતલબ શું?

કેટલાક દેશ ભારતીયોને વિઝામુક્ત પ્રવેશની સુવિધા અને મંજૂરી આપે છે.

'વિઝામુક્ત દેશ'નો અર્થ છે કે એ દેશમાં જવા માટે તમારે વિઝાની જરૂર નથી. તમારી પાસે માત્ર માન્ય પાસપૉર્ટ અને સંબંધિત દસ્તાવેજ હોવા જોઈએ.

વિઝામુક્ત દેશોમાં તમને મર્યાદિત સમય સુધી રહેવાની મંજૂરી મળે છે અને તેના માટે કોઈ અલગથી પૈસા આપવાની જરૂર રહેતી નથી.

ભારતીય પાસપૉર્ટધારકો માટે ભૂટાન, મૉરેશિયસ, માલદિવ્સ, ગ્રેનૅડા, નેપાલ, હૉંગકૉંગ, બાર્બાડોસ જેવા 16 દેશોમાં જવા માટે વિઝાની જરૂર નથી આ દેશો ભારતીયોને વિઝા વિના પ્રવેશ આપે છે.

'વિઝા ઑન અરાઇવલ'ની શરતો શું હોય છે?

દરેક દેશમાં 'વિઝા ઑન અરાઇવલ'ના નિયમ અલગઅલગ હોય છે. જ્યારે આપણે જઈએ ત્યારે વિઝા સુવિધાનો લાભ લઈએ ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

  • માહિતી: તમે જે દેશની મુસાફરી કરતા હો એ દેશના નિયમો અનુસાર જરૂરી દસ્તાવેજો અને શરતો ધ્યાનમાં રાખવી જોઈએ. આવી માહિતી જે-તે દેશના દૂતાવાસની અધિકૃત વેબસાઇટ પરથી મળી શકે છે.
  • વિઝા ઑન અરાઇવલ: દેશના હવાઈમથક કે પૉર્ટ પર પહોંચ્યા બાદ વિઝાની ઍપ્લિકેશન કરવા માટે ત્યાંના ઇમિગ્રેશન વિભાગના 'વિઝા ઑન અરાઇવલ' કાઉન્ટર પર જાઓ.
  • દસ્તાવેજ : બધા જરૂરી દસ્તાવેજ પહેલેથી તૈયાર રાખો. જેમકે પાસપૉર્ટ, પાસપૉર્ટની કૉપી, આગમન-પ્રસ્થાન ફૉર્મ, મુસાફરીનું કારણ, હૉટલનિવાસની માહિતી, જરૂરી વિઝા ફીની ચુકવણી અને રિટર્ન ટિકિટ વગેરેની જરૂર હોય છે.
  • આવેદન શુલ્ક : તમામ દસ્તાવેજ ઇમિગ્રેશન અધિકારી પાસે જમા કરાવાના રહેશે. જો કોઈ અન્ય પ્રમાણપત્રની જરૂર હોય તો માહિતી મેળવી લો અને એની વિગતો આપો. વિઝા ફીની ચુકવણી સ્થાનિક અથવા જે-તે દેશની માન્ય ચલણમાં કરો. જો તમારા બધા દસ્તાવેજ યોગ્ય હશે તો ઇમિગ્રેશન અધિકારી તમને વિઝા આપશે અને તમારા પાસપૉર્ટ પર સિક્કો મારશે.

શું 'વિઝા ઑન અરાઇવલ' મેળવવું મુશ્કેલ છે?

સી વે કન્સલ્ટન્ટના મૅનેજિંગ ડિરેક્ટર ગુરપ્રીતસિંહનું માનવું છે કે વિઝા ઑન અરાઇવલ એક સારી સુવિધા છે. પરંતુ તેમનું કહેવું છું કે તમારે શક્ય હોય તો અગાઉથી વિઝા મેળવાનો પ્રયાસ કરવો જોઈએ.

ઘણી વાર તમારા દસ્તાવેજોમાં કોઈ સમસ્યા હોય તો વિઝા મળી શકતા નથી, તો તમારે ઍરપૉર્ટ પરથી જ પાછા ફરવું પડી શકે. કારણ કે તમને તે દેશમાં પ્રવેશવાની મંજૂરી નથી આપવામાં આવી અને તમને તે દેશના તમારા દેશમાં પાછા મોકલી શકે છે. આવી મુશ્કેલીથી બચવા માટે મુસાફરી અગાઉ વિઝાની અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.

ગુરપ્રીતસિંહ કહે છે, "આ દેશ પોતાના નિયમ અને ટૅરિફ બહુ ઝડપથી બદલતા હોય છે. એટલા માટે શરતોને સારી રીતે વાંચવી મહત્ત્વની છે. વિઝાનો સમય વધે તેની કોઈ ગૅરંટી નથી હોતી. આથી યોગ્ય રીતે આયોજન કરવાનું બહુ જરૂરી છે."

સૌથી મૂલ્યવાન પાસપૉર્ટ કયો છે?

લંડનની કંપની 'હૅનલી ઍન્ડ પાર્ટનર્સ' દર વર્ષે દુનિયાના સૌથી મૂલ્યવાન પાસપૉર્ટની સૂચિ પ્રકાશિત કરે છે.

આ સૂચિમાં સામેલ એવા કોઈ પણ દેશનો પાસપૉર્ટ મૂલ્યવાન માનવામાં આવે છે. જેના પાસપૉર્ટ પર તમને વિઝા વિના મહત્તમ દેશોની મુસાફરી કરવાની મંજૂરી મળે.

આ રૅન્કિંગ આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણના ડેટા અને હૅનલી ઍૅન્ડ પાર્ટનર્સ દ્વારા થયેલા સંશોધન પર સ્વતંત્ર રીતે ઉપલબ્ધ ઑનલાઇન ડેટા પર આધારિત છે.

2024ની અત્યાર સુધીની સૂચિમાં સિંગાપુર ટોચ પર છે જ્યાંના લોકો 195 દેશોમાં વિઝાફ્રી મુસાફરી કરી શકે છે.

અને ભારત આ સૂચિમાં 84મા ક્રમે છે.

આ સૂચિ અનુસાર, ભારતીય પાસપૉર્ટધારક વિઝા વિના 58 દેશની મુસાફરી કરી શકે છે.

સંયુક્ત આરબ અમીરાત દ્વારા ભારતીયોને વિઝા ઑન અરાઇવલની સુવિધા આપવામાં આવે છે.

આનો અર્થ એ થયો કે જો તમારી પાસે માન્ય પાસપૉર્ટ હોય તો તમે સંયુક્ત આરબ અમીરાતમાં કોઈ પણ પ્રવેશદ્વાર પર પહોંચ્યા બાદ વિઝા મેળવી શકો છો.

યુએઈ સરકાર દ્વારા અપાયેલી માહિતી અનુસાર, આ સુવિધા હેઠળ ભારતીય મુસાફરોને બે રીતે સુવિધા મળશે. એક તો જો તમારા વિઝા 14 દિવસ માટેના હોય તો તેને વધુ 14 દિવસ સુધી વધારી શકાય છે.

પણ જો 60 દિવસના વિઝા લઈને ગયા હોય તો એને વધારી શકાતા નથી.

જોકે આ પાત્રતા માત્ર એ ભારતીય લોકો માટે છે, જેમની પાસે પીઆર કાર્ડ, ગ્રીન કાર્ડ કે યુએસએ, યુકે કે કોઈ અન્ય યુરોપીય સંઘના દેશોના માન્ય રેસિડન્સ વિઝા હોય.

એક વધુ મહત્ત્વની શરત એ છે કે તમારો પાસપૉર્ટ યુએઈમાં પ્રવેશની તારીખથી કમસે કમ છ મહિના માટે માન્ય હોવો જોઈએ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.