સીરિયામાં બશર અલ-અસદના શાસનમાં તેમનાં પત્ની કેટલી દખલગીરી કરતાં હતાં?

રવિવારે રાજધાની દમાસ્કસ પર વિદ્રોહીઓના કબજા બાદ સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદના શાસનનો અંત આવી ગયો.

સીરિયાની સત્તા પર અસદ પરિવારે લગભગ અડધી સદી સુધી રાજ કર્યું. તેમના પિતા હાફિઝ અલ-અસદે 2000 સુધી ત્રીસ વર્ષ રાજ કર્યું અને પછી તેમના નાના પુત્ર બશર અલ-અસદે અઢી દશક સુધી રાજ કર્યું.

વર્ષ 2011માં ટ્યૂનીશિયાથી શરૂ થયેલ આરબ સ્પ્રિંગ બાદ ઉઠેલા વિદ્રોહને દબાવવામાં અસદે ઈરાન અને રશિયાની મદદ લીધી. 2016માં લાગ્યું કે અસદ સરકારે વિદ્રોહ પર કાબૂ કરી લીધો છે. પરંતુ આ વખતે સ્થિતિ બદલાઈ હતી. વિદ્રોહીઓએ એક જ પખવાડિયામાં રાજધાની દમાસ્કસ સહિતનાં શહેરો પર કબજો મેળવી લીધો.

અસદ હવે પોતાના પરિવાર સાથે રશિયામાં છે.

બશર અલ-અસદના શાસનને નિરંકુશ કહેવામાં આવતું હતું પરંતુ તેમના નેતૃત્વમાં તેમના પરિવારજનોની મહિલાઓએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.

અસદ પ્રશાસનમાં નીતિ નિર્માણમાં તેમનાં બહેન બુશરા અલ-અસદ તથા પત્ની આસમા અલ-અખરાસની પ્રમુખ ભૂમિકા માનવામાં આવે છે. તેમનાં માતા મખલૂફ સાર્વજનિક રીતે ઓછાં દેખાતાં હતાં પરંતુ તેમની સલાહ પણ મહત્ત્વની માનવામાં આવતી હતી.

અનીસા મખલૂફ

બશર અલ-અસદનાં માતા અનીસા મખલૂફનો સંબંધ સીરિયાના લતાકિયામાં અલ્પસંખ્યક અલાવાઇત સમુદાય સાથે હતો.

તેમનો જન્મ 1957ના ધનિક પરિવારમાં થયો હતો. તેમનાં પાંચ સંતાનો હતાં. માહેર, બશર, બાસેલ, માજેદ અને બુશરા. બશર અલ-અસદ બીજા નંબરનાં સંતાન હતાં. મનાય છે કે બશર અલ-અસદ પ્રત્યે તેઓ ઘણા ઉદાર હતાં.

સરકારી મીડિયા અનુસાર તેમના વચલા દીકરા બાસેલનું 1994માં કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેમને સત્તા સોંપવા માટે તૈયાર કરવામાં આવી રહ્યા હતા. અન્ય એક દીકરા માજેદનું મોત અજ્ઞાત બીમારીને કારણે 2009માં થયું હતું.

સૌથી મોટા દીકરા માહેર સીરિયાની સેનામાં જનરલ અને અન્ય ઉચ્ચ પદો પર રહ્યા.

અનીસા સાર્વજનિક રીતે બહુ લો-પ્રોફાઇલ હતાં. પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર કહેવામાં આવ્યું હતું કે પ્રશાસનના મામલે તેમની સલાહ મહત્ત્વની મનાતી હતી.

ફર્સ્ટ લેડીથી લઈને તેમની વહુ આસમાની સાથેનો તણાવ પણ ચર્ચામાં રહ્યો. વર્ષ 2012માં યુરોપીય યુનિયને અનીસાને બ્લૅક લિસ્ટ કરી દીધાં હતાં. આ પહેલાં તેઓ તેમનો ઇલાજ જર્મનીમાં કરાવતાં હતાં.

વર્ષ 2016માં 88 વર્ષની ઉંમરે તેમનું મોત થયું.

બુશરા અલ-અસદ

બુશરા અલ-અસદ, બશર અલ-અસદનાં એક માત્ર બહેન છે. જેઓ મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલાં છે.

બુશરાનાં લગ્ન આસેફ શૌકત સાથે થયાં હતાં જેઓ સેનામાં વિભિન્ન પદો પર રહીને સંરક્ષણ મંત્રી બન્યા હતા.

વર્ષ 2012માં એક બૉમ્બ વિસ્ફોટમાં આસેફ શૌકતનું મોત થયું ત્યારબાદ બુશરા સંયુક્ત આરબ અમીરાત ચાલ્યાં ગયાં.

સીરિયામાં આર્થિક સામ્રાજ્ય ઊભું કરવામાં અગ્રેસર મામાના ભાઈ રામી મખલૂફના વ્યયસાયમાં પણ બુશરાનો મોટો હિસ્સો હતો.

આલોચકોનું કહેવું છે કે મખલૂફનું વિશાળ સામ્રાજ્ય સત્તા અને સંપત્તિના ગઠજોડનું પ્રતિક હતું. રામી મખલૂફને સીરિયાના સૌથી ધનિક વ્યક્તિ માનવામાં આવે છે.

કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે અસદ શાસનમાં નીતિ નિર્માણમાં બુશરા અલ-અસદની ભૂમિકા મહત્ત્વની હતી. બશર અલ-અસદનાં પત્ની આસમા અલ-અખરાસ સાથે તેમને કેટલાક મુદ્દે ખટરાગ પણ હતો.

મીડિયાના રિપોર્ટ્સ અનુસાર બુશરાએ લાંબા સમય સુધી આસમાને પ્રથમ મહિલા બનવાથી રોકી રાખ્યાં હતાં. કારણકે તેઓ ઇચ્છતાં હતાં કે આ ટાઇટલ તેમનાં માતા અનીસા પાસે જ રહે.

આસમા અલ-અખરાસ

આસમા અલ-અખરાસ એક સીરિયાઈ પરિવારમાંથી આવે છે. પરંતુ વિવાહ પહેલાં તેમનું જીવન પશ્ચિમના દેશોમાં પસાર થયું.

તેમણે કિંગ્સ કૉલેજ લંડનથી કૉમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં એમબીએ માટે પસંદ થયાં હતાં.

તેમણે જે.પી. મૉર્ગન જેવી નાણાકિય સંસ્થામાં બૅન્કર તરીકે કામ કર્યું.

વર્ષ 2000માં જ્યારે બશર અલ-અસદ રાષ્ટ્રપતિ બન્યા તો થોડા જ મહિનામાં તેમનાં લગ્ન તેમની સાથે થયાં.

તેમનાં ત્રણ સંતાનો છે. હાફિઝ, ઝેન અને કરીમ.

શરૂઆતમાં રાજનૈતિક સુધાર અને પ્રેસની આઝાદીને લઈને બશર અલ-અસદનાં નિવેદનોને આસમાની પ્રગતિશીલ વિચારધારા સાથે જોડવામાં આવ્યાં.

આસમાનું પશ્ચિમી શિક્ષણ લોકોમાં બદલાવની એક આશા સમાન મનાતું હતું. વર્ષો સુધી ધારણા હતી કે આસમા અલ-અસદનું પશ્ચિમી ભણતર અને ઉછેર સીરિયામાં સુધારને આગળ ધપાવશે.

જોકે, તેઓ મોંઘી બ્રાંડ અને જ્વેલરીના શોખને લઈને વિવાદમાં પણ રહ્યાં.

વર્ષ 2011માં એક સુત્રએ બીબીસીને જણાવ્યું હતું કે તેમનાં લગ્ન પાછળ બશર અલ-અસદનો ઉદ્દેશ પોતાની છબી ચમકાવવાનો પણ હતો.

પશ્ચિમી મીડિયામાં તેમને લઈને સકારાત્મક છબી હતી. ડિસેમ્બરમાં તેઓ વોગ મેગેઝીનમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે તેમનું ઘર લોકશાહી ઢબે ચાલે છે.

રાષ્ટ્રપતિ અસદ અને તેમના નજીકના સંબંધીઓ પર જ્યારે યુરોપિય સંઘે પ્રતિબંધ લગાવ્યો ત્યારે આ પ્રતિબંધ આસમાના પ્રવાસ અને તેમની સંપત્તિઓ પર પણ લાગ્યો. તેમની સંપત્તિને ફ્રીઝ કરી લેવામાં આવી.

સમાચાર એજન્સી રૉયટર્સના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ખબર પડી છે કે આસમા અલ-અખરાસને લ્યૂકેમિયા થઈ ગયું હતું જે એક પ્રકારનું કૅન્સર છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, TwitterઅનેWhatsAppપર ફૉલો કરી શકો છો.