You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સીરિયામાં બશર અલ-અસદના શાસનના પતન બાદ હવે આગળ શું થશે?
- લેેખક, હ્યૂગો બાશેગા
- પદ, મધ્ય-પૂર્વ સંવાદદાતા, બીબીસી
- દ્વારા રિપોર્ટિંગ, તુર્કી સાથે લાગેલી સીરિયાની સરહદ પાસેથી
એક સપ્તાહ પહેલાં જ્યારે વિદ્રોહીઓએ સીરિયાના ઉત્તર-પશ્ચિમમાં ઇદલિબસ્થિત પોતાનાં ઠેકાણાંઓમાંથી એક હેરાન-પરેશાન કરનારું અભિયાન શરૂ કર્યું હતું. ત્યારે આ અભિયાનને કારણે સીરિયામાં બશર અલ-અસદનું પતન થશે તેવું કોઈએ વિચાર્યું પણ નહીં હોય.
બશર અલ-અસદ વર્ષ 2000માં પોતાના પિતા હાફિઝ અલ-અસદના નિધન બાદ સત્તામાં આવ્યા હતા. હાફિઝે 29 વર્ષ સુધી સીરિયા પર રાજ કર્યું. તેમનું શાસન પણ તેમના પુત્રની માફક કઠોર હતું.
બશર અલ-અસદને એક કઠોર અને દમનકારી રાજનીતિ વિરાસતમાં મળી હતી.
જોકે, પેહલાં એ આશા રાખવામાં આવી હતી કે અસદ પોતાના પિતાથી અલગ હશે, કદાચ તેઓ થોડા વધારે ખુલ્લા વિચારો ધરાવતા અને થોડા ઓછા ક્રૂર હોવાનો અંદાજ હતો. પરંતુ આ આશા પર પાણી ફરી વળ્યું.
અસદ પરિવારના શાસનનો અંત
બશર અલ-અસદને હંમેશા એક એવા શખસ તરીકે યાદ રખાશે જેમણે વર્ષ 2011માં પોતાના શાસનની સામેના વિરોધને ક્રૂરતાથી દબાવ્યો હતો.
તેમના આ જ નિર્ણયને કારણે સીરિયામાં ગૃહયુદ્ધ છેડાયું. જેમાં પાંચ લાખથી વધારે લોકો માર્યા ગયા અને છ લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા.
બશર અલ-અસદને રશિયા અને ઈરાનથી મદદ મળી અને તેમની મદદથી તેમણે વિરોધીઓને કચડી નાખ્યા સાથે પોતાની સત્તા ટકાવી રાખી. રશિયાએ સીરિયામાં પૂષ્કળ પ્રમાણમાં હવાઈ હુમલાઓ કર્યા. જ્યારે ઈરાને સીરિયામાં પોતાના સૈન્ય સલાહકાર મોકલ્યા અને પાડોશી દેશ લેબનોનમાં તેમના સમર્થન ધરાવતા હથિયારબંધ જૂથ હિઝબુલ્લાહના લડવૈયાઓને સીરિયામાં લડવા માટે મોકલ્યા.
આ વખતે આમ ન થયું. કારણ કે પોતાનામાં વ્યસ્ત સીરિયાના આ સહયોગીઓએ તેને અલગ છોડી દીધું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ મદદ વગર સીરિયાના સૈનિક ઇસ્લામી ચરમપંથી જૂથ હયાત તહરીર અલ-શામ(એચટીએસ)ના નેતૃત્વને રોકી શકવા સક્ષમ નહોતા. કેટલીક જગ્યાએ તો એચટીએસને રોકવાની મનસા પણ નહોતી.
સૌથી પહેલા ગત સપ્તાહે વિદ્રોહીઓએ લગભગ વિના વિરોધે અને અવરોધે દેશના સૌથી મોટા શહેર અલેપ્પો પર કબજો કરી દીધો. પછી હમા અને હોમ્સનાં મુખ્ય કેન્દ્રો પર કબજો કર્યો.
વિદ્રોહીની આ સફળતાથી સીરિયાની રાજધાની દમાસ્કસ અલગ પડી ગઈ અને કેટલાક કલાકોમાં વિદ્રોહીઓ રાજધાનીમાં ઘૂસી આવ્યા. દમાસ્કસ જ અસદના સત્તાનું કેન્દ્ર છે. હવે સીરિયામાં અસદ પરિવારના પાંચ દશકના શાસનનો અંત આવી ગયો છે જે હવે આ ક્ષેત્રમાં સત્તાનિયંત્રણનું નવું સ્વરૂપ ધારણ કરી શકે છે.
તુર્કીની સ્પષ્ટ ના
સીરિયાની ઘટના બાદ ઈરાન ફરી પોતાના પ્રભાવ પર પડેલો મોટો ઝાટકો અનુભવી રહ્યું છે.
બશર અલ-અસદના શાસનમાં સીરિયા એ ઈરાનીઓ અને હિઝ્બુલ્લાહ વચ્ચેના સંબંધનો એક ભાગ હતું. જે હથિયારો અને દારૂગોળાના પૂરવઠા માટે મહત્ત્વનું મનાતું હતું.
ઇઝરાયલ સાથેની જંગમાં હિઝ્બુલ્લાહ કમજોર પડી ગયું છે અને તેને પોતાનું જ ભવિષ્ય અનિશ્ચિત દેખાય છે.
ઈરાન સમર્થિત જૂથ હૂતી પણ યમનમાં હવાઈ હુમલાના નિશાન પર છે. આ જૂથો સિવાય ઇરાકમાં સક્રિય હથિયારબંધ જૂથ અને ગાઝામાં હમાસ જેવા જૂથોને ઈરાન 'ઍક્સિસ ઑફ રેઝિસ્ટન્સ' કહે છે તેમને ઘણું નુકસાન થયું છે.
આ નવી પરિસ્થિતિમાં ઇઝરાયલમાં ઉત્સવનો માહોલ હશે. જેને ઈરાન પોતાના માટે ખતરો માને છે.
ઘણા લોકોનું કહેવું છે કે સીરિયામાં હાલની સ્થિતિ તુર્કીની ઇચ્છા વગર સંભવ ન થઈ શકે. જોકે, સીરિયામાં કેટલાક વિદ્રોહી જૂથોનું સમર્થન કરનારા તુર્કીએ એચટીએસને ક્યારેય પણ સમર્થન આપ્યાનો ઇન્કાર કર્યો છે.
કેટલાક સમયથી તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ આર્દોઆને બશર અલ-અસદ પર દબાણ બનાવ્યું હતું કે તે સંઘર્ષનું રાજનૈતિક સમાધાન શોધવાની કોશિશ કરે અને વાતચીતમાં સામેલ થાય. જેથી સીરિયાઈ શરણાર્થીઓની વાપસી થઈ શકે. આ શરણાર્થીઓ પૈકી લગભગ 30 લાખ શરણાર્થીઓ તુર્કીમાં છે અને તે સ્થાનિકસ્તરે સંવેદનશીલ મુદ્દો મનાય છે.
વધારે હિંસાની આશંકા
ઘણા લોકો સીરિયામાં બશર અલ-અસદના શાસનને સમાપ્ત થતા જોઈને ખુશ છે.
પરંતુ આગળ શું થશે? એચટીએસની જડ અલ-કાયદા સાથે જોડાયેલી છે અને તેનો ભૂતકાળ હિંસાથી ખરડાયેલો છે.
જોકે, આ જૂથ છેલ્લા એક વર્ષથી પોતાને એક રાષ્ટ્રવાદી તાકત તરીકે સ્થાપિત કરવાની કોશિશ કરી રહ્યું છે. તેના હાલના સંદેશમાં પણ કૂટનૈતિક અને મેલ-મિલાપની ભાષા નજરે પડે છે.
ઘણા લોકો તેમની સાથે સંમત નથી. તેઓ ચિંતિત પણ છે. તેમને કદાચ સીરિયામાં શાસન હઠાવ્યા બાદ તેને અંજામ આપવાની યોજના બની રહી હશે તેવો અહેસાસ છે.
આ જ સમય દરમિયાન સીરિયામાં નાટકીય સત્તાપરિવર્તનના શાસનના કારણે શિર્ષસ્થસ્તરે એક ખાલીપણું આવી શકે છે. આ ખાલીપણાને લઈને અરાજકતા અને હિંસાનો દોર શરૂ થઈ શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન