ઉમર ખાલિદ અને શરજીલ ઇમામ સહિતના આરોપીની જામીન અરજી ફગાવાઈ, શું છે આખો મામલો

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હીમાં હિંસાનું કાવતરું ઘડવાના આરોપી ઉમર ખાલિદ તથા શરજીલ ઇમામ સહિત અન્ય આરોપીઓની જામીન અરજી ફગાવી દેવાઈ છે.
તેમની જામીન અરજી પર આજે એટલે કે મંગળવારે હાઇકોર્ટમાં સુનાવણી થઈ.
જસ્ટિસ નવીન ચાવલા તથા જસ્ટિસ શૈલેન્દરકોરની ખંડપીઠે આ કેસની સુનાવણી કરતાં જામીન આપવાનો ઇન્કાર કર્યો હતો. આદેશની લેખિત કૉપી હજુ મળી નથી શકી.
આ કેસમાં અત્તહર ખાન, ખાલિદ શફી, મોહમ્મદ સલીમ ખાન, શીફા-ઉર-રહમાન, મીરન હૈદર, ગુલફીશ ફાતિમા તથા શાહદાબ અહમદને પણ આરોપી બનાવવામાં આવ્યા છે.
જેમના જામીન અરજી ફગાવાઈ છે તે છે શરજીલ ઇમામ, ઉમર ખાલિદ, ગુલફીશ ફાતિમા, અતર ખાન, અબ્દુલ ખાલિદ સેફી, મોહમ્મદ સલીમ ખાન, શિફા-ઉર-રહમાન, મીરાન હૈદર અને શાદાબ અહેમદ.
આ મામલામાં મંગળવારે તસલીમ અહમદના પણ જામીન ફગાવી દેવામાં આવ્યા છે.
ઉમર ખાલિદ તથા શરજીલ ઇમામ વિદ્યાર્થી નેતા અને સામાજિક કાર્યકર્તાની પૃષ્ઠભૂમિ ધરાવે છે. ભારતમાં કોરોનાએ ભરડો લીધો એ પહેલાં ફેબ્રુઆરી-2020માં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં હિંસા ફાટી નીકળી હતી. આરોપીઓ પર હિંસાને વકરાવવાનો આરોપ છે.
દિલ્હીમાં ફાટી નીકળેલી હિંસામાં 50થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા તથા ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા. આ હિંસામાં કરોડો રૂપિયાની સંપત્તિને પણ નુકસાન પહોંચ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ મામલામાં 20 જેટલા લોકો આરોપી છે, જેમાંથી 12 હજુ જેલમાં છે. છ લોકો જામીન પર બહાર છે અને બે ફરાર જાહેર કરાયા છે.
કોણ છે ઉમર ખાલિદ તથા તેમના પર શું આરોપ છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઉમર ખાલિદ સપ્ટેમ્બર 2020થી જેલમાં બંધ છે. તેમના પર આરોપ છે કે તેમણે ફેબ્રુઆરી 2020માં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં હિંસાની ઉશ્કેરણી કરી હતી. તેમની સામે બે એફઆઈઆર દાખલ થયેલી છે.
એક કેસમાં ઉમરને એપ્રિલ 2021માં જામીન મળી ગયા હતા. બીજા કેસમાં તેમની સામે અનલૉફુલ ઍક્ટિવિટિઝ પ્રિવેન્શન ઍક્ટ એટલે કે યુએપીએ હેઠળ આરોપ લગાવવામાં આવ્યા હતા.
નાગરિકતા સંશોધન કાયદા (સીએએ) સામે ડિસેમ્બર 2019માં વ્યાપક આંદોલન થયાં હતાં. આ સંશોધન પછી પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ જેવા પાડોશી દેશોના હિન્દુ, ખ્રિસ્તી, જૈન, પારસી, શીખ, યહૂદી અને જૈનો જેવા ત્યાંના લઘુમતી સમુદાયોને નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી હતી.
ઉમર ખાલિદ આ કાયદાના વિરોધમાં આયોજિત વિરોધપ્રદર્શનોમાં સામેલ હતા. આ દેખાવો લગભગ ત્રણ મહિના સુધી ચાલ્યા હતા.
દિલ્હીમાં રમખાણોનું કાવતરું ઘડવાના આરોપનો કેસ

ઇમેજ સ્રોત, Getty Images
ફેબ્રુઆરી 2020માં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં રમખાણો ફાટી નીકળ્યાં હતાં. જેમાં 53 લોકોનાં મોત થયાં હતાં. તેમાંથી મોટા ભાગના મુસ્લિમો હતા.
ફરિયાદ પક્ષનો આરોપ છે કે ઉમર ખાલિદે અન્ય લોકો સાથે પ્રદર્શન દરમિયાન હિંસા આચરવાનું કાવતરું ઘડ્યું હતું અને તેના કારણે રમખાણો થયાં.
ઉમર ખાલિદ વિરુદ્ધ બે એફઆઈઆર નોંધવામાં આવી હતી. એફઆઈઆર નંબર 101/2020 નોર્થ ઇસ્ટ દિલ્હીમાં 24 ફેબ્રુઆરી 2020ના રોજ દાખલ કરવામાં આવી હતી. જેમાં ઉમર પર રમખાણો, પથ્થરમારો અને બૉમ્બધડાકા, બે સમુદાયો વચ્ચે નફરત ફેલાવવી, પોલીસ પર હુમલો કરવો, સરકારી સંપત્તિને નુકસાન કરવું વગેરે આરોપ મૂકવામાં આવ્યા.
આ કેસમાં ફરિયાદ પક્ષે આરોપ લગાવ્યો છે કે દિલ્હીમાં એક મોટા કાવતરાને કારણે રમખાણો થયાં હતાં. આરોપીઓ પર સીએએ વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવવાનો અને રસ્તા રોકવાનો પણ આરોપ છે.
તેમનું કહેવું છે કે એક સાક્ષીએ ઉમર ખાલિદની ઓળખ પણ કરી છે, જે અનુસાર તેઓ આ ષડ્યંત્રના આરોપીઓને મળી રહ્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ખાલિદના વકીલનું કહેવું છે કે પથ્થરમારાના સમયે તે ત્યાં હાજર ન હતા. તેમનો આરોપ છે કે ઉમર ખાલિદની ધરપકડ વિરોધના અવાજને દબાવવાનું રાજકીય કાવતરું છે. હિંસામાં ઉમર ખાલિદની સંડોવણી સાબિત કરી શકાય એવા કોઈ પુરાવા તેની સામે ન હોવાની વાત અવલોકીને સ્થાનિક કોર્ટે તેને જામીન આપ્યા હતા.
પ્રથમ કેસમાં જામીન મળ્યા બાદ પણ ઉમર ખાલિદ હજુ પણ જેલમાં રહ્યા, કારણ કે તેમના વિરુદ્ધ એક બીજી એફઆઈઆર નોંધાયેલી છે. એફઆઈઆર નં. 59/2020માં ઉમર ખાલિદ અને અન્ય લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.
તેમના વિરુદ્ધ અન્ય કલમો ઉપરાંત ઉગ્રવાદ, ષડ્યંત્ર રચવું, યુએપીએ હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને તત્કાલીન આઈપીસીની (ભારતીય દંડ સંહિતા) કલમો હેઠળ રમખાણ ફેલાવવાના આરોપો મૂકવામાં આવ્યા છે.
સરકારનું કહેવું છે કે 'પિંજરા તોડ' અને 'સ્ટુડન્ટ ફેડરેશન ઑફ ઇન્ડિયા' જેવાં સંગઠનોએ સીએએ વિરુદ્ધ આંદોલનનું કાવતરું રચ્યું. તેમાં "પોલીસ અને અર્ધસૈનિક દળો પર હુમલો, કોમી હિંસા, બિનમુસ્લિમો પર હુમલો અને સરકારી તથા ખાનગી સંપત્તિને નુકસાન કરવાના" આરોપો સામેલ છે.
સરકારે ઉમર ખાલિદને રમખાણોના માસ્ટરમાઇન્ડ અને દૂરથી પર્યવેક્ષણ કરનાર ગણાવ્યા છે.
સરકારી પક્ષના કહેવા પ્રમાણે, રમખાણો શરૂ થયા બાદ અન્ય આરોપીઓએ ઉમરને અનેક ફોન કર્યા હતા. જેના કારણે રમખાણોમાં તેમની સામેલગીરીનો સંકેત મળે છે.
જુલાઈમાં નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો

ઇમેજ સ્રોત, Getty Images
આરોપીઓ તરફથી મજબૂત દલીલ કરવામાં આવી હતી કે એમને ટ્રાયલ વગર પાંચ વર્ષ સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા. હજુ સુધી ટ્રાયલ શરૂ થઈ નથી. એમનું કહેવું છે કે ટ્રાયલમાં હજુ સમય લાગશે એટલે જામીન આપવામાં આવે.
એમણે એ પણ કહ્યું કે દેવાંગના કલિતા અને નતાશા નરવાલને આ મામલે જામીન મળી ચૂક્યા છે. એટલે સમાનતાના આધાર પર બાકીના આરોપીઓને પણ જામીન મળવા જોઈએ.
લાંબી સુનાવણી બાદ કોર્ટે જામીન પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
શરજીલ ઇમામ અને ખાલિદ સૈફી જેવા કેટલાક આરોપીઓની અરજી 2022થી દિલ્હી હાઇકોર્ટમાં પૅન્ડિંગ હતી. ઉમર ખાલિદ સહિત કેટલાય આરોપીઓની અરજી 2024થી પૅન્ડિંગ છે.
9 જુલાઈના રોજ સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ દિલ્હી પોલીસ તરફથી દલીલ કરી હતી. એમણે બે દલીલ પર ભાર મૂક્યો હતો.
પહેલો-ફેબ્રુઆરી 2020ની સાંપ્રદાયિક હિંસા એક ષડયંત્ર હતું, જેનો હેતુ ભારતની સંપ્રભુતાને ઠેસ પહોંચાડવાનો હતો. બીજી દલીલ- ટ્રાયલ મોડી શરૂ થાય તો જામીન મળી શકે છે, પરંતુ જ્યારે રાજધાનીમાં હિંસા ભડકાવવાનો આરોપ હોય ત્યારે નહીં.
એમણે કોર્ટમાં કહ્યું હતું કે આ કોઈ સામાન્ય રમખાણો ન હતાં.
સુનાવણી દરમિયાન સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે દિલ્હી રમખાણોનો અસલી હેતુ ભારતની છબીને વૈશ્વિક સ્તરે બદનામ કરવાનો હતો.
એમણે કહ્યું કે, રમખાણની તારીખ એ સમયે નક્કી કરવામાં આવી હતી કે જ્યારે તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવવાના હતા.
આરોપીઓનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, Getty Images
આરોપીઓએ પોતાના પક્ષમાં કહ્યું કે તેઓ ઘણાં વર્ષથી જેલમાં છે અને હજુ સુધી ટ્રાયલ શરૂ થઈ નથી.
એમણે સુપ્રીમ કોર્ટમાં એ ફેંસલાનો હવાલો આપ્યો કે જેમાં કહેવામાં આવ્યું હતું કે જો ટ્રાયલમાં મોડું થાય તો આરોપીઓને જામીન આપી દેવા જોઈએ.
આરોપીઓના વકીલોએ કોર્ટમાં પોતાનો પક્ષ રાખ્યો હતો. દરેકની દલીલમાં બે વાતો સામાન્ય હતી. પહેલી ટ્રાયલમાં મોડું અને બીજી અન્ય આરોપીઓને જામીન મળવા.
આ સાથે કેટલાક વકીલોએ પોલીસ દ્વારા આપવામાં આવેલા પુરાવાઓ પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
ઉમર ખાલિદના વકીલ ત્રિદીપ પાઈસે કહ્યું કે, "કોઈ વૉટસઍપ ગ્રૂપમાં સામેલ થવું અપરાધ નથી. એમનો તર્ક હતો, "ઉમર ખાલિદને એ ગ્રૂપ્સમાં કોઈએ જોડી દીધા હતા. એમણે ગ્રૂપમાં કોઈ મૅસેજ મોકલ્યો ન હતો''
એમણે એ પણ કહ્યું કે ઉમર ખાલિદ પાસેથી કોઈ હથિયાર જપ્ત થયું નથી. એમના ભાષણમાં કશું વાંધાજનક ન હતું.
આ સિવાય વકીલોએ પોલીસની ગોપનીય સાક્ષીઓની વિશ્વસનીયતા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. ત્રિદીપ પાઇસે કહ્યું કે કોર્ટે એ જોવું જોઈએ કે સાક્ષીઓ કેટલા ભરોસાને પાત્ર છે.
ગુલફિશા ફાતિમાના વકીલે પણ દલીલ કરી કે એમને દિલ્હી રમખાણો સાથે જોડવા માટેના કોઈ નક્કર પુરાવા નથી. એમણે માત્ર શાંતિપૂર્ણ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. તેમણે સાક્ષીઓનાં નિવેદનોને પણ અવિશ્વસનીય ગણાવ્યાં હતાં.
શરજીલ ઇમામના વકીલે કહ્યું કે, એમની જાન્યુઆરી,2020માં ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે રમખાણો તો ફેબ્રુઆરી મહિનામાં થયાં હતાં.
એમણે જણાવ્યું કે ભાષણોના આધારે પહેલેથી એક ટ્રાયલ ચાલી રહી છે અને આ કેસમાં એમને જામીન મળી ચૂક્યા છે.
કોણ છે શરજીલ ઇમામ તથા તેમના પર શું આરોપ છે?

ઇમેજ સ્રોત, FACEBOOK/SHARJEEL IMAM
જેએનયુના વિદ્યાર્થી શરજીલ ઇમામ પર દિલ્હી પોલીસે 'રાજદ્રોહ અને જામિયામાં હિંસા ભડકાવવાના ભાષણ' માટે ચાર્જશીટ દાખલ કરી છે.
શરજીલ ઇમામે નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધમાં ચાલી રહેલા વિરોધપ્રદર્શન દરમિયાન 15 ડિસેમ્બર, 2019માં ભાષણ આપ્યું હતું. પોલીસનો આરોપ છે કે તેમના ભાષણ બાદ જામિયા વિસ્તારમાં હિંસા ભડકી હતી.
શરજીલની બિહારના જહાનાબાદથી દિલ્હી પોલીસે 28 જાન્યુઆરી, 2020ના રોજ ધરપકડ કરી હતી. બાદમાં જહાનાબાદની કોર્ટે તેમને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર દિલ્હી પોલીસને સોંપવામાં આવ્યા હતા. જોકે પરિવારજનોનું કહેવું હતું કે તેમણે સરન્ડર કર્યું હતું.
શરજીલ જહાનાબાદના કાકોના રહેવાસી છે. કાકોમાં હિંદુ-મુસ્લિમની વસતી છે. જોકે કાકો ગામમાં મુસ્લિમોની વસતી વધુ છે.
શરજીલના પિતા અકબર ઇમામની બે-બે વાર વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. 2005માં તેઓએ છેલ્લે જેડીયુની ટિકિટ પરથી ચૂંટણી લડી હતી, ત્યારે તેઓ 2250 મતથી હારી ગયા હતા.
શરજીલે પ્રાથમિક શિક્ષણ કાકોમાંથી લીધું છે. બાદમાં તેઓ પટનાની સૅન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ભણવા ગયા હતા.
ત્યાંથી તેઓએ દિલ્હીમાં ડીપીએસ વસંતકુંજ અને પછી આઈઆઈટી પવઈથી (મુંબઈ) કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ કર્યું. બાદમાં તેમણે દિલ્હીસ્થિત જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી (જેએનયુ) પીએચ.ડી. શરૂ કર્યું.
શરજીલ પોતાને દિલ્હીમાં આવેલા શાહીનબાગ વિસ્તારના વિરોધપ્રદર્શનના મુખ્ય આયોજક ગણાવતા હતા. તેમણે બીજી જાન્યુઆરીએ (2020) ધરણાં-પ્રદર્શન પરત લેવાનું એલાન કર્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












