રઝિયા સુલતાને સાવકા ભાઈને સત્તા પરથી હઠાવીને દિલ્હીની ગાદી કેવી રીતે મેળવી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી હિન્દી
1206માં જ્યારે ચંગીઝ ખાનની સેના મધ્ય એશિયાના ઘાસનાં મેદાનોને ઘોડાઓની નાળ નીચે કચડી રહી હતી ત્યારે દિલ્હી સલ્તનતના શાસક શમસુદ્દીન ઇલ્તુત્મિશને ત્યાં એક પુત્રીનો જન્મ થયો, જે પાછળથી રઝિયા બિન્ત ઇલ્તુત્મિશ કહેવાયાં.
દિલ્હીમાં કુતુબમિનારનું બાંધકામ કુતુબદ્દીન ઐબકે શરૂ કર્યું હતું, પરંતુ તેને પૂર્ણ રઝિયાના પિતા સુલતાન ઇલ્તુત્મિશે કર્યું હતું.
મિન્હાજુસ સિરાજ જુજ્જાનીએ તેમના પુસ્તક 'તબકત-એ-નાસીરી'માં લખ્યું છે, "એવું માનવામાં આવે છે કે દિલ્હી પર શાસન કરનારાઓમાં ઇલ્તુત્મિશ કરતાં વધુ ઉદાર, વિદ્વાનો અને વડીલોનો આદર કરનાર સુલતાન બીજો કોઈ નહોતો."
ચૌદમી સદીમાં મોરોક્કોથી ભારત આવેલા પ્રવાસી ઇબ્ન બતુતાએ પણ તેમના પુસ્તક 'રેહલા'માં લખ્યું છે કે, "દબાયેલા કચડાયેલા લોકોને ન્યાય અપાવવામાં અને તેમની સાથે થયેલા અન્યાયને દૂર કરવામાં ઇલ્તુત્મિશનો કોઈ મુકાબલો નહોતો."
"તેમણે પોતાના મહેલની બહાર એક મોટો ઘંટ લગાવ્યો હતો. લોકો પોતાની પરેશાની બાબતે સુલતાનનું ધ્યાન ખેંચવા માટે તેને વગાડી શકતા હતા. ઘંટનો અવાજ સાંભળીને સુલતાન તેમની ફરિયાદનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરતા."
રઝિયા ઉત્તરાધિકારી બન્યાં

ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે ઇલ્તુત્મિશ વૃદ્ધ થવા લાગ્યા ત્યારે તેમના દરબારીઓએ તેમને પોતાનો ઉત્તરાધિકારી જાહેર કરવા વિનંતી કરી. જેથી તેમના મૃત્યુ પછી તેમના વારસદારો વચ્ચે કોઈ યુદ્ધ ન થાય. ત્યાર બાદ ઇલ્તુત્મિશે પોતાનાં મોટાં પુત્રી રઝિયાને પોતાના ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યાં.
તે સમયના ઇતિહાસકાર સિરાજ જુઝજાની લખે છે, "સુલતાને રઝિયાને છોકરી હોવા છતાં પોતાની વારસદાર જાહેર કરી હતી અને તે પણ લેખિતમાં. જ્યારે તેના દરબારીઓ આ નિર્ણયને પચાવી શક્યા નહીં, ત્યારે ઇલ્તુત્મિશે તેમને કહ્યું, 'મારા બધા પુત્રો તેમની યુવાનીનો આનંદ માણવામાં વ્યસ્ત છે. તેમાંથી એક પણ રાજા બનવા માટે સક્ષમ નથી. મારા મૃત્યુ પછી તમે જોશો કે દેશનું નેતૃત્વ કરવા માટે મારી પુત્રી કરતાં વધુ સક્ષમ કોઈ નહીં હોય'."
સુલતાને રઝિયાને પસંદ કરવા માટે ફક્ત લાગણીઓ પર આધાર રાખ્યો ન હતો. રઝિયામાં શાસન કરવાની ક્ષમતા હતી. જ્યારે પણ ઇલ્તુત્મિશ તેમના લશ્કરી અભિયાનો દરમિયાન તેમને વહીવટી જવાબદારીઓ સોંપતા, ત્યારે તેમણે તે જવાબદારીઓ સારી રીતે નિભાવી હતી. એમાં કોઈ શંકા નથી કે ઇલ્તુત્મિશની પસંદગી પરંપરા અનુસાર નહોતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે આરબ ઇતિહાસમાં મહિલાઓએ રાજકારણમાં ભાગ લીધો હોવાનાં કેટલાંક ઉદાહરણો છે. તેમણે કેટલીક લશ્કરી ઝુંબેશમાં પણ ભાગ લીધો હતો, પરંતુ તે સમયના સમાજમાં સ્ત્રીઓ સામાન્ય રીતે પડદા પાછળથી રાજકારણમાં ભાગ લેતી હતી. તેમનું સિંહાસન પર બેસવું આશ્ચર્યજનક માનવામાં આવતું હતું.
ફિરોઝને દિલ્હીનો સુલતાન બનાવવામાં આવ્યા

ઇમેજ સ્રોત, SPECTRUMOFTHOUGHTS
ઇલ્તુત્મિશના મૃત્યુ પછી તેમના લેખિત આદેશો છતાં દરબારીઓએ તેમની છેલ્લી ઇચ્છાનું પાલન કરવાનો ઇનકાર કર્યો, કારણ કે તેઓ કોઈ સ્ત્રી હેઠળ કામ કરવા તૈયાર ન હતા.
તેમણે ઇલ્તુત્મિશના સૌથી મોટા હયાત પુત્ર રુકનુદ્દીન ફિરોઝને દિલ્હીની ગાદી પર બેસાડ્યા. પ્રખ્યાત ઇતિહાસકાર અબ્રાહમ ઇરાલી તેમના પુસ્તક 'ધ એજ ઑફ રોથ' માં લખે છે, "વિડંબના એ છે કે ફિરોઝને ગાદી પર બેસાડ્યા બાદ પણ ઇલ્તુત્મિશના દરબારીઓને એક મહિલાના શાસનનો સામનો કરવો પડ્યો. એ મહિલા એક ચાલાક અને બદલો લેનારી હતી. ફિરોઝને સરકાર ચલાવવામાં કોઈ રસ નહોતો તેથી તેણે બધી જવાબદારીઓ તેની માતા શાહ તુર્કન પર છોડી દીધી હતી."
ફિરોઝ એક અનિર્ણાયક શાસક સાબિત થયા. સિરાજે લખ્યું, "ફિરોઝ ચોક્કસપણે ઉદાર અને દયાળુ હતો. પરંતુ તે વ્યભિચાર, દારૂ અને મોજમસ્તીનો એટલો વ્યસની હતો કે તેને રાજ્યના કામકાજમાં કોઈ રસ નહોતો. તે નશામાં હાથી પર સવારી કરતો અને શેરીઓ અને બજારોમાંથી પસાર થતો અને મુઠ્ઠીભર સોનાના સિક્કા દાન કરતો જે તેની આસપાસ ફરતા લોકો લૂંટી લેતા."
ફિરોઝની હત્યા

ઇમેજ સ્રોત, SANGE MEEL PUBLICATION
ફિરોઝના શાસનકાળ દરમિયાન તેમનાં માતા શાહ તુર્કને હરમમાં તેમની જૂની અદાવતોનો હિસાબ બરાબર કર્યો.
તેમણે પહેલા ફિરોઝના એક સાવકા ભાઈને આંધળો કરાવ્યો અને પછી તેને મારી નંખાવ્યો. તેમણે ફિરોઝની સાવકી બહેન રઝિયાને પણ મારી નાખવાનો પ્રયાસ કર્યો.
આ ઘટનાનાં સો વર્ષ પછી સિરાજે લખ્યું, "કુશાસનના આ વાતાવરણમાં ઘણા સુબાના અનેક ગર્વનરોએ ફિરોઝ સામે બળવો કર્યો. જ્યારે ફિરોઝે તેમના બળવાને દબાવવા માટે દિલ્હી છોડ્યું ત્યારે રઝિયાએ તકનો લાભ લીધો અને દિલ્હીની જનભાવનાઓને પોતાના પક્ષમાં કરી."
"લોકોએ મહેલ પર હુમલો કર્યો અને રુકનુદ્દીનની માતા શાહ તુર્કનની ધરપકડ કરી. જ્યારે ફિરોઝ દિલ્હી પાછો ફર્યો ત્યારે તેની ધરપકડ કરાઈ અને તેની હત્યા કરવામાં આવી. ફિરોઝે માંડ સાત મહિના દિલ્હી પર શાસન કર્યું હતું."
રઝિયા દિલ્હીનાં સુલતાન બન્યાં

14મી સદીના ઇતિહાસકાર અબ્દુલ મલિક ઇસામીના જણાવ્યા મુજબ, જ્યારે ફિરોઝને ઉથલાવી દેવામાં આવ્યો અને દરબારીઓ સુલતાન કોને બનાવવો તે અંગે વિચારણા કરવા લાગ્યા, ત્યારે રઝિયાએ બારીમાંથી પોતાનો દુપટ્ટો લહેરાવ્યો અને જાહેર કર્યું, "હું સુલતાનની પુત્રી છું. તેમણે મને તેમના વારસદાર તરીકે પસંદ કરી હતી. તમે સુલતાનના આદેશનો અનાદર કર્યો છે અને મુગટ બીજા કોઈના માથા પર મૂક્યો હતો, જેના કારણે તમે આ સ્થિતિમાં આવી ગયા છો."
"મને થોડાં વર્ષો માટે તાજ આપો અને મારી ક્ષમતાઓની કસોટી કરો. જો હું સારી શાસક સાબિત થાઉં તો મને ગાદી પર રહેવા દેજો. જો હું તમારી અપેક્ષાઓ પર ખરી ન ઊતરી શકું તો ગાદી બીજા કોઈને સોંપી દેજો."
આ રીતે રઝિયા નવેમ્બર 1236માં દિલ્હીની ગાદી પર બેઠાં.
દરબારીઓ રઝિયાને સમજવામાં ભૂલ કરી

ઇમેજ સ્રોત, Getty Images
રઝિયા કેવાં દેખાતાં હતાં તે વિશે ખૂબ ઓછી માહિતી છે. તે ચોક્કસપણે તેમના શાહી મહેલમાં સીડીઓ પર લાંબી બાંયનો કુર્તો અને ઢીલી સલવાર પહેરેલાં દેખાયાં હતાં.
ઇતિહાસકાર ઇરા મુખોટી તેમના પુસ્તક 'હીરોઇન્સ, પાવરફુલ ઇન્ડિયન વુમન ઑફ મિથ ઍન્ડ હિસ્ટ્રી'માં લખે છે, "તે સમયનાં જીવનચરિત્રકારો પુરુષોનું પણ વિગતવાર વર્ણન કરતા ન હતા. જ્યાં સુધી સ્ત્રીઓના વર્ણનની વાત છે તેઓ મોટે ભાગે ચૂપ રહેતા અથવા તો ઘણી બધી બાબતો છુપાવી દેતા. તેમ છતાં આપણે જાણીએ છીએ કે રઝિયા તુર્કી મૂળની હતી અને ઘાસનાં મેદાનોમાં રહેતા લોકોની જેમ તેના ગાલના હાડકાં ઉપસેલાં હતાં અને તેની આંખો બદામ આકારની હતી."
"જ્યારે ઇલ્તુત્મિશના દરબારના ગુલામોએ રઝિયાને સુલતાન બનાવી ત્યારે તેઓ અપેક્ષા રાખતા હતા કે તે તેમનું કહેલું માનશે અને ઇલ્તુત્મિશના શાસનકાળ દરમિયાન તેમનો જે પ્રભાવ હતો તે બની રહેશે. આવનારા દિવસોમાં રઝિયાના વર્તનથી સાબિત થયું કે તેઓએ રઝિયાને સમજવામાં ભૂલ કરી હતી."
રઝિયા પડદો છોડી દે છે

ઇમેજ સ્રોત, ALEPHBOOK
રઝિયાનું દિલ્હીના સિંહાસન પર આરોહણ ઘણા પ્રાંતીય ગવર્નરોને ગમ્યું નહીં. તેમણે પોતાની સેના સાથે દિલ્હી પર કૂચ કરી, પરંતુ રઝિયાએ રાજ્યપાલો વચ્ચેના વિભાજનનો પૂરો લાભ લીધો. આ લોકો રઝિયાને કોઈ નુકસાન પહોંચાડે તે પહેલાં જ તેમના બળવાને કચડી નાખવામાં આવ્યો.
અબ્રાહમ ઇરાલી લખે છે, "જે રીતે રઝિયાએ આ બળવાનો સામનો કર્યો તેના નેતૃત્વ પર શંકા રાખનારા દરબારીઓ પણ તેના પ્રશંસક બન્યા. તેમણે રઝિયાને ટેકો આપવાનું નક્કી કર્યું. આ પછી રઝિયાએ હરમમાં રહેતી સ્ત્રીઓ પર લાદવામાં આવેલાં તમામ નિયંત્રણો તોડી નાંખવાનો નિર્ણય કર્યો."
ઇબ્ને બતુતાએ એમ પણ લખ્યું છે કે, "તેણે પોતાનાં પરંપરાગત કપડાં અને બુરખો છોડી દીધાં અને કમીઝ અને ટોપી પહેરીને જાહેરમાં દેખાવા લાગી. જ્યારે તે હાથી પર રાજમહેલની બહાર આવતી ત્યારે આખી જનતાએ તેનો વેશ જોયો. ક્યારેક તે સૈનિકોથી ઘેરાયેલા માણસોની જેમ ધનુષ્ય અને તીર લઈને ઘોડા પર પણ આવતી અને તે ચહેરા પર કોઈ નકાબ રાખતી નહીં."
સિક્કાઓ પર રઝિયા સુલતાનનું નામ

ઇમેજ સ્રોત, Getty Images
રઝિયા માત્ર એક સારાં વહીવટકાર જ નહીં, પરંતુ લશ્કરી વ્યૂહરચનાકાર તરીકે પણ તેમની પ્રશંસા થઈ. તેમણે આગળ આવીને પોતાની સેનાનું નેતૃત્વ કર્યું.
જ્યારે સિરાજ જુઝજાનીએ ઇલ્તુત્મિશ વંશનો ઇતિહાસ લખ્યો, ત્યારે તેમણે રઝિયા માટે 'લંગરકાશ' શબ્દનો ઉપયોગ કરીને તેમને ખૂબ માન આપ્યું. આ શબ્દનો અર્થ છે - જે યુદ્ધમાં સેનાનું નેતૃત્વ કરે છે.
તેઓ એક ન્યાયી સુલતાન સાબિત થયાં જે પ્રજામાં પ્રિય હતાં. તેમનું સુલતાન બનવું એ મધ્યયુગીન ભારતમાં મુસ્લિમ મહિલા માટે એક અનોખી બાબત હતી.

ઇમેજ સ્રોત, ORIENTAL INSTITUTE
ઇલ્તુત્મિશના સમયમાં ચાંદીના સિક્કા ચલણમાં હતા જેના પર તેમનું નામ કોતરેલું હતું. રઝિયાએ સૌપ્રથમ આ સિક્કાઓ પર પોતાના પિતાના નામ સાથે પોતાનું નામ લખવાનું શરૂ કર્યું. તેમાં ઇલ્તુત્મિશને 'સુલતાન-એ-આઝમ' અને રઝિયાને 'સુલતાન-એ-મુઅઝ્ઝમ' કહેવામાં આવતી હતી.
સમય જતાં રઝિયા એટલાં આત્મવિશ્વાસુ બની ગયાં કે તેમણે ફક્ત પોતાના નામે સિક્કા બનાવવાનું શરૂ કર્યું.
ઇતિહાસકાર એલિસા ગેબેએ તેમના પુસ્તક મેડિવિયસ ઍન્ડ અર્લી મૉડર્ન ઇસ્લામમાં લખે છે, "સિક્કાઓ પર રઝિયાના નામની આગળ 'સુલતાન' શબ્દ લખાયેલો હતો. તેણે ક્યારેય પોતાના માટે 'સુલતાના' શીર્ષકનો ઉપયોગ કર્યો ન હતો. તે એવા સમયે સુલતાન બની હતી જ્યારે યુરોપમાં મહિલાઓ તેમના ઘરની સીમાઓ છોડીને બહાર નીકળવાનું વિચારી પણ શકતી ન હતી."
યાકુત સાથેની નિકટતા

ઇમેજ સ્રોત, PENGUIN RANDOM HOUSE
દિલ્હી સલ્તનતના રૂઢિચુસ્ત ઇસ્લામિક દરબારીઓને રઝિયાનું ખુલ્લું વ્યક્તિત્વ ગમ્યું નહીં અને તેઓએ તેમને હઠાવવાનું કાવતરું ઘડવાનું શરૂ કર્યું.
સુલતાન તરીકે રઝિયાના વ્યક્તિત્વનો મોટો ભાગ બહારની દુનિયા સમક્ષ પોતાને એક પુરુષ તરીકે રજૂ કરવાનો હતો.
અબ્રાહમ ઇરાલી લખે છે, "તે બીજાને બતાવી શકતી હતી કે તે પુરુષોથી ઓછી નથી, પણ પોતાને નહીં. પુરુષ સાથેના સાહચર્યની ઇચ્છા તેના પતન તરફ દોરી ગઈ. વધુમાં તેણે બહારના લોકોને પોતાની નજીક લાવવાની જે રીત શરૂ કરી તે પણ તેના દરબારીઓને ગમ્યું નહીં."
"આમાંથી એક અબિસિનિયન મૂળનો જલાલુદ્દીન યાકુત હતો. રઝિયાએ યાકુતને અમીર-એ-અકબરનું પદ આપ્યું જે તેના તુર્કી દરબારીઓને બિલકુલ ગમ્યું નહીં. તેમને શંકા હતી કે તેને યાકુત સાથે પ્રેમસંબંધ છે. તેઓએ રઝિયાને ગાદી પરથી દૂર કરવાનું કાવતરું ઘડવાનું શરૂ કર્યું."
પંજાબમાં બળવો

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રઝિયા સામે બળવો કરનાર પ્રથમ વ્યક્તિ કબીર ખાન હતા. તેમને પોતાના પક્ષમાં લાવવા રઝિયાએ તેમને લાહોરના ગવર્નર તરીકે નિયુક્ત કરી દીધા, પરંતુ જ્યારે રઝિયાનો પ્રભાવ વધવા લાગ્યો ત્યારે તેમણે દિલ્હીથી 500 કિલોમીટર દૂર લાહોરમાં બળવો કર્યો.
1239માં રઝિયા આ બળવાને કચડી નાખવા માટે એક મોટી સેના સાથે નીકળી પડ્યાં. ચિનાબ નદીના કિનારે રઝિયાનો સામનો કબીર ખાનની સેના સાથે થયો. કબીર ખાન રઝિયાની સેનાનો સામનો કરી શક્યો નહીં અને તેમને હાર સ્વીકારવી પડી.
પરંતુ જ્યારે તેઓ કબીર ખાનના બળવાને દબાવવા માટે દક્ષિણ પંજાબમાં હતાં ત્યારે દિલ્હીમાં તેમના દરબારીઓ પ્રવૃત્ત થઈ ગયા. તેમણે દિલ્હીમાં રઝિયાના નજીકના સાથી યાકુતની હત્યા કરી. રઝિયાની ભટિંડામાં તેમના નજીકના સાથીઓ સાથે ધરપકડ કરવામાં આવી.
તે પછી રઝિયાના સાવકા ભાઈ મોઇઝુદ્દીન બહરામ શાહને દિલ્હીનો સુલતાન બનાવાયા, પરંતુ રઝિયા હજુ સંપૂર્ણપણે ખતમ થયાં ન હતાં.
રઝિયાએ ભટિંડાના ગવર્નર અલ્તુનિયાને જેમણે તેમની ધરપકડ કરી હતી તેમને ઉચ્ચ પદની લાલચ આપીને પોતાની સાથે જોડ્યા. એટલું જ નહીં તેમણે તેમની સાથે લગ્ન કર્યાં. બંને સૈન્ય સાથે દિલ્હી તરફ આગળ વધ્યાં, પણ અહીં નસીબે તેમનો સાથ ન આપ્યો. દિલ્હી સલ્તનતની સેનાએ તેમને હરાવ્યા.
ઇસામીએ લખ્યું રઝિયા સાથે એક પણ ઘોડેસવાર રહ્યો નહીં. તેઓ અને અલ્તુનિયા યુદ્ધભૂમિ છોડીને ભાગી ગયાં અને સ્થાનિક લોકોએ તેમને પકડી લીધાં.
રઝિયા સુલતાનનો અંત કેવો હતો?

ઇમેજ સ્રોત, Getty Images
ત્યાર બાદ રઝિયાનું શું થયું તે અંગે ઇતિહાસકારો એકમત નથી.
સિરાજના મતે રઝિયા અને અલ્તુનિયાની ધરપકડ થતાં જ તેમની હત્યા કરાઈ હતી. અન્ય એક ઇતિહાસકાર યાહ્યા સરહિંદીના મતે બંનેને સાંકળોમાં બાંધીને સુલતાન સમક્ષ રજૂ કરવામાં આવ્યાં હતાં. જ્યાં તેમને મૃત્યુદંડની સજા ફટકારાઈ હતી.
પરંતુ ઇબ્ને બતુતા કહે છે કે કૈથલમાં એક ખેડૂતે રઝિયાના ઘરેણાં ચોરવા માટે તેમની હત્યા કરી હતી.
રઝિયાએ દિલ્હીની સલ્તનત પર ત્રણ વર્ષ અને છ દિવસ શાસન કર્યું. તેમને યમુના કિનારે દફનાવાયાં હતાં અને તેમની યાદમાં એક નાનો મકબરો બનાવાયો હતો. જે આજે પણ દિલ્હીમાં તુર્કમાન ગેટ પાસે અસ્તિત્વમાં છે.
સિરાજ જુઝજાનીએ લખ્યું, "રઝિયા સુલતાન એક મહાન સમ્રાટ હતી. તે એક શાણી, ન્યાયી અને ઉદાર શાસક હતી, જેણે તેના લોકોનાં કલ્યાણ માટે ઘણું કર્યું. તેનામાં એક સારા રાજામાં હોવા જોઈએ તેવા બધા ગુણો હતા. તેનો એકમાત્ર દોષ એ હતો કે તે પુરુષ નહોતી. તેથી તેના આ ગુણોનું પુરુષોની નજરમાં કોઈ મૂલ્ય નહોતું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












