નેપાળ વિમાન દુર્ઘટના : લૅન્ડિંગ પહેલાં પાઇલટે કેમ કહ્યું, 'હું નિર્ણય બદલી રહ્યો છું'

ઇમેજ સ્રોત, ASHOK DAHAL/BBC

- નેપાળ સરકારે દુર્ઘટનાની તપાસ માટે પાંચ સભ્યોના કમિશનની રચના કરી છે
- વીઆરએફ ટેકનિકનો ઉપયોગ વિમાનોના પાઇલટ શુદ્ધ હવામાનમાં ઉડાન ભરવા અને ઉતરવા માટે કરે છે
- 72 સીટવાળા આ વિમાનમાં 68 મુસાફરો અને ચાલકદળના ચાર સભ્યો સવાર હતા
- વિમાનમાં પાંચ ભારતીય નાગરિક પણ હાજર હતા
- વિમાન લૅન્ડ થતા પહેલા પાઇલટે લૅન્ડિંગ પૅડ બદલવાનો નિર્ણય કર્યો હતો
- વિમાનમાં નેપાળના 53, રશિયાના ચાર, કોરિયાના બે અને આયરલૅન્ડ, અર્જેન્ટીના, ઑસ્ટ્રેલિયા અને ફ્રાન્સના એક-એક મુસાફરો બેઠેલા હતા

નેપાળના પોખરામાં રવિવારે થયેલી વિમાન દુર્ઘટનાનું કારણ શું છેલ્લી ક્ષણે 'લૅન્ડિંગ પૅડ બદલવાનું' હતું?
નેપાળના અધિકારીઓએ ઍરપૉર્ટ પર લૅન્ડિંગ થતા પહેલાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા વિમાનમાં સવાર ઓછામાં ઓછા 68 લોકોનાં મૃત્યુની પુષ્ટિ કરી છે. આ વિમાનમાં ચાલકદળના સભ્યો સહિત કુલ 72 લોકો હતા. મુસાફરોમાં પાંચ ભારતીય નાગરિકો હતા.
નેપાળ સરકારે દુર્ઘટનાની તપાસ માટે પાંચ સભ્યોના કમિશનની રચના કરી છે.
બીબીસી નેપાળી સર્વિસના અહેવાલ અનુસાર, અત્યાર સુધીની તપાસ અને પ્રત્યક્ષદર્શીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર જે વાત સામે આવી છે, તેમાં લૅન્ડિંગ પૅડ બદલવાના નિર્ણયને લઈને સૌથી વધુ સવાલો ઊઠી રહ્યા છે.
ઍરપૉર્ટ અધિકારીના જણાવ્યા અનુસાર, “પોખરામાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા યેતી ઍરલાઇન્સના વિમાને રનવેથી 24.5 કિલોમીટર દૂર આવ્યા બાદ તેનું લૅન્ડિંગ પૅડ બદલી નાખ્યું હતું.”
અધિકારીઓ અનુસાર, “કપ્તાન કમલ કેસીના નેતૃત્વમાં વિમાનને લૅન્ડ કરવાની અનુમતિ આપવામાં આવી હતી. ત્યાં સુધી વિમાન અને તેની ઉડાનમાં કોઈ સમસ્યા જોવા મળી ન હતી.”
ત્યારબાદ અચાનક વિમાનના પાઇલટે એટીસીને કહ્યું, “હું મારો નિર્ણય બદલી રહ્યો છું.”
અધિકારી અનુસાર, “પાઇલટને રનવે પર ઊતરવાની અનુમતિ આપવામાં આવી હતી, પરંતુ તેમણે રનવે-12 પર ઉતારવાની મંજૂરી માગી.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

'અને વિમાન ક્રૅશ થઈ ગયું’

ઇમેજ સ્રોત, KRISHNA MANI VIRAL
લૅન્ડિંગની મંજૂરી મળ્યા બાદ વિમાન 'વિઝિબિલિટી સ્પેસ'માં આવી ગયું હતું. એટલે કે તેને કન્ટ્રોલ ટાવર પરથી જોઈ શકાતું હતું. તેના આધારે ઍર ટ્રાફિક કન્ટ્રોલે અનુમાન લગાવ્યું હતું કે વિમાન 10થી 20 સેકન્ડમાં રનવે પર ઊતરી જશે.
ઍરપૉર્ટના એક ટ્રાફિક કન્ટ્રોલરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, "ટર્ન દરમિયાન જ્યારે વિમાનનું લૅન્ડિંગ ગિયર ખોલવામાં આવ્યું, ત્યારે વિમાન 'સ્ટૉલ' થઈ ગયું અને નીચે તરફ જવા લાગ્યું."
ઉડ્ડયનની પરિભાષામાં 'સ્ટૉલ' નો અર્થ થાય છે, વિમાનની પોતાની ઊંચાઈ જાળવી રાખવામાં નિષ્ફળ થવું.
આ અધિકારીના કહેવા મુજબ, 'કન્ટ્રોલ ટાવર પરથી વિમાન સ્પષ્ટ દેખાતું હતું.'
પોખરા હવાઈમથકના પ્રવક્તા વિષ્ણુ અધિકારીએ પણ જણાવ્યું હતું કે, “રવિવારે અહીં હવામાન સાફ હતું અને તમામ ફ્લાઇટ્સ નિયમિત હતી.”

પ્રત્યક્ષદર્શીઓએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Empics
બીબીસી નેપાળી સર્વિસ સાથે વાતચીત કરતા સમયે કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, લૅન્ડિંગ પહેલાં ટર્ન લેતી વખતે વિમાને નિયંત્રણ ગુમાવી દીધું હતું.
બીબીસીએ ઘટના અંગે વધુ જાણકારી માટે ઘણા પ્રત્યક્ષદર્શીઓ સાથે વાતચીત કરી. તેમના મુજબ, આ બધું એટલું અચાનક થઈ ગયું કે લોકો સમજી ન શક્યા.
43 વર્ષીય કમલા ગુરંગે જણાવ્યું હતું કે, “મેં મારી આંખો સામે વિમાનને સળગતું જોયું.”
કમલા ગુરંગ ઘરીપાટન વિસ્તારમાં રહે છે, જ્યાં એક ઘરના કમ્પાઉન્ડમાં વિમાન ક્રૅશ થઈને પડ્યું હતું. ત્યાં વિમાનની બારીઓના ટુકડા, ચાના કપ અને બળી ગયેલો સામાન વેરવિખેર પડ્યાં હતાં.

‘બૉમ્બની જેમ ફાટ્યું વિમાન’

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કમલા કહે છે કે, “ઘટનાને જોઈને બાળકો ડરીને ઘરમાં ઘૂસી ગયાં હતાં.”
કમલા ગુરુંગે કહ્યું હતું કે, "સવારે 11.30 વાગ્યા સુધી બધું સામાન્ય હતું, હું રોજની જેમ ધાબા પર બાળકો સાથે તડકામાં બેઠી હતી. ઘરમાંથી વિમાનોનો આવવા-જવાનો અવાજ સામાન્ય વાત છે, પરંતુ રવિવારે સવારે ઉપરથી પસાર થતા વિમાનનો અવાજ રોજ કરતા અલગ હતો. મેં જોયું ત્યાં સુધીમાં તો વિમાન ક્રૅશ થઈ ગયું હતું."
તેમણે વધુમાં કહ્યું હતું કે, “આટલી ભયાનક વિમાન દુર્ઘટના તેઓએ આ પહેલાં ક્યારેય જોઈ નથી.”
"જ્યારે વિમાન નીચે પડ્યું, ત્યારે ખૂબ જ જોરદાર અવાજ સંભળાયો હતો. ત્યારબાદ થોડી વાર માટે માત્ર ધુમાડાનાં કાળાં વાદળો જ દેખાતાં હતાં. જોતજોતામાં આગની જ્વાળાઓ વધવા લાગી."
ઘટનાસ્થળથી માંડ 200 મીટર દૂર કેટલાંક ઊંચાં ઘરો છે. અન્ય એક સ્થાનિક રહેવાસી બાલબહાદુર ગુરુંગે કહ્યું હતું કે, “નસીબ સારું હતું કે વિમાન ત્યાં જ ક્રૅશ ન થયું.”
બહાદુર ગુરુંગે વધુમાં કહ્યું હતું કે, "વિમાન ખૂબ જ નીચેથી આવ્યું હતું. તે ઘાટ તરફ જઈ રહ્યું હતું, ત્યારે તે અચાનક બૉમ્બની જેમ ફૂટી ગયું. આસપાસના જંગલમાં પણ આગ લાગી ગઈ હતી."
ત્યારબાદ પોખરામાં યેતી ઍરલાઈન્સના વિમાનની દુર્ઘટનાગ્રસ્ત થવાના સમાચાર દરેક જગ્યાએ ફેલાઈ ગયા હતા.

બસ લૅન્ડ થવાનું હતું વિમાન

પોખરામાં ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પહેલી જાન્યુઆરીથી જ ચાલુ થયું હતું. અહીં પૂર્વ અને પશ્ચિમ બંને દિશામાંથી વિમાન લૅન્ડ થઈ રહ્યાં છે.
પૂર્વમાંથી લૅન્ડિંગ માટે વિમાનોને રનવે-30 અને પશ્ચિમથી લૅન્ડિંગ માટે રનવે-12નો ઉપયોગ કરવાનું કહેવામાં આવે છે.
હવાઈમથકના અધિકારીઓ અનુસાર, “ઘટનાનો શિકાર વિમાન ‘વિઝ્યુઅલ ફ્લાઇટ રૂલ્સ’ (VRF) ‘ ટેકનિકનો ઉપયોગ કરીને લૅન્ડિંગની પ્રક્રિયામાં હતું.”
વીઆરએફ ટેકનિકનો ઉપયોગ વિમાનોના પાઇલટ શુદ્ધ હવામાનમાં ઉડાન ભરવા અને ઊતરવા માટે કરે છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, “વિમાન જ્યારે પહેલી વાર સંપર્કમાં આવ્યું તો એટીસીએ તેને રનવે-30 પર ઊતરવાની મંજૂરી આપી હતી, પરંતુ 24.5 કિલોમીટર નજીક આવ્યા બાદ વિમાને રનવે-12 પર ઊતરવાની અનુમતિ માગી હતી.”
વિમાનના પાઇલટ એટીસીએ કહ્યું હતું કે, “હું મારો નિર્ણય બદલી રહ્યો છું અને હું પશ્ચિમ દિશામાં લૅન્ડ કરીશ.”
એમને પૂછવામાં આવ્યું કે, શું નવા હવાઈમથકનો ટેકનિકલ પક્ષ ઘટના માટે જવાબદાર છે કે નહીં, ત્યારે તેના જવાબમાં ઍરપૉર્ટના પ્રવક્તા વિષ્ણુ અધિકારીએ જણાવ્યું હતું કે, “હાલ એ કહેવું મુશ્કેલ છે. દુર્ઘટના પાછળનું કારણ વિસ્તૃત તપાસ પછી જ જાણવા મળશે.”
આ સાથે હવાઈ દુર્ઘટનાને રોકવા માટે તમામ સ્થાનિક ઍરલાઇન્સે ઉડાન પહેલાં અનિવાર્ય ટેકનિકલ તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે.
અકસ્માત બાદ નેપાળમાં ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન નંબર જારી કર્યા છે, જે આ પ્રમાણે છે:
કાઠમંડુ-દિવાકર શર્મા:+977-9851107021
પોખરા - લેફ્ટનન્ટ કર્નલ શશાંક ત્રિપાઠી: +977-9856037699














