રસોઈમાં વપરાતું તેલ તમારા આરોગ્ય પર કેવી અસર કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સાજિદ હુસૈન
- પદ, બીબીસી હિંદી માટે
એક સમય એવો હતો, જ્યારે સ્થૂળતાની સમસ્યા માત્ર પશ્ચિમ જગતમાં જ પ્રવર્તતી હતી, પરંતુ તાજેતરનાં વર્ષોમાં ભારત સહિતના મધ્યમ સ્તરની આવક ધરાવતા દેશોમાં પણ આ સમસ્યાનો વ્યાપ વધ્યો છે. અને ગુજરાત પણ તેમાં બાકાત નથી.
આ સમસ્યાના નિવારણ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થૂળતા સામે દેશવ્યાપી અભિયાન શરૂ કરવાની હાકલ કરી છે.

23મી ફેબ્રુઆરીના રોજ તેમણે તેમના 'મન કી બાત' કાર્યક્રમમાં લોકોને રસોઈમાં તેલનો વપરાશ 10 ટકા ઓછો કરી દેવાની અપીલ કરી હતી. તેમણે સ્થૂળતા ઘટાડવા માટે તેને મહત્ત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું.
કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું, "સ્વસ્થ દેશ બનવા માટે આપણે મેદસ્વિપણાંની સમસ્યાનું નિવારણ લાવવું જ પડશે. વધુ પડતું વજન અને સ્થૂળતા ઘણી સમસ્યાઓ અને બીમારીઓ નોતરે છે."

'મન કી બાત' કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું હતું, "એક અભ્યાસ પ્રમાણે, આજે પ્રત્યેક આઠમાંથી એક વ્યક્તિ સ્થૂળતાથી પરેશાન છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં સ્થૂળતાનું પ્રમાણ બેવડાઈ ગયું છે."
તેમણે આગળ કહ્યું હતું, "બાળકોમાં પણ સ્થૂળતાનું પ્રમાણ ચાર ગણું વધી ગયું છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનનો ડેટા દર્શાવે છે કે, 2022માં વિશ્વના લગભગ 2.5 અબજ લોકો ઓવરવેઇટ હતાં, અર્થાત્ તેમનું વજન જરૂર કરતાં વધારે હતું."
2024માં ધ લેન્સેટે એક સંશોધન હાથ ધર્યું હતું, જે અનુસાર, દેશમાં પાંચથી 19 વર્ષની વચ્ચેનાં એક કરોડ 25 લાખ બાળકો ઓવરવેઇટ હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમાં 73 લાખ છોકરા હતા અને 52 લાખ છોકરીઓ હતી. 1990માં આ સંખ્યા માત્ર ચાર લાખ હતી. બાળકો સિવાય, પુખ્તોમાં સ્થૂળતા પણ ચિંતાનો વિષય છે.
આ રિપોર્ટ અનુસાર, 2022માં ભારતમાં 20 વર્ષથી વધુ વયની 4.4 કરોડ મહિલાઓ તથા 2.6 કરોડ પુરુષો સ્થૂળતાની સમસ્યાથી ગ્રસ્ત હતાં. 1990માં 24 લાખ મહિલાઓ તથા 11 લાખ પુરુષો મેદસ્વિપણાથી પીડાતાં હતાં.
રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ (નૅશનલ ફેમિલી હેલ્થ સરવે - એનએફએચએસ-5) પણ દેશની સ્થૂળતાની આ સમસ્યા વિશે વાત કરે છે. તેના અનુસાર, ભારતમાં 15 અને 49 વર્ષની વયના આશરે 23 ટકા પુરુષો અને 24 ટકા સ્ત્રીઓ મેદસ્વિતાની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે.
જ્યારે 2015-16માં 20.6 ટકા મહિલાઓ અને 18.9 ટકા પુરુષો આ સમસ્યાથી પરેશાન હતાં.

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જ્યારે આપણે મેદસ્વિપણાનાં કારણો વિશે વાત કરીએ છીએ, ત્યારે જંકફૂડ અને બેઠાડું જીવનશૈલી પર નિશાન તાકવામાં આવે છે. પરંતુ, તેની સાથે જ દિવસભર વપરાશમાં લેવાતા ખાદ્યતેલની વજન વધારવામાં રહેલી ભૂમિકાને ધ્યાન પર દેતા નથી.
ઑલ ઇન્ડિયા ઍસોસિયેશન ફૉર ઍડ્વાન્સિંગ રિસર્ચ ઍન્ડ ઑબિસિટીના અધ્યક્ષ ડૉક્ટર મહેન્દ્ર નરવારિયા જણાવે છે, "આપણા ભારતીય આહારમાં કાર્બોહાઇડ્રેટ્સ અને તેલનું પ્રમાણ વધારે હોય છે. કોઈ પણ ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ઘી અને તેલ ઉમેરવામાં આવે છે. તેના કારણે આપણા શરીરમાં ચરબીની માત્રા વધે છે. તે ચરબીનો વપરાશ થતો નથી, કારણ કે, આપણે એટલો વ્યાયામ કરતાં નથી."
"સાથે જ આપણા આહારમાં કાર્બોહાઇડ્રેટ્સ પણ હોય છે, જે શરીરમાં પ્રવેશ્યા બાદ ચરબીમાં રૂપાંતરિત થાય છે. વળી, ફેટ શરીરમાં ગયા પછી જમા થવા માંડે છે, જેના કારણે સ્થૂળતાનું જોખમ તોળાય છે."
ડૉ. નરવારિયા આગળ જણાવે છે, "આપણા શરીરની રચનામાં ચરબીનું પ્રમાણ હંમેશાં ઊંચું રહે છે. કોઈ પાતળી વ્યક્તિના શરીરમાં પણ 30થી 40 ટકા ચરબી હોય છે, જે પ્રમાણ ઘણું જ ઊંચું છે.
બીજી તરફ, ઍથ્લીટ અને સ્પૉર્ટ્સપર્સનના શરીરમાં ચરબીની માત્રા આશરે સાતથી આઠ ટકા જેટલી હોય છે."
"જો આપણા શરીરમાં ચરબીની ટકાવારી વધારે હોય, તો તેના કારણે આપણું મૅટાબૉલિઝમ (ચયાપચયની ક્રિયા) ધીમું પડી જાય છે. તેનાથી વજન વધે છે અને સ્થૂળતા વધતી જ જાય છે."
નવી દિલ્હીસ્થિત ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ (ઍઇમ્સ) ખાતે ચીફ ડાયેટિશ્યન ડૉક્ટરર પરમીતકોર જણાવે છે, "જો આપણે નિર્ધારિત કરતાં વધુ પ્રમાણમાં તેલનું સેવન કરીએ, તો તેના કારણે આપણાં શરીરનું મૅટાબૉલિઝમ ધીમું થઈ શકે છે."
"તેનાથી શરીરમાં ચરબીનું પ્રમાણ વધવા માંડે છે અને સ્થૂળતા વધતી જાય છે. સાથે જ, તેના લીધે આપણને કેવળ ઍક્સ્ટ્રા કૅલરી મળશે, ફાઇબર, જરૂરી વિટામિન્સ કે મિનરલ્સ નહીં મળે."
મુંબઈની વૉકાર્ટ હૉસ્પિટલ ખાતે બેરિઍટ્રિક સર્જન ડૉક્ટરર રમણ ગોયલના મતે, "સામાન્યપણે તેલમાં ચરબીનું પ્રમાણ વધારે હોય છે. આપણા શરીરને સૌથી વધારે કૅલરી ચરબીમાંથી જ મળે છે. જો પ્રોટીનથી ચાર કૅલરી મળતી હોય, તો ચરબીથી નવ કૅલરી મળે છે. આથી, આપણે કૅલરીનું ઊંચું પ્રમાણ ધરાવતી જે પણ વસ્તુ ખાઈએ, તેનાથી સ્થૂળતા વધી શકે છે."

ડૉક્ટરર મહેન્દ્ર નરવારિયાના અભિપ્રાય અનુસાર, તેલનો વપરાશ ઓછો કરી દેવાથી સ્થૂળતા પર નિયંત્રણ મેળવી શકાય છે. લોકો ખાદ્યતેલનો વધુ વપરાશ કરે છે. વધુ તેલનું સેવન કરવાથી આપણા શરીરમાં ચરબીની માત્રા વધી જાય છે.
ડૉક્ટરર પરમીતકોર જણાવે છે, "ફેટ આપણા શરીરને એ, ડી, ઈ અને કે જેવાં ફેટ સૉલ્યૂબલ વિટામિન્સને પચાવવામાં મદદ પૂરી પાડે છે. આથી, આપણા શરીરમાં ચોક્કસ માત્રામાં ફેટ હોય, તે જરૂરી છે."
ડૉ. પરમીતકોર ઉમેરે છે, "લોકોએ તેમની વય મુજબ તેલનું સેવન કરવું જોઈએ. પરંતુ, ખાસ ઍક્ટિવ ન હોય, તેવી વ્યક્તિને એક દિવસમાં આશરે ચારથી પાંચ ચમચી (20થી 25 ગ્રામ) તેલની જરૂર હોય છે. આટલા પ્રમાણમાં તેલનું સેવન વ્યક્તિ માટે પૂરતું હોય છે."
જોકે, સ્થૂળતા માટે તેલ એકલું જવાબદાર હોતું નથી. ડૉક્ટર રમણ ગોયલ જણાવે છે, "મેદસ્વિપણાં માટે અન્ય ઘણાં પરિબળો પણ કારણભૂત હોય છે. આપણે જાણીએ જ છીએ કે, ભારતમાં કેટલા પ્રમાણમાં મિષ્ટાન્ન આરોગવામાં આવે છે. મીઠાઈથી પણ સ્થૂળતા વધે છે."

ડૉક્ટર રમણ ગોયલ ઉમેરે છે, "આપણે ભારતના પ્રાદેશિક વિસ્તારોમાં વપરાતાં તેલનો વારાફરતી તથા મિક્સ કરીને ઉપયોગ કરવો જોઈએ. ઉદાહરણ તરીકે, તલનું તેલ અને રાઇસ બ્રાન ઑઇલ દક્ષિણ ભારતમાં ઉપલબ્ધ છે, ગુજરાતમાં સિંગતેલ મળે છે અને સરસવનું તેલ ઘણાં રાજ્યોમાં મળી રહે છે."
તેમના જણાવ્યા અનુસાર, આપણે ડીપ ફ્રાય માટે વપરાયેલું અને તે પછી વારંવાર ઉપયોગમાં લેવાતું તેલ ન વાપરવું જોઈએ. આ સિવાય આપણે આંશિક હાઇડ્રોજનેટેજ વેજીટેબલ ઑઇલમાંથી બનેલા પદાર્થોનું સેવન પણ ટાળવું જોઈએ.
આ સિવાય, તેલની ગુણવત્તા પણ મહત્ત્વપૂર્ણ બની રહે છે. રસોઈના તેલને અતિશય ગરમ કરવાથી પણ આરોગ્ય જોખમાય છે.
એફએસએસએઆઈના જણાવ્યા પ્રમાણે, આપણે એક વાર (તળવામાં કે અન્ય કોઈ પ્રકારે) વપરાઈ ચૂકેલા તેલનો વારંવાર ઉપયોગ ન કરવો જોઈએ. તળેલાં તેલનો વારંવાર ઉપયોગ કરવાથી તેમાં ટ્રાન્સફેટ્સનું પ્રમાણ વધી જાય છે.
હાર્વર્ડ સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થની વેબસાઇટ અનુસાર, ટ્રાન્સ ફેટ શરીર માટે ખરાબ ફેટ છે.
ટ્રાન્સ ફેટ્સ ખરાબ કૉલેસ્ટરોલ અર્થાત્ એલડીએલ વધારે છે અને સારા (એચડીએલ) કૉલેસ્ટરોલને ઘટાડે છે. તેનાથી શરીરમાં સોજા આવી શકે છે અને હૃદયની બીમારી, સ્ટ્રૉક, ટાઇપ-ટુ ડાયાબિટીસ, ઇન્સ્યૂલિન રેઝિસ્ટન્સ, ઇમ્યૂનિટીને લગતી તકલીફો સર્જાઈ શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












