UPI ટ્રાન્જેક્શનથી લઈને આધાર કાર્ડ સુધી, પહેલી જૂનથી કયા નવા નિયમો લાગુ થશે?

ગુજરાત સહિત સમગ્ર ભારતમાં આગામી જૂન માસથી 2025થી નાણાકીય બાબતો અને પુરાવામાં સુધારા સહિતના ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર થવા જઈ રહ્યા છે.

તેમાં આધાર કાર્ડની માહિતી વિનામૂલ્યે અપડેટ કરવાથી માંડીને મ્યુચ્યુલ ફંડ રોકાણમાં મહત્ત્વના સુધારા લાગુ પડવાના છે.

નોંધનીય છે કે આ સુધારા કે ફેરફારો અંગે જાણવું જરૂરી છે, કારણ કે આ બધી એવી વસ્તુઓ છે જે આપણા રોજિંદા જીવનને અસર કરતી છે.

આ અહેવાલમાં જાણો કયા કયા નિયમોમાં જૂન માસમાં ફેરફાર થવાના છે?

યુપીઆઇ પેમેન્ટમાં બદલાવ

નૅશનલ પેમેન્ટ કૉર્પોરેશન દ્વારા જાહેર કરાયેલા એક સર્ક્યુલર અનુસાર 1 જૂનથી પર્સન ટુ પર્સન અને પીયર ટુ મર્ચન્ટ પેમેન્ટ માટેના યુપીઆઇ ટ્રાન્ઝેક્શનમાં જે તે યૂઝરની યુપીઆઇ ઍપમાં અંતિમ લાભર્થીનું બૅન્કમાં ચાલતું નામ બતાવવાની તાકીદ કરાઈ છે.

સર્ક્યુલર અનુસાર આવું યુપીઆઇ મારફતે પેમેન્ટ કરનાર વ્યક્તિમાં તેઓ યોગ્ય વ્યક્તિને પૈસા ચૂકવી રહી છે કે કેમ એ સંબંધનો આત્મવિશ્વાસ વધે એ માટે કરાયું છે.

આ સિવાય સર્ક્યુલરમાં લખાયું છે કે ચુકવણી કરતી વખતે ક્યુઆર કોડ મારફતે મેળવાતું નામ કે અન્ય કોઈ પણ પ્રકારનાં નામ હવેથી ચુકવણી કરનારની યુપીઆઇ ઍપની સ્ક્રીન પર નહીં બતાવી શકાય.

આ સિવાય લાભાર્થી પોતાના છેડેથી બૅન્ક ખાતામાં રજિસ્ટર્ડ નામથી અલગ કોઈ નામ અપડેટ ન કરી શકે એ પણ સુનિશ્ચિત કરવાનું કહેવાયું છે.

આધાર કાર્ડ અપડેટ

યુનિક આઇડેન્ટિફિકેશન ઑથૉરિટી ઑફ ઇન્ડિયાએ જાહેર કરેલી એક સૂચના અનુસાર આગામી 14 જૂન 2025 સુધી માય આધાર પૉર્ટલનો ઉપયોગ કરીને કેટલાક દસ્તાવેજો અપડેટ વિનામૂલ્યે અપડેટ કરી શકશે.

આ તારીખ સુધી પૉર્ટલનો ઉપયોગ કરીને વિનામૂલ્યે આધાર કાર્ડધારક પોતાની ઓળખનો પુરાવો અને સરનામા માટે દસ્તાવેજો અપડેટ કરી શકશે. આ દરમિયાન આધાર કાર્ડધારક એનરોલમેન્ટ સમયે જણાવેલા નામ, લિંગ, જન્મતારીખ અને સરનામા માટેના ડોક્યુમેન્ટ અપડેટ કરાવી શકશે.

જોકે, આધાર સેન્ટર પર આ પ્રક્રિયા માટેની ફી 50 રૂ. રાખવામાં આવી છે.

મ્યુચ્યુલ ફંડની કટ ઑફ ટાઇમિંગમાં ફેરફાર

રોકાણ માટેના પ્લૅટફૉર્મ અપસ્ટૉક્સની વેબસાઇટ અપસ્ટૉક્સ ડોટ કૉમ અનુસાર તાજેતરમાં સિક્યૉરિટીઝ ઍન્ડ ઍક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (સેબી)એ તાજેતરમાં ઓવરનાઇટ મ્યુચ્યુલ ફંડ સ્કીમ માટે એક ફેરફારની જાહેરાત કરી છે.

1 જૂનથી આ ફેરફાર અમલમાં આવશે.

ફેરફાર પ્રમાણે નવી કટ ઑફ ટાઇમિંગ બાદ કરાયેલા મ્યુચ્યુલ ફંડના વ્યવહારોને સુધારેલી સમયસીમા લાગુ પડશે.

ઓફલાઇન ટ્રાન્ઝેક્શન માટે આ સમયસીમા બપોરના 3 વાગ્યાની છે, જ્યારે ઑનલાઇન માટે સાંજના સાત વાગ્યાની છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન