You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સૂર્યકુમાર : ભારતનો એ ખેલાડી જેણે એકલપંડે ન્યૂઝીલૅન્ડને ધ્વસ્ત કરી દીધું
ભારત-ન્યૂઝીલૅન્ડ ટી20 સિરીઝની બીજી મૅચમાં ભારતે ન્યૂઝીલૅન્ડને 65 રનથી હરાવી દીધું છે. માઉન્ટ મૉન્ગાનુઈમાં રમાયેલી મૅચમાં ભારતે ન્યૂઝીલૅન્ડને 192 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
જોકે, ન્યૂઝીલૅન્ડની ટીમ 18.5 ઓવરમાં જ 126 રન પર ઑલઆઉટ થઈ ગઈ હતી.
ન્યૂઝીલૅન્ડ સામેની મૅચમાં સૂર્યકુમારે શાનદાર સદી ફટકારી અને 51 બૉલમાં 111 રન કર્યા. 217.64ની સ્ટ્રાઇક રેટથી કરેલા આ રનમાં સાત સિક્સર અને 11 ફોર સામેલ છે.
સૂર્યકુમારની ધૂંઆધાર સદીની મદદથી ટીમ ઇન્ડિયા ન્યૂઝીલૅન્ડ સામે 192 રનનો લક્ષ્યાંક મૂકી શકી હતી. ભારતની આ ઇનિંગમાં જ નહીં, સૂર્યકુમારે વર્ષ 2022માં પણ ટીમ ઇન્ડિયા માટે સૌથી વધુ રન ફટકાર્યા છે.
ન્યૂઝીલૅન્ડ સામેની મૅચમાં ફટકારેલી સદી સૂર્યકુમારના ટી20 કૅરિયરની બીજી સદી છે.
ઋષભ પંત નિષ્ફળ
ભારતે ઋષભ પંત અને ઇશાન કિશન પાસે ઑપનિંગ કરાવી હતી.
જોકે, ભારતની આ રણનીતિ નિષ્ફળ નીવડી હતી અને પંત માત્ર છ રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થઈ ગયા હતા. છ રન કરવા માટે પંતને 13 બૉલ રમ્યા હતા.
ન્યૂઝીલૅન્ડ સામે ટૉસ હારીને બેટિંગ કરવા ઊતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી હતી અને પંત તથા કિશનની જોડી મક્કમ બેટિંગ કરવા લાગી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, છઠ્ઠી ઓવરની શરૂઆતમાં જ પંતને વહેલા મોકલવાની કૅપ્ટન હાર્દિક પંડ્યાની રણનીતિ નિષ્ફળ સાબિત થઈ હતી.
ફર્ગ્યુસને ઓવરના પ્રથમ બૉલ પર પંતની વિકેટ ઝડપી હતી. ઑફમાંથી બહાર નીકળી રહેલા શૉર્ટ બૉલને રમવા માટે પંતે પ્રયાસ કર્યો હતો અને સાઉધીએ તેમનો કૅચ ઝડપી લીધો હતો.36 રને ભારતની પ્રથમ વિકેટ પડી હતી.
અંતિમ પાંચ ઓવર અને સૂર્યકુમારની તોફાની રમત
મૅચની અંતિમ પાંચ ઓવરમાં સૂર્યકુમારે ભારે તોફાની રમત રમી અને ચોતરફ શૉટ ફટકાર્યા.
સૂર્યકુમારે કેવી તોફાની ઇનિંગ રમી એનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય તેમણે પોતાના બીજા 50 રન માત્ર 17 બૉલમાં જ કરી નાખ્યા. પોતાની ઇનિંગના અંતિમ 19 બૉલમાં તેમણે 61 રન ફટકાર્યા હતા.
સૂર્યકુમારે ટીટ0 કૅરિયરની આ બીજી સદી ફટકારી છે. આ સાથે જ ઇન્ટરનેશનલ ટી20માં સૌથી વધુ રન ફટકારનારા ભારતીય ખેલાડીઓમાં સૂર્યકુમાર ત્રીજા નંબરે આવી ગયા છે. રોહિત શર્મા (118 રન) અને વિરાટ કોહલી (122 રન) જ તેમનાથી આગળ છે.
ભારતની ઇનિંગની વાત કરીએ તો 20 ઓવરમાં ભારતે 191 રન કર્યા હતા અને એ દરમિયાન એણે છ વિકેટ ગુમાવી હતી. સૂર્યકુમારના 111 ઉપરાંત ઇશાન કિશને 36 રન, હાર્દિક પંડ્યા અને શ્રેયંસ અય્યરે 13-13 રન કર્યા હતા.
અહીં એક રસપ્રદ વાત એ છે કે ભારતનો સ્કોર હજુ વધુ થઈ શક્યો હોત અને કદાચ એણે 200નો આંક પણ વટાવી દીધો હોત પણ એવું એટલે ના થઈ શક્યું, કેમ કે સૂર્યકુમારના ભાગે અંતિમ ઓવરનો એક પણ બૉલ નહોતો આવ્યો.
20મી ઓવરમાં ન્યૂઝીલૅન્ડના સાઉધીએ હેટ્રિક લઈને ભારતને રોકી રાખ્યું હતું.
ભારત તરફથી દીપક હુડા સરપ્રાઇઝ પૅકેજ બની રહ્યા અને તેમણે ચાર વિકેટો હાંસલ કરી હતી. જ્યારે ન્યૂઝીલૅન્ડ તરફથી કૅન વિલિયમસને એક ધીમી પણ મક્કમ અડધી સદી ફટકારી હતી. તેમણે 52 બૉલમાં 61 રન ફટકાર્યા હતા.
હાર્દિકે સૂર્યકુમારને શું કહ્યું?
ભારતની ઇનિંગ બાદ સૂર્યકુમારે પોતાના દાવની વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું, "ટી20 ક્રિકેટમાં સદી ખરેખર ખાસ છે પણ અંત સુધી બેટિંગ કરવી પણ મારા માટે મહત્ત્વની છે એવું મને હાર્દિકે કહ્યું હતું."
"16મી ઓવરમાં અમારી વાત થઈ હતી કે અમે છેલ્લે સુધી રમીશું, કેમ કે એ બાદ હુડા અને વૉશિંગ્ટન જ હતા(બેટરો). હું નેટમાં અને તમામ પ્રેક્ટિસ સેશનમાં આવું જ કરી રહ્યો હતો."
સૂર્યકુમારે જ્યારે આ વાત કરી ત્યારે ઋષભ પંત તેમના કાનમાં 'અકલ્પનીય' કહેતાં સંભળાયા હતા. રસપ્રદ વાત એ છે કે જબરદસ્ત સ્ટ્રાઇક રેટથી સદી ફટકારનારા સૂર્યકુમારને છેલ્લી ઓવરનો એક પણ મૅચ રમવાની તક નહોતી મળી. 20મી ઓવરમાં સાઉધીએ હૅટ્રિક લીધી હતી.