You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇઝરાયલે હમાસના નેતા યાહ્યા સિનવારના મોતનો દાવો કર્યો, કોણ હતા યાહ્યા સિનવાર અને હમાસે શું કહ્યું?
ઇઝરાયલી સેનાના હુમલામાં ગાઝાના ટોચના નેતા યાહ્યા સિનવારનું મૃત્યુ થઈ ગયું છે. ઇઝરાયલે આ વાતની પુષ્ટિ કરી દીધી છે.
અગાઉ સિનવારના મૃત્યુ અંગે કલાકો સુધી અટકળો ચાલતી રહી હતી, પરંતુ ઇઝરાયલી સુરક્ષાબળોએ પુષ્ટિ કરતા તેના ઉપર પૂર્ણવિરામ લાગી ગયું હતું.
ઇઝરાયલની સેનાએ ગાઝાપટ્ટીમાં હાથ ધરેલી કાર્યવાહી દરમિયાન સિનવારનું મૃત્યુ થયું હતું. તેમની ઓળખની પુષ્ટિ કરવા માટે ડીએનએ ટેસ્ટ પણ હાથ ધરવામાં આવ્યો હતો.
ઇઝરાયલના વિદેશ મંત્રીએ એક નિવેદનમાં કહ્યું છે કે ગાઝામાં થયેલા હુમલામાં હમાસના વરિષ્ઠ નેતા યાહ્યા સિનવારનું મૃત્યુ થયું છે.
ઇઝરાયલી વિદેશ મંત્રી કાત્ઝે કહ્યું કે ગુરુવારે ગાઝામાં ઇઝરાયલી સૈનિકોના એક અભિયાનમાં હમાસના નેતાનું મોત થયું. તેમણે સિનવારને ગત વર્ષ સાત ઑક્ટોબરના હુમલાના માસ્ટરમાઇન્ડ ગણાવ્યા.
જોકે હમાસ તરફથી હજુ આ સમાચારની પુષ્ટિ નથી થઈ.
સમાચાર એજન્સી રૉયટર્સના જણાવ્યા પ્રમાણે હમાસ સાથે જોડાયેલી વેબસાઇટ પર એક ચેતવણી જાહેર કરીને યાહ્યા સિનવારની જાણકારી મેળવવા અંગે રાહ જોવા માટે કહેવાયું છે.
રૉયટર્સના જણાવ્યા પ્રમાણે હમાસ સાથે જોડાયેલી વેબસાઇટ 'અલ મજ્દ'એ પેલેસ્ટાઇનવાસીઓને વધારે જાણકારી માટે રાહ જોવા માટે કહેવામાં આવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વેબસાઇટમાં જણાવ્યા પ્રમાણે ઇઝરાયલી મીડિયાનો ઉદ્દેશ તેમના હોસલાને તોડવાનો છે.
આ વેબસાઇટ પર સામાન્ય રીતે સુરક્ષાના મુદ્દાની જાણકારી આપવામાં આવે છે.
કોણ હતા યાહ્યા સિનવાર?
આશ્ચર્યની કોઈ વાત નહોતી કે હજારો ઇઝરાયલી સૈનિકો, ડ્રૉન, ઇલેક્ટ્રૉનિક ઉપકરણો અને ઇન્ટલિજન્સની મદદથી તેમનું ઠેકાણું શોધી રહ્યા હતા.
સફેદ વાળ અને કાળી ભ્રમરવાળા સિનવાર ગાઝામાં હમાસની રાજકીય પાંખના વડા લાંબા સમયથી ઇઝરાયલ માટે 'મોસ્ટ વૉન્ટેડ' વ્યક્તિ હતા.
ઇઝરાયલમાં 7મી ઑક્ટોબરે થયેલા હુમલા માટે અન્યોની સાથે યાહ્યા સિનવારને પણ ઇઝરાયલ જવાબદાર ગણે છે. એ હુમલામાં લગભગ 1200 લોકોનાં મોત થયાં હતાં અને લગભગ 200થી વધુનું અપહરણ કરાયું હતું.
લાંબા સમયથી એવું માનવામાં આવતું હતું કે હમાસના 'સૅકન્ડ-ઇન-કમાન્ડ' હમાસના લડાકૂઓ સાથે કોઈ ટનલમાં છૂપાયેલા હતા. જોકે સિગ્નલ ટ્રૅક થવાની તેમનું લૉકેશન ખુલ્લુ પડી જાય તેમ હોવાથી કોઈની સાથે સંદેશાવ્યવહાર નહોતા કરતા.
લગભગ 62 વર્ષીય સિનવાર અબુ ઇબ્રાહિમ તરીકે જાણીતા છે અને ગાઝા પટ્ટીના દક્ષિણ ભાગ તરફ ખાન યુનિસ શરણાર્થી કૅમ્પમાં તેઓનો જન્મ થયો હતો.
તેમનાં માતાપિતા એસ્કેલનનાં હતાં પરંતુ ઇઝરાયલની 1948માં સ્થાપના પછી થયેલા યુદ્ધમાં પેલેસ્ટાઇનવાસીઓ વિસ્થાપિત થયા હતા અને તેમાં તેમનાં માતાપિતા પણ સામેલ હતાં, એટલે તેઓ રૅફ્યૂજી બની ગયા હતા.
કૅમ્પમાં જ કુમારશાળામાં તેઓ ભણ્યા હતા પછી ગાઝામાં ઇસ્લામિક યુનિવર્સિટીમાંથી અરબી ભાષામાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી.
આ પહેલાં વૉશિંગ્ટન ઇન્સ્ટિટ્યૂટ ફૉર નિઅર ઇસ્ટ પૉલિસીના સંશોધક એહદ યારીએ કહ્યું હતું કે, એક સમયે મુસ્લિમ બ્રધરહુડ માટે ખાન યુનિસ કૅમ્પ મહત્ત્વનો મંચ હતો. તેમણે સિનવાર જ્યારે 4 વર્ષ જેલમાં હતા ત્યારે તેમનો ઇન્ટરવ્યૂ કર્યો હતો.
યારી કહે છે, “ઇસ્લામિક ગ્રૂપ રૅફ્યૂજી કૅમ્પની ગરીબીમાં મસ્જિદોમાં જતા યુવા લોકો માટે એક મોટું અભિયાન હતું.” પછી હમાસ માટે પણ તે આવી જ રીતે મહત્ત્વનું બની ગયું.
1982માં 19 વર્ષની વયે સિનવારની પહેલીવાર ધરપકડ થઈ હતી. ઇસ્લામિક ગતિવિધિઓ બદલ તેમની ધરપકડ કરાઈ હતી અને તેઓ 1985માં ફરીથી પકડાયા હતા. આ સમયે તેમણે હમાસના સ્થાપક શેખ અહમદ યાસિનનો વિશ્વાસ જીત્યો હતો.
તેલ અવિવમાં નૅશનલ સિક્યૉરિટી સ્ટડિઝ સંસ્થાના વરિષ્ઠ રિસર્ચર કોબી માઇકલના મતે, “બંને ઘણા નજીક આવી ગયા હતા.”
હમાસના શેખ અહમદ સાથેના સંબંધોના લીધે સિનવારને પ્રોત્સાહન મળ્યું.
1987માં હમાસની સ્થાપના પછી તેમણે આંતરિક સુરક્ષા જૂથ નામની સંસ્થા ઊભી કરી. જેનું નામ હતું અલ-મજિદ. તેઓ ત્યારે માત્ર 25 વર્ષના હતા.
માઇકલ કહે છે કે અલ-મજિદ કથિદ નૈતિક અપરાધોના ઉલ્લંભનગ બદલ સજા કરવા માટે કુખ્યાત હતું. તે સેક્સ વીડિયોનો સ્ટૉર રાખતી દુકાનોને નિશાન બનાવતા અને ઇઝરાયલ સાથે કથિત સંબંધની શંકા ધરાવનારાની હત્યા કરી નાખતા.
યારીના મતે, સિનવાર ઇઝરાયલ સાથે સંબંધ ધરાવે છે એવી શંકા હેઠળ રહેલી ઘણી વ્યક્તિઓની હત્યા પાછળ અલ-મજિદનો હાથ હતો.
“જેમાંથી કેટલાકની હત્યા સિનવરે પોતાના હાથે કરી હતી અને તેમને એનો ગર્વ હતો એ મને અને અન્યોને આ વિશે કહેતા પણ હતા.”
ઇઝરાયલી અધિકારીઓ અનુસાર તેમણે બાદમાં સ્વીકાર્યું હતું કે એક શકમંદને પકડવા તેમણે તેના ભાઈને જીવતો દફનાવી દીધો હતો. જેને તેઓ 'ભાલાની જગ્યાએ કાંટા ચમચીથી કામ કરી નાખ્યું' એવું કહેતા.
વર્ષ 1988માં સિનવાર પર 2 ઇઝરાયલી સૈનિકોની હત્યા અને અપહરણનું આયોજન કરવાનો આરોપ લાગ્યો હતો. એટલે એ જ વર્ષે તેમની ધરપકડ કરાઈ અને 12 પેલેસ્ટાઇનવાસીઓની હત્યા બદલ તેમને આજીવન કારાવાસની સજા અપાઈ.
જેલવાસનાં વર્ષો
સિનવારે તેમના જીવનનો મોટો ભાગ એટલે કે 22 વર્ષથી વધુનો સમય 1988થી 2011ના વર્ષો સુધી ઇઝરાયલની જેલોમાં વિતાવ્યો છે. ત્યાંનો તેમનો ઘણો સમય એકાંતમાં વિત્યો હતો એટલે એવું લાગે છે કે તેણે તેમને વધુ કટ્ટરપંથી બનાવી દીધા.
યારી કહે છે, "તેમણે બળનો ઉપયોગ કરીને નિર્દયતાથી તેમની સત્તા ચલાવી હતી."
જેલસત્તાધિશો સાથે જેલના કેદીઓ વતી વાટાઘાટ કરીને અને કેદીઓમાં શિસ્ત લાગુ કરવા માટે તેમણે પોતાને કેદીઓમાં એક નેતા તરીકે સ્થાપિત કરી રાખ્યા હતા.
સિનવારના જેલવાસના સમય દરમિયાન ઇઝરાયલી સરકારના મૂલ્યાંકનમાં તેમના વ્યક્તિત્વને "ક્રૂર, સત્તાલાલચી, પ્રભાવશાળી અને સહનશક્તિની અસામાન્ય ક્ષમતાઓ ધરાવવા સાથે અને ચાલાક તરીકે વર્ણવામાં આવ્યું છે. અન્ય કેદીઓ વચ્ચે પણ જેલની અંદર તેઓ વાતો ગુપ્ત રાખવાની ક્ષમતા રાખતા હતા. પોતાના માટે સમર્થન પણ ઊભું કરી લેતા."
સિનવાર વિશે યારીનું મૂલ્યાંકન જેમજેમ તેઓ મળતા ગયા તેમતેમ સમય સાથે વધુ આકાર પામતું ગયું.
સિનવાર જેલવાસ દરમિયાન સિનવાર હિબ્રુ ભાષામાં નિષ્ણાત બના ગયા હતા. ઇઝરાયલી અખબારો વાંચતા હતા. યારી ઉમેરે છે કે, સિનવાર હંમેશાં તેમની સાથે હિબ્રુ બોલવાનું પસંદ કરતા હતા. તેમ છતાં યારી અરબીમાં સારી રીતે વાત કરતા હતા.
યારી કહે છે, "તેમણે તેમની હિબ્રુ ભાષાને સુધારવાની કોશિશ કરી હતી. મને લાગે છે કે તેઓ જેલના વૉર્ડન કરતાં સારું હિબ્રુ બોલનાર કોઈકનો લાભ લેવા માંગતા હતા."
સિનવારને 2011માં એક સોદાના ભાગ રૂપે મુક્ત કરવામાં આવ્યા હતા, જેમાં 1,027 પેલેસ્ટાઇનવાસીઓ અને ઇઝરાયલી આરબ કેદીઓને એક ઇઝરાયલી બંધક, IDF સૈનિક ગિલાડ શાલિતના બદલામાં જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.
જોકે, આ દરમિયાન ઇઝરાયલ ગાઝા પટ્ટી પરનો તેનો કબજો ખતમ કરી ચૂક્યું હતું અને હમાસ પાસે નિયંત્રણ આવી ગયું હતું. તેણે ચૂંટણી જીતી અને પછી તેના હરીફો યાસર અરાફાતની ફતાહ પાર્ટી ચૂંટણીમાં હરાવી અને તેના ઘણા સભ્યોને ઊંચી ઇમારતોની ટોચ પરથી ફેંકીને ખતમ કરી દીધા.
ક્રૂર શિસ્ત
માઇકલ કહે છે કે, જ્યારે સિનવાર ગાઝા પાછા ફર્યાં ત્યારે તેમને તરત જ નેતા તરીકે સ્વીકારવામાં આવ્યા. આનો મોટા ભાગનો સંબંધ હમાસના સ્થાપક સભ્ય તરીકેની તેમની પ્રતિષ્ઠા સાથે હતો જેમણે ઇઝરાયલી જેલમાં તેમના જીવનના આટલાં વર્ષોનું બલિદાન આપ્યું હતું.
"લોકો તેનાથી ડરતા હતા - આ તે વ્યક્તિ છે જેમણે પોતાના હાથથી લોકોની હત્યા કરી હતી. તે એક જ સમયે ખૂબ જ ક્રૂર, આક્રમક અને પ્રભાવશાળી હતા."
યારી કહે છે, "તે વક્તા નથી. જ્યારે તે લોકો સાથે વાત કરે છે, ત્યારે તે ટોળામાંથી જ કોઈક હોય એવું લાગે છે."
યારી ઉમેરે છે કે, જેલ છોડ્યા પછી તરત જ સિનવારે પણ ઇઝેદીન અલ-કાસમ બ્રિગેડ અને ચીફ ઑફ સ્ટાફ મારવાન ઇસા સાથે જોડાણ કર્યું હતું.
2013માં તેઓ ગાઝા પટ્ટીમાં હમાસના રાજકીય બ્યૂરોના સભ્ય તરીકે ચૂંટાયા હતા અને 2017માં તેમના વડા બન્યા હતા.
સિનવારના નાના ભાઈ મોહમ્મદ પણ હમાસમાં સક્રિય ભૂમિકા ભજવતા હતા. 2014માં હમાસ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા તે પહેલાં તેઓ ઘણા ઇઝરાયલી હુમલામાં બચી ગયા હોવાનો દાવો થતો રહ્યો હતો.
મીડિયા અહેવાલોમાં હજુ પણ કહેવામાં આવે છે કે તઓ હજુ પણ જીવિત હોઈ શકે છે અને ગાઝાની નીચે સુરંગોમાં છુપાઇને હમાસની લશ્કરી પાંખમાં સક્રિય હોઈ શકે છે. એટલું જ નહીં પણ 7 ઑક્ટોબરના હુમલામાં તેમની ભૂમિકા પણ હોઈ શકે છે.
નિર્દયતા અને હિંસા માટે સિનવારને ખાન યુનિસના કસાઈ તરીકેનું ઉપનામ મળ્યું હતું.
યારી આ વિશે કહે છે કે, "તે એક વ્યક્તિ છે જે ક્રૂર શિસ્ત લાદે છે."
"હમાસમાં લોકો જાણતા હતા અને તેઓ હજુ પણ જાણે છે કે - જો તમે સિનવારનો અનાદર કરો છો, તો તમે તમારા જીવનને જોખમમાં મૂકી દો છો."
તે 2015માં મહેમૂદ ઇશ્તિવી નામના હમાસ કમાન્ડરની અટકાયત, ત્રાસ અને હત્યા માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે. ઇશ્તિવી પર નાણાંની ઉચાપાતનો આરોપ અને સમલૈંગિક હોવાનો દાવો કરાયો હતો.
2018માં અમેરિકાએ તેલ અવિવથી દૂતાવાસ જેરુસલેમ સ્થળાંતર કરવાની જાહેરાત કરી તેના વિરોધમાં તેમણે આંતરરાષ્ટ્રીય મીડિયાને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે વિરોધના ભાગરૂપે ગાઝા પટ્ટીને ઇઝરાયલથી અલગ કરતી સરહદની વાડ તોડવા માટે હજારો પેલેસ્ટાઇનવાસીઓને તેમના સમર્થનનો સંકેત આપ્યો હતો.
એ વર્ષ પછી પશ્ચિમ કાંઠે હરીફ પેલેસ્ટાઇનિયન ઑથોરિટી(PA)ની વફાદાર વ્યક્તિઓ દ્વારા હત્યાના પ્રયાસમાં તેમનો બચાવ થયો હોવાનો તેમણે દાવો કર્યો હતો.
માઇકલ અનુસાર, તેમ છતાં તેમણે ઇઝરાયલ સાથે કામચલાઉ યુદ્ધવિરામ, કેદીઓની આપ-લે અને પેલેસ્ટાઇનિયન ઑથોરિટી સાથે સમાધાનને સમર્થન આપતું વલણ પણ બતાવ્યું હતું. કેટલાક વિરોધીઓ દ્વારા તેમની આના લીધે ટીકા પણ કરવામાં આવી હતી.
ઈરાન સાથેની નિકટતા
ઇઝરાયલનાં સંરક્ષણ અને સુરક્ષા સંસ્થાનોમાંના ઘણા લોકો માને છે કે કેદીઓની અદલાબદલીના ભાગ રૂપે સિનવારને જેલમાંથી બહાર કાઢવા એ ઘાતક ભૂલ હતી.
ઇઝરાયલીઓ માને છે કે, તેઓને સલામતીની ખોટી ભાવનામાં ફસાવવામાં આવ્યા હતા કે હમાસને આર્થિક પ્રોત્સાહનો અને વધુ વર્ક પરમિટો ઑફર કરીને યુદ્ધ માટેની એ લોકોની ભૂખને ઠારી દેવામાં આવશે. અલબત્ત, આ એક વિનાશક ખોટી ગણતરી હોવાનું બહાર આવ્યું.
યારી કહે છે,"તેઓ પોતાની જાતને પેલેસ્ટાઈનને આઝાદ કરવાનારા શખસ તરીકે જોતા. તેઓ ગાઝા માટે આર્થિક પરિસ્થિતિમાં સુધાર લાવવા કે સામાજિક સેવાઓ સુધારવા વિશે કામ કરનારી વ્યક્તિ તરીકે પોતાને નથી ગણતા."
2015માં યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે સત્તાવાર રીતે સિનવારને 'વૈશ્વિક આતંકવાદી' તરીકે વર્ગીકૃત કર્યા હતા. મે-2021માં ઇઝરાયલી હવાઈ હુમલાઓએ ગાઝા પટ્ટીમાં તેમનાં ઘર અને ઑફિસને નિશાન બનાવ્યાં હતાં.
એપ્રિલ-2022માં એક ટેલિવિઝન સંબોધનમાં તેમણે લોકોને કોઈ પણ ઉપલબ્ધ માધ્યમથી ઇઝરાયલ પર હુમલો કરવા પ્રોત્સાહિત કર્યા.
વિશ્લેષકોએ તેમને હમાસના રાજકીય બ્યુરોને તેની સશસ્ત્ર પાંખ ઇઝેદીન અલ-કાસમ બ્રિગેડ સાથે જોડતી મુખ્ય વ્યક્તિ તરીકે ઓળખાવી છે. જેમણે દક્ષિણ ઇઝરાયલમાં 7 ઑક્ટોબરના હુમલાનું નેતૃત્વ કર્યું હતું.
14 ઑક્ટોબરના રોજ ઇઝરાયલી લશ્કરી પ્રવક્તા, લેફ્ટનન્ટ કર્નલ રિચર્ડ હેચટે સિનવારને "દુષ્ટતાનો ચહેરો" ગણાવ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, "તે માણસ અને તેની આખી ટીમ અમારી નજરમાં છે. અમે તે માણસને ખતમ કરી દઈશું.."
સિનવાર ઈરાનની નિકટના મનાતા હતા.
તેઓ સાથે કામ કરતા. ઈરાન હમાસને ભંડોળ, ટ્રેઇનિંગ અને શસ્ત્રો આપે છે. તેને તેની લશ્કરી ક્ષમતાઓ વિકસાવવામાં અને હજારો રૉકેટના શસ્ત્રાગારને એકત્ર કરવામાં મદદ કરે છે. જેનો ઉપયોગ તે ઇઝરાયલી નગરિકોને નિશાન બનાવવા માટે કરે છે.
સિનવારે 2021માં એક ભાષણમાં સમર્થન માટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું, "જો ઈરાન ન હોત તો, પેલેસ્ટાઈનમાં થઈ રહેલો પ્રતિકાર તેની વર્તમાન ક્ષમતાઓ ધરાવતો ન હોત."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન