ગુજરાત : જામનગરમાં PM નરેન્દ્ર મોદીએ જેની મુલાકાત લીધી એ વનતારા શું છે?

ઇમેજ સ્રોત, Narendara Modi/YT
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે વનતારાની મુલાકાત લીધી હતી. તેમણે અહીં વન્યજીવ બચાવ, પુનર્વસન અને સંરક્ષણ કેન્દ્ર- વનતારાનું ઉદ્ધાટન પણ કર્યું.
વનતારા 2 હજારથી વધુ પ્રજાતિઓ અને 1.5 લાખથી વધારે બચાવવામાં આવેલ, લુપ્તપ્રાય અને સંકટગ્રસ્ત પશુ-પંખીઓનું ઘર છે. પીએમ મોદીએ અહીં આ વનતારા કેન્દ્રમાં વિવિધ સુવિધાઓની માહિતી મેળવી.
પીએમ મોદીએ તેમની મુલાકાત દરમિયાન હાથી, સિંહ, વાઘ, ચિત્તા, ફ્લેમિંગો સહિતના અનેક પશુ-પંખીઓ સાથે સમય વિતાવ્યો હતો.
તેમણે તેમની મુલાકાત દરમિયાન કેટલાંક બાળપ્રાણીઓને ભોજન પણ ખવડાવ્યું હતું.
વડા પ્રધાને તેમની મુલાકાત દરમિયાન વનતારાની પ્રાણીઓ માટે બનાવેલી ખાસ હૉસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. દરમિયાન પીએમ મોદી એશિયાટિક લાયન, સફેદ સિંહ, ચિત્તા, કારકલ અને અન્ય પ્રાણીનાં બચ્ચાંઓ સાથે રમતા જોવા મળ્યા.
જામનગરથી અંદાજે 30 કિમી દૂર આવેલું વનતારા ભારતના સૌથી મોટા પ્રાણીસંગ્રહાલયોમાંથી એક છે, પરંતુ તે પરંપરાગત પ્રાણીસંગ્રહાલય નથી.
રિલાયન્સ ગ્રૂપ દ્વારા સ્થાપિત વનતારા પ્રાઇવેટ ઝૂ ઉપરાંત અન્ય પણ કેટલીક ખાસિયતો ધરાવે છે.

વનતારા કેટલું મોટું છે ?

ઇમેજ સ્રોત, X/ril_foundation
વનતારા રિલાયન્સની રિફાઇનરીના વિશાળ કૉમ્પ્લેક્સમાં જ આવેલું છે, જે લગભગ 3000 એકરમાં ફેલાયેલું છે અને તે રિફાઇનરીના 'ગ્રીન બેલ્ટ' એટલે કે હરિયાળા વિસ્તારના ભાગરૂપ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વનતારાએ વાસ્તવમાં બે સંસ્થાઓ દ્વારા ચલાવાતું કેન્દ્ર છે. તેમાંની એક સંસ્થા છે રાધેકૃષ્ણ ટેમ્પલ ઍલિફન્ટ વેલ્ફેર ટ્રસ્ટ અને બીજી છે ગ્રીન્સ ઝૂલોજિકલ, રેસ્ક્યૂ ઍન્ડ રિહેબિલિટેશન સેન્ટર સોસાયટી.
આ બંને સંસ્થાઓ રિલાયન્સ ગ્રૂપ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવે છે.
વનતારાનો લગભગ 998 એકર વિસ્તાર હાથીઓના રહેવા માટે જંગલની જેમ વિકસાવવામાં આવ્યો છે. જે ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે.
બાકીના વિસ્તારમાં ગ્રીન્સ ઝૂલોજિકલ, રેસ્ક્યૂ ઍન્ડ રિહેબિલિટેશન સેન્ટર આવેલાં છે, જે 568 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા છે અને તેમાં ભારત અને દુનિયાના અન્ય દેશોમાં જોવા મળતાં પશુપક્ષીઓને રાખવાની સુવિધા છે.
માણસો સાથે સંઘર્ષને કારણે પકડી લેવાયેલા દીપડા રાખવા માટેનું અલગ રેસ્ક્યૂ સેન્ટર પણ વનતારામાં આવેલું છે, જે પાંચ એકર વિસ્તારમાં ફેલાયેલું છે.
રિલાયન્સ ગ્રૂપના દાવા મુજબ વનતારામાં રાખવામાં આવેલ પશુપક્ષીઓની પ્રજાતિઓને તેમના કુદરતી રહેઠાણનો અનુભવ થાય તે પ્રકારનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે.
આ કેન્દ્રના નામમાં પ્રાણીસંગ્રહાલય છે, પરંતુ સામાન્ય માણસોના પ્રવેશ પર ઘણાં નિયંત્રણો છે.
અન્ય પ્રાણીસંગ્રહાલયોની જેમ દરવાજે આવેલી ટિકિટબારી પરથી ટિકિટ ખરીદીને ઝૂમાં રહેલાં પશુપક્ષીઓને જોવા માટે જઈ શકાતું નથી.
વનતારા કેટલાં પશુપક્ષીઓને રાખવામાં આવ્યાં છે?

ઇમેજ સ્રોત, ANI
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે 27 ફેબ્રુઆરી, 2025ના રોજ જાહેર કરેલી એક યાદીમાં જણાવ્યું હતું કે વનતારામાં 240 જેટલા હાથીઓને આશરો આપવામાં આવ્યો છે.
તેમને એક યા બીજા પ્રકારની યાતનામાંથી મુક્ત કરાવીને ટ્રસ્ટ દ્વારા જામનગર લાવવામાં આવ્યા હોવાનો રિલાયન્સનો દાવો છે.
સેન્ટ્રલ ઝૂ ઑથૉરિટીની વેબસાઇટ પર રિહેબિલિટેશન સેન્ટરનો વર્ષ 2022-23નો વાર્ષિક અહેવાલ મૂકવામાં આવ્યો છે. જે મુજબ, ગ્રીન્સના સેન્ટરમાં 130 થી વધારે પ્રજાતિઓનાં કુલ 3889 પશુપક્ષીઓ હતાં.
તેમાં 54 પક્ષીઓ, 918 સસ્તન પ્રાણીઓ અને 2915 સરિસૃપોનો સમાવેશ થતો હતો, જેમાં રેસ્ક્યૂ કરાયેલા 229 દીપડા અને 850 મગરોનો પણ સમાવેશ થતો હતો.
અન્ય પ્રાણીઓમાં 35 જેટલા રિંછ, નવ આફ્રિકન સિંહ, સાત ચિત્તા, દક્ષિણ અમેરિકામાં જોવા મળતા દસ જૅગ્યુઆર, છ હિપ્પોપોટેમસ, બે ભારતીય ગેંડા વગેરે નોંધપાત્ર હતાં.
વનતારામાં રહેલાં કુલ પશુપક્ષીઓમાં 43 પ્રજાતિઓનાં 1461 પશુપક્ષીઓનો પણ સમાવેશ થતો હતો.
બીબીસી ગુજરાતીએ રિલાયન્સના અધિકારીઓનો ફોન દ્વારા સંપર્ક કરી વનતારામાં હાલ રહેલાં પશુપક્ષીઓ વિશે માહિતી માંગી હતી, પરંતુ તત્કાલ કોઈ જવાબ મળ્યો ન હતો.
વનતારાનું ઉદ્ઘાટન ક્યારે થયું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
રિલાયન્સ પરિસરમાં હાથીનું કેન્દ્ર છેલ્લાં ઘણાં વર્ષોથી ચાલે છે. સેન્ટ્રલ ઝૂ ઑથૉરિટીએ ઑગસ્ટ 2020માં ગ્રીન્સ સેન્ટરને માન્યતા આપી હતી.
દીપડાનું રેસ્ક્યૂ સેન્ટર નવેમ્બર 2020થી ચાલે છે. ગુજરાત સરકારના વનવિભાગનાં સૂત્રો અનુસાર ગુજરાતભરમાંથી રેસ્ક્યૂ કરીને 150 જેટલા દીપડાને આ કેન્દ્રમાં સારસંભાળ માટે મોકલવામાં આવ્યા છે.
માર્ચ 2024માં મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીએ મીડિયા પ્રતિનિધિઓને વનતારાની મુલાકાતે લઈ જઈને વનતારાનું એક રીતે ઉદ્ઘાટન કર્યું હતું.
વર્ષ 2024માં અનંત તથા રાધિકા મર્ચન્ટ લગ્નગ્રંથિથી જોડાયાં, ત્યારે દેશવિદેશના અનેક મહાનુભાવોએ વનતારાની મુલાકાત લીધી હતી.
ફેબ્રુઆરી 2025માં અનંત અંબાણીના વનતારા પ્રોજેક્ટને કેન્દ્ર સરકાર દ્વારા કૉર્પોરેટની કૅટગરીમાં પ્રાણીમિત્રનો ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.
ભારતમાં પ્રાણીઓના કલ્યાણ માટે સરકાર દ્વારા અપાતું આ સર્વોચ્ચ સન્માન છે. કેન્દ્રીય પર્યાવરણ અને વનમંત્રી ભૂપેન્દ્ર યાદવ પણ આ ઝૂની મુલાકાત લઈ ચૂક્યા છે.
વનતારા અંગે વાદ અને વિવાદો

ઇમેજ સ્રોત, Getty Images
ભૂતકાળમાં વન્યજીવોના કલ્યાણ માટે કામ કરતા કેટલાક લોકોએ વનતારામાં જે રીતે પ્રાણીઓ લવાઈ રહ્યા હતાં તેની ટીકા કરી હતી.
કેટલાક મીડિયા અહેવાલોમાં વિદેશોમાંથી લાવતા પ્રાણીઓને યાતનામાંથી બચાવીને લવાયા હોવાના દાવા વિશે પણ શંકા વ્યક્ત કરવામાં આવી હતી.
કનૈયા કુમાર નામના એક વ્યકિતએ એક જાહેરહિતની અરજી દાખલ કરી હતી અને દાવો કર્યો હતો કે રિલાયન્સનું પ્રાણીસંગ્રહાલય એક ખાનગી પ્રાણીસંગ્રહાલય હોવાથી તેને દેશમાંથી અને વિદેશમાંથી પ્રાણીઓ રાખવાની મંજૂરી મળેલી નથી.
પરંતુ, સેન્ટ્રલ ઝૂ ઑથૉરિટીએ જણાવેલું કે ગ્રીસ સેન્ટરમાં રખાયેલાં પશુ-પક્ષીઓ શિક્ષણના હેતુ માટે દેખાડવામાં આવશે, જયારે રૅસ્ક્યૂ સેન્ટરમાં યાતનામાંથી બચાવીને લવાયેલાં પંખીઓ અને પ્રાણીઓને રાખવામાં આવશે.
અંતે, સુપ્રીમ કોર્ટે જાહેર હિતની અરજી ફગાવી દીધી હતી.
સામાન્ય રીતે રેસ્ક્યૂ સેન્ટરમાં ઈજાગ્રસ્ત, યાતનામાંથી છોડાવાયેલા અને વન્ય જીવનમાં પરત ફરી શકે તેમ ન હોય તેવાં પશુપંખીઓને રાખવામાં આવે છે, પરંતુ રેસ્ક્યૂ સેન્ટરમાં સ્વસ્થ પ્રાણીઓને પણ રાખવામાં આવી રહ્યાં હોવાના સવાલ ઊઠવા પામ્યા છે.
અનંત અંબાણીના લગ્નસમયે અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં પુત્રી ઇવાન્કા ટ્રમ્પની હાથી સાથેની તસવીર વિવાદનો વિષય બની હતી.
કથિત રીતે આ હાથી વનતારાનો હતો અને તેને મહેમાનો સામે નિદર્શન અને મનોરંજન માટે રાખવામાં આવ્યો હતો.
વડાપ્રધાનના અન્ય કાર્યક્રમો

ઇમેજ સ્રોત, X/narendramodi
આજે બીજી માર્ચના રોજ વનતારાની મુલાકાત લઈ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બપોરે બે વાગ્યે સોમનાથ પહોંચે તે પ્રકારનો તેમનો પૂર્વનિર્ધારિત પ્રવાસ કાર્યક્રમ છે.
સોમનાથ મંદિરમાં ભગવાન શિવના દર્શન-પૂજન કરી ધર્મસ્થળના ટ્રસ્ટ અને મંદિરના વહીવટી અધિકારીઓ સાથે મિટિંગ કરશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. વડા પ્રધાન સોમનાથ મંદિર ટ્રસ્ટના ચૅરમૅન છે.
સોમનાથથી વડા પ્રધાન દુનિયામાં એશિયાઈ સિંહોના એક માત્ર નૈસર્ગિક નિવાસ એવા ગીરના જંગલમાં આવેલાં સાસણ ખાતે જશે. ત્યાં તેઓ નૅશનલ બોર્ડ ફૉર વાઇલ્ડલાઇફ એટલે કે રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની મિટિંગની અધ્યક્ષતા કરશે. વડા પ્રધાન હોદ્દાની રૂએ આ બોર્ડના વડા છે.
વન વિભાગના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર 2007 માં સિંહોના શિકારની ઘટના બની ત્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતાં અને શિકારનો કિસ્સો પ્રકાશમાં આવતા તેઓ સાસણ દોડી ગયા હતાં.
અધિકારીના જણાવ્યા અનુસાર 2007 પછી મોદીની સાસણની આ પ્રથમ મુલાકાત હશે. સાસણમાં રવિવારની રાત રોકાઈને વડાપ્રધાન મોદી સોમવારે સવારે સિંહ જોવા માટે ગીરના જંગલમાં સફારીમાં પણ જશે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે વડાપ્રધાન નૅશનલ વાઇલ્ડ લાઇફ ડિસીઝ ડાયગ્નૉસ્ટિક રિસર્ચ ઍન્ડ રૅફરલ સેન્ટરનું ભૂમિપૂજન કરે તેવી પણ શક્યતા છે. આ સેન્ટરમાં વન્યજીવોને અસર કરતી બીમારીઓના નિદાન અને તેમના પર સંશોધન વગેરેની કામગીરી થશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












