You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇમરાન ખાન સરકારને અડધી રાત્રે વિપક્ષે કઈ રીતે પાડી દીધી?
મોડી રાત્રે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનની સરકારનો ફેંસલો થઈ ગયો, હવે તેઓ પાકિસ્તાનના વડા પ્રધાન નથી. મોડી રાત સુધી પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં શું-શું થયું?
પાકિસ્તાનની રાષ્ટ્રીય ઍસેમ્બ્લીમાં વડા પ્રધાન ઇમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લવાયો હતો. આ પ્રસ્તાવની તરફેણમાં 174 સભ્યોએ મતદાન કર્યું હતું.
જેથી ઇમરાન ખાનનું વડા પ્રધાનના પદ પરથી હઠવું નિશ્ચિત થઈ ગયું હતું.
ઇમરાન ખાને છોડ્યો PM આવાસ
વડા પ્રધાન ઇમરાન ખાનના વિરુદ્ધ લવાયેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર પાકિસ્તાનની રાષ્ટ્રીય ઍસેમ્બ્લીમાં મતદાન શરૂ થયું એ પહેલાં જ ઍસેમ્બ્લીના અધ્યક્ષ અસદ કૈસરે રાજીનામું આપી દીધું હતું.
જે બાદ પીએમએલ-એન નેતા અયાઝ સાદિકે રાષ્ટ્રીય ઍસેમ્બ્લીના સત્રની અધ્યક્ષતા કરી હતી.
અસદ કૈસરે કહ્યું હતું કે, "વાસ્તવિકતા અને ઘટનાઓને જોતાં મેં નક્કી કર્યું છે કે મારી પાસે જે દસ્તાવેજ પહોંચ્યા છે, તેને હું સુપ્રીમ કોર્ટમાં મોકલીશ."
પાકિસ્તાનની ઍસેમ્બ્લીમાં જ્યારે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થઈ રહ્યું હતું, ત્યારે બીજી તરફ ઇમરાન ખાને વડા પ્રધાનનો આવાસ છોડી દીધો હતો.
સંસદમાં ઇમરાન ખાનના સમર્થક અને વિરોધીઓ વચ્ચે તકરાર
અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થયું એ પહેલાં શનિવારે સાંજે પાકિસ્તાનની સંસદમાં ઇમરાન ખાનના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે તકરાર થઈ હતી. જેને પગલે અધ્યક્ષ દ્વારા કાર્યવાહી સ્થગિત કરી દેવાઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શનિવારે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થવાનું અગાઉથી જ નિર્ધારિત હતું, તેમ છતાં ઇમરાન ખાનના સમર્થકોએ મતદાનના ટાળવાના પ્રયત્નો કર્યા હતા, એવો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો.
વિપક્ષનું કહેવું હતું કે હાર નક્કી હોવાથી ઇમરાન ખાનના સમર્થકો મતદાનને ટાળવા મથી રહ્યા હતા.
આ વચ્ચે વડા પ્રધાન ઇમરાન ખાને તેમની કૅબિનેટની બેઠક પણ યોજી હતી.
જોકે આખરે મોડી રાત્રે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થયું હતું અને આખરે ઇમરાન ખાનને વડા પ્રધાન પદ પરથી હઠવું પડ્યું હતું.
'જૂના પાકિસ્તાનમાં તમારું સ્વાગત છે'
અવિશ્વાસ પ્રસ્તાવની સફળતા બાદ રાષ્ટ્રીય ઍસેમ્બ્લીને સંબોધતાં પીએમએલ-એનના અધ્યક્ષ શાહબાઝ શરીફે કહ્યું કે આજે પાકિસ્તાન બંધારણ અને કાયદાને ફરી સ્થાપવા માગે છે.
તેમણે કહ્યું કે, "અમે બદલો નહીં લઈએ પણ કાયદો એનું કામ કરશે."
સાથે જ પીપીપી અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારી બોલ્યા, "10 એપ્રિલનું ઐતિહાસિક મહત્ત્વ છે."
તેમણે ગૃહને યાદ કરાવ્યું કે 10 એપ્રિલના દિવસે જ ગૃહમાં 1973નું બંધારણ પસાર થયું હતું.
તેમણે કહ્યું કે, "જૂના પાકિસ્તાનમાં તમારું સ્વાગત છે."
આ દરમિયાન પાકિસ્તાનના ઍટર્ની જનરલ ખાલિદ જાવેદ ખાને પણ રાજીનામું આપી દીધું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો