You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતે શ્રીલંકાને છેલ્લી ઘડીએ બચાવ્યું, શ્રીલંકન અખબારોએ આ વિશે શું છાપ્યું?
શ્રીલંકાના મુશ્કેલીભર્યા સમયમાં ભારત ઘણી રીતે મદદ કરી રહ્યું છે. ગત અઠવાડિયે 13 જાન્યુઆરીના રોજ શ્રીલંકાસ્થિત ભારતીય ઉચ્ચાયોગે શ્રીલંકાને 90 કરોડ ડૉલરની મદદ કરવાની જાહેરાત કરી હતી.
પરંતુ તે મદદ પણ ઓછી પડતા ભારતે મંગળવારે વધુ 50 કરોડ ડૉલરની મદદ કરી હતી, જેથી શ્રીલંકા પેટ્રોલિયમ ઉત્પાદનો ખરીદી શકે.
ભારતની આ મદદના અહેવાલો શ્રીલંકન મીડિયામાં મુખ્યત્વે છપાયા છે.
શ્રીલંકાના મુખ્ય અખબાર ડેઇલી મિરરના પહેલા પાને અહેવાલ છપાયો છે – તેલના તરસ્યા શ્રીલંકાને ભારતે આપી લાઇફલાઇન.
શ્રીલંકાના જાણીતા આર્થિક અખબાર ડેઇલી ફાઇનાન્શિયલ ટાઇમ્સે પણ પહેલા પાને અહેવાલ પ્રકાશિત કર્યો છે, જેમાં લખ્યું છે કે શ્રીલંકા જ્યારે ઈંધણ અને ઊર્જાનાં સંકટમાં ઘેરાયું છે ત્યારે ભારતે મદદ કરી છે.
ડેઇલી મિરરે શ્રીલંકાના આર્થિક સંકટ પરના અન્ય એક અહેવાલમાં લખ્યું છે, "શ્રીલંકા પોતાના સહયોગીઓનું ઋણી છે. શ્રીલંકાનો વિદેશી હૂંડિયામણ ભંડાર ખાલી થઈ ચૂક્યો છે અને હવે તે પોતાનું સોનું વેચી રહ્યું છે. આ વચ્ચે અમેરિકાની રેટિંગ એજન્સી ફિચે શ્રીલંકાની ક્રેડિટ રેટિંગ ઘટાડીને ‘સીસી’ કરી દીધી છે. આ રેટિંગ ડિફૉલ્ટ થવાથી પહેલા આપવામાં આવે છે."
ભારતે આપી રાહત
શ્રીલંકાની સૅન્ટ્રલ બૅન્કના પૂર્વ ડેપ્યુટી ગવર્નર અને દેશના જાણીતા અર્થશાસ્ત્રી ડૉ. ડબલ્યુ. એ. વિજેવર્દેનાએ ભારતની મદદ પર ટ્વીટ કરીને કહ્યું, "ભારતે શ્રીલંકાને બે મહિના માટે રાહત આપી છે. આ દરમિયાન શ્રીલંકાએ આર્થિક સુધારા કરવા જોઈએ. શ્રીલંકાએ જાણવું જોઈએ કે ભારત તેને આ સંકટમાંથી સંપૂર્ણ રીતે બહાર કાઢી શકશે નહીં. શ્રીલંકાએ આઈએમએફ સાથે વાત કરવી જોઈએ અને તેનાથી જ કાયમી ઉકેલ મળશે."
ડેઇલી મિરરના અહેવાલ પ્રમાણે, "આગામી 12 મહિનામાં સરકાર અને શ્રીલંકાના ખાનગી સૅક્ટરોએ અંદાજે સાત અરબ ડૉલરનું દેવું ચૂકવવાનું છે. શ્રીલંકાની સૅન્ટ્રલ બૅન્કના ડેટા અનુસાર, દેશ પાસે 2021ના અંત સુધીમાં કુલ વિદેશી હૂંડિયામણ 3.1 કરોડ ડૉલર જ બચ્યું હતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડેઇલી મિરરને આપેલા એક ઇન્ટરવ્યૂમાં શ્રીલંકાની સૅન્ટ્રલ બૅન્કના પૂર્વ ડેપ્યુટી ગવર્નર અને દેશના જાણીતા અર્થશાસ્ત્રી ડૉ. ડબલ્યુ. એ. વિજેવર્દેનાએ કહ્યું હતું કે સરકારે આઈએમએફ પાસે જવું પડી શકે છે.
વિજેવર્દેનાએ હાલમાં જ ટ્વીટ કરીને કહ્યું હતું કે શ્રીલંકાની સૅન્ટ્રલ બૅન્કમાં સોનું 38.2 કરોડ ડૉલરના મૂલ્યથી ઘટીને 17.5 કરોડ ડૉલરનું જ રહ્યું છે. ડેઇલી મિરરે વિજેવર્દેનાને પૂછ્યું કે હાલમાં શ્રીલંકાની જે સ્થિતિ છે, તેમાં સોનાનાં ભંડારનો કઈ રીતે ઉપયોગ રીતે થવો જોઈએ?
તેના જવાબમાં વિજેવર્દનાએ કહ્યું કે, "ડિફૉલ્ટર થવાથી બચવા માટે સોનું અંતિમ વિકલ્પ તરીકે કામ આવે છે, પરંતુ સોનું ત્યારે જ વેચવું જોઈએ જ્યારે અન્ય કોઈ વિકલ્પ ન બચે. ઉદાહરણ તરીકે ભારતે 1991માં 47 મૅટ્રિક ટન સોનું લંડનમાં ઍરલિફ્ટ કરાવ્યું હતું. તેના બદલે બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ અને બૅન્ક ઑફ જાપાને 40 કરોડ ડૉલરની લોન આપી હતી."
"ભારતે સોનું વેચીને ખુદને ડિફૉલ્ટર થવાથી બચાવ્યું હતું, શ્રીલંકા સોનું વેચી રહ્યું છે, તેનો અર્થ એ જ છે કે હવે કોઈ વિકલ્પ નથી બચ્ચો. ભારતે આ કામ ગુપ્તતાથી કર્યું હતું પણ લાંબા સમય સુધી ગુપ્તતા જાળવી શક્યું ન હતું. ધ ઇન્ડિયન એક્સપ્રેસે તેને લઈને અહેવાલ પ્રકાશિત કર્યો હતો. ત્યારે નાણામંત્રી મનમોહનસિંહે લોકસભામાં સ્વીકાર્યું હતું કે ભારત પાસે કોઈ વિકલ્પ ન હતો."
ફાઇનાન્શિયલ ટાઇમ્સે પોતાના અહેવાલમાં લખ્યું છે કે, "નાણામંત્રી બાસિલ રાજપક્ષેએ ભારત પાસેથી 2.4 અબજ ડૉલરની મદદ મળી હોવાની પુષ્ટિ કરી હતી. બાસિલ રાજપક્ષેએ ભારતીય વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર સાથે વાતચીત કરી હતી. ગયા મહિને બાસિલ રાજપક્ષે ભારત મુલાકાત પર આવ્યા હતા અને આ દરમિયાન ભારતીય મદદને લઈને વાત પણ થઈ હતી."
ડેઇલી એએફટી અનુસાર, બાસિલ રાજપક્ષેએ કહ્યું હતું કે ભારતનો શ્રીલંકાને લાંબા સમયથી સહયોગ રહ્યો છે. બાસિલે ભારતની આ મદદ માટે આભાર વ્યક્ત કર્યો છે. અખબારે પોતાના અહેવાલે લખ્યું છે કે બાસિલ રાજપક્ષેએ શ્રીલંકાના પોર્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઊર્જા અને મૅન્યુફૅક્ચરિંગમાં ભારતના રોકાણને આવકાર્યું છે."
શ્રીલંકાનું ઊર્જાસંકટ
શ્રીલંકાની સરકારે આ વર્ષે ભારત સાથે મળીને ત્રિંકોમાલીમાં 61 ઑઇલ ટૅન્ક બનાવવાનો નિર્ણય લીધો હતો. શ્રીલંકાનાં ઊર્જામંત્રી ઉદયા ગમ્મનપિલાએ કહ્યું હતું કે, ભારત આ કામ ત્રિણકો પૅટ્રોલિયમ ટર્મિનલ કંપની સાથે મળીને કરશે.
શ્રીલંકન અખબાર ડેઇલી મિરર અનુસાર, ઊર્જામંત્રીએ કહ્યું કે 29 જુલાઈ, 1987માં બન્ને દેશો વચ્ચે સમજૂતી થઈ હતી કે ત્રિંકોમાલીના તમામ ઑઇલ ફાર્મને માત્ર ભારત સાથે જ વિકસિત કરી શકાશે.
શ્રીલંકાના પાવર પ્લાન્ટ પાસે ડીઝલનો સ્ટૉક પૂરો થતો જાય છે.
ડેઇલી મિરરનાં અહેવાલ પ્રમાણે, ડીઝલ ખરીદવા માટે પૈસા નથી અને આશંકા છે કે શ્રીલંકા ઊર્જાસંકટમાં ઘેરાઈ શકે છે.
ડેઇલી મિરરના અહેવાલ પ્રમાણે, "સીલોન ઇલેક્ટ્રીસિટી બોર્ડ ઘેરા સંકટમાં સમાતું દેખાઈ રહ્યું છે. સીલોન પેટ્રોલિયમ કૉર્પોરેશન કેલાનિતિસા પાવર પ્લાન્ટ પર ઈંધણની આપૂર્તિ નથી કરી શકતું. આ પ્લાન્ટને ડીઝલ નથી મળી રહ્યું. શ્રીલંકાનો વિદેશી હૂંડિયામણ ભંડાર ખાલી છે અને ડીઝલ ખરીદવા માટે પણ પૈસા નથી."
શ્રીલંકા અખબાર ધ આઈલૅન્ડમાં ભારતની મદદ પર એક વિશ્લેષકે કહ્યું છે કે, "આઈએમએફ પાસે ગયા વગર વિદેશી ફંડની વ્યવસ્થા શ્રીલંકા માટે નિર્ણાયક પગલું છે. આ એક સકારાત્મક પ્રગતિ છે. શ્રીલંકા જ્યારે આર્થિક સંકટમાં ફસાયું છે તો મિત્ર દેશો પાસેથી મદદ મળી રહી છે."
કૉપી – રજનીશકુમાર
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો