મ્યાનમારમાં તખતાપલટા સામે વિરોધપ્રદર્શન, અનેક સામે કાર્યવાહી

મ્યાનમારમાં લોકશાહીની સ્થાપના અને ચૂંટાયેલાં નેતા આંગ સાન સૂ ચીને છોડી મૂકવાની માગણી માટે ચાલી રહેલું વિરોધપ્રદર્શન સોમવારે પણ યથાવત્ રહ્યું છે. સોમવારે મ્યાનમારના મજૂરો દેશવ્યાપી હડતાળ પર ઊતરી ગયા હતા.

સોમવાર સવારે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ પાટનગર નેપીડાવ, યંગૂન એને માંડલે અને બીજા શહેરોમાં ભેગા થયાં હતાં. લોકોએ હાથમાં બૅનરો સાથે નારા લગાવ્યા હતા. વિરોધપ્રદર્શન દરમિયાન ક્યાંય પણ હિંસા થઈ નથી.

બીજી બાજુ વિરોધપ્રદર્શનને જોતા મ્યાનમારના પાટનગર નેપીડવમાં વહીવટીતંત્ર દ્વારા પ્રદર્શનકારીઓ પર પાણીનો મારો કરવામાં આવ્યો છે.

પ્રદર્શન કરી રહેલા લોકોમાં શિક્ષકો, ડૉક્ટરો, વકીલો, બૅન્ક અધિકારીઓ અને સરકારી કર્મચારીઓ સામેલ છે. આશરે એક હજાર શિક્ષકોએ યંગૂનના એક નગરથી સુલે પૈગોડા સુધી રેલીમાં ભાગ લીધો હતો.

વિરોધપ્રદર્શનમાં ભાગ લેવા માટે અને કામનો બહિષ્કાર કરવા માટે ઓનલાઇન પણ અપીલ કરવામાં આવી રહી છે.

કાપડના કારખાનામાં કામ કરતા 28 વર્ષના નિન તાજીને સમાચાર સંસ્થા એએફપીને જણાવ્યું કે, આજે કામ કરવાનો દિવસ છે પરતું અમે કામ પર નહીં જઈએ. ભલે અમારો પગાર કેમ ન કાપવામાં આવે.

નેપીડેવમાં પોલીસે પ્રદર્શન કરી રહેલાં લોકો પર પાણીનો મારો ચલાવ્યો હતો, જેમાં અમુક લોકોને ઈજા પણ થઈ છે.

એક દાયકા કરતા વધુ સમયમાં આ પહેલી વખત છે જ્યારે આટલા મોટા પ્રમાણમાં વિરોધપ્રદર્શન શરૂ થયા છે.

હાલમાં યોજાયેલી ચૂંટણીઓ મોટાપાયે ગરબડ થઈ છે એવા આરોપ મૂકીને મ્યાનમારની સેનાએ 1લી ફેબ્રુઆરીએ તખતાપલટો કર્યો હતો. જોકે સેનાએ હજુ સુધી આ માટે કોઈ પુરાવા આપ્યા નથી.

તખતાપલટો કર્યા બાદ સેનાએ મ્યાનમારમાં એક વર્ષ માટે કટોકટી લાદી દીધી છે.

બીજી બાજુ આંગ સાગ સૂ ચી અને તેમનાં પક્ષ નેશનલ લીગ ફૉર ડેમૉક્રેસી (એનએલડી)ના મહત્ત્વનાં નેતાઓની ધરપકડ કરવામાં આવી છે.

સેનાએ નાણાં, આરોગ્ય, ગૃહ અને વિદેશ ખાતા સહિત બધા મહત્ત્વના મંત્રીઓને હટાવી દીધા છે અને પોતાના લોકોની નિમણૂક કરી છે. ફેસબુક, ટ્વિટર અને ઇન્સટાગ્રામ જેવી સાઇટસ્ પણ બ્લૉક કરી નાખવામાં આવી છે.

2007માં યોજાયલ સેફ્રન રિવૉલ્યુશન બાદ આ પહેલી વખત છે જ્યારે આટલા મોટા પાયે વિરોધપ્રદર્શન થઈ રહ્યું છે. 2007માં બૌદ્ધ ભિક્ષુઓ સૈન્ય શાસન વિરુદ્ધ રસ્તા પર ઊતરી આવ્યા હતા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો