You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગોલ્ડન મિલ્ક આખી દુનિયામાં શા માટે મશહૂર થઈ રહ્યું છે?
હવે તમારા મનમાં સવાલ થશે કે આ ગોલ્ડન મિલ્ક આખરે છે શું?
ગોલ્ડન મિલ્ક દુનિયાના અન્ય દેશો માટે નવી રેસિપી હશે, પરંતુ ભારતવાસીઓ માટે સદીઓ પુરાણી ચીજ છે.
આ લગભગ દરેક ભારતીય ઘરમાં વપરાતો નુસખો છે અને તેનો ઉપયોગ અનેક પ્રકારની બીમારીઓથી બચવા માટે અનેક પેઢીઓથી કરવામાં આવી રહ્યો છે.
પશ્ચિમના દેશો જેને ગોલ્ડન મિલ્ક કહે છે, એ ભારતવાસીઓ માટે હળદરવાળું દૂધ છે. આ હળદરવાળું દૂધ તેના વિશિષ્ટ ગુણને કારણે હવે અનેક દેશોમાં લોકપ્રિય થઈ રહ્યું છે.
કેટલું ફાયદાકારક છે ગોલ્ડન મિલ્ક?
આ દૂધ બનાવવાનું આસાન છે અને તેના વિશિષ્ટ ગુણ લાજવાબ છે. દુનિયાભરની કોફી શોપ્સમાં હવે હળદરવાળું દૂધ વેચાવા લાગ્યું છે અને તેનાથી થતા ફાયદાને કારણે ઘણા લોકો એ દૂધ હોંશેહોંશે પી રહ્યા છે.
ગોલ્ડન મિલ્કમાં ઉમેરવામાં આવતી મુખ્ય સામગ્રી છેઃ હળદર.
હળદરના છોડમાં મહત્ત્વની ચીજ તેના મૂળિયાં હોય છે. તેને સૂકવીને હળદરનો પાઉડર બનાવવામાં આવે છે.
ભારતમાં લગભગ દરેક શાકમાં હળદર નાખવામાં આવે છે. એ ઉપરાંત અનેક આયુર્વેદિક ઔષધોમાં પણ તેનો વપરાશ થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દૂધમાં હળદર આટલી ફાયદાકારક કેમ?
હળદરનો વિશિષ્ટ ગુણધર્મ એ છે કે તે એન્ટી-ઈન્ફ્લેમેટરી એટલે કે સોજો ઘટાડવામાં બહુ ઉપયોગી છે.
અનેક સંશોધનમાં પૂરવાર થયું છે કે સાંધાના દુખાવામાં અને સોજા ઉતારવા માટે લેવામાં આવતી એલોપેથિક દવાઓની સરખામણીએ હળદર વધારે ઉપયોગી સાબિત થાય છે.
અલબત, પોષણશાસ્ત્રીઓ કહે છે કે હળદરની અસર બાબતે ચોક્કસ માહિતી મેળવવા માટે વધારે સંશોધન કરવું જરૂરી છે.
સંખ્યાબંધ સંશોધનોમાં જાણવા મળ્યું છે કે હળદરમાં એન્ટી-ઑક્સિડન્ટ ગુણ પણ હોય છે.
ગભરાટ અને બ્લડ પ્રેશરમાં થતા વધારાને, લોહીમાં શર્કરાના અનિયંત્રિત પ્રમાણને અને પાચન સંબંધી સમસ્યાઓને નિયંત્રિત કરવામાં પણ હળદર ઉપયોગી છે.
મગજના સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી
મિશિગન કેન્દ્રીય યુનિવર્સિટી અને નોવા સાઉથ-ઇસ્ટર્ન યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ 2017માં જણાવ્યું હતું કે હળદરનું પાચન આસાનીથી થતું નથી અને તે શરીરમાં આસાનીથી શોષાતી પણ નથી.
જોકે, જાણકારો માને છે કે કાળાં મરી કે અન્ય ચીજો સાથે હળદરનો ઉપયોગ કરવામાં આવે તો એ શરીર માટે લાભદાયક પૂરવાર થાય છે.
હળદરમાં મળતા ટમેનોર નામના તત્ત્વને મગજના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે.
કેટલાક દેશોમાં હળદરવાળા દૂઘમાં તજનો પાઉડર અને આદું ભેળવીને પીવામાં આવે છે.
પેટનો દુખાવો, પાચન સંબંધી સમસ્યા તથા નબળાઈ જેવી તકલીફોમાં આદું ફાયદાકારક સાબિત થાય છે. ચીનની પરંપરાગત દવાઓમાં તજનો ઉપયોગ કરવામાં આવે છે.
પોષણશાસ્ત્રી કેરી ટોરેન્સ કહે છે કે "પેટની તકલીફો માટે અનેક દેશોમાં તજનો ઉપયોગ વર્ષોથી કરવામાં આવે છે."
કેરી ટોરેન્સ એમ પણ કહે છે કે "બીમારીઓ સામે લડવામાં અને લોહીમાં ઑક્સિજનનું પ્રમાણ બહેતર બનાવવામાં તજ ઘણા ઉપયોગી સાબિત થયા છે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો