300 વરસ પહેલાં ડૂબેલું જહાજ મળ્યું અને પછી અબજોના ખજાના માટે લડાઈ શરૂ થઈ

ઇમેજ સ્રોત, Getty Images
એ 8 જૂન 1708નો દિવસ હતો જ્યારે કૉલંબિયા અને કાર્ટાજેનાના કિનારા પાસે સ્પેનનું સૅન જોસ ગૅલિયન જહાજ સમુદ્રનાં મોજાં વચ્ચે ઘેરાઈ ગયું હતું.
આ જહાજ બપોરથી બ્રિટન વિરુદ્ધ યુદ્ધ લડી રહ્યું હતું. પરંતુ રાત થતાં થતાં તો 62 તોપો સાથેનું આ જહાજ કૅરેબિયન સમુદ્રમાં સમાઈ ગયું.
જહાજ સાથે લગભગ 600 લોકો અને 20 અબજ ડૉલરની કિંમતનું સોનુ, ચાંદી અને ઝવેરાત પણ ડૂબી ગયાં. સદીઓ સુધી સૅન જોસ ગૅલિયન સમુદ્રની અંદર ડૂબેલું રહ્યું તેના વિશે કોઈ ભાળ મળી નહોતી.
2015માં જ્યારે કોલંબિયા સરકારે જાહેર કર્યું કે આ જહાજ મળી ગયું છે ત્યારથી આ જહાજ વિશેનાં રહસ્યો ખૂલવાનાં શરૂ થયાં.

ખજાનાના ઘણા દાવેદાર

ઇમેજ સ્રોત, TRAVEL4PICTURES/ALAMY
ચાર વર્ષ પછી આજે પણ ગૅલિયન કોલંબિયાના સમુદ્રના તળિયે 600 મીટર ઊંડે પડ્યું છે.
જોકે, જહાજમાં રહેલી અબજો રૂપિયાની મિલકતના અનેક દાવેદારો સામે આવી ગયા છે.
ડૂબેલા ગૅલિયનને સમુદ્રી જહાજોના કાટમાળનું 'હોલી ગ્રેલ' કહેવાય છે. કોલંબિયાની સરકારે એ નથી જણાવ્યું કે તે ક્યાં ડૂબ્યું હતું.
માનવામાં આવે છે કે સૅન જોસ કાર્ટાજેનાથી લગભગ 40 કિલોમીટર દૂર રોજેરિયો ટાપુ પાસે ડૂબ્યુ હતું. આ ટાપુઓ પર જંગલ છે જે નેશનલ પાર્કનો હિસ્સો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઘણી મોટરબોટ પ્રવાસીઓને દરરોજ ત્યાં લઈ જાય છે. સમુદ્રની સપાટી પરથી પસાર થતી વખતે એ કલ્પના કરવી મુશ્કેલ નથી કે નીચે ક્યાંક સૅન જોસનો ખજાનો પડેલો છે.
ખજાનાથી ભરેલાં જહાજ સદીઓથી લોકોને રોમાંચિત કરી રહ્યાં છે. નોબેલ પુરસ્કાથી સન્માનિત લેખક ગૅબ્રિયલ ગાર્સિયા માર્કેઝે 'લવ ઇન ધ ટાઇમ ઑફ કૉલેરા'માં ગૅલિયન વિશે લખ્યું છે.
આ નવલકથાનું મુખ્ય પાત્ર પ્લોરેન્ટિનો એરિઝા સમુદ્રના તળીયા સુધી જવાની અને સૅન જોસના ખજાનાને શોધવાની યોજના બનાવે છે.

જાદુઈ કૅરેબિયા

ઇમેજ સ્રોત, VICTORIA STUNT
ગોટાથી આવતા પ્રવાસી બિબિયાના રોજસ મેજિયા કહે છે, "કૅરેબિયન ખૂબ જ જાદુઈ છે."
મેજિયાએ પોતાના પરિવાર સાથે ઇસ્લા ટાપુ પર આખો દિવસ વિતાવ્યો. આ અહીંનો સૌથી મોટો ટાપુ છે.
"આ જાદુઈ જહાજ અમારા દેશમાં છે. અમને ખબર નથી કે સૅન જોસ ગૅલિયન પર કેટલો ખજાનો છે. આ કોઈ દંતકથા પણ હોઈ શકે છે."
સૅન જોસ ગૅલિયન મે 1708ના અંતમાં પનામાનાં બંદરોના શહેર તરીકે ઓળખાતા પોર્ટોબેલોથી નીકળ્યું હતું.
તેમાં પર સોનું, ચાંદી અને કિંમતી ઝવેરાત ભરવામાં આવ્યાં હતાં. જે સ્પેનના તાબામાં આવેલી પેરુની ખીણોમાંથી કાઢવામાં આવ્યાં હતાં.
અનુમાન છે કે આજના હિસાબે તેની કિંમત 1,000 કરોડથી 2,000 કરોડ રૂપિયા વચ્ચે છે.
આ મિલકત સ્પેનના રાજા ફિલિપ પાંચમા માટે હતી, જેઓ સ્પેનના ઉત્તરાધિકારીની લડાઈમાં સંસ્થાનો તરફથી મળી રહેલા ધન પર આશ્રિત હતા.

બ્રિટન સાથે લડાઈ

ઇમેજ સ્રોત, TIMEWATCH IMAGES/ALAMY
ગૅલિયનના કૅપ્ટન જોસ ફર્નાન્ડેઝ ડિ સ્ટૅલિનને ખબર હતી કે ઉત્તરાધિકારની લડાઈમાં સામેલ બ્રિટનનાં જહાજ કાર્ટાજેનામાં હુમલો કરવાની વેતરણમાં છે.
કાર્ટાજેનામાં આ જહાજને સમારકામ માટે થોડો સમય રોકાવાનું હતું. ત્યારબાદ તે ક્યૂબાના હવાના જવાનું હતું અને પછી તેને સ્પેન જવાનું હતું.
કૅપ્ટને આયોજન મુજબ જ સફર યથાવત્ રાખી. 8 જૂનની સાંજે સૅન જોસના ખજાના માટે યુદ્ધ શરૂ થઈ ગયું.
કાર્ટાજેનાની નૅવીના મ્યુઝિયમ ઑફ ધ કૅરેબિયનના ક્યૂરેટર ગોંઝાલો ઝૂનિગાનું કહેવું છે કે પિસ્તોલ, તલવાર અને ચાકુઓથી સજ્જ બ્રિટીશ નૌસૈનિકોએ ત્રણ વખત ગૅલિયન પર ચઢવાની અને તેના પર કબજો કરવાની કોશિશ કરી.
તેઓ કહે છે, "સૅન ડોસ યુદ્ધ જીતી રહ્યું હતું. પરંતુ અમને ખબર નથી કે આખરી ક્ષણોમાં તેની સ્થિતી શું હતી."
બની શકે કે ગૅલિયનનું એક હલેસું તૂટી ગયું હોય અથવા તો જહાજ પર હાજર લોકોએ કૅપ્ટન વિરુદ્ધ બળવો કર્યો હોય. મોટા ભાગના લોકો સામાન્ય નાગરિકો હતા અને કોઈના તાબા હેઠળ નહોતા.
એ વાતમાં તો કોઈ શંકા નહોતી કે એક પણ પક્ષ ઇચ્છતો નહોતો કે ગૅલિયન અને તેનો ખજાનો ડૂબી જાય.
ઝૂનિગાનો મત છે કે સૅન જોસને બ્રિટિશ સેનાને તાબે કરવાને બદલે કે પછી ખજાના વિના સ્પેન લઈ જવાને બદલે કૅપ્ટને પોતે જ જહાજમાં આગ લગાવી દઈને તેને નષ્ટ કરી દીધું હોય.

ખજાનાની ખોજ

ઇમેજ સ્રોત, COURTESY OF ICANH)
27 નવેમ્બર 2015ના રોજ એક રૉબોટિક સબમરીન REMUS600એ સૅન જોસને શોધી લીધું.
આ સબમિરન અમેરિકાની વૂડ્ઝ હૉલ ઓશિયનોગ્રાફિક ઇન્સ્ટિટ્યૂટની હતી. લગભગ 4 મીટર લાંબી આ સ્વચાલિત સબમરીન સમુદ્રના તળિયે નીચે 6 કિલોમિટર ઊંડે શોધખોળ કરી શકે છે.
આ સૅન જોસથી 9 મીટરની ઊંચાઈ સુધી ઊતરીને તેની તસવીરો લેવા સક્ષમ હતી. તેણે તોપોનાં નાળચાંની તસવીરો લીધી. જેના પર ડોલ્ફિન કોતરેલી હતી. શોધકર્તાઓએ તેને સૅન જોસની ઓળખ ગણાવી.
કોલંબિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍન્થ્રોપોલોજી ઍન્ડ હિસ્ટ્રીના ડાયરેક્ટર અર્નેસ્ટો મોંટેનેગ્રો કહે છે, "સૅન જોસ ગૅલિયન ઉપનિવેશક અંગના ઇતિહાસ વિશેની માહિતીનું કેન્દ્ર છે."
"અમેરિકાના આ ક્ષેત્રમાં યુરોપીયન, ખાસ કરીને સ્પેન લગભગ 300 વર્ષ લાંબા ઉપનિવેશક યુગનું પ્રતિનિધિ છે."
કોલંબિયાના કિનારા પાસે લગભગ 1 હજાર જહાજ ડૂબ્યાં હોવાનું અનુમાન છે, જે તેમને કોઈ શોધે તેની રાહ જોઈ રહ્યા છે.
સૅન જોસ ગૅલિયનને કોલંબિયાના સમુદ્રમાં શોધી કાઢવામાં આવ્યું, પરંતુ એ વાતની કોઈ ગૅરંટી નથી કે તે તેની સીમાઓમાં જ રહેશે.

ખજાનાના ઘણા દાવેદારો

ઇમેજ સ્રોત, EFE NEWS AGENCY/ALAMY
સ્પેને ગૅલિયનના હિસ્સા પર પોતાનો દાવો કરવામાં રસ દાખવ્યો છે. બોલિવિયાના કારા કારા મૂળ નિવાસીઓએ પણ તેના પર દાવો કર્યો છે.
સૅન જોસનો ખજાનો તેમની જમીનમાંથી જ કાઢવામાં આવ્યો હતો, જે ક્યારેક પેરુની વાઇસરૉયલ્ટીનો ભાગ હતો.
સૅન જોસને લઈને લગભગ 40 વર્ષ જૂનો કેસ પણ ચાલ્યો. એમેરિકાની સર્ચ કંપની અર્માડા(SSA)નું કહેવું હતું કે તેણે 1980ના દાયકામાં સૅન જોસને શોધ્યું હતું અને અડધી મિલકત પર તેમનો અધિકાર છે.
કંપનીનો કોલંબિયા સરકાર સાથેના જોડાણનો પણ દાવો હતો. કોલંબિયાની સુપ્રીમ કોર્ટે 2007માં તેના પક્ષમાં ચુકાદો આપ્યો હતો.
પરંતુ 2015માં કોલંબિયાના પૂર્વ રાષ્ટ્રપતિ જુઆન મૅન્યુઅલ સાંટોસએ જ્યારે ગૅલિયનના મળવાની વાત કરી તો તેમણે એસએસએને શ્રેય આપ્યો નહીં.
કોલંબિયાના ઉપરાષ્ટ્રપતિ માર્ટા લુસિયા રામિરેઝે જૂનમાં નિવેદન આપ્યું હતું કે "સી સર્ચ અર્માડાનો સૅન જોસ ગૅલિયન કે તેની કોઈ સામગ્રી પર કોઈ હક નથી." કારણ કે તેમણે જે જગ્યાએ સૅન જોસને શોધવાનો દાવો કર્યો તે અસલ જગ્યા સાથે મેળ ખાતો નથી. આ મુકદ્દમો હજુ પણ કોલંબિયાની સુપ્રીમ કોર્ટમાં ચાલે છે.
એ વર્ષો કોલંબિયા સરકાર સૅન જોસ ગૅલિયનનો ખજાનો કાઢનાર વધુ એક ખાનગી કંપની સાથે કરાર કરવાની હતી. પણ તેને અટકાવી દેવામાં આવ્યો.
હાલ 2015માં થયેલી તપાસમાં સામેલ મૅરિટાઇમ આર્કિયોલૉજી કન્સલ્ટેન્ટ્સ(એમએસી) એક માત્ર દાવેદાર છે.
એક ખાનગી કંપની સાથે ભાગીદારી કરીને સૅન જોસની સામગ્રીઓને ફરી વહેંચી શકાય છે અને કંપનીને 45 ટકા સામગ્રી આપી શકાય છે.
શરત એ છે કે કોલંબિયાની સરકાર તેને સાંસ્કૃતિક વારસા તરીકે વર્ગીકૃત ન કરે. કોલંબિયાને હજુ એ અંગે નિર્ણય લેવાનો છે.

સાંસ્કૃતિક વારસો

ઇમેજ સ્રોત, JASSEN TODOROV
ઇતિહાસકાર, લેખક અને સૅન જોસના નિષ્ણાત ફ્રાન્સિસ્કો મુનોઝ માટે એ સ્થિતિ સૌથી ખરાબ હશે.
તેઓ કહે છે, "તે અંગે જાણવાનો માનવજાતનો પૂરો અધિકાર છે. કોલંબિયાને યોગ્ય સંરક્ષક બનવાની જરૂર છે."
તેનો અર્થ છે કે કાર્ટાજેનામાં એક સંગ્રહાલય બને, જેમાં ગૅલિયનના સમગ્ર ખજાનાને દર્શાવવામાં આવે.
મુનોઝ કહે છે, "એ પ્રદર્શનને કોણ નહીં જુએ? સૅન જોસ ગૅલિયન રાષ્ટ્રીય સમુદ્રમાં ડૂબ્યું હતું, જેની ખોજ ઇતિહાસની મહત્ત્વની શોધમાંની એક છે. જળમગ્ન સાંસ્કૃતિક વારસાના કાયદા સાથે આપણે તેને હાંસલ કરી શકીએ છીએ."
પોતાના ટ્વીટને તેમણે #NuestraCulturaElMejorLegado સાથે પૂરું કર્યું. જેનો અર્થ થાય છે, "અમારી સંસ્કૃતિનો શ્રેષ્ઠ વારસો".
નિષ્ણાતોનું કહેવું છે કે આ યોજનામાં કોઈ ઉતાવળ થવી જોઈએ નહીં. સામુદ્રીક પુરાતત્વવિદ્દ જુઆન ગુઈલેર્મો માર્ટન કહે છે, "જહાજ 300 વર્ષથી ડૂબેલું છે અને તે સંરક્ષણના અધિકારની ગૅરંટી આપે છે."
"જો કોલંબિયામાં હાલ જોખમ ઉઠાવવા લાયક સ્થિતિ ન હોય તો આવું કરવામાં કોઈ સમજદારી નથી. આ કોલંબિયાના વારસા માટે જવાબદારીનો મૂળભૂત સિદ્ધાંત છે, બલકે માનવતાનો પણ."
જ્યાં સુધી સૅન જોસને બહાર કાઢવામાં ન આવે, કાર્ટાજેનાના લોકો અને પ્રવાસીઓ માટે મ્યૂઝિયમ બનાવવું એ દૂરની વાત છે.
કોલંબિયા પાસે હજુ સુધી એ મૂલ્યવાન જહાજને પોતાની સીમામાં રાખવાના અધિકારની કોઈ ગૅરંટી નથી.
હજુ તો કાર્ટાજેના અને રોજેરિયો ટાપુ પર આવનારા સમયમાં આવનારા પ્રવાસીઓ બસ સમુદ્રમાં નૌકાવિહાર કરે છે જેની તળેટીમાં સૅન જોસ પડ્યું છે અને પોતાના ખજાનાની રક્ષા કરી રહ્યું છે.
(આ લેખ સૌપ્રથમ વાર 2019માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ












