લીબિયાના દરિયાકિનારા નજીક શરણાર્થીનું જહાજ ડૂબ્યું, 150ના ડૂબવાની આશંકા

લીબિયાના દરિયાકિનારે શરણાર્થીઓના એક જહાજના ડૂબવાની ઘટના ઘટી છે. યુનાઇટેડ નેશન્સ હાઈ કમિશનર ફૉર રૅફ્યૂજી (યૂએનએચસીઆર)ના મતે આ જહાજમાં સવાર લગભગ 150 લોકોના ડૂબવાની આશંકા છે.

જહાજ પર સવાર અન્ય 150 લોકોને સ્થાનિક માછીમારોએ બચાવી લીધા છે. યૂએનએચસીઆરના એક પ્રવક્તાએ જણાવ્યું કે લીબિયાના કૉસ્ટગાર્ડ શરણાર્થીઓને લઈને કિનારે પહોંચ્યા હતા.

આ જહાજ લીબિયાની રાજધાની ત્રિપોલીથી લગભગ 120 કિલોમિટર દૂર એક શહેરથી નીકળ્યું હતું.

જોકે, હજુ એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે આ શરણાર્થીઓ એક જ જહાજમાં સવાર હતા કે એક બે અલગઅલગ જહાજમાં.

સંયુક્ત રાષ્ટ્ર વારંવાર કહેતું રહ્યું છે કે જે લોકોને ભૂમધ્યસાગરથી બચાવવામાં આવે તેમને પરત લીબિયા મોકલવા જોઈએ નહીં. આનું કારણ ત્યાં ચાલી રહેલો સંઘર્ષ અને શરણાર્થીઓ સાથે થનારો અમાનવીય વ્યવહાર ગણાવાઈ રહ્યો છે.

આ પહેલાં મે મહિનામાં ટ્યુનિશિયાના દરિયાકિનારા નજીક જહાજ ડૂબવાની ઘટનામાં ઓછામાં ઓછા 65 લોકો માર્યાં ગયાં હતાં. જ્યારે બચાવવામાં આવેલા 16 લોકોને ટ્યુનિશિયાની નૅવી દરિયાકિનારે લઈ ગઈ હતી.

હજારો શરર્ણાથીઓ દર વર્ષે ભૂમધ્યસાગર પાર કરવાનો પ્રયાસ કરે છે અને તેમાં મોટા ભાગના શરણાર્થીઓ લીબિયાના હોય છે.

આ શરણાર્થીઓ મોટા ભાગે જર્જરિત અને ક્ષમતા કરતાં વધુ ભરાયેલાં જહાજોમાં મુસાફરી કરતા હોય છે, જેને કારણે આવી ઘટનાઓ ઘટતી હોય છે.

જોકે, 2017ના મધ્યથી શરણાર્થીઓની મુસાફરીમાં નાટકીય રીતે ઘટાડો નોંધાયો છે.

આ પાછળનું એક કારણ ઈટાલી પણ મનાઈ રહ્યું છે, જે લીબિયાના સૈન્ય સાથે મળીને શરણાર્થીઓને રોકવાનું કામ કરી રહ્યું છે.

મધદરિયે શરણાર્થીઓ સાથે તેમને ભેટો થાય તો તેઓ તેમને પરત મોકલી દે છે.

માનવાધિકાર સંસ્થાઓ આ નીતિની ટીકા કરતી રહી છે.

વર્ષ 2019ના પ્રથમ ત્રણ મહિનામાં લગભગ 15,900 મુસાફરો અને શરણાર્થીઓ ત્રણ અલગઅલગ રૂટે યુરોપ પહોંચ્યા હતા.

જોકે, 2018માં આ મામલે 17 ટકાનો ઘટાડો નોંધોયો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો