કુલભૂષણ જાધવ કેસ : ફાંસી અંગે ફેરવિચારણા કરવાનો ICJનો આદેશ, પાકિસ્તાનનો પણ જીતનો દાવો

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ (આઈસીજે) ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા કુલભૂષણ જાધવના કેસમાં આજે ચુકાદો આપ્યો છે અને કુલભૂષણની ફાંસીની સજા પર ફેરવિચારણા કરવાનો પાકિસ્તાનને આદેશ કર્યો છે.

હૅગની ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસે વિયેના સંધિનો ભંગ થયો હોવાની ભારતની દલીલ માની છે અને કુલભૂષણ જાધવને કૉન્સુલર આપવાનો પણ આદેશ કર્યો છે.

શું કહ્યું હૅગની અદાલતે?

અદાલતે કહ્યું કે કુલભૂષણ જાધવને ફાંસી અપાઈ તે કેસમાં પાકિસ્તાન દ્વારા વિયેના સંધિનો ભંગ કરવામાં આવ્યો છે. પાકિસ્તાને ભારતને કમ્યુનિકેશન કરવાની તક ન આપી અને કુલભૂષણનો કબજો ન આપ્યો. અટકાયત દરમિયાન તેમની મુલાકાત ન કરવા દેવાઈ અને તેમને યોગ્ય ન્યાયિક પ્રતિનિધિત્વ ન આપવામાં આવ્યું. અદાલતે આ બાબતોને વિયેના કરારનો ભંગ ગણાવ્યો છે.

આંતરરાષ્ટ્રીય અદાલતે ભારતની પિટિશન માન્ય નહીં કરવાની પાકિસ્તાનની દલીલ ફગાવી દીધી હતી. 16 પૈકી 15 જજને ભારતની તરફેણમાં ચુદાકો આપ્યો અને કહ્યું હતું કે ભારતની પિટિશન દાખલ થવાને પાત્ર છે.

આંતરરાષ્ટ્રીય અદાલતના 16 પૈકી 15 જજોએ માન્ય રાખ્યુ કહ્યું કે કુલભૂષણ યાદવને આર્ટિકલ 36, ફકરો 1, (બી) મુજબ એમનાં અધિકારો અંગે માહિતગાર ન કરીને પાકિસ્તાને કાયદાનો ભંગ કર્યો.

આઈસીજેના પ્રૅસિડેન્ટ અબ્દુલકાવી અહમદ યુસૂફ નેધરલૅન્ડના હેગમાં આવેલા પીસ પૅલેસમાં આ ચુકાદો વાંચી સંભળાવ્યો છે.

અદાલતે એમ કહ્યું કે આટલા દિવસો સુધી કુલભૂષણ જાધવને કાનૂની સહાયતા ઉપલબ્ધ ન કરાવીને પાકિસ્તાને વિયેના કરારનો ભંગ કર્યો.

અદાલતે કુલભૂષણ જાધવને આપવામાં આવેલી ફાંસીની સજાની સમીક્ષા કરવાનો અને ફેરવિચારણા કરવાનો આદેશ કર્યો.

મોટાભાગની ભારતની માગણીઓ પર 16 જજનો પૈકી 15 જજ સહમત થયા અને પાકિસ્તાનના એક માત્ર જજ ઍડહૉક ગિલાનીએ અસહમતી દર્શાવી.

અદાલતે ભારતની મોટાભાગની દલીલો માન્ય રાખી પરંતુ કુલભૂષણ જાધવની સજાને રદ કરવાનો આદેશ નથી કર્યો.

ભારત તરફથી આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કુલભૂષણ જાધવનો કેસ લડનાર વકીલ હરીશ સાલ્વે કહે છે કે, 'જો પાકિસ્તાનના બંધારણને ધ્યાનમાં રાખીને નિષ્પક્ષ સુનાવણી કરવામાં આવે તો કાંઈ થાય. જો તે ફરીથી મિલિટરી કોર્ટમાં જશે તો સરખા કાયદા સાથે જશે જ્યાં વકીલોને પ્રવેશ નથી. આપણને પ્રવેશવા દેવામાં આવશે નહીં. પુરાવા નહીં અપાય.

તેમણે વધુમાં કહ્યું કે આપણે આશા રાખીએ કે પાકિસ્તાન નિષ્પક્ષ સનાવણી માટે ન્યાયપૂર્ણ માપદંડોની ખાતરી આપે. પાકિસ્તાન જે કરશે તેની પર ધ્યાન રાખીશું અને કોઈ પણ પ્રકારનો મુર્ખામીભર્યો પ્રયાસ કરશે તો આપણે ફરી કોર્ટમાં જઈશું.

ભારત અને પાકિસ્તાન બેઉનો જીતનો દાવો

આ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યાં છે. એમણે કહ્યું કે આ તેઓ આ ચુકાદાને આવકારે છે. તથ્યોના ઊંડાણપૂર્વકના અભ્યાસ પર ચુકાદો આપવા બદલ આઈસીજેને અભિનંદન. મને ખાતરી છે કે કુલભૂષણ જાધવને ન્યાય મળશે.

આ અંગે પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજે ટ્ટીટ કરી આને ભારતની જીત ગણાવી અભિનંદન આપ્યાં છે. અન્ય એક ટ્વીટ કરીને એમણે ભારતનો કેસ યોગ્ચ રીતે રજૂ કરવા બદલ વકીલ હરિશ સાલ્વેને પણ અભિનંદન આપ્યા છે.

આ અંગે સંરક્ષણ મંત્રી રાજનાથ સિેહે કહ્યું કે કુલભૂષણ જાધવની કૉન્સુલર પરવાનગી એ ભારતની બહુ મોટી જીત છે.

ભારતમાં અનેક સ્થળોએ કુલભૂષણ કેસના ચુકાદાને લઈને લોકોએ ઉજવણીઓ કરી છે ત્યારે પાકિસ્તાનમાં આ ચુકાદાને પોતાની જીત ગણાવાઈ રહી છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રી મોહમ્મદ કુરેશીએ ટ્વીટ કરીને કહ્યું કે કમાન્ડર જાધવ પાકિસ્તાનમાં જ રહેશે. એમની સામે પાકિસ્તાનના કાયદા હેઠળ જ કામ ચાલશે. આ પાકિસ્તાનનો વિજય છે.

પાકિસ્તાનના વકીલ તૈમુર મલિકે પણ એક ટ્વીટ કરીને કહ્યું કે કુલભૂષણ કેસ વિશે સૌથી અગત્યની બાબત એ છે આઈસીજેએ કુલભૂષણને આઝાદ કરવાનો અને ભારત પરત મોકલી દેવાનો દાવો ફગાવી દીધો છે.

ભારતીય નેવીના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવને પાકિસ્તાનની એક સૈન્ય અદાલતે ભારતની જાસૂસી સંસ્થા માટે જાસૂસી કરવા અને આતંકવાદના મામલે દોષિત જાહેર કર્યા છે.

49 વર્ષના જાધવને સૈન્ય અદાલતે 2017માં મોતની સજા સંભળાવી હતી.

કુલભૂષણ જાધવની 3 માર્ચ, 2016ના રોજ ધરપકડ કરવામાં આવી હતી.

જાધવની ધરપકડની જાણ ભારતને 25 માર્ચે કરવામાં આવી હતી.

જાધવનો કેસ આંતરરાષ્ટ્રીય અદાલતમાં કેમ પહોંચ્યો?

ભારતે એ તો માન્યું કે કુલભૂષણ તેમના નાગરિક છે, પરંતુ જાસૂસ હોવાની વાતથી ઇનકાર કર્યો હતો.

ભારત સરકારનું કહેવું છે કે કુલભૂષણ ઈરાનથી તેમનો બિઝનેસ ચલાવી રહ્યા હતા. ભારતે જાધવનું અપહરણ થયાની પણ શંકા વ્યક્ત કરી હતી.

પાકિસ્તાને 26 એપ્રિલ, 2017ના રોજ જાધવને કૉન્સ્યુલર ઍક્સેસ આપવાની ભારતની વિનંતી 16મી વખત નકારી દીધી.

જે બાદ ભારતે તેને વિયેના સંધિનું ઉલ્લંઘન દર્શાવ્યું અને તેમણે આ મામલે સંયુક્ત રાષ્ટ્રમાં પોતાની અરજી દાખલ કરી.

જાધવના કેસમાં ભારતે સૌપ્રથમ 8 મે, 2017ના રોજ આંતરરાષ્ટ્રીય અદાલતના દરવાજા ખખડાવ્યા હતા.

પાકિસ્તાન ભારતના નાગરિકને આપેલી મોતની સજાનો અમલ કરે તે પહેલાં તાત્કાલિક ધોરણે દખલ દઈને સજાને મોકૂફ રાખવા ભારતે આંતરરાષ્ટ્રીય અદાલતને વિનંતી કરી હતી.

9 મે, 2017ના રોજ આંતરરાષ્ટ્રીય અદાલતે બંને દેશોને પોતાની દલીલો રજૂ કરવા માટે કહ્યું અને પાકિસ્તાનને ત્યાં સુધી સજા મોકૂફ રાખવા માટે કહેવામાં આવ્યું.

15 મેના રોજ બંને દેશોએ પોતપોતાની દલીલો રજૂ કરી. 18 મેના રોજ આંતરરાષ્ટ્રીય અદાલતની 10 સભ્યોની બેન્ચે પાકિસ્તાનને અંતિમ ચુકાદો ના આવે ત્યાં સુધી સજાનો અમલ ના કરવાનું કહ્યું.

કોર્ટે અનુક્રમે 17 એપ્રિલ, 2018 અને 17 જુલાઈ, 2018 સુધીની સમયમર્યાદામાં ભારત અને પાકિસ્તાનને લેખિતમાં જવાબ રજૂ કરવાનું કહ્યું હતું. જે બંને દેશોએ રજૂ કરી દીધા હતા.

શું આ પહેલાં જાધવને કોઈને મળવા દેવાયા હતા?

ડિસેમ્બર 2017માં પાકિસ્તાને જાધવનાં માતા અવંતિ અને તેમનાં પત્ની ચેતનાને મળવા દીધાં હતાં.

પાકિસ્તાને જેને માનવતાના ધોરણે લીધેલું પગલું ગણાવ્યું હતું.

જોકે, ભારતે આરોપ મૂક્યો હતો કે પાકિસ્તાન સરકાર આ મામલે ડરનું વાતાવરણ ઊભું કરી રહી છે.

ભારતે આરોપ લગાવ્યો હતો કે પાકિસ્તાને જાધવનાં માતા અને તેમનાં પત્ની સાથે ખરાબ વર્તન કર્યું હતું.

ભારત તરફથી કહેવામાં આવ્યું હતું કે જાધવને મળવા જતાં પહેલાં તેમના પોશાક બદલવા, મંગલસૂત્ર, ચાંદલો અને બંગડીઓ દૂર કરવા માટે કહેવામાં આવ્યું હતું.

ઉપરાંત ભારત તરફથી એવું પણ કહેવામાં આવ્યું હતું કે મુલાકાત વખતે જ્યારે તેઓ હિંદી કે મરાઠીમાં વાત કરતાં હતાં તો તેમને રોકવામાં આવ્યાં હતાં.

ભારતના નાયબ હાઈ કમિશનરને પણ આ લોકોથી અલગ કરી દેવામાં આવ્યા અને તેમને કાચ પાછળથી સમગ્ર પ્રક્રિયા જોઈ શકે એવી રીતે ઊભા રાખવામાં આવ્યા હતા.

વિયેના સંધિ મામલે બંને દેશોએ શું કહ્યું હતું?

ભારતે કહ્યું હતું કે પાકિસ્તાને જાધવ મામલે કૉન્સ્યુલર ઍક્સેસ ના આપીને વિયેના સંધિનું ઉલ્લંઘન કર્યું છે.

વિયેના સંધિમાં કરવામાં આવેલી જોગવાઈ અનુસાર જો કોઈ વિદેશી નાગરિકની ધરપકડ કરવામાં આવે અથવા તેની અટકાયત કરવામાં આવે તો તેના દેશના દૂતાવાસને તાત્કાલિક ધોરણે જાણ કરવી જોઈએ.

બીજી તરફ પાકિસ્તાને વિયેના સંધિના ઉલ્લંઘનની વાતને નકારી દીધી હતી.

પાકિસ્તાનનું કહેવું હતું કે જાધવ એક ભારતીય જાસૂસ છે અને પાકિસ્તાનનાં રાષ્ટ્રીય હિતોને નુકસાન પહોંચાડીને ગેરકાયદે ભારતમાં ઘૂસ્યા હતા.

જેથી આ મામલે કૉન્સ્યુલર ઍક્સેસની વાતનો મામલો આવતો જ નથી.

આંતરરાષ્ટ્રીય અદાલતનો ચુકાદો કેટલો બંધનકર્તા છે?

આઈસીજે દ્વારા જે ચુકાદો આપવામાં આવે તે દેશો તથા સંબંધિત પક્ષકારોને બંધનકર્તા છે.

સંયુક્ત રાષ્ટ્ર સંઘના ખતપત્રના આર્ટિકલ 94 પ્રમાણે, 'આઈસીજેના ચુકાદા દરેક સભ્યરાષ્ટ્રને બંધનકર્તા છે અને તેનું પાલન કરવાની તેની ફરજ છે.'

આ ચુકાદો અંતિમ છે તથા તેની સામે કોઈ અપીલ થઈ શકતી નથી.

જો બંને દેશ વચ્ચે ચુકાદાના અર્થ કે તેના નિરીક્ષણ મામલે કોઈ વિવાદ થાય એવા સંજોગોમાં એકમાત્ર એવી શક્યતા છે કે કોઈ એક પક્ષ કોર્ટને તેના ચુકાદાનું અર્થઘટન કરવાનું કહી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો