You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું તમારી નોકરી પણ તમારો જીવ લઈ રહી છે?
- લેેખક, સેસિલિયા બેરિયા
- પદ, બીબીસી ન્યૂઝ મુન્ડો
આપણે આખો મહિનો કામ શેના માટે કરીએ છીએ? સ્વાભાવિક છે આપણને તેનું વળતર મળે છે. પણ શું તમને ખબર છે કે તે વળતર મેળવવા માટે તમે તમારો જીવ જોખમમાં મૂકો છો?
સ્ટૅનફૉર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર જૅફરી ફિફરનું માનવું છે કે કામ જ લોકોનાં મૃત્યુનું કારણ બને છે.
ફિફર સ્ટૅનફૉર્ડ ગ્રૅજ્યુએટ સ્કૂલ ઑફ બિઝનેસના સભ્ય છે અને તેમણે 15 પુસ્તકો લખ્યાં છે અથવા તો સહલેખન કર્યું છે.
ગત વર્ષે તેમનું એક પુસ્તક રિલીઝ થયું હતું 'ડાયિંગ ફૉર પે-ચેક'. તેમાં તેમણે મૉડર્ન વર્કિંગ લાઇફ, કામના લાંબા કલાકો, પરિવાર અને કામ વચ્ચેનો તણાવ તેમજ આર્થિક અસુરક્ષા જેવા મુદ્દા આવરી લીધા હતા.
તેમનું માનવું છે કે આ પ્રકારની વસ્તુઓ એક વ્યક્તિના શારીરિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યને અસર કરે છે.
તમે આ વાંચ્યું કે નહીં?
"અમાનુષી"
પોતાના પુસ્તકમાં ફિફર કેન્જી હમાદાના કેસ અંગે વાત કરે છે. કેન્જી 42 વર્ષના જાપાની વ્યક્તિ હતા કે જેમનું મૃત્યુ ટોક્યો સ્થિત તેમની ઑફિસમાં હૃદયરોગથી થયું હતું.
હમાદા દર અઠવાડિયે 75 કલાક સુધી કામ કરતા હતા અને ઘરેથી ઑફિસ પહોંચવામાં તેમને 2 કલાકનો સમય લાગતો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મૃત્યુ પહેલાં તેમણે સતત 40 દિવસ સુધી કામ કર્યું હતું.
આ કેસ માત્ર એક ઉદાહરણ છે કે જે કામ કરવાની અમાનુષી સિસ્ટમ અંગે આપણને અવગત કરે છે પણ આવું માત્ર જાપાનમાં જ થાય છે એવું નથી.
પ્રોફેસરના સંશોધન પ્રમાણે 61% અમેરિકન કામદારોએ સ્વીકાર્યું કે તણાવના કારણે તેઓ બીમાર પડ્યા હતા અને 7% લોકોને ખાતરી આપી કે કામના કારણે સ્વાસ્થ્ય સંબંધિત તકલીફ થતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.
ફિફરનું અનુમાન છે કે દર વર્ષે અમેરિકામાં 1,20,000 કામદારો મૃત્યુ પામે છે. ફિફરે આ મામલે બીબીસીની સ્પેનિશ સર્વિસ 'બીબીસી ન્યૂઝ મુન્ડો' સાથે વાત કરી.
તમારા પુસ્તકમાં તમે લખ્યું છે કે લેબરસિસ્ટમ ખૂબ જ ખરાબ છે. તમારી પાસે શું પુરાવા છે કે નવી કાર્યશૈલી કર્મચારીઓ પર અસર કરે છે?
સ્વાસ્થ્ય પર તેની અસરના પુરાવા છે. લાંબા કલાકો સુધી કામ, બિનજરૂરી કામ કે તણાવના કારણે આર્થિક અસુરક્ષા ઊભી થાય છે. આ સિવાય પરિવારમાં ઝઘડો અને સ્વાસ્થ્ય ખરાબ થવાની તકલીફ પણ સર્જાય છે.
કામ હવે અમાનવીય બનવા લાગ્યું છે.
વળી, તરફ નબળા અર્થતંત્રના કારણે નોકરી અસુરક્ષિત બની છે.
તેની પાછળ જવાબદાર કોણ?
1950 અને 1960ના સમયગાળા દરમિયાન ડાયરેક્ટર કહેતા કર્મચારી, ગ્રાહક અને શૅરહોલ્ડર વચ્ચે સમતોલ જાળવવું જરૂરી છે.
પણ હવે બધું જ ધ્યાન માત્ર શૅરહોલ્ડર પર આપવામાં આવે છે.
ઉદાહરણ તરીકે કેટલીક બૅન્કમાં કર્મચારીઓ કલાકો સુધી કામ કરે છે, ઝડપથી ઘરે જાય છે અને સ્નાન કરીને ફરી ઑફિસ પહોંચી જાય છે.
આ સિસ્ટમ અંતર્ગત ઘણા કર્મચારીઓ ડ્રગ્સ લેવા લાગે છે કે જેથી તેઓ ઊંઘને રોકી શકે.
બાકી ક્ષેત્રોની સરખામણીએ કેટલાંક ક્ષેત્ર વધારે અસરગ્રસ્ત છે?
ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓ, પાઇલટ અને ટ્રક ડ્રાઇવર મર્યાદિત સમય સુધી કામ કરી શકે છે.
પરંતુ કેટલાક કાર્યક્ષેત્રમાં સમયની કોઈ સીમા જ હોતી નથી.
તમારા પુસ્તકમાં ઉલ્લેખ છે કે દુનિયામાં થતાં કુલ મૃત્યુમાં કામ પાંચમું સૌથી મોટું કારણ છે?
કદાચ આ આંકડો તેનાથી પણ વધારે હોઈ શકે છે અને તે માટે કંપનીઓ જવાબદાર છે.
કંપનીઓની સાથે સાથે સરકાર પણ જવાબદાર છે કે જે તેમની વિરુદ્ધ કોઈ પગલાં લેતી નથી.
શું રાજનેતાઓ મદદ કરી શકે છે?
તેમની એક મોટી ભૂમિકા છે. જે થઈ રહ્યું છે તેને આપણે રોકવાની જરૂર છે પણ એકલી વ્યક્તિ કંઈ કરી શકે તેમ નથી.
જો તમે સમસ્યાનું સમાધાન લાવવા માગો છો તો તમારે સિસ્ટમની દખલગીરીની પણ જરૂર છે.
જ્યારે તમે કંપનીઓના ડાયરેક્ટર સાથે વાત કરો છો તો તેમની પ્રતિક્રિયા કેવી હોય છે?
કોઈ માહિતી પર સવાલ ઉઠાવતા નથી પણ આ એક રમત સમાન છે. લોકો સમસ્યા જુએ છે પણ કોઈ તેની જવાબદારી લેવા માગતું નથી.
જ્યારે સ્વાસ્થ્ય સંબંધિત ખર્ચ વધી જાય છે ત્યારે પણ કોઈ ધ્યાન આપતું નથી. કામ કરવાની ખરાબ પરિસ્થિતિના કારણે કોઈને ડાયાબિટીસ કે હૃદયરોગની બીમારી થઈ શકે છે.
શું કંપનીઓ એ વાતની દલીલ નથી આપતી કે જો કામ કરવાની પદ્ધતિમાં સુધારો આવશે તો કંપનીને ફાયદો થશે?
આ સાચી વાત નથી. આપણે જાણીએ છીએ કે તણાવગ્રસ્ત કર્મચારી મોટાભાગે રાજીનામું આપી દે છે. આ તરફ માનસિક કે શારીરિક રીતે બીમાર વ્યક્તિ સારું કામ કરી શકતી નથી.
અમેરિકા અને યૂકેમાં 50% લોકો તેમના કાર્યસ્થળે ગેરહાજર રહે છે અને તેનું કારણ છે કામ સંબંધિત તણાવ.
અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્ટ્રૅસના આંકડા અનુસાર અમેરિકાને દર વર્ષે 300 બિલિયન ડૉલરનું નુકસાન થાય છે.
બીમાર કર્મચારીઓને નોકરી પર રાખવા અથવા ઑફિસ આવીને સારું કામ ન કરી શકતા લોકો મોંઘા પડે છે.
કામ કરવાની પરિસ્થિતિ બદલી શકાય છે?
સૌથી પહેલાં તો કર્મચારીએ પોતાના સ્વાસ્થ્યને અનૂકુળ જવાબદારી સંભાળવી જોઈએ.
જો તમે એવી જગ્યાએ કામ કરો છો કે ત્યાં તમે નોકરી અને પરિવારને પૂરતો સમય આપી શકતા નથી તો એ જગ્યા છોડી દેવી જોઈએ.
કેટલાક લોકો કહે છે કે તેઓ નોકરી છોડી શકતા નથી.
હું કહું છું : "જો તમે એવા રૂમમાં છો જ્યાં માત્ર ધુમાડો જ ધુમાડો છે, તો તમે તે રૂમમાંથી બહાર નીકળવા પ્રયાસ કરશો. કેમ કે તેનાથી તમારા સ્વાસ્થ્ય પર ખતરો અસર થશે."
લોકોએ પણ કાયદાની માગ કરવાની જરૂર છે અને દરેકે સાથે મળીને કામ કરવાની જરૂર છે કે જેથી પોતાને બચાવી શકાય.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો