You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IAFએ પાકિસ્તાનના લડાકુ વિમાન F-16 દ્વારા ભારતમાં સૈન્ય મથકો ઉપર હુમલાના પુરાવા રજૂ કર્યા
ભારતીય વાયુદળના કહેવા પ્રમાણે, પાકિસ્તાની વિમાનોએ ભારતીય સંરક્ષણ મથકો ઉપર હુમલો કર્યો હતો, જેમાં પાકિસ્તાની વાયુદળનું એફ-16 વિમાન તોડી પડાયું હતું.
ઍર માર્શલ આર. જી. કે. કપૂરે કહ્યું હતું, "બે પાઇલટ પકડવામાં આવ્યું હોવાનું પાકિસ્તાને જૂઠાણું ચલાવ્યું હતું."
"ભારતના સૈન્ય મથકોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વાયુદળની કાર્યવાહીને કારણે તેમણે નાસવું પડ્યું હતું."
ઍર માર્શલ કપૂરે ઉમેર્યું હતું કે બાલાકોટમાં 'ટાર્ગેટની ઉપર ઇચ્છિત નુકસાન થયું હતું, તેના પુરાવા છે, જો સરકાર ઇચ્છે તો તેને દેખાડવાનો નિર્ણય તેની ઉપર છે.'
સાથે જ ઉમેર્યું હતું કે 'એફ-16નો ઉપયોગ થયો હતો અને તેને તોડી પડાયું હતું, કારણ કે પાકિસ્તાન દ્વારા રજૂ કરવામાં આવેલી તસવીરોમાં દેખાતો કાટમાળ ભારતીય મિગ-21 વિમાનનો નથી.'
ભારતીય વાયુદળ દ્વારા એફ-16 વિમાન ઉપર લાદવામાં આવતી ઍમ્બરમ મિસાઇલનો કાટમાળ દેખાડવામાં આવ્યો હતો.
ભારતીય સેનાના અધિકારી મેજર જનરલ સુરેન્દર સિંહ મહલના કહેવા પ્રમાણે :
"સેનાના બ્રિગેડ અને બટાલિયન કમાન્ડની ઉપર હુમલો થયો હતો, પરંતુ સેનાની સજ્જતા અને પ્રતિકારને કારણે તે નિર્ધારિત સ્થળે પડ્યા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે ઉમેર્યું હતું કે લાઇન ઑફ કંટ્રોલ ઉપર સતત સંઘર્ષ વિરામનો ભંગ થઈ રહ્યો છે.
ભારતીય નૌકાદળના પ્રતિનિધિ રિયર ઍડમિરલ દલબીર સિંઘ ગુજરાલે કહ્યું હતું કે 'નૌકાદળ સંપૂર્ણપણે સજ્જ છે. ભારતીય સેના અને વાયુદળની સાથે મળીને કોઈપણ પડકારને પહોંચી વળવા સજ્જ છે.'
અગાઉ આ સંયુક્ત પત્રકાર પરિષદ પાંચ વાગ્યે યોજાવાની હતી, પરંતુ પાકિસ્તાન દ્વારા ભારતીય પાઇલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનને છોડવાની જાહેરાત કરવામાં આવી હતી એટલે આ પત્રકાર પરિષદને મોકૂફ રાખવામાં આવી હતી.
પાકે. શાંતિનો પ્રસ્તાવ મૂક્યો
બીજી બાજુ, 26મી ફેબ્રુઆરીના દિવસે ભારતીય વાયુદળે હાથ ધરેલી સર્જિકલ સ્ટ્રાઇકના કારણે ઊભા થયેલા તણાવને ટાળવા માટે પાકિસ્તાને વાતચીતની તૈયારી દાખવી છે.
પાકિસ્તાનની સંસદમાં વડા પ્રધાન ઇમરાન ખાને જણાવ્યું હતું કે શુક્રવારે ભારતીય પાઇલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનને છોડી દેવાશે અને શાંતિ સ્થાપવના પ્રતીકરૂપે આમ કરાશે.
પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરૈશીએ જિયો ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું:
"ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરવા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન તૈયાર છે."
કુરૈશીના કહેવા પ્રમાણે, નવી દિલ્હી ખાતેના કાર્યકારી રાજદૂતને ભારતે વિગતો આપી છે, જેની ઉપર 'ખુલ્લા દિલે' સમીક્ષા થશે.
સાથે જ ઉમેર્યું હતું કે જો ભારતને કારણે દક્ષિણ એશિયાની શાંતિ જોખમાશે તો ઇતિહાસ ક્યારેય તેમને માફ નહીં કરે.
બીજી બાજુ, ભારતમાં ત્રણેય સશસ્ત્ર દળોના વડા સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધશે.
તમે આ વાંચ્યું કે નહીં?
ટ્રમ્પનું નિવેદન અણસાર હતું?
અમેરીકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઝગડાનો જલ્દી અંત આવે.
વિએતનામમાં નોર્થ કોરિયાના નેતા કિમ જોંગ-ઉન સાથે બીજી શિખર વાર્તા બાદ તેમણે પત્રકારોને સંબોધ્યા હતા, જેમાં તેમણે કહ્યું કે તેમની પાસે ભારત અને પાકિસ્તાન વિશે કંઇક સારા સમાચાર છે. જોકે, તેમણે આ અંગો કોઈ ચોખવટ નથી કરી.
ટ્રમ્પે કહ્યું, "મારા મતે અમારી પાસે પાકિસ્તાન તથા ભારતથી થોડા સારા સમાચાર છે."
"તે લોકો ઉગ્ર થયા હતા અને અમે તેમને રોકવાના પ્રયાસ કરી રહ્યા હતાં. અમારી પાસે પ્રમાણમાં સારા સમાચાર છે."
"આ લાંબો સમયથી એટલે કે દાયકાઓથી ચાલી રહ્યું છે. દુર્ભાગ્યવશ, ત્યાં (ભારત પાકિસ્તાન વચ્ચે) ઘણો અણગમો છે. અમે શાંતિ અને સ્થિરતા માટે બન્ને દેશોની મદદ કરી રહ્યા છીએ અને મને લાગે છે કે જલ્દી એવું જ થશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો