શિયાળામાં તમારી જાતને સક્રિય રાખવાની પાંચ આસાન રીતો

આપણને બધાને તંદુરસ્ત અને તણાવમુક્ત જીવનશૈલી પસંદ છે. ખાસ કરીને શિયાળાના ઠંડા અને ટૂંકા દિવસોમાં.

પરંતુ, ઘણીવાર પોતાની કાળજી સાથેસાથે રોજિંદા જીવનનું સંતુલન કેવી રીતે જાળવી રાખવું તે સમજવું મુશ્કેલ છે.

વેલનેસ એક્સપર્ટ નાદિયા નારાયણ અને કેટીયા ફિલીપ્સ કહે છે કે રોજિંદી રીતભાતને નિયમિત રીતે અનુસરવાથી આજના આધુનિક સમયમાં પણ આપણે તાલ મિલાવી શકીએ છીએ.

1) ચા-કૉફી અને ધ્યાન

વ્યસ્ત સવારે સ્થિરતા માટે સમય શોધવો મુશ્કેલ હોઈ શકે છે પરંતુ કશુંક કામ કરતી વખતે વચ્ચે જ આવી પળો શોધી શકાય છે.

દિવસનાં કાર્યોમાં જોડાઈ જતા પહેલાં, જેટલી વાર સુધી ચા કે કૉફી ઊકળે એટલી જ વારમાં ધ્યાન કેન્દ્રીત કરી શકાય.

મતલબ એવો સ્થિર સમય જેમાં તમે કશું જ નથી કરી રહ્યા, માત્ર જુઓ કે તમારા વિચારો ક્યાં કેન્દ્રીત થાય છે.

સવારે ઘર છોડતાં પહેલાં આપણે ઘરની બહાર શું ચાલે છે એના વિશે વિચારીએ છીએ - પરંતુ તમે અંદર શું વિચારો છો એ પર ધ્યાન દોરીને બાકીનો દિવસ તમારો કેવો જવાનો છે એ બાબતમાં જાગૃત થઈ શકાશે.

2) પથારી વાળવી

આ એ નાની રીતોમાંથી એક છે જેનું એટલું મહત્ત્વ નથી, છતાં તમે બાકીનો દિવસ કેવી રીતે સક્રિય રહેવાના છો એ બદલવાની શક્તિ રાખે છે.

સવારે પથારી ગોઠવવી અને બેડરૂમ ઠીક કરવું એ પોતાની જાત-સંભાળ અને શિસ્તતા દર્શાવે છે.

તમારી જાતનું અને આસપાસના વાતાવરણનું ધ્યાન રાખવાની ટેવ બીજા બધા કામો પર પણ અસર કરશે.

ઉપરાંત, ઘરે પરત ફર્યા બાદ તમારો બેડરૂમ તમને સારો લાગશે અને શિયાળાની ઠંડી રાતને થોડી તો હૂંફાળી કરશે જ.

3) ઑફિસના કપડાં તરત બદલો

જયારે સાંજે તમે ઘરે પાછા આવો ત્યારે બની શકે કે સીધો રસોડામાં પ્રવેશ કરો, તમારા સાંજનાં કાર્યો અને બાળકો સાથે વ્યસ્ત થઈ જાઓ.

આવું કરવાથી બની શકે કે દિનભરનાં કાર્યો અને કપડાનો થાક તમને આરામના અનુભવથી વંચિત રાખે અને તમે છૂટછાટ પણ ગુમાવો.

એટલા માટે સાંજે ઘરે પરત ફર્યા બાદ સૌ પહેલું કામ ઘરના આરામદાયક કપડાં પહેરો, જે તમને હૂંફ આપશે.

4) શાંતિ માટે શિયાળુ સ્નાન

આપણા દિવસને શાંત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે સ્નાન લેવું.

શિયાળામાં તો દિનભરના થાક પછી ઉષ્ણતા અનુભવવા માટે આ ઉત્તમ રીત છે.

મીણબત્તીના હળવા પ્રકાશમાં સ્નાન લેવાથી જે સૌમ્ય અંધકારની અનુભૂતિ થાય છે તે તમને સ્નાન પછીનાં કાર્યોમાં પરોવાઈ જવાનું ઇંધણ પૂરું પાડશે.

એમાં પણ જો નહાવાના પાણીમાં થોડાં તેલનાં ટીપાં કે ઘરેલું મીઠું કે સુગંધ ભેળવવાથી ચાર ચાંદ લાગી જશે.

5) અન્ય લોકોને 'આપવાની' કળા

વર્ષોથી આ કહેવાતું આવ્યું છે કે અન્ય લોકોને કરાતી સહાય, કંઈક આપવાનો ભાવ ઉત્તપન્ન કરે છે અને એ જીવનનું મુખ્ય પાસું છે.

તેનાથી પોતાના અનુભવો સિવાયનો પરિપ્રેક્ષ્ય મેળવવામાં મદદ મળે છે અને સ્વકાળજી પણ વિકસે છે.

સામાન્ય રીતે લોકો બૅંક દ્વારા સીધું દાન કરી દેવાનો અનુકૂળ રસ્તો શોધી કાઢે છે, પરંતુ તેનાથી જરૂરિયાતમંદ લોકો સાથેનો આપણો સંપર્ક છૂટે છે અને જેમને ખરેખર મદદની જરૂર છે એમના સુધી પહોંચી શકાતું નથી.

ઉત્તમ રીત એ છે કે હંમેશાં સાથે છુટ્ટા પૈસા રાખો, જેને પણ મદદની જરૂર હોય એમને તમારા હાથે દાન કરો.

અથવા જો તમે પૈસા આપવાનું પસંદ નથી કરતા તો શેરી-ટ્રાફિક સિગ્નલ પર રહેતાં લોકોને ગરમ મોજાં પણ લઈને આપી શકો છો.

રોજિંદા જીવનમાં દયાભાવ રાખવાથી આપણે જીવનની મહત્ત્વપૂર્ણ બાબતોની પ્રશંસા કરતાં શીખીશું અને જીવન સુંદર લાગશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો