#EidAdhaMubarak : બકરી ઈદ કઈ રીતે રમજાન ઈદથી અલગ પડે છે?

લાખો મુસ્લિમો જ્યારે બકરી ઈદની ઉજવણી કરી રહ્યા છે ત્યારે બીબીસીએ એ જાણ્યું કે શા માટે બે ઈદ હોય છે.

વિશ્વમાં વસતા લાખો મુસ્લિમો બલિદાનના પ્રતીક તરીકે બકરી ઈદની ઉજવણી કરશે. આને ઈદ-ઉઝ-ઝોહા કે ઈદ-ઉલ-અઝહા કહેવાય છે. આ ઈદ એ સમયે ઊજવાય છે જ્યારે મુસ્લિમો હજ યાત્રાએ જાય છે.

શા માટે બે ઈદ ઊજવાય છે?

મુસ્લિમો જ્યારે ઈદની વાત કરે ત્યારે તેઓ બે મુખ્ય તહેવારની વાત કરે છે.

કારણ કે ઈદનો મતલબ ખુશી જેને અરબીમાં ઉજવણી પણ કહેવાય છે.

મુસ્લિમ કેલેન્ડરના બે મોટા કાર્યક્રમો બકરી ઈદ અને રમજાન ઈદ છે જે અલગ અલગ તહેવાર છે અને તેના અર્થ પણ જુદા છે.

એક ઈદ રમજાન મહિના સાથે જોડાયેલ છે જ્યારે બીજી ઈદ મુસ્લિમો દ્વારા કરવામાં આવતી હજ યાત્રા સાથે જોડાયેલી છે.

રોજા અને હજ યાત્રા આ બન્ને મુસ્લિમ ધર્મના પાંચ મુખ્ય બાબતોમાંથી એક છે. બાકીની ત્રણમાં આસ્થા કબૂલ કરવી, ઈબાદત કરવી, અને દાન આપવાનો સમાવેશ થાય છે.

બલિદાનનો તહેવાર બકરી ઈદ

આ ઈદ ઇસ્લામિક કેલેન્ડરના છેલ્લા મહિના ઝિલહિજ્જની દસમી તારીખે મનાવવામાં આવે છે.

આ ઈદ મુસલમાનોના એક પયગંબર અને હજરત મોહમ્મદના પૂર્વજ હજરત ઇબ્રાહિમની કુરબાનીને યાદ કરવા માટે મનાવાય છે.

મુસલમાનોનો વિશ્વાસ છે કે અલ્લાહે ઇબ્રાહિમની ભક્તિની પરીક્ષા લેવા માટે પોતાની સૌથી ગમતી વસ્તુની કુરબાની માંગી હતી.

ઇબ્રાહિમે પોતાના યુવાન દીકરા ઇસ્માઇલને અલ્લાહની રાહમાં કુરબાન કરવાનો નિર્ણય કરી લીધો.

જોકે, એ જયારે પોતાના દીકરાને કુરબાન કરવાના હતા ત્યારે અલ્લાહે એમની જગ્યાએ એક બકરીને (દુમ્બા-ઘેટાંની એક પ્રજાતિ) રાખી દીધી. અલ્લાહ માત્ર એમની પરીક્ષા લઈ રહ્યા હતા.

દુનિયાભરમાં મુસલમાન આ જ પરંપરાને યાદ કરતા ઈદ-ઉઝ-ઝોહા કે ઈદ-ઉલ-અઝહા મનાવે છે.

આ દિવસે પશુની (કુરબાનીના પશુ માટેની પણ ખાસ શરતો છે) કુરબાની આપવામાં આવે છે. જેને ભારતમાં બકરી ઈદ તરીકે ઓળખવામાં આવે છે.

આ ઈદનો સંબંધ હજથી પણ છે, જયારે દુનિયાના લાખો મુસલમાનો દર વર્ષે પવિત્ર શહેર મક્કા જાય છે. બકરાની કુરબાની હજનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો છે.

રમઝાન ઈદ

મુસ્લિમ કેલેન્ડર પ્રમાણે આવતા રમઝાન મહિનાના અંતે રમઝાન ઈદ ઊજવવામાં આવે છે.

સમગ્ર વિશ્વના મુસ્લિમ બિરાદરો આ મહિનામાં સૂર્યોદય પહેલાંથી સૂર્યાસ્ત સુધી ઉપવાસ કરે છે અને આખો મહિનો ગરીબોને દાન આપે છે.

એવું મનાય છે કે આ પવિત્ર મહિના દરમિયાન મહંમદ પયગંબર પર કુરાનનું અવતરણ થયું હતું.

જ્યારે રમઝાનના અંતે આકાશમાં ચાંદનો દીદાર થાય છે ત્યારે રમઝાન ઈદ ઉજવાય છે.

ઈદ કેવી રીતે નક્કી થાય છે?

રમઝાન ઈદ ચાંદ દેખાય તેના આધારે નક્કી થાય છે.

મુસ્લિમ તહેવારો ચંદ્રના કેલેન્ડર આધારિત છે. આ કેલેન્ડર સૂર્યના કેલેન્ડરથી 11 દિવસ વહેલું ચાલે છે.

એનો એક અર્થ એવો થાય છે કે દર વર્ષે ઈદની તારીખો બદલાયા કરે છે. લોકો ઈદની ઉજવણી અલગ અલગ સિઝનમાં કરતા હોય છે.

હજ એટલે શું?

હજ મુસ્લિમોની ધાર્મિક યાત્રા છે જે સાઉદી અરબના મક્કામાં થાય છે. જે ઈસ્લામ ધર્મનું સૌથી પવિત્ર સ્થળ કાબા આવેલું છે.

કાબાએ ઘન આકારનો વિશાળ પવિત્ર કાળો પથ્થર છે.

મુસ્લિમોની માન્યતા છે કે પયગંબર ઈબ્રાહીમ અને તેમના પુત્ર ઈસ્માઇલે મળીને કાબાનું નિર્માણ કર્યું હતું.

દર વર્ષે લાખો મુસ્લિમ શ્રધ્ધાળુઓ સમગ્ર વિશ્વમાંથી પૌરાણિક રિવાજ મુજબ મક્કા આવે છે આ હજ યાત્રા તેમને અલ્લાહ સાથે જોડે છે. આ યાત્રાની વિધિ પાંચ દિવસની હોય છે.

હાજી અથવા તો યાત્રાળુઓ ઈહરામ નામનું આખું સફેદ વસ્ત્ર પહેરે છે.

હજ દરમ્યાન યાત્રાળુઓ પૂજા વિધિ કરે છે અને આ દુનિયામાં તેમની હયાતીની નવી સમજણ કેળવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો