નાસ્તિકોની સંખ્યા વધી : શું દુનિયામાંથી ધર્મ ગાયબ થઈ જશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રેશલ નુવેર
- પદ, સાયન્સ પત્રકાર
દુનિયાભરમાં નાસ્તિકતા વધી રહી છે, તો શું ધાર્મિક હોવાની વાત ભૂતકાળ બની જશે? આ સવાલનો જવાબ અઘરો છે, બહુ જ અઘરો છે.
કૅલિફોર્નિયાની ક્લેરમોન્ટમાં આવેલી પિટ્ઝર કૉલેજના સમાજશાસ્ત્રના પ્રોફેસર ફિલ ઝકરમેન કહે છે, "હાલમાં દુનિયાભરમાં નાસ્તિકોની સંખ્યા પહેલાં કરતાં ઝડપથી વધી રહી છે અને કુલ સંખ્યામાં તેમની ટકાવારી પણ વધી છે."
ગેલપ ઇન્ટરનૅશનલના સર્વેમાં આ હકીકત બહાર આવી છે. આ સર્વેમાં 57 દેશોના 50,000થી વધુ લોકોને આવરી લેવાયા હતા.

નાસ્તિકોની સંખ્યામાં વધારો

ઇમેજ સ્રોત, Getty Images
સર્વેમાં જણાવ્યા અનુસાર 2005થી 2011 સુધીમાં ધર્મમાં આસ્થા ધરાવનારાની સંખ્યા 77 ટકાથી ઘટીને 68 ટકા થઈ ગઈ છે.
તેની સામે પોતાને નાસ્તિક ગણાવનારાની સંખ્યામાં ત્રણ ટકાનો વધારો થયો છે.
આ સાથે જ દુનિયામાં નાસ્તિકોની સંખ્યા વધીને 13 ટકા સુધી પહોંચી ગઈ છે.
જો આ રીતે જ નાસ્કિતોની સંખ્યા વધતી રહેશે તો એક દિવસ ધર્મ સંપૂર્ણ રીતે ગાયબ થઈ જશે?

ધર્મ આપે છે સુરક્ષાની લાગણી

ઇમેજ સ્રોત, Getty Images
ધર્મનું મુખ્ય આકર્ષણ એ છે કે તેના કારણે અનિશ્ચિત દુનિયા વચ્ચે સલામતીની લાગણી અનુભવી શકાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેના કારણે એ વાતમાં નવાઈ ના લાગવી જોઈએ કે જે દેશોમાં નાગરિકોની આર્થિક, રાજકીય અને જીવન ગુજારાની સલામતી વધુ છે તે દેશોમાં જ નાસ્તિકોની સંખ્યા વધી છે.
તમે આ વાંચ્યું કે નહીં?
જાપાન, કેનેડા, બ્રિટન, દક્ષિણ કોરિયા, ઝેક રિપબ્લિક, જર્મની, ફ્રાંસ, ઉરુગ્વે જેવા દેશોમાં 100 વર્ષો પહેલાં ધર્મની બોલબાલા હતી ત્યારે આજે ઇશ્વરમાં આસ્થા રાખનારી સંખ્યા સૌથી ઓછી થઈ રહી છે.
આ દેશોમાં શિક્ષણ અને સામાજિક સુરક્ષાની વ્યવસ્થા એકદમ મજબૂત બની છે.
અસમાનતા ઓછી થઈ છે અને સરખામણીએ લોકો વધારે ધનિક પણ બન્યા છે.
ન્યૂ ઝિલૅન્ડની ઑકલૅન્ડ યુનિવર્સિટીના મનોવિજ્ઞાની ક્વેન્ટિન એટકિન્સન કહે છે, "હકીકતમાં પોતાની શી હાલત થશે તેની અનિશ્ચિતતા લોકોમાં ઓછી થઈ છે."

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, જે દેશોમાં મોટી સંખ્યામાં ધાર્મિક લોકો છે તેવા દેશો જેમ કે બ્રાઝીલ, જમૈકા અને આયર્લૅન્ડમાં પણ ધાર્મિક આસ્થા ઓછી થવા લાગી છે.
પ્રોફેસર ફિલ ઝકરમેન કહે છે, "દુનિયામાં બહુ ઓછા સમાજો એવા છે, જેમાં છેલ્લાં 40-50 વર્ષોમાં ધાર્મિક આસ્થા વધી હોય. એક અપવાદ કદાચ ઈરાન હોઈ શકે છે."
"જોકે તેનો સાચો આંકડો મેળવવો મુશ્કેલ હોય છે, કેમ કે ધર્મનિરપેક્ષ લોકો પોતાના વિચારો છુપાવી રાખતા હોય તેવું બની શકે છે.''
વાનકુંવરમાં આવેલી બ્રિટિશ કોલંબિયા યુનિવર્સિટીના સમાજશાસ્ત્રી એરા નોરેનઝાયન કહે છે, "ધર્મમાં શ્રદ્ધા ઓછી થાય તેનો અર્થ એ નથી કે ધર્મ ગાયબ થઈ ગયો છે."

દુઃખમાં વૃદ્ધિ

ઇમેજ સ્રોત, Getty Images
આવનારાં વર્ષોમાં ક્લાયમેટ ચૅન્જના કારણે કુદરતી આફતો અને કુદરતી સ્રોતોમાં ઘટાડો થશે તે સાથે જ મુશ્કેલીગ્રસ્ત લોકોની સંખ્યા વધશે
તેના કારણે ધાર્મિક ભાવનામાં ફરી વૃદ્ધિ પણ થતી જોવા મળી શકે છે.
નોરેનઝાયન કહે છે, "લોકો દુઃખમાંથી મુક્તિ માગે છે પણ દુઃખ દૂર ના થાય ત્યારે તેનો અર્થ શોધવા કોશિશ કરે છે. અમુક કારણોસર ધર્મ દુઃખનું કારણ સમજાવનારો લાગે છે."
તેઓ કહે છે કે કોઈ ચમત્કાર થાય અને દુનિયાની બધી જ સમસ્યાઓનો ઉકેલ આવી જાય અને આપણે બધા જ શાંતિથી જીવી શકીએ તે પછી પણ ધર્મ આપણી આસપાસ રહેવાનો જ છે.
તેનું કારણ એ કે માનવ વિકાસ સાથે જ ઇશ્વર વિશેની આપણી જિજ્ઞાસા આપણા ડીએનએમાં વણાયેલી જ રહે છે.

બેવડી વ્યવસ્થા

ઇમેજ સ્રોત, Getty Images
બેવડી પ્રક્રિયાના સિદ્ધાંતને સમજીએ તો આ વાત સમજી શકાય છે. મનોવિજ્ઞાન અનુસાર આપણી વિચારવાની બેવડી વ્યવસ્થા છે, સિસ્ટમ એક અને સિસ્ટમ બે.
તેમાંની સિસ્ટમ બે હાલમાં જ વિકસી છે. તે આપણા મગજની ઉપજ છે. તે આપણા મનમાં વારંવાર ઊઠે છે અને પછી બેસી જાય છે.
તે આપણને આયોજન માટે અને તાર્કિક રીતે વિચારવા માટે મજબૂર કરે છે. તેની સામે સિસ્ટમ એક, સ્વાભાવિક અને સ્વંયચાલિત છે.
મનુષ્યમાં તે ક્ષમતા નિયમિત રીતે વિકસિત થતી રહે છે. માણસ ક્યાં જન્મ્યો છે તેનાથી તેમાં કોઈ ફરક પડતો નથી.
આ અસ્તિત્ત્વનું તંત્ર છે. સિસ્ટમ એક વધારાના કોઈ પ્રયાસો કે વિચારો વિના આપણી મૂળ ભાષામાં વાત કરનારી સિસ્ટમ છે.
માતૃભાષા શીખવતી, માતાપિતાની ઓળખાણ કરાવતી અને સજીવ તથા નિર્જીવ વચ્ચે ભેદ કરાવતી આ સિસ્ટમ છે.
દુનિયાને વધારે સારી સમજવામાં, કુદરતી આફતો કે સ્વજનોના મોતની ઘટનાને સમજવામાં તે આપણને મદદ કરે છે.

ધર્મથી મુક્તિ

ઇમેજ સ્રોત, Getty Images
નાસ્તિકોએ નાસ્તિક બનવા માટે અનેક સાંસ્કૃત્તિક અને માનવ વિકાસ સાથે જોડાયેલા બંધનોની સામે લડવું પડે છે.
મનુષ્ય સ્વાભાવિક રીતે એવું માનવા પ્રેરાતો હોય છે કે તે કોઈ એક વૈશ્વિક ચિત્રનો જ હિસ્સો છે અને જીવન તદ્દન નિરર્થક નથી
આપણું મન, જીવનનો ઉદ્દેશ અને સ્પષ્ટતા માટે ઝંખતું રહે છે.
'બોર્ન બિલિવર્સ' પુસ્કતના લેખક જસ્ટિન બેરેટ કહે છે, "એ વાતના પુરાવા છે કે ધાર્મિક વિચારોને અપનાવા એ સૌથી સરળ રસ્તો છે."
"ધર્મથી મુક્ત થવા માટે તમારે કદાચ માનવતાના મૂલ્યોમાં કેટલાક મૂળભૂત ફેરફારો કરવા પડશે."
જોકે, ઇશ્વર માટે આસ્થાની વાત કરીએ તો તેમાં 20 ટકા અમેરિકન એવા છે, જે કોઈ ચર્ચ સાથે સંકળાયેલા નથી.
ચર્ચ સાથે સંકળાયેલા ના હોવા છતાં તેમાંથી 68 ટકા લોકોએ સ્વીકાર્યું કે તેમને ઇશ્વરમાં વિશ્વાસ છે અને 37 ટકા લોકોએ પોતાને ધાર્મિક પણ ગણાવ્યા હતા.
એ જ રીતે ઇશ્વરનો નકાર કરનારા લોકોમાં પણ ભૂત-પ્રેત, જ્યોતિષ, કર્મ, ટેલિપથી, પુનર્જન્મ જેવી અંધશ્રદ્ધા જોવા મળી હતી.
ધર્મ સામાજિક એકતા અને સહકારને પ્રોત્સાહન આપે છે.
નિશ્ચિત લક્ષ્મણ રેખાને વળોટી જનારા પર સર્વશક્તિમાન ઇશ્વરની નજર રહેશે એવી માન્યતાને કારણે પ્રાચીન સમાજોમાં વ્યવસ્થા જાળવી શકાઈ હતી.
એટકિન્સન કહે છે, "અલૌલિક સજા મળશે તે એક પરિકલ્પના છે. પરંતુ સમાજના દરેક લોકોને લાગે કે શિક્ષણ મળે છે તો તે સમગ્ર સમાજ માટે ઉપયોગી થશે."

અતૂટ વિશ્વાસ

ઇમેજ સ્રોત, Getty Images
ધર્મ સાથે કેટલીક આદતો અનાયાસે વણાઈ જાય છે.
તમામ સંસ્કૃતિઓમાં એવું જોવા મળ્યું છે કે જે લોકો વધારે ધાર્મિક હોય તે લોકો વધારે સંતાનો પેદા કરે છે.
મનોવિજ્ઞાન, તંત્રવિજ્ઞાન, ઐતિહાસિક, સાંસ્કૃતિક અને તાર્કિક એ બધા પરિબળોનો વિચાર કરીએ તો ધર્મ કદાચ ક્યારે મનુષ્યમાંથી નાબૂદ નહીં થાય તેમ જાણકારો કહે છે.
ભલે ધર્મ ભય કે લાલચ એવા કોઈ પણ કારણસર ટકી ગયો હોય પણ ધર્મ પોતાને બચાવવામાં સફળ રહ્યો છે તે હકીકત છે. તેવું ના થયું તો આજે ધર્મ આપણી વચ્ચે ના રહ્યો હોત.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












