You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નવાઝ-મરિયમના પાક. પહોંચવાથી લઈને જેલ સુધીનો ઘટનાક્રમ
- પાકિસ્તાનમાં 25 જુલાઈએ થનારી ચૂંટણીઓ પહેલાં પાક.ના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની ધરપકડ.
- નવાઝ શરીફ સાથે તેમનાં પુત્રી મરિયમની પણ ધરપકડ.
- ભ્રષ્ટાચારના મામલામાં એક અદાલતે નવાઝ શરીફને દસ વર્ષની સજા સંભળાવી છે.
- આ જ મામલામાં કોર્ટે મરિયમને સાત વર્ષની સજા સંભળાવી છે.
- નવાઝ શરીફનો આરોપ છે કે રાજકીય કારણોસર પાકિસ્તાનની સેના તેમને ફસાવી રહી છે.
પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ અને તેમનાં પુત્રી મરિયમ નવાઝની વતનમાં પરત ફરતાંની સાથે જ ઍરપોર્ટ પરથી જ ધરપકડ કરી લેવાઈ.
તેમને લઈને અબુ ધાબીથી નીકળેલું વિમાન શુક્રવારે રાત્રે લાહોર ઍરપોર્ટ પહોંચ્યું હતું.
અહીં પાકિસ્તાન નૅશનલ અકાઉન્ટિબિલિટી બ્યૂરો(એનબીએ)ના અધિકારીઓએ બંનેની ધરપકડ કરી હતી.
બીબીસી સંવાદદાતા તાહિર ઇમરાનના જણાવ્યા પ્રમાણે નવાઝ શરીફે કાર દ્વારા જવાનો ઇનકાર કર્યો હતો.
જે બાદ તેમને અને તેમનાં પુત્રીને એક વિમાન દ્વારા રાવલપિંડીની અડિયાલા જેલમાં લઈ જવામાં આવ્યાં હતાં.
બીજી તરફ વકીલોએ બંનેને કોર્ટમાં હાજર કર્યા વિના સીધા જ જેલમાં લઈ જવા માટે વૉરંટ હાંસલ કરી લીધું હતું.
આ મામલે કોર્ટે રાવલપિંડીની અડિયાલા જેલના પ્રમુખને ચિઠ્ઠી લખી હતી.
બીબીસી સંવાદદાતા ફરહત જાવેદના જણાવ્યા મુજબ નવાઝ શરીફ હાલમાં તો અડિયાલા જેલમાં જ રહેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે મેડિકલ તપાસ અને બાકી ઔપચારિકતા પૂરી કર્યા બાદ મરિયમ નવાઝને ઇસ્લામાબાદની પોલીસ એકેડમીના સિહાલા રેસ્ટહાઉસમાં લઈ જવામાં આવશે.
મરિયમ માટે સિહાલા રેસ્ટહાઉસને એક નાની જેલમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યું છે.
આ તમામ ઘટનાક્રમની વચ્ચે શરીફના સમર્થકો અને સુરક્ષાદળો વચ્ચે ઘર્ષણ થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે.
પાકિસ્તાન રવાના થતા પહેલાં અબુ ધાબી ઍરપોર્ટ પર બીબીસી સાથે વાતચીત કરતા નવાઝ શરીફે સત્તા પ્રતિષ્ઠાન પર આરોપ લગાવ્યા હતા.
તેમણે કહ્યું હતું કે તેમના સેંકડો સમર્થકોની પાકિસ્તાનમાં ધરપકડ કરી લેવામાં આવી છે.
શરીફે એ પણ કહ્યું કે પાકિસ્તાનમાં થઈ રહેલી ચૂંટણીઓ નિષ્પક્ષ નહીં થઈ શકે કારણ કે સરકાર સામાન્ય લોકોને નિશાન બનાવી રહી છે.
પાકિસ્તાનમાં ચૂંટણીઓ
પાકિસ્તાનની નૅશનલ ઍસેમ્બલીની 342 બેઠકો માટે 25 જુલાઈના રોજ મતદાન થશે.
નવાઝ શરીફની પીએમએલ-એન, પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાનની પીટીઆઈ અને બિલાવલ ભુટ્ટો ઝરદારીની પીપીપી પાર્ટીઓ ચૂંટણી મેદાનમાં છે.
આ બીજો મોકો છે જ્યારે નાગરિક સરકાર પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ બીજી સરકારને સત્તા સોંપશે.
નિષ્ણાતોના મત પ્રમાણે મતદાન પહેલાં રાજકીય કાર્યકર્તાઓ, પત્રકારો અને સેનાની ટીકા કરનારા પ્રભાવશાળી લોકો પર કાર્યવાહી થઈ રહી છે.
સેના પ્રમાણે મતદાનમાં સુરક્ષાને ધ્યાને રાખતા અને નિષ્પક્ષ ચૂંટણીઓ કરવવાના ધ્યેય સાથે સુરક્ષાદળોના 3,71,000થી વધારે જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો