You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
માર્કોની પહેલાં રેડિયો તરંગો પર સંશોધન કરનાર ભારતીય
- લેેખક, સંપાદકીય
- પદ, બીબીસી વર્લ્ડ
એ ભારતીયનું નામ એટલું જાણીતું નથી, પરંતુ વાયરલેસ સંચારના વિકાસમાં તેમનું યોગદાન પાયાનું હતું.
1897માં ઇટાલિયન ઇજનેર ગિએર્મો માર્કોનીએ પ્રથમ રેડિયો સંકેતનું ટ્રાન્સમિશન કર્યું હતું. યૂકેના દક્ષિણ-પશ્ચિમમાં આવેલા વૅલ્સમાં આ ઐતિહાસિક પ્રયોગ થયો હતો.
સૌથી પહેલો સંદેશો "કેન યુ હિઅર મી?" (શું તમે મને સાંભળી શકો છો?) હતો, જે માર્કોનીએ મોર્સ કોડમાં મોકલ્યો હતો.
થોડા સમય પછી તેમને સામે છેડેથી જવાબ મળ્યો, "યસ, લાઉડ અને ક્લિયર" (હા, મોટેથી અને સ્પષ્ટ રીતે).
પરંતુ આ માટે ભારતીય ભૌતિકશાસ્ત્રી, વનસ્પતિશાસ્ત્રી અને જીવવિજ્ઞાની જગદીશચંદ્ર બોઝનું કરેલું કામ કારણભૂત હતું.
'પૈસા અને વિજ્ઞાન સાથે નહીં'
અમેરિકન પ્રકાશન 'ક્વાર્ટઝે' કોલકત્તા (તત્કાલીન કલકત્તા)માં ભૌતિકશાસ્ત્રી દ્વારા હાથ ધરાયેલા એક જાહેર પ્રયોગને ટાંક્યો હતો.
જેમાં તેમણે દર્શાવ્યું હતું કે કઈ રીતે વિદ્યુતચુંબકીય તરંગો કેવી રીતે દિવાલોને પાર કરીને બેલ વગાડી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યૂકેની ઓપન યુનિવર્સિટીની વેબસાઇટ અનુસાર, "તેમને રેડિયો વિજ્ઞાનના પિતા માનવામાં આવે છે, કારણ કે 1895માં વિદ્યુતચુંબકીય તરંગો પ્રસારિત કરનાર પહેલા વ્યક્તિ હતા.
"પરંતુ બોઝે તેમની શોધને પેટન્ટ નહોતી મેળવી, થોડા વર્ષો બાદ માર્કોનીએ તેની પેટન્ટ મેળવી."
કેટલાક લોકો માને છે કે ઇટાલિયન સંશોધક માર્કોનીએ તેમની શોધ માટે બોઝના પ્રયોગોનો આધાર લીધો હતો.
અમેરિકન પ્રકાશન 'નેશનલ જિયોગ્રાફિક' મુજબ, બોઝ નફા માટે વિજ્ઞાનના વિકાસના વિચાર સાથે સહમત ન હતા. એટલે જ તેમણે તેમની શોધોની પેટન્ટ્સ નોંધાવી નહોતી.
'નેશનલ જિયોગ્રાફિક'ના જણાવ્યા મુજબ, બોઝે તેમના એક મિત્રને 1913માં કહ્યું હતું "તમે અમેરિકામાં પૈસાનો લોભ જોયો હશે અને વધુ પડતી પૈસાની તીવ્રેચ્છા બધું જ બગાડે છે."
કોણ હતા જગદીશચંદ્ર બોઝ?
જગદીશચંદ્ર બોઝનો જન્મ 1858માં વર્તમાન સમયના બાંગ્લાદેશમાં થયો હતો, જે તે વખતે ભારતનો ભાગ હતો.
1880માં તેઓ ઇંગ્લૅન્ડમાં અભ્યાસ માટે ગયા હતા. તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં 'નેચરલ સાયન્સ'નો અભ્યાસ કર્યો હતો.
બોઝે 1884માં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી, જેના એક વર્ષ બાદ તેઓ ભારત પરત ફર્યા હતા.
બોઝે કોલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાં 30 વર્ષ સુધી અધ્યાપક તરીકે કામ કર્યું.
બ્રિટિશ સમાચારપત્ર 'ધ ઇન્ડિપેન્ડન્ટ'ના જણાવ્યા અનુસાર, બોસના પિતાએ તેમને અંગ્રેજી શીખવા પહેલાં પોતાની માતૃભાષા બંગાળી શીખવા શાળામાં મોકલ્યા હતા.
સમાચારપત્ર બોઝની 2015માં કરેલી એક ટિપ્પણીને ટાંકે છે જેમાં બોઝે કહ્યું હતું "મેં પક્ષીઓ, પ્રાણીઓ અને જળચર જીવોની વાર્તાઓ સાંભળી છે, કદાચ એટલે જ મને પ્રકૃતિના અભ્યાસમાં રસ પડ્યો."
વનસ્પતિશાસ્ત્રમાં પ્રદાન
ફૂલ, છોડ અને વનસ્પતિ પણ બોઝના રસના વિષય હતા. આગવી કુશળતાએ બોઝને વનસ્પતિશાસ્ત્રમાં આગવી ઓળખ અપાવી હતી.
વનસ્પતિશાસ્ત્રના ક્ષેત્રે કરેલા તેમના કામોએ જ તેમને વિદ્યુતચુંબકીય તરંગોની તેમની સમજણમાં ફાળો આપ્યો હતો.
એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા પ્રમાણે, બોઝે એવા સાધનો વિકસાવ્યા હતા, જેની મદદથી તેઓ પ્રાણીઓ અને છોડ વચ્ચેની સમાનતાને શોધી શકે."
આજે બહુ સામાન્ય લાગે છે કે છોડ શ્વાસ લે છે, ઉદ્દીપકનો પ્રતિસાદ આપે છે અને પ્રજનન કરે છે, પરંતુ એ સમયે લોકો આ વિશે અજાણ હતા.
'ક્વાર્ટઝ' વેબસાઇટના જણાવ્યા મુજબ, જે. સી. બોઝે છોડોની વૃદ્ધિ નોંધી હતી અને શોધ્યું હતું કે ઉદ્દીપકને કારણે તેમની અલગ-અલગ વૃદ્ધિ થઈ હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો