'તાજમહેલને પાકિસ્તાન મોકલી દો, થોડી કમાણી અમે પણ કરીએ'

આદિત્યનાથના ફોટોવાળું ટી શર્ટ પહેરેલો શખ્સ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, વુસતુલ્લાહ ખાન
    • પદ, પાકિસ્તાનથી, બીબીસી ગુજરાતી માટે

આદિત્યનાથ કોઈ વ્યક્તિત્વ નહીં, પરંતુ એવી માનસિકતા છે, જે કોઈ પણ વ્યક્તિ પર સવાર થઈ શકે છે.

એક ભલા ડોક્ટર સાહેબને એક દિવસ ફોન કર્યો. તેમણે કહ્યું કે વુસત સાહેબ, તમારી પાસેથી આવી આશા ન હતી.

''શું આશા ન હતી?,'' એવો સવાલ મેં આશ્ચર્ય વ્યક્ત કરતાં કર્યો ત્યારે એમણે કહ્યું, ''પહેલાં એ કહો કે તમે મુસલમાન છો?''

મેં કહ્યું, ''અલહમ્દુલિલ્લાહ હું પાક્કો મુસલમાન છું.''

તમને આ પણ વાંચવું ગમશે

તેમણે ફરી પૂછ્યું, ''તમે પાકિસ્તાની છો?'' મેં કહ્યું, ''તેમાં કોઈ શંકા જ નથી.''

તેઓ કહેવા લાગ્યા, ''તમે ખરેખર મુસલમાન અને પાકિસ્તાની છો તો બીબીસી હિન્દી માટે શું કામ લખો છો? હિંદી તો હિંદુઓની ભાષા છે. તમારી પાસેથી આવી આશા ન હતી.''

તાજમહેલ

ઇમેજ સ્રોત, Getty Images

મને લાગે છે કે આ આદિત્યનાથ કે ડોક્ટર સાહેબ મુસલમાનને બદલે હિંદુ હોત તો પણ આવા જ હોત.

આ જુઓને તાજમહેલ હિંદુસ્તાનમાં છે અને 500 વર્ષથી ઊભો છે, પણ ઐતિહાસિક માનસિકતા સાથે તેને શું સંબંધ?

શાહજહાંનો જન્મ થયો ત્યારે તેના હાથમાં કોઈ રોહિંગ્યાની માફક સંયુક્ત રાષ્ટ્રના હાઇ કમિશન ફોર રેફ્યુજીઝનું શરણાર્થી આધાર કાર્ડ ન હતું.

શાહજહાં પાંચ પેઢીઓથી હિંદુસ્તાની હતો અને એની કબર પણ હિંદુસ્તાનની જમીન પર છે, એવી દલીલ આ સંજોગોમાં કરવાનું અયોગ્ય લાગે છે.

શાહજહાં શાહી ખજાનામાંથી પૈસા લૂંટીને ગજની કે સ્વિત્ઝર્લેન્ડની બેંકોમાં ગયો ન હતો.

તેણે એ પૈસા હિંદુસ્તાનમાં જ વાપર્યા હતા. આગ્રામાં તેની પત્નીનો તાજમહેલ નામનો મકબરો આઇએમએફની લોનથી નહીં, પણ હિંદુસ્તાનના પૈસા વડે જ બનાવવામાં આવ્યો હતો.

યમુના નદીના કિનારે તાજ મહેલ

ઇમેજ સ્રોત, Getty Images

મહારાષ્ટ્રમાં સ્કૂલોનાં પાઠ્યપુસ્તકોમાંથી મોગલોની વાતો કાઢી નાખવામાં આવ્યાની વાત કરીએ.

મારું સંતાન ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોકને ન જાણતું હોય તો એ નિર્ણયની ટીકા હું કઈ રીતે કરી શકું.

જોકે, તેના પપ્પા પાકિસ્તાનની જે સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો ત્યાં મૌર્ય રાજવંશ અને સમ્રાટ અશોકના કિસ્સાઓ પાકિસ્તાની ઈતિહાસના હિસ્સા હતા.

હવે તે પુસ્તકોમાં સિકંદર-એ-આઝમના કિસ્સાઓ છે અને 90 ટકા બાળ સ્ટુડન્ટ્સ સિકંદર-એ-આઝમને મુસલમાન ગણે છે.

જેવી રીતે આપણે આપણા પ્રિય શાયર અને વિવેચક ફિરાક ગોરખપુરીને મુસલમાન સમજીએ છીએ.

તેમનું ખરું નામ રઘુપતિ સહાય છે એ જાણવા મળ્યું પછી પણ એ વાતનો સંતોષ હતો કે ફિરાક નામનો માણસ પણ હિંદુ હોઈ શકે છે.

ફિરાકને કારણે તો આજે પણ ઉર્દૂ સાહિત્યિક રચનાઓ રચાયેલી છે.

મોદીજીએ લીધી મઝારની મુલાકાત

બહાદુર શાહની કબર પર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

તાજમહેલને ઉત્તર પ્રદેશના સાંસ્કૃતિક વારસામાંથી કાઢી નાખવામાં આવ્યો હોવાના સમાચારથી અમે અંદરખાને બહુ ખુશ છીએ.

ભગવાન યોગીજીની સરકારને લાંબું આયુષ્ય આપે. તેઓ તાજમહેલની જગ્યાએ તેજોમહાલય મંદિરનો શિલાન્યાસ કરે ત્યારે તેમણે તાજમહેલને પાકિસ્તાન મોકલી આપવો જોઈએ.

તેમના પરનો બોજો ઉતરી જશે અને અમે ચાર પૈસા કમાઈ લેશું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા મોગલ બાદશાહ બહાદુર શાહ ઝફરની રંગૂનમાં આવેલી મઝારની મુલાકાતે ગયા મહિને શા માટે ગયા હતા એ સવાલ યોગીજીએ મોદીજીને પૂછ્યો હશે કે નહીં તેની ખબર નથી.

બહાદુર શાહ ઝફર બર્માના વિખ્યાત બાદશાહ હતા અને તમે એમની મઝારની મુલાકાત લેશો તો બર્માના લોકોને સારું લાગશે, એવું કોઈએ મોદીજીના કાનમાં કહ્યું હોય એ શક્ય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

તાજ મહાલ તથા બહાદુર શાહ ઝફર પણ અને યોગીજી પણ. રાજકારણમાં બધું ચાલે છે, ભાઇ.