You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોરબી પુલ દુર્ઘટના બાદ કેવી રીતે થઈ રહી છે બચાવ કામગીરી?
ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પરનો પુલ રવિવારે સાંજે છ વાગ્યા આસપાસ તૂટી પડ્યો, પુલ તૂટ્યો એ વખતે તેની પર સેંકડો લોકો હતા. પુલ તૂટતાં જ એ લોકો નદીમાં પડ્યા હતા અને તણાવા લાગ્યા હતા.
ગુજરાત સરકારના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આપેલી માહિતી પ્રમાણે આ ઘટના બાદ 141થી વધારે મૃતદેહો મળી આવ્યા છે અને હજી વધારે મૃતદેહો મળવાની આશંકા છે.
સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને બચાવકામગીરી માટે એનડીઆરએફની ટુકડીઓ સહિત અનેક દળોની ટીમોને મોરબી મોકલવામાં આવી રહી છે.
ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
- પાણીમાં પડેલા લોકોને બચાવવાની કામગીરી ચાલુ
- મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. વડા પ્રધાને મોરબીની દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવાર માટે બે લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
- ગુજરાત સરકારના મંત્રીઓ બ્રિજેશ મેરજા, હર્ષ સંઘવી દુર્ઘટનાસ્થળે પહોંચ્યા, મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મોરબી જવા રવાના
- એક સદી જૂનો પુલ સમારકામ બાદ દિવાળી પછી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. રવિવાર હોવાને કારણે મોટી સંખ્યામાં લોકો પુલ પર પહોંચ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે.
- અધિકારીઓ મુજબ મોરબીનમાં ઝૂલતો પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટનામાં જેમના પરિવારજનો ફસાયા હોય કે ગુમ થયા હોય તેમની જાણકારીની જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમના ટેલિફોન 02822 243300 પર માહિતી આપી શકાય.
230 મિટર (754 ફૂટ) લાંબો આ પુલ બ્રિટિશરોના સમયે 19મી સદીમાં બન્યો હતો. સ્થનિકોમાં તે ઝૂલતા પુલના નામથી પ્રખ્યાત હતો, તે આસપાસના વિસ્તારનુ ખ્યાતનામ પર્યટનસ્થળ પણ હતું.
આ ઘટના રવિવારે લગભગ છ વાગ્યા 40 મિનિટે બની હતી.
ઘટનાના વીડિયોમાં લોકો નાસભાગ કરી રહ્યા હોવાનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. તેમજ પ્રત્યક્ષદર્શીઓ નદીમાં ફસાયેલા લોકોને બચાવવા પ્રયત્ન કરી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું.
અન્ય એક વીડિયોમાં પાણીમાં પડવાથી બચવા માટે કેટલાક લોકો પુલના વાયર સાથે ઝૂલી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાહત અને બચાવકાર્ય માટે આસપાસના જિલ્લામાંથી ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
સ્થાનિક તંત્ર અનુસાર સમગ્ર રાત્રિ દરમિયાન પણ રાહત-બચાવકાર્ય ચાલુ રહેશે.
પુલ શા કારણે પડ્યો તે અંગે હજુ કોઈ કારણ સામે આવ્યું નથી, પરંતુ સ્થાનિક પ્રશાસનના જણાવ્યાનુસાર દિવાળીના તહેવારો નિમિત્તે થયેલ ભીડના કારણે આવું થયું હોઈ શકે.
બચાવકામગીરી માટે કોને મોકલવામાં આવ્યા?
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આ ઘટનાની જાણ થતાં જ તંત્ર તાત્કાલિક ધોરણે બચાવકામગીરીમાં લાગી ગયું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે જિલ્લાતંત્ર દ્વારા બચાવકામગીરી કરાઈ રહી છે.
સંરક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા સમાચાર સંસ્થા એએનઆઈ અપાયેલી માહિતી પ્રમાણે જામનગરમાં સ્થિત ભારતીય નૅવીના 40 જવાનોને બચાવકામગીરી માટે મોકલવામાં આવી રહ્યા છે. જેમાં મરીન કમાન્ડો પણ સામેલ છે.
તેમણે એવી પણ માહિતી આપી હતી કે "એનડીઆરએફની ટુકડીઓ સાથે ભારતીય વાયુસેનાનું વિમાન પણ બચાવકામગીરી માટે રવાના થઈ ગયું છે."
"થોડી જ વારમાં વધુ એક ઍરક્રાફ્ટ પણ મોકલવામાં આવશે. હેલિકૉપ્ટરને સ્ટૅન્ડબાય રાખવામાં આવ્યા છે."
બચાવકામગીરી માટે ભુજ અને અન્ય સ્થળોએથી 60 જેટલા ગરુડ કમાન્ડોને પણ મોકલવામાં આવ્યા છે.
આ અંગે એનડીઆરએફના ડીઆઈજી મોહસીન શાહીદીએ એએનઆઈને માહિતી આપી હતી કે, "ગાંધીનગરથી બે અને વડોદરાથી એક એનડીઆરએફની ટુકડીને મોરબી માટે રવાના કરવામાં આવી છે."
"આ સિવાય વડોદરાથી એનડીઆરએફને વધુ બે ટુકડીઓને ઍરલિફ્ટ કરવામાં આવી રહી છે."
રાજકોટ મેડિકલ કૉલેજ તથા રાજકોટ ગ્રામ્યના 30થી વધુ ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ મોરબી સિવિલ હૉસ્પિટલ ખાતે પહોંચી ગયા છે.
33 ઍમ્બ્યુલન્સ, 7 ફાયર ઍન્જિન ઉપરાંત રાજકોટ સિવિલ હૉસ્પિટલની બ્લડબૅન્કને ઍલર્ટ પર રાખવામાં આવ્યા છે.
શું છે સમગ્ર ઘટના?
મોરબીનો એક સદી જૂનો મચ્છુ નદી પર ઝૂલતો પુલ રવિવારે તૂટી પડ્યો છે, જેના પગલે અનેક સહેલાણીઓ મચ્છુ નદીમાં તણાયા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબી દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનોને વડા પ્રધાન સહાય નિધિમાંથી બે લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયા સહાય પેટે આપવાની જાહેરાત કરી છે.
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપતા કહ્યું છે કે દુર્ઘટના વખતે 150 લોકો પુલ પર હાજર હતા. સાંજે 6:30 વાગ્યે પુલ તૂટ્યો હતો, બચાવ અને રાહતકાર્ય ચાલી રહ્યું છે.
પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું છે કે, "ખૂબ જ દુખદ ઘટના ઘટી છે. ભાજપ સરકાર સામે સવાલો ઊભા થાય છે કે વર્ષો જૂનો પુલ ઘણા સમયથી બંધ હતો."
"નગરપાલિકા અને અન્યોએ એને રિપેર કરવાની જવાબદારી નહોતી લીધી. કોણે જવાબદારી લીધી. કઈ રીતે જવાબદારી લીધી. રિપેરિંગ થયું, તેમાં તજજ્ઞોની ટીમ બનાવીને તેમનો અભિપ્રાય લીધો હતો કે નહીં, જો આવું કર્યું હોત તો આ ઘટના જ ન ઘટત. અને એ કામ નથી કર્યું અને એમાં સેંકડો લોકોના જીવ જવાની શંકા છે, ત્યારે ભાજપે જવાબો આપવા પડશે."
આમ આદમી પાર્ટીના પ્રદેશાધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ ટ્વીટ કર્યું છે, "મોરબી પુલ તૂટવાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સદગતને શ્રદ્ધાંજલિ તેમજ ઘાયલ વ્યક્તિ જલદી સ્વસ્થ થાય એવી પ્રાર્થના."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો