હર્ષ સંઘવી : ગુજરાત સરકારમાં નવ ખાતાં સંભાળતા નવ ધોરણ ભણેલા યુવામંત્રી

ઇમેજ સ્રોત, Harsh Sanghavi/FB
- લેેખક, દિલીપ ગોહિલ
- પદ, બીબીસી ગુજરાતી માટે

- 2021માં રૂપાણી પ્રધાનમંડળને રવાના કરવામાં આવ્યું ત્યારે યુવા પણ આશાસ્પદ નેતા તરીકે સંઘવીને સ્થાન મળી ગયું
- 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચામાં રહેતા હોય તેવા યુવા નેતા હર્ષ સંઘવી છે
- ભાજપના સૌથી નાની વયે ગૃહખાતાના રાજ્યકક્ષાના મંત્રી બનેલા અને નવ નવ ખાતાં મેળવ્યા પછી મહેસૂલ જેવા તોતિંગ ખાતાનો વધારાનો હવાલો મેળવ્યો છે
- આઠમા ધોરણમાંથી ઊઠી ગયા પછી કારખાનું સંભાળવા સાથે જાહેરજીવનમાં તેમને રસ પડવા લાગ્યો હતો
- સામાજિક સેવા કરીને 15 વર્ષે જ કાર્યકર બની ગયેલા અને રાજકીય કારકિર્દીમાં ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ બનવાની સ્પર્ધા સુધી પહોંચેલા
- ભાજપમાંથી સૌથી નાની વયે - 37 વર્ષની ઉંમરે અમિત શાહને રાજ્ય કક્ષાના ગૃહમંત્રી બનાવાયા હતા. હર્ષ સંઘવી તેનાથી એક વર્ષ નાની ઉંમરે - 36 વર્ષે જ આ પદે પહોંચ્યા
- રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ ખાતું લઈ લેવાયું ત્યારે તેનો હવાલો અન્ય કોઈ સિનિયર નેતા નહીં, પરંતુ હર્ષ સંઘવીને જ સોંપવામાં આવેલો
- યુવા તરીકે ઝડપથી આગળ વધ્યા પછી રાજકારણમાં તેમનું ભવિષ્ય કેટલું લાંબુ હશે તે કદાચ 2022ની ચૂંટણીમાં તેમની કામગીરી નક્કી કરશે

બોર્ડની પરીક્ષાનાં પરિણામો જાહેર થાય તે પછી 'તેજસ્વી તારલા'ની તસવીરો અખબારોમાં જોવા મળે છે. કંઈક આવી જ રીતે દરેક ચૂંટણી પછી 'ઊગતા ચહેરા' અથવા નાની વયે ચૂંટાયેલા રાજકારણીઓની પ્રોફાઇલ્સ પણ પ્રગટ થતી હોય છે.
યુવા નેતાગીરીને દરેક પક્ષ મહત્ત્વ આપે છે એટલે દર ચૂંટણીમાં કેટલાક નવા નેતાઓ સામે આવે છે, પણ રાજકારણ બહુ અનિશ્ચિત હોય છે એટલે તેમાંથી કયા યુવા નેતા અપેક્ષા પ્રમાણે રાજકારણમાં આગળ વધે છે તે જાણવા માટે સમયની જ રાહ જોવાની હોય છે.
આ વખતે 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચામાં હોય તેવા યુવા નેતા એટલે હર્ષ સંઘવી. અન્ય પણ કેટલાક યુવા નેતાઓ ચર્ચામાં છે - ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેયમાં યુવા નેતાની વ્યાખ્યામાં આવે તેવાં ઘણાં નામો છે, તે પૈકી જ એક છે હર્ષ સંઘવી.
ભાજપના સૌથી નાની વયે ગૃહખાતાના રાજ્યકક્ષાના મંત્રી બનેલા અને નવ નવ ખાતાં મેળવ્યા પછી મહેસૂલ જેવા તોતિંગ ખાતાનો વધારાનો હવાલો પણ સંભાળનારા મૂળ ડીસાના પણ સુરતમાં વસેલા હીરાના કારખાનેદાર એવા જૈન પરિવારમાં હર્ષ રમેશકુમાર સંઘવીનો જન્મ તારીખ 8 જાન્યુઆરી, 1985ના રોજ થયો હતો.
તેમણે માત્ર નવમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે.
મતવિસ્તાર સુરત શહેરની મજૂરા બેઠક. વ્યવસાય હીરાનું કારખાનું (ગિરનાર કૉર્પોરેશન), સામાજિક સેવા કરીને 15 વર્ષે જ કાર્યકર બની ગયેલા અને રાજકીય કારકિર્દીમાં ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ બનવાની સ્પર્ધા સુધી પહોંચેલા.

નાની વયે મહત્ત્વનાં મંત્રાલય

ઇમેજ સ્રોત, FACEBOOK/HARSH SANGHAVI
વિજય રૂપાણી સહિત સમગ્ર પ્રધાનમંડળ બદલી નાખવામાં આવ્યું અને નવા પ્રધાનોમાં હર્ષ સંઘવીને નાની વયે રાજ્ય કક્ષાના ગૃહમંત્રી બનાવાયા એટલે સૌનું ધ્યાન ખેંચાયું હતું. પોલીસ પર નિયંત્રણ ધરાવતું ગૃહ ખાતું સત્તાધીશ માટે સત્તાનો ચાબુક ધરાવતું ખાતું મનાય છે એટલે હાઇપ્રોફાઇલ નેતા ત્યાં બેસતા હોય છે.
ભાજપમાંથી 37 વર્ષની વયે અમિત શાહને રાજ્ય કક્ષાના ગૃહમંત્રી બનાવાયા હતા. હર્ષ સંઘવી તેનાથી એક વર્ષ નાની ઉંમરે - 36 વર્ષે જ આ પદે પહોંચ્યા હતા. ગુજરાતમાં જોકે સૌથી નાની વયના રાજ્ય કક્ષાના ગૃહમંત્રી બનવાનો વિક્રમ નરેશ રાવલના નામે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના પિતા ગંગારામ રાવલ સફળ ધારાસભ્ય રહી ચૂક્યા હતા, પરંતુ નરેશ રાવલને 2012માં વીજાપુરની ટિકિટ ના મળી ત્યારે નારાજગી દર્શાવી હતી. તે વખતે નરહરિ અમીન સાથે ભાજપમાં જશે એવું લાગ્યું હતું, પણ એક દાયકા પછી હાલમાં જ ભાજપમાં જોડાયા છે.
નરેશ રાવલ પિતાના કારણે યુવા વયે ગૃહરાજ્ય મંત્રી બન્યા, પણ તે પછી આજે હવે રાજકીય કારકિર્દી માટે પક્ષપલટો કરવો પડ્યો છે. એવો કોઈ રાજકીય વારસો હર્ષ સંઘવી પાસે નહોતો. પિતા હીરાનું કારખાનું ચલાવતા હતા, પણ સંજોગોવશાત્ તેમણે ચાર બહેનો વચ્ચે એક જ ભાઈ હર્ષને કારખાને બેસવા માટે કહેવું પડ્યું હતું.
હર્ષનાં માતાની બીમારીને કારણે પિતાએ તેમની સાથે મુંબઈ રહેવું પડ્યું હતું એટલે કારખાનું સંભાળવા આઠમા ધોરણમાંથી હર્ષ સંઘવીએ ભણવાનું છોડવું પડ્યું હતું એવું કારણ આપવામાં આવે છે. પરંતુ આઠમા ધોરણથી શાળામાંથી ઊઠી ગયેલા યુવા નેતા પ્રધાન બની ગયા તે હેડલાઇનમાં ચમકેલી માહિતી હતી. બધા જ પ્રધાનો નવા લેવાયા એટલે ઓછું ભણેલા, ઓછા અનુભવી તેમાં હોય તે સ્વાભાવિક છે, પરંતુ થોડા જ મહિનામાં સ્પષ્ટ થઈ ગયું હતું કે સૌથી જુનિયર, સૌથી ઓછું ભણેલા, સૌથી ઓછા અનુભવી હર્ષ સંઘવી સરકારમાં અગત્યની ભૂમિકા ભજવી રહ્યા છે.
સુરતના જ હોવાથી ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની નિકટ મનાય છે. તેમના વિશ્વાસુ હોવાના કારણે જ રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલખાતું લઈ લેવાયું ત્યારે તેનો હવાલો અન્ય કોઈ સિનિયર નેતા નહીં, પરંતુ હર્ષ સંઘવીને જ સોંપવામાં આવેલો. આ દર્શાવે છે કે નાની ઉંમર છતાં હર્ષ સંઘવી બહુ થોડા વખતમાં પાકટ થઈને મોવડીમંડળનો વિશ્વાસ મેળવી શક્યા છે.
ઉંમર નાની હશે, પણ ધારાસભ્ય તરીકે બીજી ટર્મ છે એટલે જાહેરજીવનનો અનુભવ હોય. સીમાંકન પછી 2012માં સુરતમાં નવી બેઠક બની હતી મજૂરા. આ મજૂરામાં માત્ર 27 વર્ષના હર્ષ સંઘવીને ભાજપની ટિકિટ મળી અને જીતી ગયા.
2017માં બીજી વાર જીત મળી અને 2020માં સુરતના જ સી. આર. પાટીલ પ્રદેશ અધ્યક્ષ બન્યા તેનો ફાયદો એ થયો કે 2021માં રૂપાણી પ્રધાનમંડળને રવાના કરવામાં આવ્યું ત્યારે યુવા પણ આશાસ્પદ નેતા તરીકે સંઘવીને સ્થાન મળી ગયું.

યુવા મોરચામાં કામગીરી

ઇમેજ સ્રોત, DHARMESH AMIN
નાની ઉંમર છતાં રાજકીય રીતે હર્ષની કારકિર્દી લાંબી ગણાવી શકાય, કેમ કે તેમણે માત્ર 15 વર્ષની ઉંમરે જ સામાજિક સેવા શરૂ કરી દીધી હતી. આઠમા ધોરણથી ભણવાનું મૂકી દીધા બાદ કારખાનું સંભાળવા સાથે જાહેરજીવનમાં તેમને રસ પડવા લાગ્યો હતો.
સુરતના જાણકારો કહે છે કે સંઘના સ્વંયસેવક જયદીપ ત્રિવેદી સાથે તેમને પરિચય થયો અને તેના કારણે રાજકારણમાં રસ પડ્યો. 2003-04માં ડાંગમાં ભાજપ-સંઘે શબરી કુંભનું આયોજન કર્યું હતું. તે વખતે મીડિયા સંકલનની જવાબદારી મળી અને આગળ જતાં ગૌ-ગંગા યાત્રા વખતે પણ સુરત મીડિયા કન્વીનર તરીકે કામ કર્યું.
ભાજપ દ્વારા ભારત સુરક્ષા યાત્રા યોજાઈ ત્યારે ગુજરાતમાંથી પ્રદીપસિંહ વાઘેલા સાથે તેઓ કાર્યક્રર તરીકે ગયા હતા. વર્ષ 2010માં પ્રદીપસિંહ વાઘેલા યુવા મોરચાના પ્રમુખ બન્યા ત્યારે તેમણે પોતાની ટીમમાં હર્ષ સંઘવીને પ્રદેશ મહામંત્રી બનાવ્યા હતા. યુવા મોરચાના પ્રભારી તરીકે સી.આર. પાટીલ હતા એટલે તેમની સાથે પણ કામ કરવાની તક મળી, જે આજે ફળી છે.
2011માં શ્રીનગરના લાલ ચોકમાં તિરંગો ફરકાવા માટે ભાજપ યુવા મોરચાની ઝુંબેશ હતી ત્યારે પ્રદીપસિંહ વાઘેલા સાથે લાલ ચોક સુધી પહોંચ્યા હતા. લાલ ચોકમાં કાર્યક્રમની મનાઈ હતી, છતાં યુવા કાર્યકરો પહોંચેલા અને પોલીસની લાઠીઓ ખાધેલી.
તે પછી હવે તેમને ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચામાં મહામંત્રી બનાવાયા અને વાઇસ પ્રેસિડન્ટ પણ બન્યા હતા. ભાજપ જનતા યુવા મોરચાના નવા પ્રમુખની પસંદગી સપ્ટેમ્બર 2020માં થવાની હતી ત્યારે હર્ષ સંઘવીનું નામ રેસમાં હતું. જોકે તેજસ્વી સૂર્યાની પસંદગી થઈ, કેમ કે મહામંત્રી બી. એલ. સંતોષ તેમને પસંદ કરતા હતા.
સુરતના પત્રકારોને યાદ છે કે તેમણે મેધા પાટકરવિરોધી રેલી પણ કાઢેલી અને ધ્યાન ખેંચેલું. એ જ રીતે તેમણે એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલ કેન્દ્રમાં ઉડ્ડયનમંત્રાલયના પ્રધાન હતા ત્યારે સુરતમાં તેમના માટે એક કાર્યક્રમ કરેલો. જોકે ભાજપ અને સંઘના નેતાઓ તેમને ફરી ભાજપમાં લાવ્યા અને યુવા મોરચાના કાર્યક્રમોમાં તેમને આગળ કરતા રહ્યા હતા.
ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ બનવાના બદલે તેઓ ગુજરાતમાં જ સી. આર. પાટીલ સાથે કામગીરી કરતા રહ્યા એ તેમને વધારે ફળી છે. પ્રદેશપ્રમુખ તરીકે રૂપાણી સરકાર સાથે સંકલનનો પ્રશ્ન ઊભો થયો ત્યારે તે સરકાર હઠાવી ભૂપેન્દ્ર પટેલની સરકાર બની.
તેમાં નાની વયે પ્રધાન બનવા સાથે હર્ષ સંઘવીને નવ નવ ખાતાં એક સાથે મળી ગયાં. પોલીસ સાથે સંકળાયેલા નાના ખાતા ઉપરાંત રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, આપત્તિ વ્યવસ્થાપન વગેરે મંત્રાલયો પણ રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે મળ્યાં હતાં.
આપત્તિ વ્યવસ્થાપન એટલે ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ. આવા વિભાગમાં કામગરા પ્રધાન જોઈએ, કેમ કે તાકિદે કામ કરવાનું હોય છે. સંઘવીના સુરતના ચાહકો કહે છે કે કોરોના વખતે તેમણે કરેલી કામગીરીને ધ્યાનમાં લઈને આ વિભાગ તેમને મળ્યો છે.
એક મંત્રાલય છે એનઆરઆઈ સાથે સંકલનનો (બિનનિવાસી ગુજરાતી પ્રભાગ) એટલે કે વિદેશમાં વસતા ગુજરાતીઓ સાથે સંપર્કનો. આ વિભાગ એટલા માટે કે અમેરિકામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમો યોજાયા ત્યારે તેમને પણ મહત્ત્વની જવાબદારી મળી હતી. મેડિસન સ્કવેર ગાર્ડન કાર્યક્રમને સફળ બનાવવા તેઓ ગુજરાતી એનઆરઆઈ સાથે સંપર્કમાં રહ્યા હતા અને અમેરિકા પહોંચી ગયા હતા.

મહેસૂલ મંત્રાલય પણ મળ્યું

ઇમેજ સ્રોત, TWITTER/@HARSHSANGHAVI
રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી અચાનક મહેસૂલ મંત્રાલય લઈ લેવાયું ત્યારે તેનો હવાલો હર્ષ સંઘવીને મળ્યો તેના કારણે ફરી એક વાર પાટીલના તેઓ કેટલા વિશ્વાસુ છે તે સ્પષ્ટ થઈ ગયું. પાટીલે સમગ્ર ગુજરાતમાં જવાબદારી સંભાળવાની છે, પણ સુરતમાં જ આમ આદમી પાર્ટી 27 નગરસેવકોને જિતાડીને ચર્ચામાં આવી ગઈ છે ત્યાં હર્ષ સંઘવીએ પણ જવાબદારી લેવાની છે.
બીજું કમલમમાંથી સરકાર ચાલે છે અને પોલીસ તથા મહેસૂલ ખાતાના અધિકારીઓ સચિવાલયને બદલે ત્યાં વધારે દેખાય છે તેવી ટીકાઓ વચ્ચેય હર્ષ સંઘવી સી. આર. પાટીલના વિશ્વાસ સાથે કામગીરી કરી રહ્યા છે.
મંત્રાલયો મળ્યા પછી તેમણે કામગીરી કરીને પણ સૌનું ધ્યાન ખેચ્યું હતું તેની પણ નોંધ લેવી પડે. ખાસ કરીને ગુજરાતમાંથી જંગી પ્રમાણમાં ડ્રગ્ઝ પકડાવા લાગ્યું છે તે કામગીરી પર હર્ષ સંઘવી અંગત ધ્યાન આપે છે તેવી છાપ પડી છે.
ગુજરાત વર્ષોથી ડ્રગ્ઝની હેરફેરનો રૂટ રહ્યો છે, પણ મોટાં શહેરોમાં ડ્રગ્ઝનું દૂષણ પણ થોડું વધી રહ્યું છે ત્યારે સતત દરોડા દ્વારા કામગીરી બતાવવાનો સંઘવીએ પ્રયત્ન કર્યો છે.
તેની સામે બોટાદ જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે છાપ ખરડાઈ પણ હતી. પોલીસની ભાગીદારીથી દેશી દારૂના અડ્ડા ધમધમે છે તેવી ફરિયાદો સરપંચ સહિતના લોકોએ વારંવાર કરી છતાં કામગીરી ના થઈ. દારૂમાં કેમિકલ ભેળવાયું અને 70થી વધુ લોકોનાં મોત થઈ ગયાં.
પોલીસને ગ્રેડ પેના મામલે અસંતોષ જાગ્યો તે ઠારવામાં પણ ધારી સફળતા ના મળી અને આપની જાહેરાત પછી સરકારે પોલીસ કર્મચારીઓને મનાવવા જાહેરાત કરવી પડી તેવી ટીકાનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

ઇમેજ સ્રોત, Harsh Sanghavi /Twitter
યુવા મંત્રી તરીકે કેટલાક સિનિયરો કરતાંય સારી કામગીરીનાં વખાણ વચ્ચે આવી કેટલીક બાબતોને હર્ષ સંઘવીએ સંભાળવાની છે. મજૂરા બેઠકમાં જૈનોની મોટી સંખ્યા છે અને કૉંગ્રેસમાંથી બિનગુજરાતી વણિકને ટિકિટ અપાઈ છે તેના કારણે જીત સહેલી બનતી રહી છે.
પરંતુ કોરોના પછી જીએસટીના મામલે નિરાકરણ નથી આવતું એવી ફરિયાદો સાથે વેપારીઓએ દેખાવો પણ કરેલા છે. વેપારીઓ અસંતોષ વ્યક્ત કરે છે, પણ મતો ભાજપને જ આપતા હોવાથી ચિંતા હોતી નથી. પરંતુ પોતાની બેઠક નહીં, સમગ્ર રીતે સુરતમાં પાટીલની સાથે મળીને હર્ષ સંઘવીએ પક્ષની એટલે કે સંગઠનની પણ કામગીરી દર્શાવવી પડશે.
પક્ષે નાની ઉંમરે મોટાં પદ આપ્યાં હોય ત્યારે સુરતની અન્ય બેઠકો પર પણ જવાબદારી નિભાવવી પડે.
આમ આદમી પાર્ટીને કારણે સૌરાષ્ટ્રની અસરવાળી ચાર બેઠકો પર ત્રિપાંખિયો જંગ છે ત્યારે તેમાં પણ કામગીરી બતાવવી પડે અને માત્ર મજૂરાના વેપારીઓ નહીં, સમગ્ર સુરતના વેપારી વર્ગને ભાજપ સાથે રાખવામાં પણ હર્ષ સંઘવીએ કામગીરી બતાવવી પડશે.
યુવા તરીકે ઝડપથી આગળ વધ્યા પછી રાજકારણમાં તેમનું લાંબુ ભવિષ્ય કેટલું હશે તે કદાચ 2022ની ચૂંટણીમાં તેમની કામગીરી નક્કી કરશે.
(લેખમાં વ્યક્ત થયેલા વિચારો લેખકના અંગત છે, બીબીસીના નહીં)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

-












