ફાલ્ગુની પાઠક : એક શોના કરોડો રૂપિયા લેતાં 'ગુજરાતી ગરબા ક્વીન'ની ઇન્ડિયન મૅડોના બનવા સુધીની કહાણી

    • લેેખક, મધુ પાલ
    • પદ, બીબીસી માટે
  • ગરબા ક્વીન તરીકે ઓળખાતાં ફાલ્ગુની પાઠકનાં ગીતો નવરાત્રી દરમિયાન ઘણાં લોકપ્રિય હોય છે
  • ફાલ્ગુની પાઠક કેમ હંમેશાં પુરુષો જેવાં કપડાં પહેરે છે?
  • 1994માં ફાલ્ગુની પાઠકે 'તા-થૈયા' નામનું સ્ટેજ બૅન્ડ શરૂ કર્યું જે માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં ઘણા કાર્યક્રમો કરતું હતું
  • 1998માં, ફાલ્ગુની પાઠક યુનિવર્સલ મ્યુઝિક સાથે પોતાનું પ્રથમ આલબમ 'યાદ પિયા કી આને લગી' લાવ્યાં હતાં

ફાલ્ગુની પાઠકને સંગીતની દુનિયામાં ગરબાક્વીન તરીકે ઓળખવામાં આવે છે. ફાલ્ગુનીનું નામ આવતાં જ 90ના દાયકાનાં તેમનાં લોકપ્રિય ગીતો "યાદ પિયા કી આને લગી", "બોલે જો કોયલ બાગો મેં", "ચૂડી જો ખનકી હાથો મેં", "તુને પાયલ હૈ છનકાઈ" યાદ આવી જાય.

નવરાત્રીમાં ગરબાનાં ભવ્ય આયોજનોમાં ફાલ્ગુની પાઠકનાં ગીતો પર ખેલૈયાઓ ગરબે ઘૂમતાં જોવા મળતા હોય છે.

ઘરનું પાંચમું સંતાન એ દીકરી

ફાલ્ગુની પાઠકનો જન્મ 12 માર્ચ 1964ના રોજ મુંબઈમાં થયો હતો. તેઓ તેમના પરિવારમાં ચાર બહેનોની પાંચમા બહેન છે. તેમનાં માતાપિતા છોકરાના જન્મની અપેક્ષા રાખતાં હતાં.

પરિવારમાં દીકરો આવે એની રાહ જોવાઈ રહી હતી. પણ ઘરમાં પાંચમી દીકરીનો જન્મ થયો.

નાનપણથી જ તેમની મોટી બહેનોએ તેમને છોકરી હોવા છતાં છોકરાની જેમ જ રાખ્યાં. ફાલ્ગુની ક્યારેય છોકરીની જેમ રહ્યાં નથી.

તેમણે ક્યારેય શણગારેલો ડ્રેસ પહેર્યો નથી અને ક્યારેય મહિલાઓનાં વસ્ત્રો પહેર્યાં નથી. તેઓ આજે 54 વર્ષનાં છે પરંતુ આટલાં વર્ષોમાં તેમણે ન તો તેમનો પહેરવેશ બદલ્યો છે અને ન તો લૂક બદલ્યો.

હંમેશા ટૂંકા વાળ અને શર્ટ, ટી-શર્ટ પેન્ટ પહેરેલાં જ જોવાં મળ્યાં છે.

નવ વર્ષની ઉંમરે ફાલ્ગુનીએ પહેલો સ્ટેજ શો કર્યો હતો, બાળપણમાં પણ તેમણે ઘણાં ગીતોમાં પોતાનો અવાજ આપ્યો હતો. તેમનું પહેલું આલ્બમ 1998માં રિલીઝ થયું તે પછીથી તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી.

લોકો તેમને 'ઇન્ડિયન મૅડોના'કહેતા

90ના દાયકામાં ફાલ્ગુનીનાં ગીતો ઘણાં લોકપ્રિય થયાં હતાં અને લોકો તેને દરેક ફંકશનમાં વગાડતા હતા.

1994માં ફાલ્ગુની પાઠકે 'તા-થૈયા' નામનું સ્ટેજ બૅન્ડ શરૂ કર્યું જે માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં ઘણા કાર્યક્રમો કરતું હતું.

1998માં, ફાલ્ગુની પાઠક યુનિવર્સલ મ્યુઝિક સાથેના તેમના પ્રથમ આલબમ 'યાદ પિયા કી આને લગી'થી ખ્યાતિ અને પ્રશંસા પામ્યાં હતાં. ફાલ્ગુની પાઠકનાં મોટાં ભાગનાં ગીતોની થીમ 'પ્રેમ' વિશે જ હતી.

'ઓ પિયા' - 2001, 'અર્પણ' - 2008, 'મેરી ચુનર ઉડ ઉડ જાયે' - 2000, 'યે કૈસા જાદુ કિયા' - 2002, 'દિલ ઝૂમ ઝૂમ નાચે' - 2004, 'મૈંને પાયલ હૈ છનકાઈ' - 1999, 'શ્રીકૃષ્ણ ગોવિંદ' - 2003,' રંગીલા બંબૈયા' 2015, 'ડાંડિયા ક્વીન હિટ્સ' - 2014, 'ધ ગોલ્ડન મૅલડી' - 2014, 'બેસ્ટ ઑફ ટ્યુન્સ ઍન્ડ ભજન' - 2013, 'દે તાલી' - 1999.

તેમના દેખાવ અને સફળતાને કારણે તેમને ભારતીય મૅડોના તરીકે પણ ઓળખવામાં આવતાં હતાં. લોકો તેમને 'ઇન્ડિયન મેડોના' કહીને સંબોધતા.

ગીતોમાં ગુજરાતી સંસ્કૃતિ

ફાલ્ગુનીની લોકપ્રિયતાની ચર્ચા ભારતમાં જ નહીં વિદેશમાં પણ થાય છે. ગુજરાતી પરિવારમાં જન્મેલાં ફાલ્ગુનીનાં ગીતોમાં ગુજરાતી સંસ્કૃતિની ઝલક રહી છે.

જ્યારે તેમણે તેમની કારકિર્દીની શરૂઆત કરી ત્યારે અલકા યાજ્ઞિક, ઉદિત નારાયણ, કુમાર સાનુ, કવિતા કૃષ્ણમૂર્તિ જેવાં મોટાં ગાયકો તેમની કારકિર્દીના શિખરે હતાં. તેવામાં ફાલ્ગુની પાઠકે બિનફિલ્મી ગીતોને લોકો વચ્ચે લોકપ્રિય બનાવવાનું કામ કર્યું હતું.

ફાલ્ગુનીએ માત્ર રોમૅન્ટિક ગીતો નથી ગાયાં પણ નવરાત્રિ દરમિયાન ભક્તિગીતો પણ ગાયાં છે. નવરાત્રીમાં ફાલ્ગુની પાઠકનાં ગાયેલાં ગીતો અને ગરબા સાંભળવા મળી જ જતાં હોય છે.

નવરાત્રીમાં તેમનાં સુપરહિટ ગીતોની ભારે ડિમાન્ડ રહે છે. મુંબઈથી લઈને વિદેશોમાં નવરાત્રી દરમિયાન અનેક સ્ટેજ શો યોજાતા રહે છે.

ઘણી વાર સાંભળવા મળે છે કે નવરાત્રીમાં ફાલ્ગુની એક સ્ટેજ શોના લાખો રૂપિયા લે છે. ઘણી વખત એવા સમાચાર આવ્યા છે કે ફાલ્ગુની પાઠકે એક નવરાત્રીના 11 દિવસના 1.40 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.

આ અંગે એક ન્યૂઝ ચેનલને સ્પષ્ટતા આપતાં તેમણે કહ્યું કે,"હા, હું 1.40 કરોડ રૂપિયા ચાર્જ કરી ચૂકી છું."

ફાલ્ગુનીએ આ અંગે વધુ સ્પષ્ટતાં કરતાં કહ્યું હતું, "આ રકમ મારા એકલાની નથી હોતી. મારી પાસે 40 લોકોની ટીમ છે. મારી પાસે મારાં પોતાનાં લાઇટમૅન, સાઉન્ડ એન્જિનિયર અને કૉસ્ચ્યુમ ડિઝાઇનર છે. આમ મારે આ રકમ બધા વચ્ચે વહેંચવાની હોય છે અને અમે બધા ખૂબ જ મહેનત કરીએ છીએ. "

અંગત જીવનની ચર્ચા કરવાનું ટાળે છે

ફાલ્ગુનીનું કહેવું છે કે હંમેશાં પોતાની શરતો પર જીવ્યાં છે.

તેઓ કહેવું છે કે 'જ્યારે દરેક વ્યક્તિ ફિલ્મોમાં પોતાનો અવાજ આપવાં માગતી હતી, ત્યારે તેઓ આવી રેસનો ભાગ બનવા તૈયાર નહોતાં. તેમને જે મળી રહ્યું હતું તેનાથી તેઓ ખુશ હતાં.'

ફાલ્ગુનીને તેમના અંગત જીવન વિશે ચર્ચા કરવા સામે વાંધો છે. તેમને પસંદ નથી કે કોઈ તેમના કામ સિવાય તેમના અંગત જીવન વિશે ચર્ચા કરે.

તેમણે વિવાહિત જીવન પસંદ ન કર્યું અને માત્ર સંગીત સાથે જ પ્રેમ કર્યો.

સંગીત ઉપરાંત ફાલ્ગુની ટીવીના પ્રખ્યાત શો, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા', 'કૌન બનેગા કરોડપતિ', 'સ્ટાર ડાંડિયા ધૂમ', 'કૉમેડી નાઇટ્સ વિથ કપિલ' અને પ્રાઇમ ટાઇમ શો 'બા બહુ ઔર બેટી' માં પણ જોવાં મળ્યાં છે.

ફાલ્ગુની અને નેહા કક્કડ વચ્ચે શું મતભેદ થયો હતો?

ગત વર્ષે 2022માં ફાલ્ગુની પાઠક અને ગાયિકા નેહા કક્કડ વચ્ચે 'મૈંને પાયલ હૈ છનકાઈ' ગીત પર વિવાદ ચાલી રહ્યો છે.

નેહા કક્કડે ફાલ્ગુની પાઠકનાં 90ના દાયકામાં રિલીઝ થયેલા ગીત 'મૈંને પાયલ હૈ છનકાઈ' રિમિક્સ કરીને 'ઓ સજના' તરીકે રજૂ કર્યું હતું.

ફાલ્ગુનીને રિમિક્સ કરવાનો વિચાર અને રિમિક્સ વર્ઝન બંને ગમ્યાં નહીં. હવે આ મામલે ફાલ્ગુની અને નેહા સામસામે આવી ગયાં હતાં.

ફાલ્ગુની પાઠકે આ અંગે વાંધો ઉઠાવ્યો હતો જોકે તેમણે બાદમાં નેહા કક્કડ સામે કાયદાકીય કાર્યવાહી નહીં કરવાની વાત કરી હતી કારણ કે તેમની પાસે ગીતના કૉપીરાઇટ નથી.

નેહા કક્કડને સોશિયલ મીડિયા પર આ અંગે ટીકાનો સામનો કરવો પડ્યો હતો, આ ગીત લોકોની વચ્ચે આવતાં જ લોકો તેમને ટ્રોલ કરવા લાગ્યા. નેહાનું કહેવું છે કે તેમની સફળતા લોકોથી સહન નથી થતી.

આ બધી વાતો ફાલ્ગુની પાઠક સુધી પહોંચી રહી હતી. ઘણા લોકો નેહા કક્કડના ગીતને ખરાબ કહી રહ્યા હતા, ફાલ્ગુનીએ તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર દરેકની પોસ્ટ શૅર કરી હતી.

આ દર્શાવે છે કે ફાલ્ગુની પણ 'મૈંને પાયલ હૈ છનકાઈ'ના રિમિક્સથી ખુશ નથી.

મનોરંજનના સમાચારો અને ઘટનાઓ રજૂ કરતી વેબસાઈટ 'પિંકવિલા'એ તેમની સાથે એ વિવાદ મુદ્દે વાત કરી ત્યારે ફાલ્ગુનીએ કહ્યું હતું કે આટલાં વર્ષો પછી પણ તેમનાં ગીતો ખૂબ પસંદ કરવામાં આવે છે. આનાથી તેઓ ખૂબ જ ખુશ છે. પરંતુ એ વાતનું દુઃખ છે કે તેમના ગીતને રિમિક્સ કરતાં પહેલાં તેમને પૂછવામાં પણ ન આવ્યું. પૂછવાનું છોડો, તેની જાણ પણ ન કરાઈ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો